ભારત ભલે એક દેશ તરીકે સમૃદ્ધ કળા અને સમાજ વ્યવસ્થાનુ માળખું ધરાવે, પરંતુ વિશેષ સંજોગોમાં મળેલી આઝાદી, એક રાષ્ટ્ર બનવું, વગેરે આયમો એને સહેજ નોખો બનાવે છે. ગાંધી ઓછાયામાં લગભગ એક પક્ષીય સરકાર વ્યવસ્થા વર્ષો સુધી રહી. જે મહદ્દ અંશે વ્યક્તિ કેન્દ્રી બની રહી અને નાના અપવાદ બાદ કરતાં નેવુંના દાયકા સુધી એ રહી. ત્યાર બાદ મિશ્ર સરકારો – બનતી બિગડતી રહી. આ બધામાં રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા ધરાવતા પ્રાદેશિક પક્ષોનું બાહુલ્ય ઉભર્યું. લોકશાહીમાં ઓછા રાજકીય પક્ષો કદાચ વધુ ગુણકારી. ટૂંકા રાજકીય સ્વાર્થો માટે સર્જાયેલા પ્રદેશિક પક્ષો અને એના નેતાઓએ ભારતના પોતને ઘણે અંશે નુકસાન પહોંચાડ્યું છે. સરકાર અને પ્રજા વચ્ચે ઘણા પ્રકારના સંગઠનો સેતુરૂપ બનતા હોય છે. બિન રાજકીય સેવાકીય સંગઠનો, મજૂર સંગઠનો, વિદ્યાર્થી સંગઠનો મુખ્ય પ્રકાર કહી શકાય. આ સંગઠનો પ્રજાકીય કાર્યો તો કરે જ સાથે લોક જાગૃતિ અને લોકમત કેળવવાનું કામ પણ કરે. અત્યારની કમનસીબી આ સંગઠનોનું નબળું પડવું છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારના સંગઠનોનું લોકાભિમુખના બદલે પક્ષીય બની જવું છે. આ સંગઠનો દ્વારા લોકોનો અવાજ – પ્રજાના પ્રશ્નો શાસન વ્યવસ્થા સુધી પહોંચતા. આ પ્રકારના સંગઠનો સંવાદ સાધવાનું મધ્યમ બને એ મૂળભૂત હેતુ ક્ષીણ થતો ગયો. અત્યારે અનિશ્ચિતતા, અસંતોષ વચ્ચે સંવાદનો અભાવ ઉભરે છે એના મૂળમાં આ છે. એકવીસમી સદીની શરૂઆતથી ફરીથી વ્યક્તિ કેન્દ્રી શાસન વ્યવસ્થા ઊભરી એમ કહીએ તો ચાલે. જેણે આ સંગઠનોને પોતાના સ્વાર્થ માટે નબળા બનાવ્યા.
સરકાર અને પ્રજા બંનેને કશું કહી શકે એવા આવજો આઝાદી પછી સહજ મળતા રહ્યા. લોકનેતા હોય, પત્રકારો હોય કે જે તે સમયના પક્ષના નેતાઓ પણ હોય. આ નરવા આવજો દેશની ચેતનાને જીવતી રાખનારા પરિબળો બની રહેતા. એમનો અવાજ વ્યક્તિ કે પક્ષ નહીં પણ દેશ અને અંતિમજનની ખેવના એ જ ઉદ્દેશ્ય સાથેનો રહેતો. ભારત દેશનો અંતિમ નરવો અવાજ કદાચ લોકનાયક જયપ્રકાશ નારાયણ બની રહ્યા. પછી તો જાણે વામણા બનવાની હોડ જ ચાલી છે.
સતત બદલાતા રહેતા રાજકીય અને પ્રજાકીય પરિપ્રેક્ષ્યમાં સૂચના પ્રદ્યોગિકી ક્રાંતિ આવી! સમૂહ માધ્યમો, સામાજિક મધ્યમોનો પ્રભાવ વધતો ગયો. વધતી મધ્યમ વર્ગીય સામાજિક વ્યવસ્થામાં આ માધ્યમોએ મોટા પાયે પરિમાણો બદલ્યા. છેલ્લા દાયકાના રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાના આંદોલનો નિસ્બત સાથે શરૂ થતાં દેખાયા પછી જાણે દિશાવિહીન બની જતાં લાગ્યા. આ સામાજિક ચિંતાનો વિષય એ રીતે ચર્ચાયો જ નહીં. ઊભરી આવેલા નેતાઓ `ગોઠવાઈ’ ગયા, માધ્યમોને TRP મળી! અને પ્રજાને નિરાશા! મજાની વાત એ છે કે પ્રજા સુધી આ નિરાશા ન પહોંચે એનું ધ્યાન પણ રખાયું!
આંગળીના ટેરવે મંતવ્યોનો ફેલાવો આપણને માફક આવી ગયો છે. આ મધ્યમોની વિશેષતા એ છે કે આપણે જેવું વિચારીએ એવું બતાવે – વંચાવે! આ ચક્રમાં એવા ફસાઈએ કે સારું નરસું – સત્ય અસત્ય ધૂંધળું થઈ જાય. સામાજિક મધ્યમોના વિશેષ સ્થાનો પર વ્યક્તિ જાણે જે તે પક્ષનો સક્રિય સભ્ય જ બની રહે છે. કોઈ વિશેષ ઘટના અંગે જાણકારી મેળવવી હોય તો રીતસર પ્રયત્નો કરવા પડે. સમૂહ માધ્યમો `બધાથી પહેલા’ બતાવી દેવા અધકચરી માહિતી પીરસીને વિસરી જાય. સામાજિક માધ્યમો પક્ષ કે વ્યક્તિને લક્ષ્ય બનાવવામાં વ્યસ્ત હોય. સતત વિવેક વિસરાવાનું આભ ફાટતું હોય ત્યારે થીગડું દેવા-વાળું કોણ?
ત્યારે કરીશું શું?
લોકશાહીના મૂળમાં આ જવાબ મળે છે. `લોક’ પાસે. મતદાર તરીકે, નાગરિક તરીકે જે તે ધર્મના / સમાજના / જ્ઞાતિના ન બની રહેતા `લોક’ બનીએ. દેશ આપણો છે. 6 ઈંચના સ્ક્રીનને આપણી વિચારશક્તિ ન સોંપીએ. અત્યારે બહુ વપરાતો શબ્દ છે `ટ્રોલ’. સામાજિક માધ્યમો પર સક્રિય રહેતી વ્યક્તિઓને પોતે ક્યારે ટ્રોલર બની જાય છે એ ખ્યાલ જ નથી આવતો. સ્વાભાવિક પણ છે કારણ કે લોકશાહીના સ્તંભ કહેવાય એવા પત્રકારો, વિશ્લેષકો, નેતાઓ પણ સહજ ટ્રોલર બની જતાં દેખાય છે.
સમયની – વહેણની માંગ છે કે સહેજ રોકાઈએ, પક્ષ કે વ્યક્તિનું નહીં પ્રજાનું શ્રેય શેમાં છે એ વિચારીએ. સ્વસ્થ જવાબદેહી અંગે સભાન બનીએ. નાગરિક તરીકે આપણે જ ટૂંકા ગાળાના સ્વાર્થો વિચારીશું તો શાસકોને તો માફક જ આવશે. પોતે જ પોતાનો નરવો અવાજ સાંભળીએ – બનીએ.
e.mail : Urvinshah50@gmail.com