ગુનેગારે ગુનો કર્યો છે કે નહીં; તે નક્કી કરવા માટે એક મહત્ત્વનું પરિબળ હોય છે – ગુના પછીનું વર્તન ! સ્થિતિ એવી થઈ છે કે જેમના ઈશારે નકલી એન્કાઉન્ટર થયાં, તે મુખ્ય મંત્રી / ગૃહ મંત્રી દેવદૂત અને ન્યાય આપનાર જજ તથા તપાસ અધિકારી ગુનેગાર ! નકલી એન્કાઉન્ટરમાં ન્યાય આપનાર જજ / તપાસ કરનાર અધિકારીને સજા થાય તો શું સમજવું?
મહત્ત્વના મુદ્દાઓ :
[1] ઈશરત જહાંનું એન્કાઉન્ટર 15 જૂન 2004ના રોજ અમદાવાદમાં થયું હતું. ઈશરતની ઉંમર 19 વર્ષની હતી. કોલેજમાં ભણતી હતી. પોલીસે ઈશરત સહિત ચાર ઈસમોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. પોલીસની દલીલ હતી કે આ ચારેય લશ્કર-એ-તૈયબાના આતંકીઓ હતા અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીની હત્યા કરવા આવ્યા હતા ! એન્કાઉન્ટરનું નેતૃત્વ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના IPS અધિકારી ડી.જી. વણઝારાએ કર્યું હતું. પાંચ વર્ષ બાદ 2009માં, Ahmedabad Metropolitan courtએ આ એન્કાઉન્ટરને નકલી ઠરાવ્યું. સરકાર હાઈકોર્ટમાં પહોંચી. 2011માં, ગુજરાત હાઈકોર્ટના જજ જયંત પટેલે CBIને તપાસ સોંપી હતી. CBIએ, 3 જુલાઈ 2013ના રોજ ફેઈક એન્કાઉન્ટર માટે 7 પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ મૂક્યું. આ કેસમાં ગૃહ મંત્રી અમિત શાહનું નામ ઊછળ્યું હતું, પરંતુ 2014માં CBIએ અમિત શાહને ક્લિન ચિટ આપી હતી ! જસ્ટિસ જયંત પટેલ સીનિયોરિટી મુજબ તેઓ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જજ બનતા હતા; પરંતુ તેમને ચીફ જજના પદથી વંચિત કરવા સરકારે તેમની બદલી કર્ણાટકથી અલ્લાહબાદ હાઈકોર્ટમાં કરી દીધી ! તેથી જયંત પટેલે 27 સપ્ટેમ્બર 2017ના રોજ રાજીનામું આપી દીધું ! 31 માર્ચ 2021ના રોજ CBI કોર્ટે તમામ આરોપીઓને છોડી દીધાં !
[2] આ ફેઈક એન્કાઉન્ટર કેસમાં CBIએ 2013માં ડી.જી. વણઝારાને એરેસ્ટ કરેલ અને તેમને 2015માં જામીન મળી ગયા. એન્કાઉન્ટર સાથે સંકળાયેલ અને નિવૃત્ત થઈ ગયેલ SP એન.કે. અમીન અને DySP તરુણ બારોટની સરકારે પુન: નિયુક્તિ કરી હતી. 8 વર્ષ જેલમાં રહેલ અમીનને સરકારે નિવૃત્તિ બાદ SPનું પ્રમોશન આપી મહીસાગર જિલ્લામાં મૂક્યા હતા ! તરુણ બારોટ પણ 3 વર્ષ જેલમાં રહેલ. તેમને રેલવેમાં DySP તરીકે મૂકેલ. સુપ્રિમકોર્ટે આ નિયુક્તિ અંગે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો, તેથી બન્ને પોલીસ અધિકારીઓએ 2017માં રાજીનામાં આપ્યાં હતાં !
[3] આ ફેઈક એન્કાઉન્ટર કેસમાં જુલાઈ 2013માં, ADGP પી.પી. પાંડેને CBIએ એરેસ્ટ કરેલ. તેઓ 19 મહિના જેલમાં રહેલ. ફેબ્રુઆરી 2015માં તેમને જામીન મળેલ ! સરકારે તેમને રાજ્યના પોલીસ વડા બનાવેલ ! પાછળથી અમદાવાદની CBI કોર્ટે તેમને આરોપમુક્ત કરી દીધા; કેમ કે સરકારે CrPC-197 હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી ન હતી ! સરકારે પી.પી. પાંડેને રાજ્યના પોલીસ વડા બનાવ્યા તેથી પૂર્વ IPS અધિકારી જુલિયો રિબેરોએ સુપ્રિમર્કોર્ટમાં પીટિશન કરી; જેથી પાંડેએ એપ્રિલ 2017માં રાજીનામું આપવું પડેલ !
[4] 2010માં, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અકિલ કુરેશીએ સોહરાબુદ્દીન ફેઈક એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને 2 દિવસના પોલીસ રીમાન્ડ પર સોંપેલ ! 2012માં જસ્ટિસ કુરેશીએ પૂર્વ જસ્ટિસ આર.એ. મહેતાની લોકાયુક્ત તરીકેની નિયુક્તિને મંજૂરી આપી હતી ! મુખ્ય મંત્રી મહેતાને લોકાયુક્ત તરીકે ઈચ્છતા ન હતા. મે 2018માં, ઓડ હત્યાકાંડમાં 19 આરોપીઓની સજા કાયમ રાખી હતી. આ હત્યાકાંડમાં બાળકો / મહિલાઓ સહિત 23 લોકોને જીવતા સળગાવી દીધાં હતાં. બસ, સરકારે અકિલ કુરેશીને સજા કરવાનું નક્કી કરી નાંખ્યું ! તેમને મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં મૂકવાને બદલે ત્રિપુરા હાઈકોર્ટમાં મૂકી દીધા ! ટ્રાન્સફર કોઈ નીતિ અનુસાર નહીં પરંતુ જજને દેખાડી દેવા માટે હોય છે ! જસ્ટિસ કુરેશીને સુપ્રિમકોર્ટના જજ બનતા અટકાવી દીધા ! સરકારે 2 વરસ સુધી સુપ્રિમકોર્ટમાં જજની નિમણૂંક જ ન કરી ! કુરેશી હાઈકોર્ટ જજ તરીકે જ 7 માર્ચ 2022ના રોજ નિવૃત્ત થયા !
[5] જજ બળાત્કારીઓ / હત્યારાઓને સજા કરે તો સરકારને ગમતું નથી ! 2002ના કોમી તોફાનો દરમિયાન 19 વરસની બિલ્કીસ બાનો ઉપર ગેંગ રેપ કરી તેના પરિવારના 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ વિજ્યા કમલેશ તાહિલરમાણીએ મે 2017માં 11 આરોપીઓને આજીવન કેદની સજાને બહાલી આપી હતી અને 5 પોલીસ અધિકારીઓ તથા 2 ડોક્ટરને નીચલી કોર્ટે છોડી મૂકેલ તેમને પણ સજા કરી હતી ! તેઓ 4 ઓગષ્ટ 2018થી મદ્રાસ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ હતાં. તેમની બદલી મેઘાલય હાઈકોર્ટમાં કરવામાં આવી ! આવી ટ્રાન્સફરથી પ્રતિષ્ઠા પર કલંક લાગતું હોય છે ! તેમણે 6 સપ્ટેમ્બર 2019ના રોજ રાજીનામું આપી દીધું ! મોટા રાજ્યની હાઈકોર્ટમાંથી સાવ નાના રાજ્યની હાઈકોર્ટમાં મૂકવાની યુક્તિ પાછળ હેરાનગતિ / અવગણના કરવાનો આશય હોય છે ! બિલ્કીસ બાનો કેસમાં સજા કરનાર જજને જ અન્યાય કેમ?
[6] 2002થી 2006 એટલે કે પાંચ વર્ષમાં 23 એન્કાઉન્ટરમાં, 31 લોકોને મારી નાખ્યા હતા ! તેમાં મોટા ભાગનાં મુસ્લિમો હતા. સરકારે ‘એન્કાઉન્ટર પોલિસી’ દ્વારા એક એવી છાપ ઊભી કરી કે મુસલમાન આતંકવાદી છે અને હિન્દુઓ તેમના આતંકનો શિકાર છે !’ તેના કારણે 56 ઈંચની છાતીનું જબરજસ્ત માર્કેટિંગ થયું ! મુસ્લિમોથી ‘અવતારી’ જ બચાવી શકશે તે ભ્રમણા દ્રઢ બની ગઈ ! ‘એન્કાઉન્ટર પોલિસી’માં કોર્ટ સમક્ષ બે દલીલો જ થતી : ‘એક, મરનાર દેશ માટે કેટલો ખતરનાક હતો; આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો. બીજી, મરનાર કેટલી મોટી વ્યક્તિને મારવા ઈચ્છતો હતો !’ ફેઈક એન્કાઉન્ટર કેસોમાં 6 IPS અધિકારીઓ તથા તત્કાલીન ગૃહ મંત્રી અમિત શાહને જેલમાં જવું પડ્યું હતું; તેનું સારું પરિણામ એ આવ્યું કે 2006 પછી એન્કાઉન્ટર જ બંધ થઈ ગયા ! એનો અર્થ એ થાય કે અગાઉના એન્કાઉન્ટર ગોઠવેલા હતા !
[7] નિષ્ઠાવાન / પ્રામાણિક IPS અધિકારી સતિષ વર્માએ ઈશરત જહાં એન્કાઉન્ટર સાવ નકલી છે; તેવું સાબિત કર્યું હતું. તેથી તેઓ 30 સપ્ટેમ્બર 2022ના રોજ નિવૃત્ત થવાના હતા તે પહેલાં 30 ઓગષ્ટ 2022ના રોજ કેન્દ્ર સરકારે (વડા પ્રધાને) તેમને બરતરફ કરી દીધા ! સતિષ વર્મા સત્યને વળગી રહ્યા /વિક્ટિમ સાથે / ન્યાય સાથે ઊભા રહ્યા એટલે બરતરફ થઈ ગયા !
ધ્યાનથી જૂઓ, 2014 પછી ગુનેગારોને એક પછી એક રાહતો મળી ગઈ ! અન્યાયી જજ / અધિકારીને તાગડધિન્ના અને ન્યાયપ્રિય જજ / તપાસ અધિકારીને સજા ! સૌથી મોટો સવાલ એ છે કે જજ / તપાસ અધિકારીએ ક્યા પંથે જવું; કાયદાના શાસનના કે શાસકોના કાયદાના? શાસકોના કાયદાનો પંથ લેનારાઓને ઘી-કેળાં હોય છે અને કાયદાના શાસનનો પંથ લેનારને મળે છે-અવગણના / હેરાનગતિ / આઘાતજનક અને કારણ વગર ટ્રાન્સફર / ખાતાકીય તપાસો / ટ્રીબ્યુનલ-કોર્ટ કેસ / પ્રમોશનને બદલે સજા / બરતરફી ! વિચારો; ન્યાયપ્રિય જજને / તપાસ કરનાર અધિકારીને સજા થાય એ ‘ગુના પછીનું વર્તન’ સૂચવતું નથી? નક્કી કરો, ગુનેગાર કોણ છે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર