૧૯૭૫ના જૂન માસની ૨૬મી તારીખે ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી બંધારણ હેઠળની આંતરિક કટોકટીને ૪૨ વર્ષ થયાં હોવા છતાં તેને યાદ રાખવી બહુ જ જરૂરી છે. કારણ કે તે બતાવે છે કે આપણું બંધારણ એક શ્રેષ્ઠ બંધારણ હોવા છતાં તે નાજુક ફ્રેજાઇલ છે. બંધારણ સ્વયં સંચાલિત યંત્ર નથી. તેને માણસો મારફતે ચલાવાવું પડે છે. અને એટલે બંધારણ વાસ્તવમાં કેવું ચાલશે, તેનો આધાર શાસનકર્તાઓ ઉપર હોય છે.
આપણા બંધારણના ઘડવૈયાઓએ અસાધારણ સંજોગોમાં બાહ્ય અને આંતરિક કટોકટી જાહેર કરવાની જોગવાઈઓ કરેલી છે. એક વખત કટોકટી જાહેર થાય, એટલે સમવાયી રાજ્ય એકતંત્રી (યુનિટરી) જેવું થઈ જાય છે અને આર્ટિકલ ૧૪, ૧૯, ૨૧ના મૂળભૂત અધિકારોનો અમલ મુલતવી રહે છે. ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ આંતરિક કટોકટી જાહેર કરી હતી. આવી કટોકટી જાહેર કરવા માટેના વાજબી સંજોગો હતા કે કેમ તે વિવાદાસ્પદ છે, પરંતુ દરમિયાન જે આકરાં અને અન્યાયી પગલાં લીધાં તે તદ્દન લોકશાહી વિરોધી હતાં. બધા જ વિરોધીઓની અટકાયત કરવામાં આવી. વર્તમાનપત્રો ઉપર સેન્સરશિપ લાદવામાં આવી. નાગરિક સ્વતંત્રતાઓ ઝૂંટવી લેવામાં આવી. ગરીબોનાં ઝૂંપડાં તોડાયાં અને ફરજિયાત નસબંધીની યોજના અમલમાં મૂકવામાં આવી. દેશમાં બે વર્ષ એકહથ્થુ સત્તા ચાલી.
૧૯૭૭માં કોઈ અગમ્ય કારણોસર આ કટોકટી જ ઉઠાવી લેવામાં આવી. લોકસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી. ઇન્દિરા ગાંધીની કૉંગ્રેસ પાર્ટીનો પરાજય થયો અને વિરોધપક્ષોની સંયુક્ત સરકાર જનતા પક્ષ હેઠળ માર્ચ ૧૯૭૭માં સરકાર બનાવવામાં આવી. ગેરબંધારણીય સુધારાઓ નાબૂદ કરવામાં આવ્યા અને આ સત્તાઓનો દુરુપયોગ ના થાય તેવા સુધારાઓ કરવામાં આવ્યા. જનસંઘ સભ્યો આર.એસ.એસ.ના સભ્યો થાય તેવા બેવડા સભ્યપદ ઉપર વિવાદ ઊભો થયો અને જનતા સરકાર તૂટી ગઈ.
૧૯૮૦માં લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીનો ફરી વાર વિજય થયો. ત્યાર પછીનો સમય મહદંશે અસ્થિર સરકારનો રહ્યો અને ધીમે-ધીમે હિંદુત્વને વરેલાં બળો મજબૂત થયાં. અંતે, મે ૨૦૧૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વિજય થયો. એ ભાજપ કેન્દ્રમાં સત્તા ઉપર આવ્યો અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.
૧૯૭૫ની કટોકટી અને તેને વિરોધી આંદોલને આપણે ઘણા પાઠ શિખવાડ્યા. એક, બહુમતી સરકાર ગમે ત્યારે ધારે તો બંધારણ હેઠળ રહીને ગેરબંધારણીય કૃત્યો કરી શકે. આઇવર જેનિંગ્ઝે કહેલું કે ભારતમાં બંધારણીય રીતે એકહથ્થુ સરકાર સ્થાપી શકાય પણ આની સામે માંડ જાગૃત પ્રજા જ લડી શકે કે એને રોકી શકો. બે, વિરોધપક્ષો ભેગા તો થયા, પરંતુ તેમની પાસે કૉંગ્રેસ અને ઇન્દિરા ગાંધીનો વિરોધ કરવા સિવાય બીજો એજન્ડા હતો નહીં. જયપ્રકાશ નારાયણે ‘ટોટલ રેવૉલ્યુશન’ની વાત કરી, પરંતુ ટોટલ રેવૉલ્યુશન કે સંપૂર્ણ ક્રાન્તિ એટલે શું, તેની સ્પષ્ટતા કદી ના થઈ. અને આ સ્લોગન પોલું નીકળ્યું. ત્રણ, લોકલડત શરૂ કરતાં પહેલા લોકલડતના આદર્શો અને સિદ્ધાંતોને વરેલા સંગઠિત અને મજબૂત સમૂહ કે સંગઠન જોઈએ. કટોકટી વિરુદ્ધની લડતમાં લોકશાહીને વરેલું સંગઠિત અને મજબૂત જૂથ હતું નહીં. પરિણામે આર.એસ.એસ. અને જનસંઘના સંગઠિત અને મજબૂત સંગઠને કબજો જમાવ્યો અને મજબૂત થઈ બહાર આવ્યું. ચાર, લોકશાહી આંદોલનમાં લોકશાહીમાં નહીં માનનારાં સંગઠનો કે બળોને દાખલ કરવાં ના જોઈએ. જયપ્રકાશ નારાયણના આંદોલને જનસંઘ અને આર.એસ.એસ. જેવા હિંદુ કોમવાદી અને લોકશાહી વિરોધી અને બંધારણનાં મૂળભૂત મૂલ્યોને નહીં સ્વીકારીને સાથે રાખવામાં ભારતીય રાજકારણમાં લગભગ અસ્પૃશ્ય જેવાં રાજકીય બળોને સ્વીકૃતિ (લેજિટિમસી) બક્ષી અને પરિણામે તેની સામે લડી શકે તેવાં મજબૂત બળો નહીં હોવાને કારણે જનસંઘ, ભા.જ.પ. અને સંઘપરિવારને મજબૂતીથી આગળ આવવાની લડત પૂરી પાડી. અને અંતે, નરેન્દ્ર મોદી જેવી આપખુદ અને લોકશાહી વિરોધી વ્યક્તિને વડાપ્રધાન થવાનો મોકો આવ્યો અને આજની પરિસ્થિતિ ઊભી થઈ.
આજે જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, તે બંધારણ હેઠળ જાહેર કરેલી કટોકટી નથી – કે પછી ગર્ભિત કટોકટી છે. પરંતુ બંધારણ હેઠળના શાસનને સંપૂર્ણ બદલી નાખવાના પ્રકાર છે – બંધારણને સુધાર્યા વગર દેશમાં હિંદુ ફાસીવાદ પ્રવર્તી રહ્યો છે. (૧) હિંદુધર્મના રક્ષક અને વિકાસપુરુષ તરીકે કરોડો રૂપિયાની જાહેરાતો અને પ્રચાર દ્વારા નરેન્દ્ર મોદી દેશમાં એક માત્ર નેતા તરીકે પોતાને પ્રોજેક્ટ કર્યા છે. ભા.જ.પ. ચારે બાજુ વીરપૂજા (હીરોવર્ષિપ) દ્વારા મોદીની એવી પ્રતિભા ઊભી કરી દે છે કે નરેન્દ્ર મોદી માત્ર રાજકીય નેતા નથી રહ્યા, પરંતુ પૂજવાલાયક આઇકોન થઈ ગયા છે. સંસદીય પદ્ધતિની સરકારને પ્રમુખશાહી સરકાર બનાવી દીધી છે, જેમાં બધા જ પ્રધાનો મોદીના સેવકો બની ગયા છે. લોકસભામાં ભા.જ.પ.ની મોટી બહુમતી હોવાને કારણ મોદીનાં વાજિંત્ર તરીકે કામ કરે છે. (૩) ઝનૂની રાષ્ટ્રવાદનું ઝેર ફેલાવવામાં આવ્યું છે અને મોદીવિરોધીઓને મુસ્લિમ, ખ્રિસ્તીઓ, પ્રગતિશીલ બધાને રાષ્ટ્રવિરોધીઓ ગણવામાં આવે છે. અને કેટલાકને રાજદ્રોહ-એડિશનના આરોપી બનાવ્યા છે. (૪) બંધારણીય સંસ્થાઓમાં આર.એસ.એસ.ના માણસોને ગોઠવી દેવાયા છે. ઉચ્ચ શૈક્ષણિક અને સંશોધન-સંસ્થાઓનું ભગવાકરણ કરવામાં આવ્યું છે. (૫) જ્યાં જ્યાં કાયદાઓનો ગેરઉપયોગ કરી શકાય ત્યાં કાયદાનો દુરુપયોગ કરાય છે અને અન્ય ક્ષેત્રોમાં કાયદાઓને લોકસેવાઓ કે ગુંડાઓના હાથમાં સોંપી દેવાયા છે. જેમ જર્મનીમાં હિટલર વર્તતો હતો. સિનેમા, કળાસ્થાનો, સાહિત્ય – વર્તમાનપત્રો ઉપર હુમલા કરવામાં આવે છે. (૫) માસમીડિયા ઉપર પોતાનો કબજો જમાવ્યો છે. કેટલાકને પૈસા આપીને અને કેટલાકની દબાવીને. (૬) મોટાં કૉર્પોરેટ ક્ષેત્રને પોતાના હાથમાં લીધું છે અને ગરીબોની વાતો કરાય છે. (૭) કરોડો લોકોની ગરીબી, અસમાનતા, શોષણ અને અન્યાયોને બદલે ગૌરક્ષા, લવજેહાદ ઘરવાપસી જેવા મુદ્દાઓને ચલાવવામાં આવે છે અને તેને નામે લોકોનું લિન્ચિંગ કરવામાં આવે છે. (૮) પાકિસ્તાન સાથેનું યુદ્ધ જેવું વાતાવરણ અને કાશ્મીરના લોકોની લડતને આતંકવાદી ગણાવી, દેશમાં ભય, અસલામતી અને યુદ્ધખોરીનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કરી શકાય. (૯) આર.એસ.એસ. અને હિંદુત્વની વિચારધારા સારા દેશમાં ફેલાવામાં આવી છે. અને તે દ્વારા ઝનૂની હિંદુવાદનાં મૂળિયાં મજબૂત બનાવવામાં આવી રહ્યાં છે. (૧૦) બિનસાંપ્રદાયિકતા અને સર્વસમાવેશક્તા (ઇન્ક્લુયઝિવિટી)ના સ્થાને કલ્ચરલ નૅશનલિઝમના નામે હિંદુ રાષ્ટ્ર તરફ લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. (૧૧) આખું રાજકારણ માત્ર ચૂંટણીલક્ષી બનાવાયું છે અને દંભ, અર્ધસત્ય અને જૂઠાણાં અને બોદાં વચનો આપીને લોકોને ભરમાવવામાં આવ્યા છે. (૧૨) આમ, દેશમાં એકમાત્ર અવાજમાત્ર મોદીનો – મન કી બાત – સંભળાય છે.
આ બંધારણને જરા પણ અડ્યા વગર સમગ્ર દેશને ફાસીવાદથી રંગી નાખવાનો પ્રયોગ થઈ રહ્યો છે. પ્રજાને ઉશ્કેરી અને ભરમાવીને બંધારણનું માળખું બદલવાના પ્રયત્ને થયા, એ પણ શક્ય છે.
સામનો કેવી રીતે કરવો? ત્રણ મુદ્દાઓ છે : (૧) બધા જ વિરોધપક્ષો પોતાનાં મતમતાંરો ભૂલી એક થાય અને ફાસીવાદનાં વિરોધના મુદ્દાઓ ઉપર ૨૦૧૯ની ચૂંટણી સંયુક્ત રીતે લડે તો શક્ય છે. હિદુત્વનો સામનો કરી શકાય. (૨) બધાં લોકશાહી અને પ્રગતિશીલ અને ઉદારતાવાદી સંગઠનો જ્યાં-જ્યાં શક્ય હોય ત્યાં મોદીવાદની સામે લડત આપે અને (૩) હજી આજે પણ શક્ય છે કે દેશમાં આદિવાસીઓ દલિતો, પીડિતો, મુસ્લિમોએ અન્ય ગરીબ લોકોને તેમની સાથે ખભેખભા મિલાવી એક શક્તિશાળી આંદોલન ઊભું કરી શકાય. મૂડીવાદને અને માત્ર આર્થિક વૃદ્ધિ વરેલી આ સરકાર ન તો ગરીબી અને અસમાનતા નાબૂદ કરી શકે એમ છે, ન તો અર્થપૂર્ણ રોજગારી ઊભી કરી શકે એમ છે, ન તો માનવીય વિચાર કરી શકે એમ છે. અમેરિકા જેવો ધનાઢ્ય દેશ જે ના કરી શક્યો, તે ભારત તે જ આર્થિક નીતિ દ્વારા કરી શકશે નહીં.
અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2017; પૃ. 03-04