પહેલવહેલી છત્રી સૂર્યે રેણુકા દેવીને આપેલી
અજંતાના ચિત્રમાં આલેખાઈ છે છત્રી
છત્રીના અનેક અવતાર
છે ચડતી ને પડતી જ્યમ ભરતી ને ઓટ,
કોઈ ભોગવે છે ઓટ, કોઈ મેળવે છે નોટ.
દાસો તે શેઠો, ને સરદારો કામેલ,
કિસ્મતનો એ ખેલ, કિસ્મતનો એ ખેલ.
જે અદના તે આલા, ને આલા રખડેલ,
કિસ્મતનો, કિસ્મતનો એ ખેલ.
ખરશેદજી બાલીવાલાના ૧૮૯૨માં ભજવાયેલ નાટક ‘અસલાજી યાને કંજૂસના કરમની કહાણી’માંનું આ ગીત એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે મહાજન, જન, લોક, અને લઘુ સંસ્કૃતિ એ સમાજ અને સંસ્કૃતિના water tight compartments નથી જ. એકમાંથી બીજામાં આવનજાવન સતત થતી રહેતી હોય છે. આનું કારણ સંજોગો, સ્વભાવ, સાહસવૃત્તિ, સત્તા સ્થાને બેઠેલાની મરજી કે ખફગી હોઈ શકે. સમાજશાસ્ત્રી એન. શ્રીનિવાસનો સર્વમાન્ય થયેલો એક સિદ્ધાંત કહે છે કે સંસ્કૃતિના ‘નીચલા’ સ્તર પર રહેલા લોકો સતત ‘ઉપલા’ સ્તરની સંસ્કૃતિમાં સામેલ થવાનો પ્રયત્ન કરતા હોય છે. એ માટે તેઓ જુદી જુદી બાબતોમાં ઉપલા વર્ગનું અનુકરણ કરતા રહે છે. તેમાં પહેરવેશ, વાતચીતની ઢબ, વાક્યપ્રયોગો, નવી કે જૂદી વસ્તુઓ કે સાધનોનો ઉપયોગ વગેરેનો સમાવેશ થતો હોય છે.
મુંબઈ એટલે આખા દેશનું અગ્રણી મહાનગર. દેશના જૂદા જૂદા ભાગોમાંથી રોજે રોજ કેટલાયે લોકો અહીં આવતા રહે છે. કોઈ નોકરી માટે, કોઈ ધંધા માટે. કોઈને સંગીત કે નાટક કે ફિલ્મના ક્ષેત્રે નામ કાઢવું છે ને દામ બનાવવા છે. તો ઘણા તો માત્ર આ મહાનગરનાં સાધન-સગવડથી આકર્ષાઈને આવે છે. અને દરિયાવ દિલ મુંબઈ એ બધાંને સમાવી લે છે. પણ આવા આગંતુકોનો મહાનગર સાથેનો સંબંધ કેવો અને કેટલો ઉપલકિયો હોય છે તે આપણે કોવિડની મહામારી વખતે જોયું. હજારો લોકોનાં ધાડેધાડાં રાતોરાત પોતાના ‘દેશ’ તરફ દોડી ગયાં. પણ મુંબઈ એક એવું મહાનગર છે, જેને ‘કોઈ નિંદો, કોઈ વંદો’થી ઝાઝો ફરક પડતો નથી.
સાધારણ રીતે એમ મનાય અને કહેવાય છે કે સો ગામડાં ભાંગીને એક શહેર ઊભું થાય છે. પણ મુંબઈની બાબતમાં એ સાચું નથી. મુંબઈ એ એક નવું સર્જન છે. આજે આપણને સ્વીકારવું ન ગમે તો ય બ્રિટિશ શાસનનું સર્જન છે. એણે ગામડાંને ભાંગ્યાં નથી, પોષ્યાં છે. મુંબઈના મૂળ વતની એવા કોળી, આગરી, વગેરે આજે ય પોતપોતાની આગવી લઘુ સંસ્કૃતિને સાચવીને અહીં જીવે છે. અને આ શહેર એના સ્લમ્સ અને સ્કાઈસ્ક્રેપર્સમાં સતત વિકસતું રહે છે, ખીલતું રહે છે. આ શહેર તમને સમૃદ્ધ જરૂર બનાવશે. પણ એક શરતે : જો તમે તેને સમૃદ્ધ બનાવશો તો જ. આ રીતે સમૃદ્ધ થયેલા એવા અસંખ્ય લોકો મુંબઈમાં વસે છે જે કવિ નિસિમ એઝેકીલની જેમ કહે :
I cannot leave this island,
I was born here and belong.
મુંબઈ એક એવું શહેર છે જે સતત ચાલતું, બલકે દોડતું હોવા છતાં સ્થિર રહી શકે છે. અને સ્થિર દેખાતું હોવા છતાં સતત ગતિશીલ રહે છે. અગાઉ એનું મોઢું ગ્રેટ બ્રિટન તરફ રહેતું. ગ્રેટ બ્રિટનનાં ફેશન, ખાણીપીણી, પહેરવેશ, વગેરેનું કંઈ નહિ તો મહાજન સંસ્કૃતિને વળગણ રહેતું. અંગ્રેજોનું અનુકરણ કરવામાં એ સંસ્કૃતિના લોકો મોટાઈ અનુભવતા. પણ હવે મુંબઈ બહુમુખી બન્યું છે. એની નજર અમેરિકા સામે છે અને ત્યાંનાં ખાણીપીણી, પહેરવેશ વગેરેને તે અપનાવી લે છે તો થાઈ, ચીની, જાપાની, ફ્રેંચ, મેક્સિકન, કે બીજા કોઈ દેશ-પ્રદેશની ખાણીપીણીનો કે પહેરવેશનો તેને બાધ નથી, બલકે જ્યાંથી જે લેવા જેવું લાગે ત્યાંથી તે લેવા તત્પર હોય છે. તો બીજી બાજુ દેશના જુદા જુદા પ્રદેશોની વિશિષ્ટ વસ્તુ, વાનગી, પહેરવેશ વગેરે અપનાવતાં પણ તેને સંકોચ નથી. અને મહાજન સંસ્કૃતિ જે અપનાવે તે જન સંસ્કૃતિ પણ જોતજોતામાં અપનાવી લે છે. એટલે જ ફાઈવ સ્ટાર હોટેલમાં અને ફૂટપાથ પરની લારીમાં અહીં થાઈ અને ચાઈનીઝ ફૂડ વેચાય છે. અહીં તમને સાયન-માટુંગામાં ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સાંભાર મળે. તો અહીં જ એવી પણ ‘મદ્રાસી’ હોટેલો છે જે ગળચટ્ટો સાંભાર બનાવે છે – ગુજરાતી ગ્રાહકોની રુચિને અનુકૂળ થવા.
રેણુકા ઉર્ફે યેલ્લમ્મા દેવી
અજંતાના ચિત્રમાં આલેખાયેલી છત્રી
રોજિંદા જીવનમાં વપરાતી નાની નાની વસ્તુઓનો દાખલો લઈએ. રાજકપૂર અને નરગીસે શ્રી ૪૨૦ ફિલ્મના ગીત ‘પ્યાર હુઆ, ઈકરાર હુઆ હૈ’ દ્વારા અમર બનાવી દીધેલી છત્રી. એનો ઇતિહાસ લગભગ ૩,૦૦૦ વરસ જૂનો. એનું ઉત્પત્તિસ્થાન ઈજિપ્ત, ચીન, અથવા હિન્દુસ્તાન હોવાનું મનાય છે. કંઈ નહિ તો મહારાષ્ટ્રમાં તો તેનો પગપેસારો ઘણો વહેલો થયેલો. ઔરંગાબાદ પાસેની અજંતાની ગુફામાંના ચિત્રમાં રાણીને માથે છત્રી ધરીને ઊભેલી દાસી જોવા મળે છે. છત્રીની ઉત્પત્તિ વિશેની એક કથા મહાભારતમાં જોવા મળે છે. સપ્તર્ષિઓમાંના એક ઋષિ જમદગ્નિ તીરંદાજીમાં ખૂબ પાવરધા. તેમનું તીર ખૂબ દૂર દૂર સુધી જાય. પત્ની રેણુકા દર વખતે દોડીને આંખના પલકારામાં તીર પાછું લઈ આવે. પણ એક વાર આ રીતે તીર પાછું લઈને આવતાં એક આખો દિવસ લાગ્યો. જમદગ્નિએ કારણ પૂછ્યું ત્યારે રેણુકાએ કહ્યું કે આશ્રમની બહાર કેટલો તડકો છે, કેટલી ગરમી છે એની તમને ક્યાં ખબર છે? આ સાંભળીને ક્રોધાયમાન થયેલા ઋષિએ સૂર્ય તરફ તીરનો વરસાદ વરસાવ્યો. ત્યારે સૂર્યે માફી માગી અને પોતાના તડકા અને ગરમીથી બચવા માટે રેણુકાને છત્રી આપી. આ રેણુકા જ દક્ષિણ ભારતમાં યેલ્લમ્મા દેવી તરીકે પૂજાય છે. મુંબઈમાં પણ તેમનાં ચાર મંદિર આવેલાં છે : બે બાંગુર નગરમાં, એક સાકી નાકા વિસ્તારમાં, અને એક ન્યૂ પનવેલમાં.
છત્રીની સાક્ષીએ ‘પ્યાર હુઆ, ઈકરાર હુઆ હૈ’
પણ આજે આપણે જે છત્રી વાપરીએ છીએ તે તો આવી છે ગ્રેટ બ્રિટનથી. ઈ.સ. ૧૭૦૦ની આસપાસ ગ્રેટ બ્રિટનમાં છત્રીએ પ્રવેશ કર્યો. પણ ત્યારે તે ફક્ત બાનુઓ માટે જ હતી. પુરુષો માટે નહિ. ૧૭૫૦ના અરસામાં જોનાસ હાનવે નામનો દાનવીર છત્રી લઈને લંડનના રસ્તાઓ પર નીકળતો ત્યારે લોકો તેનો હુરિયો બોલાવતા. ઘોડા ગાડીવાળાઓને તો થયું કે લોકો જો આ રીતે છત્રી લઈને રસ્તે ચાલતા થશે તો આપણો તો ધંધો ઠપ્પ થઈ જશે. એટલે તેઓ હાનવે પર સડેલાં ઈંડાં ને ટમેટાં ફેકતા. પણ બારે માસ વરસાદવાળા બ્રિટનમાં છત્રી કેટલી ઉપયોગી છે એ બ્રિટિશ લોકોને સમજતાં વાર ન લાગી.
મુંબઈને છત્રી મળી અંગ્રેજો પાસેથી. અહીં તો બળબળતી ગરમી સામે પણ તે કામ આવે તેમ છે એ તેમને તરત સમજાયું. અંગ્રેજ અમલદારો પહેરવેશ, ખાણીપીણી વગેરે પોતાના દેશનાં જાળવી રાખતા. પણ પોતાના માન-મોભા માટે, રાજ્યસત્તાના પ્રતિક તરીકે જે વસ્તુ કે વિધિ વાપરતા તેમાં દેશી રાજાઓનું અનુકરણ કરતા. દેશી રાજાઓ છત્રી વાપરે ખરા, પણ તેનો ભાર પોતે ન ઉપાડે. તેમની પાછળ ચાલતો નોકર રાજા સાહેબને માથે છત્રી ધરીને ચાલતો હોય. અંગ્રેજ અમલદારોએ પણ આ રીત અપનાવી. છત્રી વાપરવાની ખરી, પણ તે ઉપાડે ‘દેશી’ નોકર.
મહાજન સંસ્કૃતિએ અંગ્રેજો પાસેથી છત્રી અપનાવી. મુંબઈમાં ત્રણ-ચાર મહિના વરસાદના, પણ ત્રણેક મહિના ભારે ગરમીના પણ ખરા. અને છત્રી વરસાદ ઉપરાંત તડકા-ગરમીથી પણ બચાવે. અંગ્રેજો જે છત્રી વાપરતા એ બધી પોતાના દેશમાંથી ખરીદીને લાવતા. પછી ૧૮૬૦માં મુંબઈમાં શરૂ થયેલી ઈબ્રાહિમ કરીમ એન્ડ સન્સ નામની કંપનીએ પહેલી વાર સ્વદેશી છત્રી બનાવવાનું શરૂ કર્યું, અને ‘સ્ટેગ’ (હરણ) બ્રાન્ડની છત્રી બજારમાં મૂકી. ત્યાં સુધી ‘દેશી’ લોકો સૂકા તાડપત્ર કે શણની ‘ધોંગડી’ માથે ઓઢીને વરસાદથી થોડુંઘણું બચતા. ૧૮૮૦માં બીજી એક બ્રાન્ડ બજારમાં આવી, સન બ્રાન્ડ. છત્રી બનાવવાનું ઘણુંખરું કામ હાથ વડે થાય. વળી તેમાં જુદા જુદા વ્યવસાયના લોકોની જરૂર પડે. એટલે એક જમાનામાં છત્રીને કારણે ઘણા લોકોને રોજગાર મળી રહેતો.
૧૮૬૦માં મુંબઈમાં પહેલવહેલી છત્રી બનાવનાર કંપની
અરે, છત્રી જેવી છત્રીએ પણ કેટલા અવતાર ધારણ કર્યા! રાજા-મહારાજાની સોનેરી રૂપેરી મખમલી છત્રી. લાકડાના અર્ધગોળાકાર હેન્ડલ વાળી, મોટી ‘ક્લાસિકલ’ છત્રી. બીજે છેડે એવી ધારદાર અણી હોય કે ભૂલમાં ય વાગે તો લોહી નીકળે. પછી પ્લાસ્ટિકનાં રંગબેરંગી હેન્ડલ આવ્યાં. સિન્થેટિક કપડું આવ્યું. છત્રીની સાઈઝ નાની-મોટી થતી રહી. ફોલ્ડિંગ છત્રી આવી. પણ પુરુષો માટેની છત્રીના કાપડનો રંગ આજ સુધી મુખ્યત્વે કાળો જ રહ્યો. રંગબેરંગી છત્રીઓ તો બાનુઓ અને બાળકો માટે. તેમાં એક અપવાદ ટ્રાફિક પોલીસ માટેની છત્રી. એનું કાપડ કાળું નહિ, સફેદ હોય, અને અર્ધ ગોળાકાર હેન્ડલને બદલે સીધું હેન્ડલ હોય જે કમરપટામાં ખોસી શકાય. આથી ટ્રાફિક પોલીસના બંને હાથ છૂટા રહે.
પછી આવી ઈમ્પોર્ટેડ છત્રીઓ. મોંઘી દાટ. પૈસાદારને પોસાય એવી. પણ પછી ચીની છત્રીઓએ આવીને આખી બાજી બદલી નાખી. દેખાવમાં વધુ સારી, અને અહીં બનતી છત્રીઓ કરતાં સસ્તી. બજારમાં ઢગલાબંધ મળે. ટકાઉ કેટલી એ જૂદી વાત. પણ હવે મહાજન અને જન સંસ્કૃતિમાં પણ ટકાઉપણાનો આગ્રહ ઘટી ગયો છે. ઊલટું, વસ્તુ ટકાઉ ન હોય તો સારું, કારણ થોડે થોડે વખતે બદલી શકાય.
છત્રી નામ સાંભળતાં આપણને પહેલો ખ્યાલ વરસાદ અને તડકાથી રક્ષણ કરતી છત્રીનો જ આવે. પણ ધનિકો કે મોટી હોટેલ તેમના બગીચામાં મસ મોટી ‘ગાર્ડન અમ્બ્રેલા’ વાપરે. તો વળી કેટલીક કંપની પોતાની જાહેર ખબર માટે છત્રીનો ઉપયોગ કરે. નદી કે દરિયા કિનારે આરામ ફરમાવતા લોકો માટે પણ મોટી, રંગબેરંગી છત્રી કામ લાગે. અને આવી જગ્યાએ ક્યારેક તો પ્રેમી પંખીડાં છત્રી બને તેટલી નીચી રાખીને નિકટતાનો અનુભવ પણ માણે! અને હવે તો રસ્તા પરના ઘણા ફેરિયા પણ રંગબેરંગી છત્રી રાખે છે. અને ફોટોગ્રાફરની સફેદ રિફ્લેક્ટર છત્રી પણ કેમ ભૂલાય? મંદિરોમાં દેવ-દેવીને માથે શોભતી છત્રી, બલ્કે છત્ર.
અને હા. પરમ તત્ત્વ અને છત્રી વચ્ચે એક સમાનતા છે :
‘ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં,
અંતે તો છત્રીની છત્રી હોયે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 24 ડિસેમ્બર 2022