એક તરફ જરીપુરાણો ઐતિહાસિક એજન્ડા છે અને બીજી તરફ વૈશ્વીક આર્થિક મહાસત્તા બનવાનું સ્વપ્ન
એક ભારત એવું છે જે હાલ મોજુદ છે અને એક એવું પણ ભારત છે જેનું આપણે સ્વપ્ન જોઈ રહ્યા છીએ. એક ત્રીજું પણ ભારત છે જેને દુનિયા જુએ છે. ત્રણે ભારત તદ્દન અલગ છે. આપણે વાત એક ભારતની કરીએ છીએ પણ વિચારીએ છીએ અન્ય ભારત વિશે. આપણે એક ભારત માટે બજેટ તૈયાર કરીએ છીએ અને બીજા ભારત પર ખર્ચી નાખીએ છીએ. આપણે એક ભારતની ચિંતા કરીએ છીએ અને બીજા ભારતની શેખી મારીએ છીએ. એક અન્ય ભારત છે જે ભૂતકાળમાં ક્યારેક હતું. તેને લઈને આજે પણ ઘણા લોકો વ્યાકુળ છે અને એ ભારતમાં પાછા ફરવા માટે ઉત્સુક છે.
વાસ્તવમાં આ એશિયન મૂંઝવણ છે. આપણે પોતાના ઝાંખા પડી ગયેલા ભૂતકાળને ભૂલી શકતા નથી. આપણે વર્તમાનથી ખુશ નથી અને આપણે કાયમ ભવિષ્યના સપના જોઈ રહ્યા છીએ. આપણા વિશે લોકો શું વિચારે છે એની પણ ચિંતા કરવાની છે. માત્ર ચિંતા જ નહીં પ્રતિક્રિયા પણ આપવાની છે. ઘણી વખત આપણે ગુસ્સાથી છલોછલ પ્રતિક્રિયા આપીએ છીએ અને ઘણી વખત તેમને બિઝનેસની તક તરીકે લઈએ છીએ. આપણે મુઘલોના શાસનને નકારી કાઢીએ છીએ પણ હા, પર્યટનનું આપણું સૌથી મોટું આકર્ષણ તો તાજ મહાલ જ રહેશે.
મારા જેવા લોકો જે વર્તમાન ભારતમાં રહેતા હોય છે તેમને મોટે ભાગે રોદણાં રડ્યા કરનારા માનવામાં આવે છે.
મને ટ્વીટ કરીને લોકો પૂછે છે કે શું તમને આસપાસ કશું સારું દેખાતું જ નથી? તેમને એ સમજાવવું મુશ્કેલ હોય છે કે તેઓ જે ભારતની શેખી મારી રહ્યા છે તે હું રહું છું એ ભારત નથી. મને પણ મારા ભારત પર ગર્વ છે પણ તેને સુધારવાની જરૂર છે. તેને પાણીની જરૂર છે. તેના જંગલોને બચાવવાની જરૂર છે. પ્રજાતિઓને મારવાની નહીં પણ તેનું પોષણ કરવાની જરૂર છે. સૌથી અગત્યની વાત. જીવતા રહેવા માટે જેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે એ દરેક પ્રત્યે તેમણે કરુણા દાખવવાની જરૂર છે. આ ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર હોવાના દાવા કરવાની પણ જરૂર નથી. ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર હોઈ શકે છે પણ જ્યાં સુધી તે સૌથી ગરીબ, સૌથી નબળા વર્ગ માટે જીવન જીવવા લાયક નહીં બનાવે ત્યાં સુધી વિકાસનો કોઈ મતલબ નથી.
વૃદ્ધિદર તો માત્ર મૂર્ખામીભર્યા આંકડા છે. પણ હું એ લોકોને દોષ આપવા માગતો નથી જેઓ મને કાયમ ફરિયાદો કરતી વ્યક્તિ તરીકે જુએ છે. કારણ કે તેઓ એક અલગ જ ભારતમાં રહે છે, જેનું ઘડતર અદ્દભુત રાજકીય વચનો અને એ મીડિયાએ કર્યું છે જે તેમાં સતત ઈંધણ ઝીંક્યા કરે છે. સાચું કહું તો તમે આસપાસ જોઈ રહ્યા છો એ મારું ભારત છે. આ એ ભારત છે જ્યાં હું અને તમે રહીએ છીએ. થોડો તૂટેલો, થોડો વિખેરાયેલો, થોડો ડરામણો ભારત દેશ. આ તમામ કાયમ ખોટા કારણોસર જ મથાળામાં ચમકે છે. આ ભારત અપાર ગરીબી, દુ:ખ, આત્મહત્યા, દુષ્કર્મના ઓછાયા હેઠળ જીવે છે. મારા ભારતના હિરો તો એ લોકો છે જેઓ આ બધામાંથી પસાર થયા પછી પણ માથું ઊંચું રાખીને જીવી રહ્યા છે.
શું માત્ર સરકારને જ દોષ આપવો જોઈએ? કદાચ નહીં. દરેક દેશમાં વિકસતો-વિસ્તરતો મધ્યમ વર્ગ છે. જે અપેક્ષાઓના આધારે જીવે છે અને રાજકીય નેતાઓ તેમની અપેક્ષાઓ-આકાંક્ષાઓને હવા આપે છે. નેતાઓ ખોટું બોલે છે. તેઓ આકાંક્ષાઓને ઉશ્કેરે છે. અને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરે છે. પણ આ સમગ્ર પ્રક્રિયામાં તેઓ એક અત્યંત મહત્ત્વનું કામ કરે છે. તેઓ લોકોનાં સપનાંને પોષે છે. જેમના જીવનમાં એવું કશું નથી જેને જોઈને આગળ વધી શકાય. તેઓ લોકોને નારા આપે છે. રાજકારણીઓ લોકોને એકમેકને ધિક્કારવાના કારણો આપે છે.
રાજકારણ અને ઇતિહાસે વારંવાર પુરવાર કર્યું છે કે પ્રેમ કરતાં ક્રોધ વધારે લોકોને એકત્ર કરે છે. પ્રેમ તો એક એવી બાબત છે જેને આપણે આદર્શ તરીકે દેખીએ છીએ. નફરત એવી ભાવના છે જેના પર આપણું અસ્તિત્વ ટકેલું છે. લોકોને ધિક્કારવાનું એક કારણ આપશો તો તેઓ તરત એને ઝડપી લેશે. ભલે પછી તેમને ખબર હોય કે તમે પોતાના હિત ખાતર એમને ગેરમાર્ગે દોરી રહ્યા છો. પ્રેમ અને રાજકારણ બન્નેમાં લોકોને પોતાનો ઉપયોગ થાય એ ગમતું હોય છે.
પણ જે લોકો તમને બહારથી જોઈ રહ્યા છે તેમનો ઉપયોગ કરવો કે તેમને પોતાની મરજી પ્રમાણે ઢાળવા અઘરું હોય છે. આ જ કારણોસર એક તરફ ભારતનું અસ્તિત્વ છે. એવું ભારત જે સ્વરૂપે અન્ય લોકો તેને જોવા માગે છે. ના, હું એન.આર.આઈ. કે અપ્રવાસી ભારતીયોની વાત કરતો નથી. તેમની વિશ્વદૃષ્ટિ તો અતીતના મોહથી ગ્રસ્ત છે. હું તો વ્યાપક સ્તરે દુનિયાની વાત કરી રહ્યો છું. તેઓ એવા ભારતને જોઈ રહ્યા છે જે તદ્દન અલગ છે. શક્ય છે કે આપણે ભારત વિશેના તેમના વિચારોથી સંમત ન હોઈએ. પણ આપણે તેમની અવગણના પણ કરી શકતા નથી. કારણ કે આપણા વિશેની તેમની ધારણાને કારણે આપણો વેપાર ચાલે છે.
વિશ્વમાં આપણું કદ નક્કી થાય છે અને (સૌથી મહત્ત્વપૂર્ણ) આપણી આત્મપ્રતિષ્ઠાનો બોધ સ્પષ્ટ થાય છે. આપણને ગમે કે ના ગમે પણ આપણે કાયમ પોતાની જાતને બીજાઓની નજરે જોવાનો આગ્રહ રાખીએ છીએ. આ જ કારણોસર આપણે વેન્ડી ડોનીગર કે લેસ્લી યૂડવિન અથવા જેમ્સ લૅન જેવા લોકો પર ભડકી ઉઠીએ છીએ. આપણે દાવો તો એવો કરીએ છીએ કે આપણા વિશેના તેમના પૂર્વગ્રહના લીધે ગુસ્સો આવે છે. પણ સાચી વાત તો એ છે કે તેમની વાતોના કારણે પોતાની છબિ વિશે આપણા મગજમાં જે શંકા ઉભરે છે તેના કારણે આપણને ગુસ્સો આવે છે.
આ સાથે જ આપણે એવા ભારતમાં પણ રહીએ છીએ જે અનેક સદીઓથી એકમેકની પડખે જીવે છે. તેના કારણે સ્થિતિ વધુ જટિલ થઈ જાય છે. લોકો અલગ અલગ રીતે પૂજા-અર્ચના કરે છે. જુદી-જુદી રીતે વિચારે છે. જે બાબતો પર તેઓ ભરોસો કરે છે તે ભૂતકાળનો હિસ્સો છે. પણ આપણે તેને સ્વીકારવા તૈયાર જ નથી. આપણે પોતાના ભૂતકાળની સાથે એ રીતે જોડાયેલા રહીએ છીએ જાણે તે વર્તમાન હોય અને તેના આધારે આપણે ભવિષ્યને ઘડી શકીશું. આ જ કારણેસર ઉત્તર પ્રદેશમાં રામ મંદિર, તામિલનાડુમાં જલીકટ્ટુ મહત્ત્વપૂર્ણ છે. ત્રણ વખત તલાક ધાર્મિક ઓળખનો અભિન્ન અંગ છે.
પરિવારના સન્માનના નામે થતી હત્યાઓ, જ્ઞાતિ આધારિત પૂર્વગ્રહો, મહિલાઓ વિરુદ્ધની હિંસા, અલગ પંથમાં માનનારાઓનો બહિષ્કાર, લઘુમતિની સતામણી, તર્કવાદીઓની હત્યા. આ બધું જ સડી ગયેલા ઐતિહાસિક એજન્ડાના અંગ છે. જેને આપણે સૌ અજમાવવા લાગ્યા છીએ. બીજી તરફ સપનું તો આપણે વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવાનું જ જોઈએ છીએ. તમે કયા ભારતમાં રહો છો? તમે કેવા ભારતમાં રહેવા માગો છો ? તમે જે ધ્વજની નીચે ઊભા છો તે કયા ભારતમાં ફરકી રહ્યો છે? શક્ય છે કે આ સવાલોના કોઈ જવાબ ન હોય. પણ પોતાના હૃદયમાં જોશો તો તમને એ ભારત જડી આવશે જેને તમે બેહદ પ્રેમ કરો છો.
સૌજન્ય : ‘દેશાંતર’, “દિવ્ય ભાસ્કર”, Jun 24, 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-one-question-what-country-do-you-live-5356718-NOR.html