હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગના સાંપ્રદાયિક વલણો સામે કાઁગેસ કે ગાંધીજીનું ન ચાલતા આખરે હિંદનું વિભાજન થયું. જેમાં અંગ્રેજોનો ફાળો મોટો હતો. ધર્મકેન્દ્રી રાષ્ટ્રનો ઠેકો લેનાર પાકિસ્તાન પચ્ચીસ વર્ષ પણ ન ટક્યું અને બાંગલાદેશનો જન્મ થયો! ઉર્દૂ અને બાંગલા ભાષાનો આ સંઘર્ષ હતો. સંસ્કૃતિ, ધર્મ કરતાં મોટી નીવડી. ભારતમાંથી પાકિસ્તાન બનાવવા મુસ્લિમબહુલ વિસ્તારમાં લીગે ખૂબ મથામણ કરેલી. બબ્બે વાર કાશ્મીરની મુલાકાત જિન્નાહે લીધી, છતાં કાશ્મીરે મચક ન આપી અને ભારત સાથે જ જોડાવાનું પસંદ કર્યું હતું. ત્યારે આખો દેશ કોમી આગમાં ભડકે બળતો હતો, પરંતુ ૯૫% મુસ્લિમોની વસતિ ધરાવતા કાશ્મીરમાં નાનું છમકલું ય ન થયું એવી શાંતિ હતી. કોમી એકતાનું આવું વિરલ ઉદાહરણ સાંપ્રદાયિકોને કઠે એ સ્વાભાવિક હતું.
આઝાદી પછી પાકિસ્તાને લશ્કર નહીં પણ તાયફાવાળા જૂથ કે ક્બાલીઓ જેવાં આતંકવાદી જૂથોને મોકલી કાશ્મીરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરેલો, છતાં કાશ્મીર ડગ્યું નહીં. પણ ૩૭૦ની કલમ અન્વયે બફર સ્ટેટ કાશ્મીરને વિકાસ કરવાનું કાઁગેસ વખત જતાં ભૂલી ગઈ. એક તરફ અસહ્ય બેકારી અને બીજી તરફ ભારત તરફી નેતાઓની આતંકવાદીઓને હત્યા શરૂ કરી. ૧૯મી જાન્યુઆરી,૧૯૯૦માં પંડિતોની હત્યા થતાં પૂર્વે ૪૦ મુસ્લિમ નેતાઓની હત્યા થઈ હતી. જે હત્યાઑ રોકવામાં કાઁગેસ નિષ્ફળ ગઈ હતી.
કેન્દ્રમાં કાઁગ્રેસે સત્તા ગુમાવ્યા પછી કાશ્મીરમાં રાજ્યપાલ શાસન મૂકાયું. ભા.જ.પ.-સમર્થિત વી.પી. સરકારે કાશ્મીરમાં જગમોહનની રાજ્યપાલ તરીકે નિમણૂક કરી. એમણે આતંકવાદીઓ અને કાશ્મીરીઓના સંઘર્ષને હિંદુ પંડિત અને કાશ્મીરીનો સંઘર્ષ બનાવ્યો. ગાવકાદલ હત્યાકાંડમાં પણ એમની ભૂમિકા શંકાસ્પદ રહી. પંડિતોને ભારતનાં અન્ય રાજ્યોમાં ચાલ્યા જવા લાલચ અપાઈ. ભયનું વાતાવરણ ઊભું કરાયું.
જેના પરિણામે પાકિસ્તાની તેમ જ પાકિસ્તાન તરફી થયેલ જૂથોએ કાશ્મીર ઘાટી છોડી દેવાનું પંડિતોને આહ્વાન કર્યું. પંડિતોનું વિસ્થાપન થયું. આ પૃષ્ઠભૂમિ પર ‘શિકારા’, I Am જેવી સંતુલિત ફિલ્મો બની છે, પરંતુ હાલમાં આવેલી ‘કાશ્મીર ફાઇલ્સ’ પર વિવાદ થયો. મોદીથી માંડી મોરારિબાપુ આ ફિલ્મ જોવા માટે આગ્રહ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ આ ફિલ્મ વાસ્તવિકતાનું અધૂરું ચિત્ર જ માત્ર નથી, પરંતુ અત્યારની સરકારને આગામી ચૂંટણીમાં મબલખ મતો રળી આપતી ફિલ્મ જણાઈ આવે છે. પંડિતોના આંસુ પર નફરતની ખેતી અત્યારે બરાબર ચાલી રહી છે.
હકીકતમાં, અસંખ્ય પંડિતોએ પોતાને બચાવનાર મુસ્લિમોની વાત કરી છે જેની આમાં વાત જ નથી! બીજી બાજુ, આ નિમિત્તે ઘા ભેગો ઘસરકો કરીને કાયદેસર રીતે, જેમાં ભારત સરકારના હાથ હેઠાં પડ્યાં એ જે.એન.યુ. વિશ્વવિદ્યાલયને પણ બદનામ કરવાનું ઘટક ઉમેરી લીધું છે. ’૯૦ જાન્યુઆરીથી આજ લગી પંડિતોને સહાય મળતી રહી છે, પરંતુ મોદી સરકારે સહાયમાં વધારો ન કરતાં એન.સી.પી. સાંસદ સુપ્રિયા લેલેએ ગયા બજેટમાં જ ઊહાપોહ કરેલો! બી.જે.પી.નાં સાંસદ મીનાક્ષી લેખી કહે છે કે જેમ ભારતભરના કામદારો કોરોના પછી પોતપોતાના નોકરી ધંધે વળગી ગયાં છે તેમ પંડિતોએ ચાલ્યા જવું જોઈએ કશ્મીર, સહાય ક્યાં સુધી હોય? ભા.જ.પ.ની આ નીતિ અહીં જરા ય દેખાતી નથી.
બ્રેખ્તે સર્જકનું કામ હથોડી જેવું ગણાવ્યું છે જે વાસ્તવિકતાને ઘાટ આપી પ્રગતિશીલ ચેતના પૂરી પાડે. જ્યારે અહીં કેવળ અધૂરી વાસ્તવિકતાથી ઉન્માદ સર્જાઈ રહ્યો છે. એ દિવસે ૪૦,૦૦૦ પંડિત કુટુંબો; ૬,૫૦૦ શીખ પરિવારો; ૧,૫૦૦ મુસ્લિમ પરિવારો દિલ્હી આવ્યા હતા. જ્યારે ફિલ્મમાં માત્ર હિંદુ પંડિતોની વાત થઈ છે. બીજી વાત, ૨૦૧૪ પછી આ સરકારે કેવળ ૩૭૦ રદ્દ નથી કરી, પરંતુ કાશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો પણ છીનવી લઈ ભારતનું એક રાજ્ય ઘટાડી દીધું છે. કાશ્મીરનો ધ્વજ લાલરંગમાં હળ હતું જે છીનવાઈ ગયું, પરંતુ નાગાલેન્ડને હજુ પોતાનો ધ્વજ જ છે. પંડિતોની આ દુર્દશા થઈ ત્યારે ભા.જ.પ. સમર્થિત સરકાર હતી જે ફિલ્મમાં બતાવવામાં આવી નથી. એ જ બતાવે છે કે આ ફિલ્મને વર્તમાન સરકારની વોટબૅંક મજબૂત કરવામાં રસ છે, પંડિતોની વેદનામાં નહીં.
આતંકવાદ અને સરકારી આતંકવાદ વચ્ચે છેલ્લાં ત્રીસ વર્ષથી કાશ્મીર સ્વર્ગમાંથી નર્ક બની રહ્યું છે. આજે પણ ત્યાં ૬૦૦ પરિવાર પંડિતોના છે જ. જે જાન્યુઆરી ’૯૦માં કાશ્મીરમાંથી આવ્યા ન હતા. આવી કોઈ સંકુલતામાં ફિલ્મ જતી જ નથી. આજે નોંધાયેલા ૫૫,૦૦૦ પંડિતોના પરિવારની યાદી છે. સરકાર પાસે એમનો પુનઃવાસ એ સમયની માંગ છે. આવી ફિલ્મો પુનર્વાસને મુશ્કેલ બનાવે તેવી નફરત ફેલાવી રહી છે. જ્યારે હકીકત જુદી છે. કાશ્મીર પંડિત અવંતિ ભાટીએ ‘કાશ્મીર પંડિત્સ, પ્રોબ્લેમ ઍન્ડ પસ્પેર્ક્ટિવ’ નામનું પુસ્તક લખ્યું છે જેમાં ઈ.સ. ૨૦૦૩માં કાશ્મીરી પંડિતોએ એક પ્રેસ કોન્ફોરન્સ બોલાવી જણાવ્યું હતું કે અમે જ્યારે કાશ્મીર છોડ્યું ત્યારે બે વ્યક્તિઓએ વિરોધ કરેલો –ફારુક અબ્દુલ્લા અને મીર વાયઝ. જ્યારે આ ફિલ્મમાં ફારુક અબ્દુલ્લાને આતંકવાદીઓના સમર્થક બતાવ્યાં છે કારણ કે એ ભા.જ.પ.વિરોધી છે.
નેપાળથી યાત્રાળુઓને લઈ જતું વિમાન આતંકવાદીઓએ અપહરણ કર્યું ત્યારે આતંકવાદ સામે લડવાને બદલે આતંકવાદીઓને છોડ્યા હતા અને છોડવા જનાર જશવંતસિંહ આજે ભા.જ.પ.ને જ છોડી ચૂક્યાં છે. કહેવાય છે કે માત્ર આતંકવાદીઓને જ નથી છોડ્યા આતંકવાદીઓને પૈસા પણ અપાયાં છે! આતંકવાદીઓને સમર્થનમાં જણાવી મહેબૂબા મુફ્તીનો વિરોધ કરનાર ભા.જ.પ. પક્ષ એ જ પી.ડી.પી. સાથે સરકાર બનાવતા અચકાયો ન હતો. ભા.જ.પ.ના આ બે ચહેરાને ફિલ્મ સિફતથી સંતાડે છે તેથી એનો હીન આશય સ્પષ્ટ જણાય છે. બાકી, આજે પણ કેન્દ્રમાં ભા.જ.પ. સરકાર હોવા છતાં પુલવામામાં ૪૯ લશ્કરી જવાન મરી જાય, ૩૬૦ કિલો આર.ડી.એક્સ. મળે એની ફાઇલ નથી ખૂલતી! પુલવામામાં ડી.જી.પી. દેવેન્દ્રસિંહને શેર-એ-કાશ્મીર ભારત સરકારની ભા.જ.પ. સરકાર એવોર્ડ આપે એને એ જ દિલ્હી ચૂંટણી વખતે આતંકવાદીઓ સાથે પકડાય! જેની વિરુદ્ધ દેશપ્રેમીઓએ કોઈ દેખાવ કર્યા નથી.
પંડિતોની વ્યથા બતાવી પરંતુ કેટલાંક પંડિતો અને મુસ્લિમો મિત્ર પણ હતા એ શિકારા ફિલ્મમાં બતાવ્યું તેથી શિકારા ફિલ્મનો સંઘ/ભા.જ.પે. વિરોધ કર્યો હતો. જે ફિલ્મની કથા કાશ્મીરના પંડિત રાહુલે લખેલ પુસ્તક Our Moon Has Blood Clouts પર આધારિત હતી. એ ફિલ્મ જોઈને ભૂતપૂર્વ ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણી રોઈ પડ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીનું એ દૃશ્ય અત્યારે ફેકન્યુઝ પેઠે ‘કાશ્મીર ફાઇલ્સ’ સાથે જોડીને બતાવાઈ રહ્યું છે. ‘કાશ્મીર ફાઇલ્સ’માં એક પણ મુસ્લિમ સારું પાત્ર જ નથી એ તે કેવી વાસ્તવિકતા! કાશ્મીરી પંડિતો કણસતા હતા ત્યારે અનુપમ ખેર ‘દિલ હૈ કે માનતા નહીં’ જેવી રીલ લાઈફની રોમેન્ટીક-કોમેડી ફિલ્મોમાં રત હતા અને આજે રીઅલ લાઈફમાં પંડિતોના નામે આંસુ વહાવે છે તે વિચિત્ર લાગે છે! આ ફિલ્મમાં એક જ સંવાદ સારો છે. ‘વાસ્તવિકતા બતાવવા કરતાં ખોટું એ છે કે અધૂરી સચ્ચાઈ બતાવવી.’ શિકારામાં સંવાદ છે કે ‘નેતા કા કામ લોગોં કો લડાના નહીં, ઉનકો એક કરના હૈ.’ આ ફિલ્મ આમ પણ આ પક્ષની સરકારના શાસનમાં દેશમાં જે નફરત વધી રહી છે એમાં આગમાં ઘી હોમવા જેવી સાબિત થશે. ’૯૦માં કાશ્મીરના આઈ.બી. ચીફ એ.એસ. દુલાતે કહ્યું કે આ ફિલ્મ દુષ્પ્રચાર છે. અનેક મુસ્લિમોએ પંડિતોને આરક્ષણ આપ્યું હતું. આતંકવાદીઓથી મારેલાં પંડિતોની સંખ્યા વિવેક અગ્નિહોત્રીના મતે ૪,૦૦૦, કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના મતે ૬૫૦, RSSના મતે ૬૦૦, ગૃહ મંત્રાલયના મતે ૨૯૧. આ સરકારી આંકડાને સરકાર ક્યાં છૂપાવશે? આવી ફિલ્મને કરમુક્ત જાહેર કરતી સરકાર ખુદ નફરતની ખેતીમાં રસ ધરાવે છે તે પુરવાર થાય છે. ‘કાશ્મીર ફાઇલ્સ’ના ઉન્માદમાં રત પ્રજાને રાંધણ ગૅસમાં એક જ ફટકે પચાસ રૂપિયાનો વધારો માથે પડયો છે એ દેખાતો નથી!
Email : bharat.mehta-guj@msubaroda.ac.in
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 04-05