હવે એવું તે કઇં બનતું હશે? કોઈ કબાટ જૂનો થાય, એ કોઈને આપી દઈએ તો તેને જતો જોઈને કોઈના આંખે આંસુના તોરણ બંધાતા જોયાં છે? કબાટની તે કોઈ માયા હોય? મને અને મારી માને એ અનુભવ તાજેતરમાં થયો.
વાત કંઈક આવી છે.
1948માં મારા માતા-પિતાના લગ્ન થયાં ત્યારથી પુસ્તકો અને સામયિકોની ખરીદી કદાચ કરિયાણાની ખરીદી જેટલી જ નિયમિતતાથી થતી હતી.
1950માં સ્વ, મહેન્દ્રભાઈ મેઘાણીએ ‘મિલાપ’ માસિકનું પ્રકાશન શરૂ કર્યું. તેના પહેલા અંકથી એનો અમારા ઘરમાં એક સભ્ય તરીકે ઉમેરો થયો. 1953માં યજ્ઞ પ્રકાશન દ્વારા ‘ભૂમિપુત્ર’ પાક્ષિક શરૂ થયું તો એને કેમ છોડી દેવાય? તે ઉપરાંત ‘લોકજીવન’, ‘અખંડ આનંદ’, ‘ઊર્મિ નવરચના’, ‘કુમાર’ અને ‘ધર્મયુગ’ પણ સમાન હક્થી નાનકડા કબાટમાં સ્થાન મેળવવા લાગ્યાં.
ઊગતા વાચક તરીકે મારો પ્રવેશ થયો એટલે ‘ગાંડીવ’, બકોર પટેલની બાળવાર્તાઓ, ‘બાલમિત્ર’ વગેરે આવ્યાં. ત્યાર બાદ તો પુસ્તકોનો ધોધમાર વરસાદ થવા લાગ્યો. કપડાંને ધક્કા મારીને પણ રહે, એક વાર ઘરમાં આવે તો જાય શાના?
છેવટ 1962માં લગભગ સાત ફૂટ ઊંચો અને ચારેક ફૂટ પહોળો એવો એક મો….. ટો લાકડાનો કબાટ ખરીદ્યો. બસ, પછી તો પૂછવું જ શું? ગિજુભાઈની બાળવાર્તાઓ, ઇંગ્લિશ અને હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર થયેલી કહાનીઓ, (મારા પિતાજીનાં અનુવાદિત પુસ્તકો અને મારા નાનાજીનાં લખેલ પુસ્તકો પણ ખરાં), દર્શક સાહિત્ય, ફાધર વાલેસનાં પુસ્તકો, રામકૃષ્ણ મિશનનાં પ્રકાશનો, અઢળક ગાંધી સાહિત્ય, લોક મિલાપનાં સાહિત્ય સંપુટ વગેરે પુસ્તકો વિના સંકોચે ખરીદાતાં ગયાં. રવિવારે બપોરે અને શાળાની રજાઓમાં મિત્રો સાથે રમી, જમીને રાત પડ્યે ઘરના મિત્રો સાથે મગજને ખોરાક પૂરો પાડવાનું ઉત્તમ સાધન.
જેમ ભાવતું ભોજન એકલા આરોગીએ તો ગાલપચોળિયા થાય તેમ ગમતાનો ગુલાલ ન કરીએ તો દિમાગમાં દુખાવો ન થાય? એટલે એક તો એ બધાં પુસ્તકોની ભાષાવાર, વિષયવાર ગોઠવણી કરી તેની યાદી મોટા ચોપડામાં કરી. વળી એ બધાને કદ પ્રમાણે ગોઠવવા એવો પણ આગ્રહ ખરો. પછી ખરી મજા શરૂ થાય. પાડોશી, મિત્રો, સગાં-સંબંધીઓને પ્રેમથી એ પુસ્તકો વાંચવા અપાય, તેમાં આપ્યા તારીખ અને પરત કર્યા તારીખ લખાય અને અમુક વખત યાદ આપ્યા બાદ ન આવે તો ગુમ થયા તારીખ પણ નોંધાય! હવે, મને જો ત્યારે કોઈ પુસ્તકાલયમાં નોકરી મળી હોત તો અસ્સલ કામ કરી બતાવત.
દાયકાઓ પસાર થયા .. સંતાનો મોટા થયા, ભણી, પરણીને માળો છોડી ગયા. મારે વિદેશ વસવાનું થયું. ધીરે ધીરે તેમાંના ન વંચાયેલાં અને નવાં ખરીદેલા પુસ્તકોને યુ.કે.ના ઘરમાં વસાવ્યાં. હવે એ કબાટ જર્જરિત થવા લાગ્યો. તેની અંદર વાંચી લીધેલાં પુસ્તકો બાકી રહ્યાં. એ બધાં પુસ્તકોની વિષયવાર છટણી કરી અને રસ ધરાવતી વ્યક્તિઓ, શાળાનાં પુસ્તકાલયો અને સંસ્થાઓને સપ્રેમ ભેટ ધરી દીધાં. હવે એ કબાટ બુદ્ધિ અને મનથી સ્વસ્થ અને અણનમ પણ સાથી સંગાથીઓ વિના એકલતા અનુભવતા વયસ્ક જેવો લાગવા માંડ્યો. એ વિષાદથી ગ્રસ્ત થઈને (ઊધઈના મારાથી ખવાઈ જઈને) ભાંગી પડે તે પહેલાં એક છાત્રાલય સાથે ચાલતી ગ્રામશાળાને આપી દીધો. કબાટ ગયો.
અરે, પણ અમ મા-દીકરી જાણે દીકરીને સાસરે વળાવ્યા જેમ કાં રડી પડ્યાં એ તો ન કહ્યું. બાળવાર્તાઓ અને બાળગીતોથી માંડીને ઉચ્ચ સાહિત્ય અને ઉત્તમ વિચારધારાઓનું ભાથું એ કબાટમાંનાં પુસ્તકોમાંથી મળ્યું. પરિણામ? અમારા માતા-પિતા અને અમારા જ નહીં, પણ કૈંક અંશે અહીં વસતાં અમારાં સંતાનો અને તેમનાં ય સંતાનોનાં વિચારો, મૂલ્ય ઘડતર, દૃષ્ટિકોણ અને જીવન પદ્ધતિ પર ચિરંજીવી અસર પડી. એટલે જ એ માત્ર એક લાકડાનો બનેલો કબાટ નહોતો, એ વિચારો અને સંસ્કારોનું અમી પાનારો અમૃત ઘાટ હતો, જેની સ્મૃતિએ અમને ભીંજવી દીધા.
e.mail : 71abuch@gmail.com