સાધ્વીજી, આપ દેશને મુસલમાન મુક્ત કરવા માગો છો, તો બેશક કરો. અમે પોતે જ એ દેશમાં રહેવા નહીં ઇચ્છીએ કે જ્યાં આપના જેવા લોકો અમારી કોમને રોજ કટઘરામાં ઊભા કરતા હોય, અમારી દેશભક્તિ અને દેશપ્રેમ પર રોજ આંગળી ઉઠાવતા હોય, અમને પાકિસ્તાની અને આતંકવાદી કહેતા હોય; જાણે કે અમે દેશના નાગરિક નહીં પણ બોજો હોઈએ દેશ પર. પણ અમે એમને એમ નહીં જઈએ, સાધ્વીજી, અમે કઈં પણ છોડીને નહીં જઈએ.
અમે જઈશું તો એ બધું જ લઈને જઈશું, જે અમે પેઢી દર પેઢી આ દેશને આપ્યું છે. અમે તો ક્યારે ય યાદ પણ ન રાખ્યું કે અમે દેશને શું શું આપ્યું છે. ખરેખર તો આ દેશ અમારો પણ રહ્યો છે, અને અમારી આન, બાન અને શાન રહ્યો છે આ દેશ. વતનની ઈમાનદારી અમારે માટે ઈમાનનો અતૂટ હિસ્સો છે. પણ આપને તો યાદ પણ નહીં હોય કે અમે દેશને શું શું આપ્યું છે, અને યાદ હોય તો આપને એ સ્વીકારતાં શરમ આવતી હશે. પણ દેશ જાણે છે અને કહે પણ છે, અમે શું આપ્યું છે દેશને. અમે જાણીએ છીએ કે આ દેશની માટીમાં અમારી કેટલી ય પેઢીઓ દફનાવાઇ છે, આ માટીએ અમને જીવન આપ્યું છે, આ માટીએ અમને જીવતાં શીખવાડ્યું છે, આ માટીમાં ઊભેલાં અમારાં પ્રાર્થનાસ્થળોમાં અમે દેશની પ્રગતિ માટે દુવાઓ માગી છે, આ માટીમાં અમે અમારા બાળપણની ધીંગામસ્તી જોઈ છે. અમારી જુવાનીનાં સ્વપ્નાંઓને પાંખો આપી છે આ માટીએ, આ માટીમાં અમારા બુઢાપાનો સહારો ટકેલો છે અને આ માટીની બે ગજ જમીનમાં અમારે દફન થવાનું છે.
આ દેશ માત્ર આપનો નથી, અને અમને કઈં આપનાથી ઓછો પ્રેમ નથી આ દેશ માટે. પણ અમે ચાલ્યા જઈશું, દેશને મુસલમાન મુક્ત કરી દઈશું. પણ અમને થોડા રોકાઈને જરા હિસાબ તો કરી લેવા દો. અમને અમારી ચીજો સમેટી લેવા દો. પછી અમે જતા રહીશું, આપને ખાતર, મુસલમાન મુક્ત ભારત માટે.
અમે અમારી સાથે લઇ જઇશું, સાધ્વીજી, મોહેં-જો-દડો અને હડપ્પાના ઉન્નત સાંસ્કૃિતક વારસાથી લઈને અમીર ખુસરોની રુબાઈઓ. અમે લઈને જશું અમારી સાથે તાજમહેલ, કુતુબમિનાર, લાલ કિલ્લો અને એવા સ્થાપત્યના હજારો બેજોડ નમૂનાઓ. અમે લઇ જઈશું અલબેરુનીનો ઇતિહાસ, જાયસીનું પદ્માવત, મિયાં તાનસેનની રાગદારી, મિર્ઝા ગાલિબની શાયરીઓ, બિસ્મિલ્લાહ ખાનની શાહનાઈની ધૂનો અને ઝાકીર હુસેનના તબલાની થાપીઓ. અમે ન ગઝલ છોડશું, ન કવ્વાલી, આ મુજરો પણ છોડીશું. અમે અજમેર શરીફ પણ લઇ જઈશું, નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પણ લઇ જશું. અરે, ધીરજ રાખો, સાધ્વીજી, હજી તો લિસ્ટ લાંબું છે.
અમે અશફાક ઉલ્લાહની શહાદત કેવી રીતે છોડી શકીએ? ઇકબાલની ધૂનને તો હવે અમે અડવા પણ નહીં દઈએ, અબ્દુલ હમીદની કુરબાનીને યાદ કરવાનો હક્ક પણ અમે છીનવી લઈશું. અમે ગંગા કિનારાના બધા ગાલિચાના વણકરોને અમારી સાથે લઇ જશું અને તમારા ઘરોમાંથી પણ તેમણે બનાવેલ ગાલીચા ઉઠાવીને લઇ જશું. અલીગઢના તાળા તો હવે તમારા ઘરની રક્ષા નહીં જ કરે. અમે તાજિયાના સરઘસને ઉપાડીને અમારી સાથે લઇ જશું. અમે મહાભારતમાંથી માસૂમ રઝાના લખેલા સંવાદો પણ કાઢી લઈશું. અમે શાહરુખ, સલમાન અને આમીરખાનને સાથે લઇ જશું. અમે પાછી લઇ લેશું અમારી બિરિયાની, અમારા કબાબ, અમારી સેવૈયાં. અમારી શેરવાનીને પણ અમે અહીં નહીં છોડીએ, અમારા કુર્તા-પાયજામા અને મહિલાઓના સલવાર-કુર્તા પણ પાછા લઇ જશું. અમે કંઈ જ નહીં છોડીએ. સાધ્વીજી.
અમને પાછું જોઈએ છે એ બધું પાણી જે વજૂ કરતી વખતે અમારી કોમે ગંગા-જમુના સંસ્કૃિતને સમૃદ્ધ કરતાં વહાવ્યું છે. અમને પાછો જોઈએ અમારા બાળકોનો એ સમય જે એમણે રામલીલા જોઈને વિતાવ્યો છે. અમને પાછો આપો એ પ્રેમ અને દુવાઓ જે અમે પ્રભાતની અજાનથી લઈને તે પાંચ વખતની નમાજમાં આ દેશને માટે આપ્યા છે અને માગ્યા છે. અમને પાછો આપો અમારી કોમના લોકોનો એ અભિનય જે તેઓ રામલીલામાં સદીઓથી આજપર્યંત કરતા આવ્યા છે.
બહુ લાંબુ લિસ્ટ છે, સાધ્વીજી।
આ તો માત્ર નમૂના છે. આવો હિસાબ કરીએ. અમે પણ જોઈએ કે આ દેશમાંથી અમારી ચીજોને કાઢીને અમને પાછી આપી દેવાની હેસિયત તમારામાં આવી જાય તે દિવસે અમને કાઢી મુકજો. વિશ્વાસ રાખજો, અમે દેશ છોડી દઈશું. અમે જાણીએ છીએ કે એ આપની હેસિયત કે ઔકાતમાં ક્યારે ય નહોતું, આજે પણ નથી અને ક્યારે ય આવશે પણ નહીં.
આ અમારું વહાલું વતન છે, અને અમે વતનના છીએ. અમે મુસલમાન છીએ. વતન પ્રત્યેની વફાદારીમાં જે દિવસે અમે નીચા પડીશું, ત્યારે અમારા ઇમાનમાંથી પણ હટેલા હોઈશું. એટલે અમને દેશભક્તિ તો ન જ શીખવાડો.
— એક ભારતીય મુસલમાન
(સાધ્વી પ્રજ્ઞાના નિવેદન ઉપરથી લખાયેલ લેખ)
(રાજકોટથી પ્રકાશિત થતા ‘સર્વોદય સમાજ’માં ‘સદભાવના સાધના’માંથી લીધેલ આ લેખ સાભાર પ્રસ્તુત)
સ્નેહી સાહિત્યસર્જકો અને સાહિત્યપ્રેમીઓ,
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની ચૂંટણી હવે નજીકના દિવસોમાં આવી રહી છે. અત્યાર સુધીના પ્રમુખોની નામાવલિમાંથી પસાર થનાર કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવશે કે પ્રમુખોએ પરિષદનાં ગૌરવ અને પ્રતિષ્ઠા જાળવવાનો, તેને સંવર્ધવાનો પુરુષાર્થ કર્યો છે.
એ તો સૌ કબૂલ કરશે કે સાંપ્રતકાળમાં મૂલ્યોની કટોકટી એકેએક ક્ષેત્રમાં ઊભી થઈ છે. આ કટોકટી સામે ઝઝૂમી શકાય એ માટે આપણે બધાએ શક્ય તેટલા પ્રયત્નો કરવા જોઈએ. આપણી સાહિત્યિક સંસ્થાઓએ પણ આ દિશામાં નક્કર પગલાં ભરવાં જોઈએ. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા બીજાં કશાં બાહ્ય પરિબળોથી ઘેરાયા વિના સ્વતંત્ર રીતે કાર્ય કરતી રહે, એ વધુ મહત્ત્વનું છે. આપણે આશા રાખીએ કે આપણા સૌના સહકારથી સાહિત્યિક સમાજને નિરામય બનાવી શકીશું.
પરિષદપ્રમુખની આ વખતની ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોમાં સિતાંશુ યશશ્ચંદ્રની સર્જકતા અને સજ્જતા સવિશેષ નોંધપાત્ર છે. એકીઅવાજે ગુજરાતી ભાષાના એક સર્જક તરીકે આપણે સૌ એમને સ્વીકાર્યા છે. સિતાંશુ યશશ્ચંદ્રની કવિ, વિવેચક તરીકેની ખ્યાતિ ભારતીય કક્ષાએ તેમ જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસરેલી છે, એ આપણે માટે ગૌરવની ઘટના છે. સાહિત્યિક સંસ્થાઓમાં આવા એક ઉત્તમ સર્જક પ્રમુખ તરીકે હોય, તો તે ઘટના અત્યંત આવકારદાયક છે. આપણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે એમને વધાવી લઈશું એવી આશા છે, શ્રદ્ધા છે. તેઓ ફાર્બસ સભા, દિલ્હીસ્થિત સાહિત્ય અકાદમી, બળવંત પારેખ સેન્ટર, સ્પાસ્ટિક સોસાયટી વગેરે સંસ્થાઓના સંચાલનમાં મહત્ત્વની કામગીરી બજાવે છે, એ પણ આપણે નજર સમક્ષ રાખવુું જોઈએ.
સાહિત્ય અને સાહિત્યિક પ્રવૃત્તિઓ વિશેષ ઊજળી અને ઉત્કૃષ્ટ બને એ માટે આપ સિતાંશુ યશશ્ચંદ્રને મત આપો એ સર્વથા યોગ્ય હશે.
લિખિતંગ અમે સૌ
ગુલામમોહમ્મદ શેખ, શિરીષ પંચાલ, રમણ સોની, જયદેવ શુક્લ, હિમાંશી શેલત, મધુ રાય હરિકૃષ્ણ પાઠક, રમણીક સોમેશ્વર, પ્રકાશ ન. શાહ, હર્ષદ ત્રિવેદી, બિંદુ ભટ્ટ, નરોત્તમ પલાણ, લાભશંકર પુરોહિત, માય ડિયર જયુ, દિલીપ ઝવેરી, જિતેન્દ્ર શાહ, કાંતિ પટેલ, સતીશ વ્યાસ, ડંકેશ ઓઝા, મણિભાઈ પ્રજાપતિ, પ્રબોધ પરીખ, કમલ વોરા, કાનજી પટેલ, દલપત પઢિયાર, નૌશિલ મહેતા, ઉદયન ઠક્કર, હેમંત ધોરડાં, હેમંત શાહ, ચંદુ મહેરિયા, નીરવ પટેલ, મનીષી જાની, દલપત ચૌહાણ, કિરીટ દૂધાત, બિપીન પટેલ, પરેશ નાયક, યોગેશ જોશી પ્રવીણ પંડ્યા, બારીન મહેતા, મહેન્દ્રસિંહ પરમાર, રાજેશ પંડ્યા, મહેશ ચંપકલાલ, શરીફા વીજળીવાળા, બકુલ ટેલર, મીનળ દવે, પુરુરાજ જોશી, સમીર ભટ્ટ, હસિત મહેતા, કિશોર વ્યાસ, વસંદ જોશી, હેમંત દવે, અજય રાવલ, મનીષા દવે, મૂકેશ વૈદ્ય, સેજલ શાહ, કેતન શેલત, આશા વીરેન્દ્ર, બકુલા ઘાસવાલા, ભીમજી ખાચરિયા, અભિજિત વ્યાસ, કાન્તિ માલસત્તર, આનંદ વસાવા, અશોક ચાવડા, યજ્ઞેશ દવે, ચીમનભાઈ પટેલ, પન્ના નાયક, નટવર ગાંધી, મધુસૂદન કાપડિયા, સૂચિ વ્યાસ, મહેન્દ્ર મહેતા, વિજય ભટ્ટ, ગિરીશ વ્યાસ, સુષમા દોશી, વિજય દોશી, નયના ડેલીવાલા, મુદિતા મહેતા, અખ્તરખાન પઠાણ, નિખિલ મોરી, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, વિપુલ કલ્યાણી, ભદ્રા વડગામા, અનિલ વ્યાસ, અદમ ટંકારવી, અતુલ રાવલ.
*
કવિ સિતાંશુ યશશ્ચંદ્ર : સાહિત્યિક અને વિદ્યાકીય સિદ્ધિઓ
સિતાંશુ યશશ્ચંદ્ર એટલે ગુજરાતી ભાષાના એક ઉત્તમ સર્જક અને મીમાંસક. કવિ, નાટ્યકાર, અનુવાદક, સંપાદક તરીકેની એમની ઉજ્જ્વળ કારકિર્દી રહી છે. વિદ્યા અને સાહિત્યનાં ક્ષેત્રોમાં પચાસેક વર્ષથી એ સતત સક્રિય અને પ્રેરક રહ્યા છે.
અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી ભારતીય અને પાશ્ચાત્ય મીમાંસાના તુલનાત્મક સંશોધનમાં પદવી પ્રાપ્ત કરી મુંબઈ યુનિવર્સિટીની કૉલેજોમાં ગુજરાતી અધ્યાપન કર્યું. તેમ જ સાહિત્ય અકાદમી(દિલ્હી)ના એક યશસ્વી પ્રકલ્પ ‘Encyclopedia of Indian Literature’ના સંપાદક (૧૯૭૮-૧૯૮૨) તરીકે મહત્ત્વની કામગીરી બજાવી અને પછી નિવૃત્તિપર્યંત, પચીસેક વર્ષ, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ રહ્યા. ને એ પછી પણ ‘યુ.જી.સી. અમેરિટ્સ પ્રોફેસર’ તરીકે વિદ્યાપ્રવૃત્ત રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કાર્યરત રહ્યા (૧૯૯૦-૧૯૯૩). ૨૦૦૬માં એમને સાહિત્ય અને વિદ્યાનાં ક્ષેત્રો માટે પદ્મશ્રી-સન્માન મળેલું. એ ઉપરાંત ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, દિલ્હી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાત અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાની સેનેટ-સિન્ડિકેટના સભ્ય તરીકે કાર્યરત રહ્યા છે.
ગુજરાતીના આ ઉત્તમ સાહિત્યકારની કીર્તિ ભારતીય સ્તરે તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસરેલી છે. એમનાં કાવ્યો અને નાટકોના અનુવાદો હિંદી, મરાઠી, બંગાળી વગેરે ભારતીય ભાષાઓમાં તેમ જ અંગ્રેજી, ફ્રૅન્ચ, જર્મન, રશિયન, કોરિયન આદિ વિદેશી ભાષાઓમાં થતા રહ્યા છે ને સામયિકો, સંચયો તેમ જ વેબસાઇટ પર પ્રકાશિત થતા રહ્યા છે. ભારતીય સર્જકોના પ્રતિનિધિ તરીકે ફ્રાન્સ, જર્મની, અમેરિકાની યુનિવર્સિટીઓમાં અવારનવાર એમને કાવ્ય-નાટક-વાચન માટે નિમંત્રણો મળતાં રહ્યાં છે.
એ ઉપરાંત, મુલાકાતી અધ્યાપક (Visiting professor) તરીકે તેઓ ભારતની જાદવપુર યુનિવર્સિટી કોલકાતા; ઇન્દિરા ગાંધી નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં તેમ જ વિદેશની Sorbonne Uni., Paris, L. M. University, L.A. U.S.A. તથા Uni. of Pernnsylvania, U.S.A. નિમંત્રણો પામ્યા છે.
સાહિત્ય ક્ષેત્રે બહુવિધ પ્રદાન બદલ એમને અનેકવિધ પારિતોષિકો, ઍવૉર્ડ અને સન્માનો સાંપડ્યાં છે. તે પૈકી કેટલાંક તે સાહિત્ય અકાદૅમી(દિલ્હી)નો ઍવૉર્ડ (‘જટાયુ’ માટે, ૧૯૮૭); કવિતામાં પ્રદાન માટે રાષ્ટ્રીય કબીર-સન્માન (૧૯૯૮); ઓરિસ્સાનું ગંગાધર મહેર સન્માન (નાટક અને કવિતા માટે); મહારાષ્ટ્રનો કવિ કુસુમાગ્રજ નૅશનલ ઍવોર્ડ (૨૦૧૩) તેમ જ પદ્મશ્રી સન્માન – સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન માટે (૨૦૦૬). ઉપરાંત ગુજરાતીનાં પ્રતિષ્ઠિત સન્માનો રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક તેમ જ બીજા અનેક ઍવૉર્ડ એમને મળ્યા છે.
છેલ્લાં પાંચ વર્ષ (૨૦૧૩-૧૭)થી સાહિત્ય અકાદૅમી (દિલ્હી)ની Executive Councilના સભ્ય અને ગુજરાતી સલાહકાર સમિતિના સંયોજક અધ્યક્ષની કામગીરી બજાવતા સિતાંશુ યશશ્ચંદ્ર વિદેશમાં પણ જાણીતા આપણા એક તેજસ્વી અને મેધાવી ભારતીય ગુજરાતી સર્જક-મીમાંસક છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2017; પૃ. 05-06