રામ. તમને યોગ્ય રીતે બોલાવવા માટે ફક્ત આટલું નામ જ પૂરતું છે. તમારો વિજય સૂચવતી ‘જય શ્રી રામ’ જેવી ઘોષણાઓ તમારી મહત્તા ઘટાડનારી છે. તમારો જયઘોષ કરવો પડે તેનો મતલબ જ એમ થાય કે તમને હરાવી શકાય છે. મારે એક કબૂલાત પણ કરવી જોઈએ. તમે મારા જીવનમાં દીપ્તિમાન અને આત્મીય સ્વરૂપે હતાઃ અમારા અસ્તિત્વના આધાર. તમે જ મસ્તિષ્ક ને ચેતના હતા. તમે જ સકળગુણસ્વરૂપ.
તમે કરુણાસાગર અને દૈવી સ્વરૂપ હતા. વેદનામય દુઃખની ઘડી હોય કે મુક્તિસભર આનંદની ક્ષણો, જીભે તમારું જ નામ આવતું હતું. તમે ઇષ્ટ દેવતા હતા, તમે જ પુત્ર, ભાઈ, શિષ્ય અને મિત્ર. તમે રાજવી હતા ને ત્યાગી પણ. તમે ધર્મ હતા. પ્રસંગોપાત તમે ક્રૂર અને અન્યાયી હતા. પણ તમારો માનસિક પરિતાપ તમારી પોતાની ક્રૂરતાને પિછાણતો હોય એવું લાગતું હતું. તમે દૈવી હતા, પણ તમારી સંદિગ્ધતાઓ માનવીય હતી. સૂતાંજાગતાં તમે જ છેલ્લો આશરો હતા. તુલસીદાસના શબ્દોમાં કહીએ તો,
રઘુવર તુમકો મેરી લાજ
સદા સદા મૈં શરણ તિહારી
તુમ હો ગરીબનવાઝ
તમારા નામે યુદ્ધ છેડનારા આજે અયોધ્યામાં તમારા મંદિરનું નિર્માણ આરંભી રહ્યા છે. આ ચેષ્ટાને એ લોકો તમારા પ્રત્યેની સર્વોચ્ચ ભક્તિ, તમારી સર્વોપરિતાને ઝાઝેરાં પ્રણામ તરીકે ગણાવી રહ્યા છે. તેમનો દાવો છે કે તે ઘાતકી હુમલાખોરો દ્વારા અપવિત્ર કરાયેલી પવિત્ર ભૂમિને પુનઃ હાંસલ કરી રહ્યા છે. તે આ ઘટનાને હિંદુ અપમાનબોધને ફગાવી દેનારી ભાવપૂર્ણ-ભાવવિરેચક ઘટના તરીકે વર્ણવી રહ્યા છે. તે આને રામરાજ્ય માટેના નવા યુગનાં મંડાણ તરીકે ઓળખાવી રહ્યા છે. તમે હવે નવપ્રાપ્ત-નવા હાંસલ કરેલા ગૌરવથી છલકાતા શક્તિશાળી સમુદાયના એકત્વનું પ્રતીક છો. ખાનગીમાં એમ પણ કહેવાશે કે તેનાથી ખંડિત સંસ્કૃતિની અખંડિતતા ફરી સ્થાપિત થઈ છે.
પણ મને ખબર છે કે હું તમને ત્યાં નહીં પામી શકું. કેમ કે જે ઊભું થઈ રહ્યું છે તે તો હિંસક, સામૂહિક આત્મશ્લાઘાનું સ્મારક છે. તમે તો જાણો છો કે મંદિર તમારા માટે નકામું કે ખતરનાક છે. જો તમારો સાચો અર્થ સમજતા હોઈએ તો નકામું અને અભિમાનથી તમારું અનુકરણ કરતાં હોઈએ તો ખતરનાક. વાલ્મીકિએ તમને ‘નર ચંદ્રમા’ તરીકે વર્ણવ્યા હતા. તમારા સર્વશ્રેષ્ઠ આલેખક તમને બરાબર સમજતા હતા. તેમણે તમને ચંદ્ર તરીકે ઓળખાવ્યા ત્યારે તેમના મનમાં સુંદરતાની સાથોસાથ કલંક પણ હતાં.
તમે ત્યાગનું મૂર્તિમંત સ્વરૂપ છો. પિતાનું અન્યાયી વચન પાળવા માટે તમે રાજપાટ છોડી દીધું. આપણો ઇતિહાસ પિતાએ આપેલાં અન્યાયી વચનો પૂર્ણ કરતાં અને તેના પગલે અનેક વિધ્વસંક ઘટનાઓનો સિલસિલો નોતરતાં સંતાનોથી ભરેલો છે, એ પણ એક વિચિત્રતા છે. રામાયણ હોય કે પછી મહાભારત, તેમાં શાંતનુ અને ધૃતરાષ્ટ્રથી અર્જુન સુધી કોઈ પિતા એવો નથી, જેના ગેરવાજબી નિર્ણયો બદલ તેમનાં સંતાનોએ વેઠવું ન પડ્યું હોય. તમારું પણ એવું જ હતું. પછી વાલીને તમે કાયરની જેમ માર્યો, જ્ઞાતિપ્રથાને પડકારતી તપશ્ચર્યા બદલ તમે શંબુકને અન્યાયપૂર્ણ સજા કરી અને સીતાને ઉડતા અભિપ્રાયોના પગલે બલિદાન આપવું પડ્યું. તમે તો દૈવી હતા. એટલે આ બધા સાથે મેળ બેસાડી શક્યા. તમે પાપ કરીને પછી તેના બોજથી મુક્ત થઈ શક્યા. અદ્દભુત ગ્રંથ ‘નામ રામાયણ’માં કહ્યું છે તેમ, ‘સ્વર્ગત શંબુક સમસ્તુત રામ’ – તમે (અન્યાય કરવા છતાં) શંબુકને સ્વર્ગે મોકલ્યો અને શંબુક તમારો આભારી રહ્યો.
પણ અમે કાળા માથાના માણસો તમારા આદર્શોને ભજી શકતા નથી. અમારી નૈતિકતાનું માપ નીચું છે. એટલે કોઈને માર્યા કે તજ્યા પછી તેના બોજમાંથી મુક્ત થવું – બેદાગ પાર ઉતરવું અમારા માટે શક્ય નથી. અમારામાં તો વાલી, શંબુક અને સીતાને ન્યાય જોઈશે, મોક્ષ નહીં. માટે, અમે તમારી મર્યાદાનું અનુસરણ ન કરી શકીએ. એ તમને છાજે.
નોંધપાત્ર છે કે મધુસૂદન સરસ્વતી, તુલસી, ગાંધી જેવા તમારા મહાન ભક્તોને પોતાની નૈતિકતા ખોજવા માટે કદી મંદિરની જરૂર પડી નથી. તેમાં કશું આશ્ચર્ય નથી. અમે કદાચ ઉચ્ચતર સિદ્ધાંત સ્થાપિત કરી રહ્યા છીએઃ ‘નામ રામાયણ’ની પહેલી જ પંક્તિ છે ‘શુદ્ધ બ્રહ્મ પરત્પર રામ’, પણ તેમાં મંદિરની ક્યાં ય જરૂર નથી. ‘રામરહસ્ય ઉપનિષદ’નાં શિવ-ઉમા-રામ કોઈ એક સ્વરૂપમાં સીમિત થઈ શકતાં નથી. અયોધ્યામાં તમારી સ્થાપના કરીને એ લોકો અમારાં અંતરમનમાં બિરાજમાન તમારાં વિવિધ સ્વરૂપોને ઉખેડી નાખવા માગે છે — એવાં સ્વરૂપો, જેમને કોઈ આક્રમણખોર ખંડિત કરી શક્યો ન હતો. આ સ્વરૂપોની જગ્યાએ તે રાજકીય સંચાની પેદાશ જેવા પ્લાસ્ટિકિયા ભગવાન સ્થાપિત કરવા માગે છે.
માટે મંદિર કાં બિનજરૂરી છે, કાં ખતરનાક. તમે જાણો છો કે આ મંદિર ત્રાસવાદી કૃત્ય સમકક્ષ કહી શકાય એવા, મસ્જિદ તોડી નાખવાના કૃત્યના પાયા પર ખડું થવાનું છે. તમે જાણો છો કે આ મંદિર ધાર્મિકતાનું નહીં, સદીઓ જૂની ઘટનાના પ્રત્યાઘાત અને બદલાનું પરિણામ છે. ભૂતકાળમાં રાજાઓ અને હુમલાખોરોએ અનેક મંદિરોને ધરાશાયી કરી દીધાં હશે અને કદાચ અયોધ્યાનું મંદિર પણ એવી જ રીતે ધ્વસ્ત કર્યું હશે. પણ તેથી શું? ઇતિહાસ એક એવું કતલખાનું છે, જ્યાં કોઈ પણ ધર્મસંપ્રદાયપંથને બોજમુક્તિ મળી જતી નથી. બહુ તો આપણે ન્યાયના નાજુક તાંતણા આમથી તેમથી એકત્ર કરી શકીએ છીએ. તમે અમારું નહીં, પણ અમારે તમારું રક્ષણ કરવાની જરૂર છે, એવી માન્યતા અહંકારની પરાકાષ્ઠા છે.
બદલાથી કશું વળતું નથી. વર્તમાન સત્તાની નવી ગોઠવણો ખાતર ભૂતકાળના સંઘર્ષોને ખપમાં લેવામાં આવે છે. જે બળો તમારું મંદિર ઊભું કરી રહ્યાં છે તેમણે તમારા નામ સાથે સંકળાયેલા ભાવનું સદંતર શીર્ષાસન કરી નાખ્યું છે. તેમણે રામના નામને બદલાનું, અસલામતી અનુભવતા ગૌરવનું, લોહિયાળ ખટાશ પ્રેરતી આક્રમકતાનું, બીજાઓ પ્રત્યે હિંસાનું, સંસ્કૃતિની રૂક્ષતાનું અને જાહેર જીવનમાં – જાહેર ધર્મમાં રહીસહી સાચુકલી ધાર્મિકતાના છેલ્લા અંશોના ખાતમાનું સમાનાર્થી બનાવી દીધું છે.
એ લોકો કહેશે કે રામ રાષ્ટ્રીય પ્રતીક છે, હિંદુ ગૌરવનું પ્રતીક છે. પણ તમે સામુદાયિક રાષ્ટ્રવાદના પ્રતીક તરીકે પરિવર્તિત થવા જેવી મામૂલી અને ખતરનાક વાતમાં સંમતિ આપી છે? તમે તમારા ભક્તોને મોક્ષ આપો છો, જેમને અન્યાય કર્યો તેમને પણ મોક્ષ આપો છો ને તમારા વિરોધીઓને પણ. પરંતુ આ મંદિર તો પ્રતીક છે અલગાવનું – પાશવી બહુમતી દ્વારા બીજા લોકોને ઉતરતા રાખવાનું. કયા રાજનેતા ને ધર્મનેતાઓ તમારા નામે વાતો કરે છે ને તેમના હાથ કેવા લોહી, સત્તા અને ધાકધમકીઓથી ખરડાયેલા છે એ તો જુઓ. તમારા નામનો ઉપયોગ વ્યક્તિકેન્દ્રી સત્તાના રૂક્ષમાં રૂક્ષ સ્વરૂપના સમર્થન માટે થશે. (આ નિમિત્તે થનારી) આખી તામઝામ લોકશાહીના સ્વાંગમાં ભ્રષ્ટતમ રાજાશાહી સત્તાનું પ્રદર્શન છે. મને ખ્યાલ છે કે ઘણા હિંદુઓને તેમાં ઇતિહાસનો બોજ દૂર થતો લાગશે અને હળવાશની-ભાવવિરેચનની અનુભૂતિ થશે. પરંતુ માંહ્યલાને એટલું પૂછવા જેવુ છેઃ આપણા સામૂહિક અહમ્ને સંતોષવા માટે આપણે એક સ્મારક તોડવાના કાયરતાપૂર્ણ વિજયની જરૂર પડે, એટલા બધા અસલામત આપણે શી રીતે બન્યા? અને શું એવી અસલામતી છે જે કદી દૂર ન થાય અને ધીમે ધીમે કરતાં આપણા સંપૂર્ણ ભાવવિશ્વને ગ્રસી લે – તેની પર કબજો જમાવી દે? આ મંદિર હિંદુ ધર્મના રાજસત્તા દ્વારા થયેલા સંસ્થાનીકરણનો એટલે કે રાજસત્તાએ ધર્મ પર કબજો જમાવી દીધાનો પહેલો પ્રસંગ છે. તેના કારણે (હિંદુ તરીકે) હું અભૂતપૂર્વ — આ પહેલાં કદી નહીં અનુભવેલા — બંધનનો અહેસાસ કરી રહ્યો છું.
તમે પૃથ્વી પર તેનો ભાર હળવો કરવા માટે આવ્યા હતા. આ મંદિર આસૂરીપણા વડે આપણો ભાર વધારી રહ્યું છે. આધુનિક ભારતમાં રામના છેલ્લા સાચા અનુયાયી ગાંધીની જેમ આપણે પણ શોકપૂર્વક મૌન પાળી શકીએ, કારણ કે આપણા ગરીબનવાઝે આપણને તજી દીધા છે. તમારી દીપ્તિમાન હાજરી વિલાઈ ચૂકી છે. હવે માત્ર ઝનૂનની દમનખોર ધૂંસરી જ રહી છે.
સૌજન્યઃ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’
અનુવાદઃ ઉર્વીશ કોઠારી
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 02-03