એ વાત સાચી કે ક્યાં અઢી કરોડની વસતિવાળું શ્રીલંકા ને ક્યાં ભારત! બેઉની તુલના શક્ય જ નથી; છતાં અસહ્ય મોંઘવારીમાં ભડકે બળતી લંકાની લપકારા લેતી અગ્નિજ્વાળાઓનો તાપ ભારતની અવદશા આવી તો નહીં થાય ને એવી ભીતિ ચોક્કસ ઊભી કરે છે. એનું કારણ એ છે કે એમના રાષ્ટ્રપ્રમુખ રાજપક્ષે અને આપણા વડા પ્રધાન વચ્ચે કેટલુંક જબરું સામ્ય છે. રાજપક્ષે અગાઉ ડિફેન્સ મિનિસ્ટર રૂપે તમિળોનો નરસંહાર કરવા માટે જાણીતા હતા. ત્યાર બાદ હિઝાબ, હલાલ અને મુસ્લિમો વિરુદ્ધની માનસિકતા ઊભી કરીને એટલા લોકપ્રિય બન્યા કે ભારે બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. સોએક મુસ્લિમ શાળાઓ બંધ કરવાનો વિક્રમ એમણે નાના દેશમાં સર્જ્યો છે. સલામતી, સુરક્ષા અને સમૃદ્ધિના સૂત્રોચ્ચાર સાથે તેઓ ચૂંટાયા હતા; પરંતુ હકીકતમાં, ધર્મકેન્દ્રી અને કૉર્પોરેટકેન્દ્રી રાજનીતિમાં માહેર છે. એમની તઘલખી નીતિઓના કારણે આજે શ્રીલંકામાં તબાહી સર્જાઈ છે.
ગોટાબાયાને ઢગલેઢગલે મત આપનાર અંધભકતો આજે એમને હટાવવા રસ્તા ઉપર આવી ચૂક્યા છે. ભારતના અંધભક્તોની આંખો ઉઘાડવા માટે આ ઘટના પૂરતી છે. ૯૫% શિક્ષણ ધરાવતું લંકા આજે ભિખારી બની ચૂક્યું છે, જ્યાં રાંધણગૅસ ૪,૬૦૦ અને પેટ્રોલ ૨૭૪ રૂપિયે છે. એમના ૨૯૪ રૂપિયે એક ડૉલર થાય! રાજપક્ષની ઑરગેનિક ખેતીની તઘલખી યોજનાનું આ પરિણામ છે. આજે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે ઉત્તરવહીઓના કાગળ સુદ્ધાં નથી, વીજળીના ફાંફા છે. નફરત અને નરસંહારમાં નિષ્ણાંત રાજપક્ષે શ્રીલંકાનો ‘સંહાર’ કરી દીધો છે. પેટ્રોલપંપો ઉપર લશ્કર ઊભું છે. જે પત્રકારો સાચી માહિતી આપે એમની ઠેરઠેર ધરપકડો થઈ રહી છે. શ્રીલંકાની સરકાર ઘણાં વખતથી આ તબાહીને સ્વીકારતી ન હતી અને જુદાં-જુદાં મંત્રીઓની અદલાબદલી કરતી હતી. આપણે ત્યાં જેમ વિજય રૂપાણીને હાંકી કાઢી ભૂપેન્દ્રભાઈને મુખ્ય મંત્રી બનાવાય એવું. આમાંથી, આમ જનતાને શો લાભ થયો? હા, ખોટી રાષ્ટ્રભાષા સાંભળવામાંથી બચ્યા એ ખરું!
રાજપક્ષે આવતા પૂર્વે શ્રીલંકામાં શિક્ષણ, સ્વાસ્થય અને હ્યુમન ઇન્ડેક્ષ એટલો ઊંચો હતો કે ભારતના કેરળ સિવાય કોઈ રાજ્ય એનો મુકાબલો કરી ન શકે. આજે ત્યાં આ હાલત છે. જરૂર વગર મોંઘાદાટ વિમાન મથકો વ્યાજે નાણાં લઈને બનાવ્યાં, જે આજે ચીનને ૯૯ વર્ષના ભાડા પેટે આપવા પડ્યાં છે. આપણે ત્યાં પણ આવી જ નીતિ જોવા મળે છે. અડધી રાતે ઝિંકાયેલી નોંટબંધી, ચાર કલાકની સૂચનાથી લાગુ પડાયેલું લૉકડાઉન અને લાગુ પાડ્યા પછી ત્રીસેક સુધારા કરવા પડ્યા છતાં રાજ્યોની આવક હણી લેતું બિલ ભારતની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી ચૂક્યા છે. શ્રીલંકામાં ચાર-પાંચ પરિવારોના હાથમાં જ દેશની સમગ્ર સંપત્તિ છે. ભારતમાં પણ ૫૦-૬૦ કુટુંબો કહી શકાય. હજુ ઓછું હોય તેમ ત્રણ કાળા કૃષિકાનૂન દ્વારા આવા પરિવારોને જ સમૃદ્ધ કરવાની ચાલ હતી. ૧૦૦% એફ.ડી.આઈ. દ્વારા ફરી એક વાર આ દેશની હાલત ઇસ્ટ ઇન્ડિયા જેવી કરવાની નીતિ દેખાય છે. નરેદ્ર મોદીનો ઉદય પણ રાજપક્ષની રીતેભાતે જ થયો છે.
ભા.જ.પ. ગુજરાતમાં શાસનમાં આવ્યું ત્યારે આઠ હજાર કરોડનું દેવું હતું જે આજે સાડાત્રણ લાખ કરોડ થઈ ચૂક્યું છે. એવી જ રીતે કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારે ૫૫ લાખ કરોડનું દેવું હતું જે આજે ૧૨૫ લાખ કરોડ બની ચૂક્યું છે. શું આ ‘રાજમાર્ગ ’ રાજપક્ષનો નથી? ચાર આનાની આવક અને રૂપિયાનો ખર્ચો એ જો શ્રીલંકાની હાલત હોય તો આઠ આનાની આવક અને રૂપિયાનો ખર્ચો એ ભારતની હાલત છે. તેથી જનસંખ્યામાં ભલે ગમે તેટલો તફાવત હોય, પરંતુ આજે શ્રીલંકામાં દેખાતાં દૃશ્યો ભારતમાં આવતી કાલે નહીં દેખાય એવું સોય ઝાટકીને કહી શકાય નહીં.
શ્રીલંકાની આ ઘટનાથી ચિંતિત થઈ કેન્દ્ર સરકારના સરકારી બાબુઓએ તાત્કાલિક મીટિંગ કરી. દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણા અને રાજસ્થાનની સરકારની મફત આપવાની નીતિઓ અંગે જાગૃત થવા કેન્દ્ર સરકારને સૂચવ્યું. હદ તો એ છે કે આ બધા રાજ્યો વિપક્ષના છે. હકીકત એ છે કે ઉત્તર પ્રદેશમાં પાંચ વર્ષમાં બે લાખ કરોડથી દેવું સાડા છ લાખ થયું છે. જેનો ઉલ્લેખ કરતાં સરકારી બાબુઓ ડરે છે. બિહારમાં યુ.પી.ની જેમ ડબલ ઍન્જિનની સરકાર છે ત્યાં ૫૨% ગરીબી છે. મધ્ય પ્રદેશમાં ૪૨% છે. કેટલાક અર્થશાસ્ત્રીઓને તો જૂની પેન્શન યોજના પાછી આવે એ પણ ખટકે છે. જ્યારે આ બધી બાબતો સામાજિક સુરક્ષા માટે જરૂરી છે.
પેલા સરકારી બાબુઓ કહે છે કે ચૂંટણી વખતે બધુ મફત આપવાની નીતિમાંથી આવી ઘટના ઊભી થાય છે. અલ્યા ભૈ, જે મફતમાં અપાય છે એમાંનું કેટલુંક તો સામાજિક કલ્યાણ માટે છે. તો કેટલુંક લોકપ્રિય થવાના ચાળામાંથી આવી શકે તેથી ગોળ અને ખોળ વચ્ચે ભેદ તો કરવો પડે ને! મૂળ વાત એ છે કે આપણે ત્યાં મોદી સાહેબે આવતાવેંત કોર્પોરેટ ટેક્ષ ૫% જેટલો ઘટાડ્યો હતો જે અંગે કોઈ બોલતું નથી પછી આ મસમોટી કંપનીઓ મસમોટો ચૂંટણી ફંડ ન આપે તો જ નવાઈ! બીજું આ ગરીબ કોર્પોરેટ સેક્ટરને દેવું માફ કરીને પણ રાહત આપવામાં આવે છે. જેમ કે છેલ્લાં ઈ.સ. ૨૦૧૯ના બજેટમાં ૧,૬૦,૦૦૦/- કરોડ રૂપિયાનું દેવું માફ કરાયું છે. આ આંકડો કેટલો મોટો છે! આ અંગે કોઈ સરકારી બાબુઓ ચૂં કે ચા ન બોલી શકે, કારણ કે એનાથી સાહેબ નારાજ થાય.
સલામતી, સુરક્ષા અને સમૃદ્ધિના નારાથી રાજપક્ષે શ્રીલંકાના નાગરિકોને છેતર્યો એવું અહીંયા પણ થયું છે. ભારતમાં ‘અચ્છે દિન’ના વાયદા સાથે, બૅંકમાં પ્રત્યેકના ખાતામાં ૧૫ લાખ આવશે, પેટ્રોલ ૩૫ રૂપિયે મળશે, ગૅસ સિલેન્ડર ૩૦૦માં આપીશું, વર્ષેમાં બે કરોડ સરકારી નોકરી આપીશું, સ્વીસ બૅંકના કાળા બજારિયાઓને વીણી વીણીને જેલમાં ધકેલીશું … આવા તો કંઈ કેટલાં ય સપનાંઓ દેખાડીને ભારે બહુમતીથી સત્તામાં આવેલી ભારતની ભા.જ.પ.કેન્દ્રી સરકારે એક પણ વચન પાળી બતાવ્યું નથી. દીકરી માટે કહેવાતું એમ રાત્રે ન વધે એટલી દિવસે અને દિવસે ના વધે એટલી રાત્રે મોંઘવારી વધી રહી છે. દુનિયા આખીમાં પેટ્રોલના ભાવ ઘટવા છતાં ભારતમાં ભાવ સતત વધી રહ્યાં છે. છતાં પ્રજાનાં પેટનું પાણી હલતું નથી. પ્રજા લંકાની જેમ જ હિઝાબમાં, મસ્જિદના લાઉડસ્પીકરમાં, મટન વેચવા ન વેચવામાં પડી છે. લાગે છે કે શ્રીલંકાની વર્તમાન પરિસ્થિતિ એ ભારતનો પૂર્વોભાસ છે. શ્રીલંકાને દેવાના ડુંગરમાં ધકેલનાર ચીનના વડા પ્રધાન સાથે રાજપક્ષે ચીયર્સના ફોટોગ્રાફ વહેતા મૂકેલા જે ચીન આજે એને ગળી ચૂક્યું છે. મોદી સાહેબ પણ ચીનના વડા પ્રધાનને અમદાવાદના રિવરફ્રન્ટ પર હિંચકો નાખતા હતા એ પણ આપણને યાદ આવે!
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 03