રાજવટ : દેશ અને સમાજની વિકટ સમસ્યાઓ રાજવી માટે આફત નથી, પણ લોકપ્રતિષ્ઠા મેળવવાનો રાજમાર્ગ છે
દેશમાં અને દુનિયામાં નરેન્દ્ર મોદીના જેટલા દોસ્ત અને જેટલા દુશ્મન હશે તે બધાની નજર દિલ્હીની આજની સાંજ પર ચોંટેલી છે. લોકપ્રિયતાની લહેર-સુનામી મોજાં પર સવાર થઈને મોદી આજે ભારતમાં રાજકીય સત્તાનાં શિખરે પહોંચ્યા છે. ત્યારે તેમની ખુશામત કરનારા અને તેમને શિખામણ આપનારાનો પાર નથી, પણ મોદી કોઈને પોતાનું પેટ કળાવા દેનાર નથી. પ્રધાનમંડળની રચના મોદી સામેનો પહેલો પડકાર છે અને આ કામમાં તેમને સો ટકા સફળતા મળવાની નથી. કારણ કે ભાજપનાં અને સાથી પક્ષોના બધા આગેવાનોની બધી અપેક્ષા સંતોષવાનું શક્ય નથી.
સત્તા અને સંપત્તિ ગમે તેટલાં મળે પણ ઓછા જ મળ્યાનો અસંતોષ માણસનો સ્વભાવ છે. ઊંચા દોર પર અડગ ચાલતા નટના જેટલી સમતુલા મોદીએ જાળવવાની છે. તેર વરસનો વહીવટી અનુભવ અને ત્રીસ વરસનાં રાજકીય જીવનની ચડાઉતરી નરેન્દ્ર મોદીએ ખરેખરા ખપમાં લેવી પડશે. આ વિજય ભાજપ કે ભાજપી મોરચાનો નથી, પણ નરેન્દ્ર મોદીએ એકલા હાથે મેળવેલો વિજય છે. પણ વિજયનાં ગાંડપણમાં વાસ્તવિકતાને વિસારે પાડવી ન જોઈએ. મોદીને લોકસભામાં બાવન ટકા બેઠક મળી છે, પણ મતની ટકાવારી તો માત્ર ૩૧ ટકા જ છે. મોદીએ લોકચાહનાની ટકાવારી વધારવા માટે ઘણી જહેમત કરવી પડશે.
ભાજપની સુવાંગ બહુમતીનાં કારણે ભાજપને સાથીઓની જરૂર છે તેના કરતાં સાથીઓને ભાજપની વધારે જરૂર છે. એટલે મોદીનું કામ વાજપેયી અને મનમોહનસિંઘ કરતાં થોડું વધારે સહેલું બને છે. પણ ભાજપનાં મોટાં માથાઓનો સમાવેશ ક્યાં કરવો તે મોદી માટે સૌથી મોટી સમસ્યા છે. બધાની ચર્ચા કરવાની જગ્યા નથી, પણ અડવાણી સૌથી મોટું ઉદાહરણ છે. અત્યારે ગમે તેવા ભેદભાવ હોય પણ વીસ વરસ (૧૯૯૦-૨૦૧૦) સુધી અડવાણીએ નરેન્દ્ર મોદીની રક્ષા કરી છે. તેમને માર્ગદર્શન આપ્યું છે અને તેમને યોગ્ય સ્થાને બેસાડયા છે. ૧૯૯પ-૨૦૦૧નો દેશવટો અને ૨૦૦૨માં ભાજપ કારોબારીની ગોવા બેઠક- આ બંને જીવલેણ ઘાણમાંથી મોદીને અડવાણીએ ઉગાર્યા છે. પણ અડવાણીને માનભેર બેસાડી શકાય તેવી જગ્યા જડતી નથી.
રાષ્ટ્રપતિનું સિંહાસન ખાલી નથી અને નીચા સ્થાન પર તેમને બેસાડાય નહીં. મોદીની અિગ્નપરીક્ષા આજથી શરૂ થાય છે. જિંદગી આખી મથ્યા કરો તો પણ ઉકેલી ન શકાય તેવા વિકટ પ્રશ્નો મોદીએ પાંચ વરસમાં ઉકેલી નાખવા તેવી અપેક્ષા તેમની પાસેથી રાખવામાં આવે છે. ભારત જેવા વિશાળ અને સંકુલ દેશની સમસ્યાઓ સમજવી સહેલી નથી. ભારત મહાન છે પણ તેની સમસ્યાઓ, તેનાં દૂષણો, તેની નબળાઈઓ પણ મોટી છે. આપણા રાજકીય અને સામાજિક પાપનો પાર નથી. સ્પષ્ટ બહુમતી અને ઝળહળતો વિજય આપીને મતદારોએ મોદી માટે તમામ છટકબારીઓ બંધ કરી દીધી છે. જે કંઈ થાય અથવા ન થઈ શકે તેની જવાબદારી મોદીએ એકલા જ ઉપાડવાની છે. વિશ્વનાથ પ્રતાપસિંહથી માંડીને તમામ વડાપ્રધાનો મોરચા રાજકારણ માથે દોષ ઠાલવીને છૂટી જતાં. મોદી માટે આ દરવાજો બંધ છે.
અતિશય ઘોર બદનામી અને વિડંબના પછી મોદીને સત્તા અને સન્માન મળે છે. અગણિત બુિદ્ધવંતો અને કર્મશીલો તેમના ટીકાકાર હતા અને છે. મોદી વડાપ્રધાન બનશે તો દેશનું સત્યનાશ વળી જશે અને પોતે ભારત છોડી જશે તેવું જાહેર રીતે બોલનાર મહાનુભાવોએ ફેરવી તોળવાની શરૂઆત કરી દીધી છે. મોદીએ ટીકાકારો કરતાં ખુશામતખોરોથી વધારે ડરવાનું છે. દિલ્હી ખુશામતખોરીની ભારતીય રાજધાની છે. જલાલુદ્દીન રૂમીએ ચેતવણી આપી છે કે ખુશામતખોરોની જીભ કાળોતરા સાપના ડંખ કરતાં ઘણી વધારે ઝેરી હોય છે. ગુજરાતમાં અત્યાર સુધીની રાજકીય કારકિર્દીમાં મોદીએ પોતાની કાર્યશક્તિ અને પોતાની નસીબદારી પુરવાર કરી છે. આ વખતે પણ મોદીને સૌથી મોટો લાભ એ છે કે મોદીની પહેલાંની સરકાર અતિશય નિર્માલ્ય અને તદ્દન ભ્રષ્ટ હતી. તેથી મોદીનાં બધાં કામ આમજનતાની નજરમાં વધારે મોટાં દેખાશે.
મનમોહનસિંઘ જેવા પવિત્ર અને સંસ્કારી રાજપુરુષને મોરચાના ઓથારમાં અને કોંગ્રેસી ભીંસણમાં કચડાવું પડયું તે આ રાજવટનું મોટું પાપ છે. સંજય બારુનાં પુસ્તકનાં પાને પાને આવા દાખલાઓ અપાયા છે. મોદીએ મેળવેલા વિજય માટે તેમને અભિનંદન આપી શકાય, અને ભવિષ્ય માટે અતિશય ચિંતન કરી શકાય, પણ વખાણ તો પાંચ વરસ પછી જ કરી શકાય. ઊગતા સૂરજ સામે લળી પડનાર સત્તાલોભીઓના બોલની નોંધ ઇતિહાસમાં કદી લેવાતી નથી. નક્કર કામગીરીની કઠોર સરાણ-જતરડામાંથી કતરણ પડે તે જોયા પછી જ બોલવું ઠીક ગણાય. લોકપ્રિયતાની લાલચમાં પડયા વગર લોકકલ્યાણનાં કામ કરવા અને તે માટે જરૂરી પગલાં ભરવાની મોરારજી દેસાઈની પરંપરા નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી નિભાવી છે. સસ્તા ભાવે અથવા મહત્ત્વની વીજળી આપવાની પડાપડી થતી હતી ત્યારે મોદીએ વીજળીનો દર ત્રણ ગણો કર્યો.
વીજળીચોર વેપારીઓ અને ખેડૂતો સામે ૪૯,૦૦૦ કરતાં વધારે ખટલા દાખલ કરવામાં આવ્યા. લોકોને મફતિયો માલ (ફ્રિબીજ) આપવાની પરંપરા ગુજરાતમાં નથી. ભારતમાંથી નામશેષ કરી નાખવી ઘટે છે. 'ભીખનાં હાંડલા કદી શીંકે ચડતાં નથી’ તે ગુજરાતીઓ બરાબર સમજે છે, ભારતે સમજવું પડશે. મોદી કઠોર પરિશ્રમ કરવા માટે જાણીતા છે. હવે દેશને પરિશ્રમી બનાવવો પડશે. આમજનતા તો કામ કરવા તલપાપડ છે, કામ કોઈ શોધ્યું જડતું નથી, તેની જોગવાઈ થવી જોઈએ.
સામાન્ય માણસ થરથરી ઊઠે તેવી વિકરાળ સમસ્યાઓ મોદી સામે મોં ફાડીને ઊભી છે, તે મોદીનું સદ્દભાગ્ય છે. ઓસ્ટ્રિયાની મહિમાવંત સમ્રાજ્ઞી મેરાયા થેરીસાએ દીકરીને શિખામણનો કાગળ લખ્યો છે કે, દેશ અને સમાજની વિકટ સમસ્યાઓ રાજવી માટે આફત નથી, પણ કામ કર્યાનો આનંદ અને લોકપ્રતિષ્ઠા મેળવવાનો રાજમાર્ગ છે. ચીની લખાવટમાં આફત માટે બે પ્રતીક લખવાં પડે છે, એક પ્રતીક બોજા અને વિનાશનું છે. બીજું પ્રતીક વિજય અને વિકાસ માટે છે. મોદી ભારતીય રાજવટની સમસ્યાઓના બોજાથી કચડાઈ જશે કે પથ્થરમાં પાટુ મારીને પાણી કાઢશે તે હવે જોવાનું છે.
નગીનદાસ સંઘવી લેખક વરીષ્ઠ રાજકીય સમીક્ષક છે.
http://www.divyabhaskar.co.in/article/ABH-massive-problems-of-large-country-4625178-NOR.html
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 26 મે 2014