કેવો હતો મુંબઈનો ફોર્ટ કહેતાં કિલ્લો?
મુંબઈના કોટની એકાદ ઈંટ પણ આજે જોવા મળતી નથી
મજૂર અહીં સો પચાસ ઘણ કોશ કોદાળી લૈ
મથે, પરમ જીર્ણ તોય હજી વક્ષ તારે દૃઢે
ઝીંકે સતત ઘા ઉસાસભર ખિન્ન અંગાંગમાં.
જરા ખણણ, ધૂળગોટ, ગબડે તૂટેલી ઇંટો,
અને ઢગ બની ઢળે યુગયુગો ઊભેલી કથા;
પસાર સહુ થાય હ્ંયાથી, નહિ જ આજ કોને વ્યથા.
ગાંધીયુગના એક અગ્રણી કવિ સુન્દરમ્ની સોનેટમાલા ‘એક કિલ્લાને તોડી પડાતો જોઇને’ની આ પંક્તિઓનો સાચો અર્થ પામવો હોય તો મુંબઈના કોટ વિસ્તારમાં લટાર મારવી. નામ ભલે કોટ કે ફોર્ટ, પણ આજે અહીં એ કિલ્લાની એકાદ ઈંટ પણ શોધી જડે તેમ નથી. કારણ જે અંગ્રેજોએ આ કિલ્લો બાંધ્યો એ જ અંગ્રેજોએ વખત જતાં એને તોડી પાડ્યો. એ કિલ્લા પર અગાઉ એક તકતી ચોડેલી હતી. તેમાં જણાવ્યું હતું કે મુંબઈના આ કિલ્લાની દીવાલ ૧૭૧૬ના જૂન મહિનાની પહેલી તારીખે પૂરેપૂરી બંધાઈ રહી હતી. ચાર્લ્સ બૂન એ વખતે બોમ્બેના ગવર્નર હતા.
કિલ્લાના ત્રણ દરવાજા. દરિયા વાટે આવ-જા કરતા સૌ કોઈ એપોલો બંદરે ઊતરીને મુંબઈની ધરતી પર પગ મૂક્યા પછી સૌથી પહેલાં જોતા તે એપોલો ગેટ. માત્ર જોતા એટલું જ નહિ, તેમાંથી પસાર થઈને કોટમાં દાખલ થતા. હા, કોટમાં દાખલ થતાં પહેલાં બહુ ઊંડી નહિ અને બહુ છિછરી પણ નહિ એવી ખાઈ પસાર કરવી પડતી. કોટ બંધાઈ રહ્યા પછી ખ્યાલ આવ્યો કે માત્ર દીવાલો મુંબઈનું રક્ષણ કરી શકે તેમ નથી. એટલે કોટની બહાર ખાઈ બનાવી. તેમાં બારે માસ પાણી રહેતું, પણ ગંદુ, ગંધારું. અને એટલે મચ્છરોની વસતી માણસો કરતાં વધુ. દિવસ દરમ્યાન દરવાજા બહાર ખાઈ ઉપર લાકડાનો ‘ડ્રોપ ગેટ’ રહેતો જેના દ્વારા ખાઈ પસાર કરવી પડતી.

સેન્ટ થોમસ કેથીડ્રલ અને કોટન ગ્રીન
કિલ્લાની વધુ વાતો કરતાં પહેલાં ટકોરા મારીએ બીજા ગેટ ચર્ચ ગેટનાં બારણાં પર. મુંબઈના કોટના ત્રણ ગેટમાંથી આ સૌથી વધુ જાણીતો. આજે બીજા ગેટની જેમ આ ગેટ પણ નથી રહ્યો, છતાં તેનું નામ જળવાઈ રહ્યું છે. આ ચર્ચ તે સેન્ટ થોમસ કેથીડ્રલ, જે આજના હોર્નિમન સર્કલ પર આવેલું છે. એનો પાયો તો નખાયો હતો ૧૬૭૬માં, પણ તેની પ્રતિષ્ઠા થઈ છેક ૧૭૧૮માં. કારણ વચમાં વચમાં જૂદાં જૂદાં કારણોને લીધે તેનું બાંધકામ અટકી ગયું હતું. કોટ વિસ્તારમાં આવેલું આ પહેલું એન્ગ્લિકન ચર્ચ. આજે એની ગણના આખા દેશનાં જૂનામાં જૂનાં ચર્ચમાં થાય છે. કિલ્લાના જે દરવાજાથી શરૂ થતો રસ્તો સીધો આ ચર્ચ તરફ લઈ જતો હતો તે દરવાજાનું નામ પડ્યું ચર્ચ ગેટ. એ ગેટમાંથી બહાર નીકળ્યા પછી વિશાળ મેદાન આવતું અને તેમાં હતી એક મસ મોટી પવન ચક્કી. આજે જ્યાં વિદેશ સંચાર નિગમની બહુમાળી ઇમારત આવેલી છે એ જગ્યાએ પહેલાં રાણી વિક્ટોરિયાનું ખૂબ સુંદર પૂતળું હતું. ૧૮૭૨ના એપ્રિલની ૨૯મી તારીખે તે પૂતળું મૂકાયું તે પહેલાં એ જગ્યાએ આ પવન ચક્કી હતી. પવન ચક્કીથી થોડે દૂરથી દરિયા કિનારો શરૂ થતો. આ તરફ જતો એક રસ્તો, આજે તો કેડી લાગે એવો, એનું નામ પડ્યું ચર્ચ ગેટ સ્ટ્રીટ. પછી લગભગ એ રસ્તાને છેડે બંધાયું બી.બી.સી.આઈ. – બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે – નું સ્ટેશન. એનું નામ પણ પડ્યું ચર્ચ ગેટ સ્ટેશન. એનું નામ બદલવાનું ભૂત વચમાં વચમાં ધૂણવા લાગે છે, પણ હજી સુધી તો અસલ નામ બચી ગયું છે. પણ હા, ચર્ચ ગેટ સ્ટ્રીટનું નામ બદલાઈને થયું છે વીર નરીમાન રોડ.

મુંબઈનો કોટ, ૧૮૫૫માં કોલાબા તરફથી જોતાં
પણ આપણે પાછા સેન્ટ થોમસ પાસે જઈએ. મુંબઈના વિકાસનું સપનું જોનાર જ નહિ, આપણા આ શહેરના ઘડતર અને ચણતરમાં ઘણી દિશામાં પહેલ કરનાર મુંબઈના ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆરે આ ચર્ચ બાંધવાની પહેલ કરી. આ વિસ્તાર ત્યારે કોટન ગ્રીન તરીકે ઓળખાતો. ચોમાસાને બાદ કરતાં ઇન્ગ્લન્ડ મોકલવા માટે અહીં રૂ કહેતાં કપાસની લાખો ગાંસડીઓ ખુલ્લામાં પડી રહેતી એટલે આ જગ્યાનું નામ પડ્યું કોટન ગ્રીન. પોર્ટુગીઝોએ બાંધેલો બોમ્બે કાસલ પણ નજીકમાં. ચર્ચ બાંધવાનું શરૂ તો કર્યું પણ એ બંધાઈ રહ્યું ચાલીસ વરસ પછી. ૧૭૧૫થી બાંધકામ પૂર જોશમાં શરૂ થયું અને ૧૭૧૮માં પૂરું થયું. ૧૭૧૮ના નાતાલના દિવસે તેમાં ‘સર્વિસ’ શરૂ થઈ. ૧૮૩૭ના જુલાઈમાં તેને કેથેડ્રલનો દરજ્જો આપવામાં આવ્યો અને મુંબઈમાં પહેલા બીશપ તરીકે થોમસ કારની નિમણૂક થઈ. ૧૮૩૮માં અસલ ઈમારતમાં ટાવર અને કલોક (ઘડિયાળ) ઉમેરાયાં. ૧૮૭૦માં કાવસજી જહાંગીર રેડીમનીએ આ ચર્ચને એક સુંદર ફુવારો ભેટ આપેલો જે આજે પણ મુખ્ય પ્રવેશદ્વાર પાસે જોઈ શકાય છે. દાયકાઓ સુધી આ ચર્ચને મુંબઈનું ‘ઝીરો પોઈન્ટ’ ગણવામાં આવતું. એટલે કે આ ચર્ચને ઝીરો માનીને તેનાથી દૂર માહિમ સુધી કુલ ૧૬ માઈલ સ્ટોન મૂકવામાં આવેલા. આ ૧૬માંથી ૧૧ની ભાળ મળી છે.

મુંબઈનો કોટ – દરિયા તરફ તાકેલી તોપો
બોમ્બેનો ફોર્ટ બંધાઈ રહ્યા પછી, અને ૧૭૯૦ પહેલાં ક્યારેક, કિલ્લા બહારનો પહેલો મોટો રસ્તો બંધાયો. ૧૭૭૧થી ૧૭૮૪ સુધી મુંબઈના ગવર્નર રહી ચૂકેલા વિલિયમ હોર્નબીના માનમાં એ રસ્તાને નામ અપાયું હોર્નબી રો. આ ‘રો’ શબ્દ ‘રોડ’નો સમાનાર્થી. મુંબઈના બીજા કેટલાક રસ્તાનાં નામ સાથે પણ ‘રોડ’ને બદલે ‘રો’ વપરાતો. જેમ કે રામપાર્ટ રો, ક્રૂકશેંક રો. પણ પછી અહીંના લોકોને આ ‘રો’નો અર્થ પલ્લે ન પડતાં ‘રો’ની જગ્યાએ ‘રોડ’ મૂકાતું થયું. અસલમાં આ રસ્તો કર્નાક બંદર આગળથી શરૂ થતો અને બોરી બંદર આગળ પૂરો થતો. પછી ધીમે ધીમે તેને પહેલાં ચર્ચ ગેટ સ્ટ્રીટ સુધી, અને પછી એપોલો બંદર સુધી લંબાવવામાં આવ્યો. આજે આ રોડના જુદા જુદા હિસ્સાને જુદાં જુદાં નામ અપાયાં છે. તેમાં એક મોટા હિસ્સાનું નામ ડોક્ટર દાદાભાઈ નવરોજી રોડ.
અને ત્રીજો દરવાજો તે બઝાર ગેટ. બીજા બે કરતાં કદમાં લગભગ બમણો. અહીં વચમાં એક મોટો દરવાજો અને તેની બંને બાજુ એક-એક નાના દરવાજા હતા એટલે ‘દેશી’ લોકો તેને ત્રણ દરવાજા તરીકે પણ ઓળખતા. બોરી બંદરથી શરૂ થઈને એલ્ફિન્સ્ટન સર્કલ (આજનું હોર્નિમન સર્કલ) સુધી જતા રસ્તાનું નામ પણ હતું બઝાર ગેટ સ્ટ્રીટ. અને અહીં લોકોનો આવરોજાવરો પણ ઘણો વધારે. એક જમાનામાં અહીંની બજાર એ મુંબઈની સૌથી મોટી બજાર. દિવસ દરમ્યાન આ દરવાજામાંથી વેપારીઓ અને ઘરાકોની આવનજાવન સતત ચાલુ.
એક જમાનામાં અવિનાશ વ્યાસનો આ ગરબો ખૂબ જાણીતો થયેલો :
અલી ઓ રે, બજાર વચ્ચે બજાણિયો,
જોને બજાવે ઢોલ,
કેમ સહ્યું જાય રે લોલ!
એ ગરબાની જેમ આજે બજાર ગેટ પણ ભૂલાઈ ગયો છે. તેના પરથી નામ પડેલું તે સ્ટ્રીટનું નામ પણ બદલાઈ ગયું છે. હા, આ લખનાર જેવા જૂના જમાનાનાં લોકો હજી વાતચિતમાં ‘બજાર ગેટ સ્ટ્રીટ’ બોલે ખરા!

ત્રીજો દરવાજો – બજાર ગેટ
ત્રણ દરવાજાનાં તો નામ પણ બચ્યાં છે, લોકોની યાદદાસ્તમાં. પણ બોમ્બેના ફોર્ટના બેસ્ટિયન કહેતાં બુરજનાં તો નામ સુદ્ધાં હંમેશ માટે ભૂલાઈ ગયાં છે. તેમાંનાં કેટલાંક નામ : ફ્લાવર ટ્રી બેસ્ટિયન, બ્રેબ ટ્રી બેસ્ટિયન, ફ્લેગ સ્ટાફ બેસ્ટિયન. આ ત્રણે અસલ પોર્ટુગીઝોએ બાંધેલા બોમ્બે કાસલના ભાગ હતા જે પોતે બાંધેલા કિલ્લામાં અંગ્રેજોએ સમાવી લીધા હતા. તેમાં બ્રેબ ટ્રી સાથે એક રોચક વાત સંકળાયેલી છે. બ્રેબ ટ્રી એટલે તાડ કે ખજૂરનું ઝાડ. અસલ કિલ્લામાં આ જગ્યાએ આવાં ઘણાં બધાં ઝાડ હતાં, અને ખાસ્સાં ઊંચાં હતાં. એ વખતે અહીં દીવા દાંડી નહોતી. પણ દરિયામાં દૂર દૂરથી પણ ઝાડનું આ ઝુંડ દેખાતું. એટલે એ દેખાય કે તરત ખલાસીઓ સમજી જતા કે હવે બોમ્બેનો કિનારો નજીકમાં જ છે. અંગ્રેજોએ બાંધેલા કિલ્લાના કેટલાક બેસ્ટિયન કહેતાં બુરજનાં નામ : રોયલ, માલબરો, સ્ટેનહોપ, ચર્ચ (ચર્ચ ગેટ નજીક), મૂર, બનિયન (વડનું ઝાડ), પ્રિન્સિસ, ટેંક (તળાવ), ફ્લેગ સ્ટાફ, અને નોર્થ-ઈસ્ટ બેસ્ટિયન.
પણ કાંઈ ફક્ત કિલ્લો બાંધવાથી શહેરનું રક્ષણ થોડું થાય? એ માટે કિલ્લા પર ઠેર ઠેર તોપ ગોઠવવી પડે. આ રીતે જ્યાં બે કે તેથી વધુ તોપ ગોઠવી હોય તેને લશ્કરની પરિભાષામાં ‘બેટરી’ કહે છે. પોર્ટુગીઝોએ બાંધેલો કિલ્લો પૂરો થાય અને અંગ્રેજોએ બાંધેલો શરૂ થાય ત્યાં પહેલી હતી હોર્નબીઝ બેટરી. બીજી બેટરી હતી ડોક બેસ્ટિયનની સાથે. ત્રીજી બેટરી તે ટેંક બેટરી. આ ત્રણે બેટરી પર સંખ્યાબંધ તોપો રહેતી. એ ઉપરાંત આખા કિલ્લાની રાંગ ઉપર તો ઠેર ઠેર તોપ ગોઠવેલી હતી જ. પણ દારૂગોળા વગરની તોપ તો શોભાના ગાંઠિયા જેવી! એટલે બધી તોપો માટેનો જરૂરી દારૂગોળો અને બીજો શસ્ત્ર-સરંજામ સંઘરવા માટે કિલ્લામાં એક મેગેઝીન, કહેતાં દારૂખાનું પણ હતું. કિલ્લાના બોરી બંદર નજીકના છેડા પર આવેલું હતું. એ વિસ્તારની એક જગ્યા આજે પણ ‘દારૂખાના’ તરીકે ઓળખાય છે, જ્યાં મુંબઈનું સૌથી મોટું ભંગાર બજાર આવેલું છે જે ચોવીસે કલાક ઉઘાડું રહે છે.
કિલ્લાના આ બધા ભાગો પરથી કેટલાક રસ્તાનાં નામ પણ પડેલાં. જેમ કે બેસ્ટિયન રોડ, બેટરી સ્ટ્રીટ, રેવલીન સ્ટ્રીટ, રામપાર્ટ રો, વગેરે. માંડવી બંદરથી એપોલો બંદર સુધીના દરિયાના કાંઠે કાંઠે કોટની દીવાલ અડીખમ ઊભી હતી. તોપોનાં મોઢાં દરિયા તરફ અને જમીન તરફ એમ બંને બાજુ તાકેલાં રહેતાં.
પણ મુંબઈનો આ કિલ્લો બાંધવાનાં ફદિયાં આવ્યાં ક્યાંથી? એ વખતે હિન્દુસ્તાનમાં રાજ હતું કંપની સરકારનું. અને એ હતી વેપારી કંપની. હજારો માઈલ દૂર આવેલા મુંબઈ માટે ગાંઠનાં ગોપીચંદન એ કંપની શું કામ કરે? ૧૭૦૪ના જાન્યુઆરીની ૧૨મી તારીખે લંડનમાં બેઠેલા ડિરેક્ટરોએ કિલ્લો બાંધવાની માત્ર મંજૂરી આપી, પણ એ બાંધવા માટે કાણી કોડી ય નહિ. મુંબઈવાળા કહે : પૈસા વગર કિલ્લો બાંધીએ કઈ રીતે? લંડનવાળા કહે, અમે તમને છ ટકા વ્યાજે પૈસા આપશું. પણ ૧૫ વરસમાં તમારે એ વ્યાજ સાથે પાછા આપવાના. મુંબઈવાળા કહે, અમારે એ માટે ખાસ વધારાનો એક ટકો ટેક્સ નાખવો પડશે. ૧૭૧૦માં આ ટેક્સ નાખવાની લંડનથી મંજૂરી મળી. ૧૭૧૬માં કિલ્લો બંધાઈ રહ્યો ત્યાં સુધી મુંબઈના લોકોએ આ એક ટકો વધારાનો ટેક્સ ભર્યો. પણ એટલાથી કામ પૂરું થાય એમ નહોતું. એટલે મુંબઈ સરકારે વેપારીઓ પાસેથી ‘સ્વૈચ્છિક’ ફંડફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. અહીંના વેપારીઓએ કહ્યું કે પરદેશથી જે કાંઈ માલસામાન દરિયાઈ માર્ગે આયાત થાય તેની કિંમતના બે ટકા જેટલો ટેક્સ અમે સરકારને આપશું. સરકાર બી રાજી, અને વેપારીઓ બી રાજી.
સરકારનું તો જાણે સમજ્યા. પણ વેપારીઓ? એની વાત, અને મુંબઈના કોટની બીજી પણ કેટલીક મજેદાર વાતો હવે પછી.
e.mail: deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 એપ્રિલ 2024)
![]()



ઓગણીસમી સદીના આરંભે હજી દેશમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. પણ એ રાજવટ ચાલુ રાખવા માટેની મંજૂરી કંપનીએ વખતો વખત બ્રિટનની પાર્લામેન્ટ પાસેથી મેળવવી પડતી અને દરેક વખતે મંજૂરી આપતાં પહેલાં પાર્લામેન્ટ નવી શરતો ઉમેરતી. ૧૭૯૩માં જ્યારે કંપની સરકારનો પરવાનો રિન્યૂ કરવાનો થયો ત્યારે સરકાર પોતાની આવકનો એક નાનકડો હિસ્સો ‘દેશીઓ’ – નેટીવ્ઝ –ના શિક્ષણ પાછળ ખર્ચે એવી કલમ ઉમેરવાની હિમાયત કેટલાક સજાગ અંગ્રેજોએ કરેલી. પણ તે વખતે તેમને સફળતા ન મળી. પછી ૧૮૧૩માં જ્યારે પરવાનો રિન્યૂ કરાવવાનો થયો ત્યારે કંપની સરકારે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ‘દેશીઓ’ના શિક્ષણ માટે અને તેમના સાહિત્યના ઉત્કર્ષ માટે ખરચવા એવી કલમ ઉમેરવાનું શક્ય બન્યું. આ એક લાખ રૂપિયાની રકમ આખા બ્રિટિશ ઇન્ડિયા માટે હતી, માત્ર બોમ્બે પ્રેસિડેન્સી માટે નહિ. પણ આ કલમનો લાભ લઈને શિક્ષણ માટે એક સોસાયટી ઊભી કરવાની પહેલ બોમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજોએ કરી. ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં લાંબુ લચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખતમાં જ આ લાંબુ લચક નામ બદલીને તેનું ટૂંકુ નામ રખાયું : ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’ તેના બીજા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આખા હિન્દુસ્તાનમાં આ પ્રકારની આ પહેલી અને એકમાત્ર સોસાયટી છે. વળી તે ખાનગી દાનને આધારે જ ચાલતી હતી. શરૂઆતમાં તેને સરકારની આર્થિક મદદ મળતી નહોતી. અલબત્ત, તે વખતે તેનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓને માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઈ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. પણ પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને પણ વાજબી ફી લઈને દાખલ કરવા. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ ‘દેશી’ છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ દેશી છોકરી ભણતી નથી.
સોસાયટીના મનની આ મુરાદ મનમાં જ રહી જાત, કારણ તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ બોમ્બે પ્રેસિડેન્સીના સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઈ ત્યારથી ગવર્નર તેનો પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું : પાઠ્ય પુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઓગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪,૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧,૮૮૧ રૂપિયાનાં દાનનાં વચનો મળ્યાં. કુલ ૫૭ વ્યક્તિ પાસેથી દાન મળ્યાં હતાં. તેમાંના ૪ — દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, રઘુનાથ જોશી, વેન્કોબા સદાશિવ હિંદુ હતા અને ૪ —
૧૮૨૩ના અરસામાં સોસાયટીએ ગુજરાતી અને મરાઠી પાઠ્ય પુસ્તકો પ્રગટ કરીને પોતાના કામની શરૂઆત તો કરી દીધી, પણ એ પ્રગટ થતાંવેંત બે અણધારી મુશ્કેલી આવી પડી. છાપેલાં પુસ્તકો અને નવી સ્કૂલો પોતાના પેટ પર પાટું મારશે એ વાત પરંપરાગત નિશાળોમાં ભણાવતા ચતુર બ્રાહ્મણ શિક્ષકો તરત કળી ગયા. ગોરપદું કરનારા બ્રાહ્મણો પણ સમજી ગયા કે વહેલા મોડા શાસ્ત્ર ગ્રંથો પણ છપાશે અને તો ધાર્મિક ક્રિયાઓને નામે લોકો પાસેથી મનમાની રકમ પડાવવાનું મુશ્કેલ બનશે. એટલે બ્રાહ્મણોએ લોકોમાં એવી અફવા ફેલાવી કે આ પાઠ્ય પુસ્તકો છાપવા માટે વપરાયેલી શાહીમાં ગાયની ચરબી ભેળવવામાં આવી છે અને તેનો ખરો હેતુ હિન્દુઓને વટલાવવાનો છે. અલબત્ત, આ કેવળ જુઠ્ઠાણું હતું. પણ સરકારે એક જુઠ્ઠાણાનો જવાબ બીજા જુઠ્ઠાણાથી આપ્યો. તેણે જાહેર કર્યું કે આ શાહી તો ગાયનું ઘી વાપરીને બનાવવામાં આવે છે. એટલે બીજો પ્રચાર શરૂ થયો કે આવાં મોંઘાં દાટ પુસ્તકો વેચીને સરકાર લોકોનાં ખિસ્સાં ખાલી કરવા માગે છે. આના જવાબમાં સરકારે આ પુસ્તકો વેચવાને બદલે મફત વહેંચવાનું શરૂ કર્યું.
વખત જતાં જર્વિસ સરકારમાં જુદા જુદા મહત્ત્વના હોદ્દે નીમાયા હતા. ૧૮૨૩ના જુલાઈમાં બ્રિટિશ તેમ જ ‘દેશી’ વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગનાં શિક્ષણ અને તાલીમ આપવા માટે સરકારના આદેશથી જર્વિસે ‘ગણિત શિલ્પ વિદ્યાલય’ની સ્થાપના કરી અને તેના સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. વિદ્યાલયની બે શાખાઓ હતી – એક સર્વેયર્સ અને બીજી બિલ્ડર્સ. બંનેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી-મરાઠીમાં શિક્ષણ અપાતું. તેમાં પહેલે વર્ષે ૭ ગુજરાતી છોકરાઓ ભણતા હતા, પણ વર્ષને અંતે પરીક્ષા લેવાઈ તેમાં પાસ થનાર છોકરાઓમાં એક પણ ગુજરાતીભાષી નહોતો. બીજે વર્ષે પણ આમ જ બન્યું. એટલે સરકારે જર્વિસ પાસે ખુલાસો મગાવ્યો. તેમણે આપેલો ખુલાસો ત્રીજા વર્ષના અહેવાલમાં જોવા મળે છે. આ સંસ્થામાં ભણતા છોકરાઓ પાસ થાય પછી તેમને સરકારમાં યોગ્ય નોકરી આપવાની ખાતરી અપાઈ હતી. તો બીજી બાજુ પાસ થયા પછી પોતે ઓછામાં ઓછાં પાંચ વર્ષ સરકારી નોકરી કરશે, એવી લેખિત બાંહેધરી દરેક છોકરાએ દાખલ થતી વખતે જ આપવી પડતી. પણ ત્યાં જે શિક્ષણ અને તાલીમ મળતાં તેનો ઉપયોગ કરીને ખાનગી કામ કરીને સરકારી નોકરી કરતાં વધુ આવક મેળવી શકાતી. એટલે ગુજરાતી છોકરાઓ આખું વર્ષ ધ્યાન આપીને ખંતપૂર્વક ભણતા ખરા, પણ છેવટે પરીક્ષા ન આપતા અને ખાનગી ધંધો કે નોકરી કરતા ! સરકારી નોકરીમાંથી રાજીનામું આપી ફિરોઝ નામની સ્ટીમર દ્વારા જર્વિસ યુરપ જવા મુંબઈથી ૧૮૫૧ના એપ્રિલની ત્રીજી તારીખે નીકળ્યા. મુસાફરી દરમ્યાન જ ૧૮૫૧ના ઓક્ટોબરની ૧૪મી તારીખે ઉત્તર ફ્રાન્સના એક શહેર (Bologne-sur-Mer)માં તેમનું અણધાર્યું અવસાન થયું.
પુસ્તકોની વાત થાળે પડી એટલે નવા શિક્ષકોની તાલીમ અને નિમણૂક અંગે સોસાયટી વધુ સક્રિય બની. ૧૮૨૬ના મે મહિનાની ૧૯મી તારીખે મરાઠી સ્કૂલોના શિક્ષકો માટે પહેલી વાર પરીક્ષા લેવાઈ તેમાં કુલ ૧૪ ઉમેદવારો પાસ થયા. તેમને પૂના, સતારા, ધારવાડ, અહમદ નગર, નાસિક અને ધૂળિયા ખાતે મોકલવામાં આવ્યા. તેવી જ રીતે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા તે જ વર્ષના ઓગસ્ટ મહિનાની ૧૪મી તારીખે લેવાઈ જેમાં કુલ ૧૦ ઉમેદવારો પાસ થયા. તેમાંથી દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર ઉમાનાથ, હરિરામ દયાશંકર એ ત્રણને સુરત મોકલવામાં આવ્યા. તુલજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ, અને ગૌરીશંકર કૃપાશંકર એ ત્રણને અમદાવાદ મોકલવામાં આવ્યા. મુકુન્દરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ અને મયારામ જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલવામાં આવ્યા. આ દસ શિક્ષકોએ જે દસ નવી સ્કૂલ શરૂ કરી તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતીભાષી વિસ્તારની પહેલી સ્કૂલો. અહીં એક વાત નોંધવી જોઈએ કે આ બધા જ મરાઠી અને ગુજરાતી શિક્ષકો બ્રાહ્મણો હતા.
૧૮૩૯-૧૮૪૦ સુધી સ્કૂલો અને પાઠ્ય પુસ્તકો અંગે સોસાયટી બનતા બધા પ્રયત્નો કરતી રહી. ૧૮૩૯ના ૧૨મા વાર્ષિક અહેવાલ પ્રમાણે એ વર્ષે પૂના કલેકટર હેઠળના વિસ્તારમાં કુલ ૧૯ સ્કૂલ હતી, નગર કલેકટર હેઠળ ૧૧ સ્કૂલ હતી, શોલાપુર કલેક્ટરના તાબા નીચે ૪ સ્કૂલ હતી તો ઉત્તર અને દક્ષિણ કોંકણમાં કુલ ૧૮ સ્કૂલ હતી. આમ મરાઠીભાષી વિસ્તારમાં કુલ બાવન સ્કૂલ કામ કરતી હતી. જ્યારે ગુજરાતીભાષી વિસ્તારમાં આવેલી સ્કૂલોની કુલ સંખ્યા ૨૯ની હતી. સુરત, ભરૂચ અને અમદાવાદમાં બે બે સ્કૂલ હતી જ્યારે બીજાં ૨૩ ગામોમાં એક એક સ્કૂલ હતી. તેમાં એક સ્કૂલ કાઠિયાવાડના ઘોઘામાં પણ હતી. આપણા એક અભ્યાસીએ આ સ્કૂલનું શ્રેય ભાવનગર રાજ્યને આપ્યું છે. પણ તે વખતે ઘોઘા ભાવનગર રાજ્યના તાબામાં નહિ, પણ બ્રિટિશ સરકારના તાબામાં હતું. સૌથી વધુ છોકરા (૧૨૫) ભરૂચની મુકુન્દરામ
એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસની પ્રેરણાથી ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ ત્યારે મુંબઈની સોસાયાટીએ શરૂ કરેલી બે સ્કૂલ અમદાવાદમાં કામ કરતી હતી. અલબત્ત, ત્યાં સુધીમાં એ સોસાયટી બરખાસ્ત થઈ ગઈ હતી અને એ સ્કૂલો બોર્ડ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતી હતી. તે ઉપરાંત કરુણાશંકર દયાશંકર નામના માસ્તર એક ખાનગી સ્કૂલ પણ ચલાવતા હતા. તેમાં છોકરાઓ સાથે ભણવા માટે કેટલીક છોકરીઓ પણ આવતી. પણ સરકારી સહાય વગર આ સ્કૂલ ચલાવવાનું અઘરું હતું એટલે સ્કૂલની જવાબદારી લઈ લેવા તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને વિનંતી કરી અને ૧૮૪૯ના જુલાઈની ૮મી તારીખથી સોસાયાટીએ એ સ્કૂલ પોતાને હસ્તક લઈ લીધી. થોડા વખત પછી છોકરીઓ માટે અલાયદી કન્યા શાળા – હરકુંવરબાઈ કન્યા શાળા – શરૂ કરવામાં આવી, પણ પછી માત્ર છોકરાઓ માટે ચાલતી કરુણાશંકરવાળી સ્કૂલ બંધ કરી. જો કે પાછળથી હરકુંવરબાઈ કન્યા શાળાનો વહીવટ પણ સોસાયટીએ એક અલાયદી સમિતિને સોંપી દીધો.
પણ દેશી ભાષાઓનું શિક્ષણ કમનસીબે ઝાઝો વખત ન ટક્યું. ૧૮૬૩માં સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા. બોમ્બે પ્રેસિડેન્સીમાં ૧૮૬૪ પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકોની સૂચિ પણ તેમણે બનાવી હતી. એને આધારે તેમનું માનવું હતું કે યુનિવર્સિટી કક્ષાએ શીખવી શકાય એવાં પુસ્તકો દેશી ભાષાઓમાં નથી. એટલે તેમણે આદેશ આપ્યો : ડિગ્રી લેવલે દેશી ભાષાઓ ભણાવવાનું બંધ કરો. કેટલાક દેશીઓ ઉપરાંત ડો. જોન વિલ્સન જેવા અંગ્રેજોએ વિરોધ કર્યો, પણ તેમની વાત યુનિવર્સિટીએ માની નહિ, અને ૧૮૬૭થી દેશી ભાષાઓ ડિગ્રી લેવલે ભણાવવાનું બંધ કર્યું. એ પછી છેક ૧૮૮૧માં યુનિવર્સિટીની સેનેટમાં આ ભાષાઓ ભણાવવાનું ફરી ચાલુ કરવા અંગેની દરખાસ્તો રજૂ થઈ, પણ તે પસાર થઇ નહિ. યુનિવર્સિટી ઓફ બોમ્બેના પહેલવહેલા ગ્રેજ્યુએટ મહાદેવ ગોવિંદ રાનડેએ ૧૮૯૪માં આ વાત પોતાના હાથમાં લીધી. વિદ્યાર્થી તરીકે તેઓ પોતે આ જ યુનિવર્સિટીમાં મરાઠી ભણ્યા હતા. કોઈ પણ તંત્ર ફેરફાર કરવા માટે રાતોરાત તૈયાર ન થાય એ હકીકત તેઓ જાણતા હતા. એટલે તેમણે માગણી કરી કે સંસ્કૃત, અરબી, ફારસી જેવી ક્લાસિકલ ભાષાઓ તો ભણાવાય છે જ, તો તેમની સાથે સાથે ‘દેશી’ ભાષાનું પણ એક-એક પુસ્તક અભ્યાસ ક્રમમાં દાખલ કરવું. પણ તેમની આટલી અમથી માગણી પણ સ્વીકારાઈ નહિ. ૧૮૯૮માં તેમણે આ માગણી ફરી રજૂ કરી. પણ રસ્તો જરા જૂદો લીધો. રોયલ એશિયાટિક સોસાયટીના જર્નલમાં અને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખો લખીને તેમણે મરાઠી ભાષાનું સાહિત્ય કેટલું સમૃદ્ધ છે તે બતાવ્યું. અને પછી ફરી દરખાસ્ત રજૂ કરી. હવે યુનિવર્સીટીએ આ અંગે ‘અભ્યાસ’ કરવા માટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી જેના એક સભ્ય રાનડે પોતે હતા. એ સમિતિની ભલામણને આધારે છેવટે યુનિવર્સિટીએ દેશી ભાષાઓ ફરીથી શીખવવાનું નક્કી કર્યું. પણ એ નિર્ણયના સમાચાર જાણવા માટે રાનડે પોતે હયાત નહોતા. કારણ એ અંગેનો ઠરાવ પસાર થયો તે પહેલાં જ ૧૯૦૧ના જાન્યુઆરીની ૧૬મી તારીખે તેમનું અવસાન થયું હતું. ગુજરાતી, મરાઠી વગેરેને માનભર્યું સ્થાન અપાવવાની આ ચળવળમાં એક ગુજરાતીએ રાનડેને સતત સાથ આપ્યો હતો. એ હતા સર ચીમનલાલ સેતલવાડ.
૧૮૭૫માં યુનિવર્સિટી ઓફ બોમ્બેને બેળગાંવના પોસ્ટ માસ્તર એસ. ખરસેતજીએ કાગળ લખીને પૂછાવ્યું કે મારી દીકરી ફિરોઝા સોરાબજી મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદામાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનો He શબ્દ જ વપરાયો હતો. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને પરીક્ષા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટ માસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. આઠ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોને પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઈને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. એ છોકરીનું નામ કોર્નેલિયા સોરાબજી. એ હતી મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, બોમ્બે પ્રેસિડેન્સીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રેજ્યુએટ.
ગુજરાતીભાષી વિસ્તારમાં ૧૮૬૦માં અમદાવાદમાં સર થિયોડોર હોપના પ્રયત્નોથી ગુજરાત પ્રોવિડેન્શિઅલ કોલેજ શરૂ તો થઈ પણ તે અલ્પાયુષી નીવડી. ત્યાર બાદ છેક ૧૮૭૯માં ગુજરાત કોલેજ શરૂ થઈ. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યાં સુધી તે યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે સંલગ્ન હતી. ૧૮૮૧માં વડોદરામાં શરૂ થયેલી બરોડા કોલેજ એ દેશી રાજ્યોમાંની પહેલી કોલેજ. વખત જતાં તે વિકસીને ૧૯૪૯માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી બની. તો ૧૮૮૫માં ભાવનગરમાં શરૂ થયેલી શામળદાસ કોલેજ કાઠિયાવાડની પહેલી કોલેજ હતી.
આવડે અને અંક ગણિત પર તેનો સારો એવો કાબૂ આવી જાય એટલું એ ગુજરાતી-મરાઠી સ્કૂલમાં ભણે પછી જ તેને અંગ્રેજી સ્કૂલમાં પ્રવેશ મળે. આ માટે પ્રવેશ પરીક્ષા પણ લેવાતી. ૧૮૪૦ના અરસામાં એન્ગ્લો-વર્નાક્યુલર સ્કૂલો શરૂ થઈ જેમાં પ્રાથમિક શિક્ષણ ગુજરાતી-મરાઠીમાં અને પછીનું શિક્ષણ અંગ્રેજીમાં અપાતું. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુદ્રણ, પુસ્તક પ્રકાશન અને શિક્ષણ, ત્રણે એકબીજાનો હાથ પકડીને ચાલ્યાં. તેને પરિણામે આપણા સમાજનો ગણનાપાત્ર ભાગ મધ્યકાલીન યુગમાંથી અર્વાચીન યુગમાં ધીમે ધીમે દાખલ થયો. આજે આપણે જે સુધારક યુગ અને પંડિત યુગની વાતો કરીએ છીએ તેમાં જે કાંઈ વિચારાયું, લખાયું, અને થયું તે મુદ્રણની સગવડ વગર અને અર્વાચીન શિક્ષણ વગર શક્ય બન્યું ન હોત.


