એકવીસમી સદીના કવિ,
તારા શબ્દોથી
કશું હલતું નથી મારી અંદર
ને બહાર પણ
નહીં તો તું
‘વરસાદ’ લખે
ને ઘેરબેઠાં બારીબહારના વરસાદને જોઈને
પલળી ન જવાત ?
તારા શબ્દોમાં નથી કોઈ જોશ
નહીં તો તું
‘વિદ્રોહ’ લખે
ને બાલ્કનીમાં બેઠાં-બેઠાં મોરચાઓ જોઈને
રસ્તા પર ઊતરી ન પડાત ?
તારા શબ્દોમાં નથી મળતી કોઈ હૂંફ
નહીં તો તું
‘પ્રેમ’ લખે
ને ઠંડાગાર માણસો વચ્ચે ઊઠતાં-બેસતાં
હિમદંશથી મરી ન જવાત ?
તારા શબ્દોમાં નથી કોઈ ધાર
નહીં તો તું
‘બળાત્કાર’ લખે
ને શ્રદ્ધાસ્થાનોની કાળજી લેતાં-લેતાં
પેલા બળાત્કારીને વાઢી ન નાખત ?
તારા શબ્દોમાં નથી મળતું કોઈ જ્ઞાન
નહીં તો તું
‘સામાજિક ભેદભાવ’ લખે
ને મીમાંસાઓનાં થોથાં ઉથલાવતાં અમે
કોઈ દલિત ખેલાડીની હારની ઉજવણી કરતાં હોત?
તારા શબ્દમાં નથી કોઈ ડહાપણ
નહીં તો તું
‘માનવતા’ લખે
ને હજારો સદીઓથી જીવતી
ઉમ્મરવાન માણસજાતે
જાતિ-જાતિ રમવાનું બંધ ન કર્યું હોત? ..
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 16