સત્તાને લોકોની કંઈ પડી નથી. લોકો અંદરોઅંદર ધર્મના નામે ઝઘડે અને આંતરડાં બહાર કાઢી નાખે તો પણ સત્તાને કંઈ અસર થતી નથી ! એમની સત્તા મજબૂત બનતી હોય છે. દેશનું વાતાવરણ ઝેરીલા ભાષણો / ડિબેટ દ્વારા ડહોળતા સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓ / પત્રકારોએ મુસ્લિમોને દેશદ્રોહી / રાક્ષસ / અમાનુષ ચીતરી દીધા છે; તેનો ફાયદો એ થયો છે કે બહુમતી હિન્દુઓ મોંઘવારી / બેરોજગારીને ભૂલીને સત્તાપક્ષને મતો આપી રહ્યા છે.
ઝેરીલું વાતાવરણ ઊભું કરવામાં સુદર્શન ટી.વી.ના સંપાદક સુરેશ ચવ્હાણકે / હિન્દુ યુવા વાહિની મુખ્ય છે. 19 ડિસેમ્બર 2021ના રોજ, દિલ્હીમાં એક જાહેર કાર્યક્રમમાં સુરેશ ચવ્હાણકેએ ઝેર ઓક્યું હતું. હિન્દુ રાષ્ટ્ર બનાવવા મુસ્લિમોને મારવા-મરવા શપથ લેવડાવ્યા હતા ! એક્ટિવિસ્ટ તુષાર ગાંધીની પીટિશનની સુનાવણી દરમિયાન 13 જાન્યુઆરી 2023ના રોજ, સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ. નરસિમ્હાની ડિવિઝન બેન્ચે દિલ્હી પોલીસને પૂછ્યું છે : “તપાસમાં ઠાગાઠૈયા કેમ કરો છો? ઘટના 19 ડિસેમ્બર 2021ની છે. 5 મહિના પછી FIR નોંધી. FIR નોંધવામાં 5 મહિનાનો સમય કેમ લીધો? મે-2021 પછી શું તપાસ કરી? કેટલાં લોકોને એરેસ્ટ કર્યા? કેટલાં લોકોની પૂછપરછ કરી? શું તપાસ કરી? 2 સપ્તાહની અંદર પ્રગતિ રિપોર્ટ રજૂ કરો.”
થોડાં મુદ્દાઓ :
[1] FIR નોંધવામાં પોલીસને 5 મહિના લાગ્યા, તે પોલીસનું સત્તાપક્ષ સામેનું મેળાપીપણું છે. એટલે જ પોલીસ, તપાસને બદલે ઠાગાઠૈયા કરે છે. વિપક્ષી નેતા / એક્ટિવિસ્ટ સામે તરત જ FIR નોંધાય છે અને એરેસ્ટ પણ તરત જ કરી લે છે. પોલીસ નાગરિકો માટે નથી, સત્તાપક્ષની એજન્ટ છે. સત્તાના હુકમ મુજબ પોલીસ કામ કરે છે; પોલીસ પણ સારા પોસ્ટિંગ / પ્રમોશન માટે ‘ચા કરતાં કીટલી ગરમ’ એ સિદ્ધાંત મુજબ કામ કરે છે ! સુપ્રિમકોર્ટ ગમે તેટલાં માથા પછાડે પોલીસ સુધરવાની નથી ! સત્તાપક્ષ બેફામ છે અને નાગરિકો લાચાર છે !
[2] કેટલાં ય પત્રકારોને સત્ય લખવા સબબ જેલમાં પૂરવામાં આવ્યા છે. જ્યારે નફરતી ઝેર ઓકતા પત્રકારો / રાષ્ટ્રવાદીઓને લીલાલહેર છે.
[3] ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવવા શપથ લેનાર / લેવડાવનાર બંધારણ દ્રોહી છે. આઝાદીની લડત ચાલતી હતી ત્યારે સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓ અંગ્રેજોની તરફેણમાં કામ કરતા હતા અને આઝાદીની લડતનો વિરોધ કરતા હતા !
[4] NCRB-National Crime Records Bureauના આંકડા મુજબ 2014 પછી 7 વરસમાં હેટસ્પીચના કેસો 500% વધી ગયા છે ! સત્તાપક્ષના 27 MLA / MP ઉપર હેટસ્પીચના કેસ થયા છે. હેટસ્પીચના સૌથી વધુ કેસો સત્તાપક્ષના નેતાઓ ઉપર થયા છે. 2014માં હેટસ્પીચના 323 કેસ હતા; 2020માં 1804 કેસો નોંધાયા હતાં. હેટસ્પીચ રાસાયણિક ખાતર જેવું કામ કરે છે; મતોની પુષ્કળ ઉપજ આપે છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર