રાજમોહન ગાંધીનો જવાહરલાલ નેહરુ વિશે ફેલાવાતા જૂઠા સમાચારો બાબતે અફસોસ
‘ખુશવંત સિંહ સાહિત્ય ઉત્સવ’માં મહુવા મોઇત્રા સાથે પોતાના છેલ્લા પુસ્તક ‘1947 પછીનું ભારત : ચિંતન અને સ્મૃતિઓ’ વિશે ચર્ચા કરતી વખતે ઇતિહાસવિદ્ રાજમોહન ગાંધીનો કંઠ લાગણીથી અવરુદ્ધ બની ગયો હતો.
પ્રશ્ન : તમને સૌથી દુ:ખદ વસ્તુ શું લાગે છે?
ઉત્તર : ઉચ્ચ સ્થાનેથી અત્યાચારો વિશે સેવવામાં આવતું મૌન.
પ્રશ્ન : આવું કોણે જણાવ્યું?
ઉત્તર : એ જ વ્યક્તિએ, જેનો કંઠ વર્તમાન ભારતમાં જવાહરલાલ નેહરુને નફરતનું નિશાન બનાવવાની નવી પ્રણાલિકા વિશે વાત કરતા રુંધાઇ ગયો હતો.
પ્રશ્ન : ભારતીયો હજી નેહરુ પ્રત્યે આટલી ઊંડી લાગણી ધરાવે છે?
ઉત્તર : હા. કમ સે કમ એક ભારતીયને તો એવી લાગણી છે જ. અને શક્ય છે કે હિમાલયને પણ એવી લાગણી થતી હોય.
***
નેહરુ વિશે ફેલાવાઈ રહેલા વિષાક્ત જૂઠાણાં અને ભારતીય સમાજના એક મોટા હિસ્સા દ્વારા એના સત્ય તરીકે સ્વીકાર વિશે એક સાહિત્ય ઉત્સવમાં બોલતી વખતે ઇતિહાસકાર રાજમોહન ગાંધી લાગણીવશ થઈ ગયા હતા.
મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી હાલ અર્બાના-શેમ્પેઇન, યુ.એસ. ખાતેના ઈલિનોઈ વિશ્વવિદ્યાલયમાં સંશોધન પ્રાધ્યાપક છે. કસૌલી(હિમાચલ પ્રદેશ)માં યોજાતા ખુશવંત સિંહ સાહિત્ય ઉત્સવમાં તેઓ પોતાના નવા પુસ્તક ‘1947 પછીનું ભારત : ચિંતન અને સ્મૃતિઓ’ વિશે તૃણમૂલ કાઁગ્રેસનાં લોકસભા સદસ્ય મહુઆ મોઈત્રા સાથે ચર્ચા કરી રહ્યા હતા.
નેહરુ વિશે પૃચ્છાના જવાબમાં એમણે કહ્યું હતું કે “જે રીતે અમેરિકામાં રહેતા શ્વેતવર્ણીઓનો મોટો ભાગ એવું માનવા લાગ્યો છે કે બરાક ઓબામાનો જન્મ અમેરિકામાં નહોતો થયો, એ જ રીતે ભારતમાં અત્યારે કરોડો ભારતીયો એવું માનવા લાગ્યા છે કે જવાહરલાલ નેહરુના પિતા મોતીલાલ નેહરુ મુસ્લિમ હતા. છેલ્લાં કેટલાં ય વર્ષોથી આ જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.
“જો મોતીલાલ નેહરુ કે એમના કોઇ પૂર્વજ મુસ્લિમ હોત – જે તદ્દન ખોટી વાત છે – તો પણ, એ કોઈ ગુનો કે ગેરલાયકાત તો નથી જ. પૂર્વજોનાં કૃત્યના કારણે કોઇ પણ વ્યક્તિ પર આરોપ મૂકવો, સજા આપવી કે હત્યા કરવી યોગ્ય નથી.”
87 વર્ષની વયના વિદ્વાને આગળ ઉમેર્યું: “નેહરુએ જેલમાં ચૌદ વર્ષ ગાળ્યા, અને જેલની બહાર આવ્યા ત્યાં તરત એમનાં પત્નીનું અવસાન થયું. એમ છતાં, એક સારા, મહાન અને ઓજસ્વી વ્યક્તિ વિશે કેટલી સાવ જૂઠી વાતો ફેલાવાઇ છે! નેહરુની નીતિઓની તમે ટીકા કરી શકો, પણ આવાં નરાતાળ જૂઠાણાં ફેલાવવાનો હક્ક તમને કોણે આપ્યો છે?”
લાગણીથી કંઠ રુંધાઇ જવાના કારણે રાજમોહન કેટલોક સમય બોલી ન શક્યા. પછી એમણે શ્રોતાજનો સામે – જેમાં કાઁગ્રસના એક સમયના મંત્રી મણિશંકર ઐયર પણ શામેલ હતા – અંગુલિનિર્દેશ કર્યો અને કહ્યું : “હા, આ બાબતે હું ભાવુક થઈ જાઉં છું. અને હિમાલયને જોઈને મારી આ લાગણી વધારે તીવ્ર બને છે. જવાહરલાલ નેહરુ હિમાલયને ચાહતા હતા. હિમાલય આ જૂઠાણાંનો વિરોધ કરશે, ખુદ પૃથ્વી પણ વિરોધ કરશે. એમની નીતિઓની જેટલી આકરી ટીકા કરવી હોય એ કરવાની તમને સ્વતંત્રતા છે; પણ એક ઉમદા અને સારા માનવ વિશે ગંદા જૂઠાણાં બોલવાની નીચતા તો ન બતાવો.”
મહાત્મા ગાંધી વિશે રાજમોહને કહ્યું : “ગાંધી અને ભારતના બીજા કેટલા ય લોકો બાબતે આશ્ચર્યજનક વાત છે કે એમના સમયના તમામ પ્રશ્નો હલ ન કરવા માટે તો ઠીક, પણ વર્તમાન સમયના પ્રશ્નો હલ ના કરવા માટે પણ એમનો દોષ કાઢવામાં આવે છે. આ તો બહુ વધારે પડતું કહેવાય. ગમે તેમ તો ય, એ માનવી હતા. કેટલાક પ્રશ્નો આપણે પણ હલ કરવાના રહે …
“માની લો, કે એમણે હજાર – અરે, દસ હજાર ભૂલ કરી. ગાંધી, નહેરુ અને પટેલ – માની લો કે એમણે લાખો ભૂલ કરી. પણ એ લોકો જેમાં વિશ્વાસ રાખતા હતા એ આદર્શોનું શું?”
એમણે આગળ ઉમેર્યું : “ગાંધીની નિંદા કરો, તો એ તો સલામત છે. એમને કશું નુકસાન થવાનું નથી. પણ જો તમે સમાનતા, મૈત્રી, પારસ્પરિક આદર, શ્રદ્ધા કે ગૌરવને નુકસાન પહોંચાડશો, તો હું તમારો શત્રુ છું.”
સ્વાતંત્ર્ય પછીના કાળમાં ભારતીય પ્રજાનાં મૂલ્યોમાં આવેલા પરિવર્તન વિશે અફસોસ કરતાં રાજમોહન ગાંધીએ જણાવ્યું : “ભારતના મોટા ભાગના લોકોએ નિશ્ચય કર્યો હતો કે ભાગલા સમયના અત્યાચારો છતાં, ભારત સર્વનો દેશ બનશે. અત્યારે તમે જાણો જ છો કે શું થઈ રહ્યું છે. અનેક દુ:ખદ ઘટના થઈ રહી છે; યંત્રણાજનક બનાવો બની રહ્યા છે. અને સૌથી દુ:ખદ ઘટના શું છે એ જાણો છો? આ અત્યાચારો વિશે ઉચ્ચ સ્થાનેથી સેવવામાં આવતું મૌન.”
એમણે ઉમેર્યું : “મૌન એક ઉમદા સદ્ગુણ છે … પણ તમે એક રાષ્ટ્રના નેતા હો અથવા અસરકારક મંચ ધરાવતા વ્યક્તિ હો; લોકો તમને સાંભળતા હોય, તમને માન આપતા હોય અને તમારા અનુસરણમાં પોતાના વિચારો ઘડતા હોય ત્યારે, કંઇક ક્રૂર કે નિર્મમ ઘટના બને ત્યારે તમારે કંઈક બોલવું જ રહ્યું.”
વિપક્ષોની એકતાની સંભાવના વિશે તેમણે કહ્યું : “(અત્યારના ભારતના વિપક્ષોની) નીતિ છે કે શત્રુઓને ભૂલી જવા અને સાથીઓનો નાશ કરવો. આનો હલ શોધવો પડશે.
“આ માટે જરૂરી છે હૃદયની ઉદારતા, ધૈર્ય, બધી દિશામાં સંપર્ક કરીને સૌને સાથે લાવવાવાળી વ્યક્તિઓ. કદાચ જરૂરી છે કે કોઇ અગત્યની ભૂમિકાવાળી વ્યક્તિના પતિ કે પત્ની એને ભારપૂર્વક કહે કે “બંધ કરો આ બધી મૂર્ખતા! એને બદલે કંઇક રચનાત્મક કામ કરો.”
રાજમોહન ગાંધી 1989માં અમેઠી બેઠક પરથી રાજીવ ગાંધી સામે જનતા દળના ઉમેદવાર તરીકે, અને 2014માં પૂર્વ દિલ્હીની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં તેઓ અસફળ રહ્યા હતા.
એ પછીથી તેઓ પક્ષમાં સક્રિય રહ્યા નથી, પણ 2019માં પૂર્વ દિલ્હીની બેઠકના ‘આપ’ના ઉમેદવાર અતીશીને એમણે સમર્થન આપ્યું હતું. હિમાચલની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વાર બેઠક જીતવા માટે ‘આપ’ ઉત્સુક છે.
(તા. 18 ઑક્ટોબર 2022ના ‘ટેલિગ્રાફ’ અખબારમાંથી)
e.mail : nandita.muni@gmail.com
મૂળ અંગ્રેજી લખાણની લિંક :
https://www.telegraphindia.com/india/rajmohan-gandhi-rues-fake-news-about-jawaharlal-nehru/cid/1892660