સોશિયલ મીડિયા : ઈન્ટરનેટનાં પ્રસારની સાથે જ ફેસબુક, ટ્વિટર, વોટ્સ એપ જેવા માધ્યમોનો વ્યાપ-વપરાશ વધ્યો છે ત્યારે …
છ વર્ષ પછી સર્વોચ્ચ અદાલતે ITએક્ટની કલમ 66-A રદ કરી તે ખાસ કરી તે ભારતનાં શિક્ષિત નવયુવાનોની, ખાસ કરીને નવયુવતીઓની સિદ્ધિ છે. આઝાદી મળતાં તો મળી જાય છે પણ સ્વાતંત્ર્યની રક્ષા માટે સતત ઝઝૂમવું પડે તેવા પુરાણા સૂત્રની યથાર્થતા ફરી સાબિત થઈ છે. કમ્પ્યૂટર અને કમ્પ્યૂટરનાં તંત્ર સંદેશાની આપલે કરવા માટે, ટીકા ટિપ્પણ કરવા માટે, સંર્પકો સાધવા અને ટકાવવા માટે પ્રખર બૌદ્ધિક સાધન બની ગયાં છે. જે આજની પ્રચલિત ભાષામાં સોશિયલ મીડિયા કહેવામાં આવે છે. ઈન્ટરનેટનો વપરાશ વધવાની સાથે જ આજની યુવાન પેઢી સોશિયલ મીડિયા પર વધુને વધુ સક્રિય રહેતી જોવા મળે છે. તેના વપરાશ પર પ્રતિબંધ મુકતા સુધારા અનુસાર આ સાધન લગભગ નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયામાં સૌથી પ્રચલિત ગણાતા ફેસબુક, ટિ્વટર, વોટ્સ એપ, મોબાઈલ SMS પર જે કાંઈ લખાય તેમાં કોઈને અણગમો આવે, અગવડ ઊભી થાય, કોઈના પર જોખમ આવે, અડચડ પડે, અપમાન લાગે, ઈજા પહોંચે, પરસ્પર દ્વેષ પેદા થાય તેવું લખવા માટે પોલીસ તાબડતોબ ધરપકડ કરી શકે તેવા આઈટી એક્ટમાં કરવામાં આવલા સુધારા પછી લખવા-વાંચવા જેવું કશું જ બાકી રહેતું ન હતું. પોલીસોએ આ કલમનો વ્યાપક દુરુપયોગ કર્યો હોવાના દાખલા છે. ત્રણ વર્ષ અગાઉ શિવસેના પ્રમુખ ઠાકરેનાં અવસાન પ્રસંગે મહારાષ્ટ્રમાં પાળવામાં આવેલો બંધ સ્વયં ભૂ નહતો પણ જોરતલબીથી ઠોકી બેસાડવામાં આવ્યો છે તેવું ફેસબુક પર લખવા માટે શાહીન ધાડા અને રીતુ શ્રીનિવાસનની ધરપકડ કરવામાં આવી હતી. એ જ રીતે ગયા વર્ષે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષનાં આઝમખાનની ટીકા કરવા માટે એક કિશોરને આ જ કલમનો આધાર લઈને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યો હતો.
આ કલમ ભારતીય બંધારણે બક્ષેલા વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અનાદર કરે છે અને વાણી વ્યક્તિ લોકશાહીનું અનિવાર્ય અને અવિભાજય અંગ છે તેવી ટીકા કરીને સર્વોચ્ચ અદાલતે આ કલમ તાજેતરમાં જ રદ કરી છે. વાણી સ્વાતંત્ર્યનો અર્થ જ એ છે કે નેતાઓ, આગેવાનો, સત્તાધારીઓ, ધર્મપુરુષો, રૂઢિચુસ્તોને કડવું લાગે, અણગમતું થઈ પડે તેવું નિવેદન આપવું. સમાજનાં ખેરખાંઓને અપમાનજનક દેખાય તેવા સત્ય અથવા અવનવા વિચારો બોલવા – લખવા તે જ વ્યક્તિ સ્વાતંત્ર્યનો અર્થ છે. સ્થાપિત હિતો અને સત્તાધારીઓને સારું સારું લાગે તેવી ખુશામતખોરી તો સરમુખત્યારીમાં પણ છૂટથી વપરાય છે, લખાય છે, બોલાય છે. તેથી વાણી સ્વાતંત્ર્યની બેધારી તલવાર સ્વાતંત્ર્ય અને સ્વચ્છંદતા વચ્ચેની ભેદરેખા અતિશય પાતળી છે અને તેને દોરવી કે શોધવી મુશ્કેલ છે. લોકશાહી સમાજમાં જે સ્વાતંત્ર્ય અપાય છે, જે મૂળભૂત હકો કે અધિકારો આપવામાં આવે છે તે બધાં હરહંમેશાં અને સર્વત્ર મર્યાદિત હોય છે. દેશની સુરક્ષા જોખમમાં આવી પડે, ગુનાખોરી કે ત્રાસવાદને પ્રોત્સાહન મળે, સમાજમાં વૈમનસ્ય અને કડવાશમાં તદ્દન જુઠ્ઠી અફવાઓ ફેલાવે તેવા લખાણની છૂટ દુનિયાનો કોઈ સમાજ આપતો નથી.
ભારતીય બંધારણમાં આપવામાં આવેલાં સ્વાતંત્ર્યનાં તમામ અધિકારો પણ મર્યાદિત જ છે. તેથી શિક્ષિત નવયુવાન યુવતીઓને 66-A કલમ રદબાતલ થવાથી જે અધિકારો મળ્યા છે, તેનું પાલન અને ઉપભોગ તેમણે જવાબદારીપૂર્વક કરવો ઘટે છે. સર્વોચ્ચ અદાલતે વાણીસ્વાતંત્ર્યને સંપૂર્ણત: રૂંધી નાખનારી 66-A કલમ રદ કરી છે, પણ વાણી સ્વાતંત્ર્યનો બેફામ કે બે જવાબદારીપૂર્વક વપરાશ થાય તેના પર અંકુશ મૂકનાર અન્ય અનેક ફોજદારી કાયદાઓ રદ કર્યા નથી. 66-Aની કલમ રદ કરવામાં અદાલતની દલીલ પણ આ બાબત પર ભાર મૂકે છે. આજે સોશિલ મીડિયા પર ઘણી વખત કોઈ એક વ્યક્તિને લઈને કે અણછાજતી ટીકા-ટિપ્પણનો દોર શરૂ થઈ જાય છે.
વાણી સ્વાતંત્ર્યનાં ગેરવપરાશ રોકવા માટે જે કાયદાઓ ઘડાયા છે તે બધાં સોશિયલ મીડિયાને આપોઆપ જ લાગુ પડે છે, તેથી 66-A કલમ બિનજરૂરી છે અને નાહક ત્રાસરૂપ છે. કાયદો ઘડનારે હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે, આ કાયદાનો અમલ કરનાર વહીવટી અધિકારીઓ કાયદાની કલમનો ગેરવપરાશ ન કરે અથવા જાણીબુઝીને તેનો ગેરલાભ ન ઉઠાવે. સંસદે ઘડેલાં કાયદાઓ માત્ર સારા માણસો જ અને માત્ર સારા હેતુ માટે વપરાશે તેવું માની લેવામાં મોટી ગફલત થાય છે. આવા કાયદાને કારણે ઘણી વખત સાચો, ઈમાનદાર માણસ પણ કાયદાનું પાલન કરાવતા અધિકારીઓની તુમાખીનો ભોગ બનતો હોય છે અને તેણે નાહકનું જ પરેશાન થવું પડે છે. સોશિયલ મીડિયા પર અંકુશ મુકવા માટે જે કાયદો ઘડાય તેનો વપરાશ ખોટી રીતે થઈ જ ન શકે તેવી તકેદારી પાર્લમેન્ટે રાખવી જોઈતી હતી. પાર્લમેન્ટની ગફલત અથવા દોષ સર્વોચ્ચ અદાલતે સુધારી આપ્યો છે અને સોશિયલ મીડિયાનો વપરાશ કરનાર યુવાનોએ પોતાની જવાબદારી સમજીને પોતાને મળેલી છૂટછાટનો ઉપયોગ સંભાળપૂર્વક કરવો જોઈએ.
લેખક વરિષ્ઠ રાજકીય સમીક્ષક છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 30 માર્ચ 2015