સાધ્વીજી, આપ દેશને મુસલમાન મુક્ત કરવા માગો છો, તો બેશક કરો. અમે પોતે જ એ દેશમાં રહેવા નહીં ઇચ્છીએ કે જ્યાં આપના જેવા લોકો અમારી કોમને રોજ કટઘરામાં ઊભા કરતા હોય, અમારી દેશભક્તિ અને દેશપ્રેમ પર રોજ આંગળી ઉઠાવતા હોય, અમને પાકિસ્તાની અને આતંકવાદી કહેતા હોય; જાણે કે અમે દેશના નાગરિક નહીં પણ બોજો હોઈએ દેશ પર. પણ અમે એમને એમ નહીં જઈએ, સાધ્વીજી, અમે કઈં પણ છોડીને નહીં જઈએ.
અમે જઈશું તો એ બધું જ લઈને જઈશું, જે અમે પેઢી દર પેઢી આ દેશને આપ્યું છે. અમે તો ક્યારે ય યાદ પણ ન રાખ્યું કે અમે દેશને શું શું આપ્યું છે. ખરેખર તો આ દેશ અમારો પણ રહ્યો છે, અને અમારી આન, બાન અને શાન રહ્યો છે આ દેશ. વતનની ઈમાનદારી અમારે માટે ઈમાનનો અતૂટ હિસ્સો છે. પણ આપને તો યાદ પણ નહીં હોય કે અમે દેશને શું શું આપ્યું છે, અને યાદ હોય તો આપને એ સ્વીકારતાં શરમ આવતી હશે. પણ દેશ જાણે છે અને કહે પણ છે, અમે શું આપ્યું છે દેશને. અમે જાણીએ છીએ કે આ દેશની માટીમાં અમારી કેટલી ય પેઢીઓ દફનાવાઇ છે, આ માટીએ અમને જીવન આપ્યું છે, આ માટીએ અમને જીવતાં શીખવાડ્યું છે, આ માટીમાં ઊભેલાં અમારાં પ્રાર્થનાસ્થળોમાં અમે દેશની પ્રગતિ માટે દુવાઓ માગી છે, આ માટીમાં અમે અમારા બાળપણની ધીંગામસ્તી જોઈ છે. અમારી જુવાનીનાં સ્વપ્નાંઓને પાંખો આપી છે આ માટીએ, આ માટીમાં અમારા બુઢાપાનો સહારો ટકેલો છે અને આ માટીની બે ગજ જમીનમાં અમારે દફન થવાનું છે.
આ દેશ માત્ર આપનો નથી, અને અમને કઈં આપનાથી ઓછો પ્રેમ નથી આ દેશ માટે. પણ અમે ચાલ્યા જઈશું, દેશને મુસલમાન મુક્ત કરી દઈશું. પણ અમને થોડા રોકાઈને જરા હિસાબ તો કરી લેવા દો. અમને અમારી ચીજો સમેટી લેવા દો. પછી અમે જતા રહીશું, આપને ખાતર, મુસલમાન મુક્ત ભારત માટે.
અમે અમારી સાથે લઇ જઇશું, સાધ્વીજી, મોહેં-જો-દડો અને હડપ્પાના ઉન્નત સાંસ્કૃિતક વારસાથી લઈને અમીર ખુસરોની રુબાઈઓ. અમે લઈને જશું અમારી સાથે તાજમહેલ, કુતુબમિનાર, લાલ કિલ્લો અને એવા સ્થાપત્યના હજારો બેજોડ નમૂનાઓ. અમે લઇ જઈશું અલબેરુનીનો ઇતિહાસ, જાયસીનું પદ્માવત, મિયાં તાનસેનની રાગદારી, મિર્ઝા ગાલિબની શાયરીઓ, બિસ્મિલ્લાહ ખાનની શાહનાઈની ધૂનો અને ઝાકીર હુસેનના તબલાની થાપીઓ. અમે ન ગઝલ છોડશું, ન કવ્વાલી, આ મુજરો પણ છોડીશું. અમે અજમેર શરીફ પણ લઇ જઈશું, નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પણ લઇ જશું. અરે, ધીરજ રાખો, સાધ્વીજી, હજી તો લિસ્ટ લાંબું છે.
અમે અશફાક ઉલ્લાહની શહાદત કેવી રીતે છોડી શકીએ? ઇકબાલની ધૂનને તો હવે અમે અડવા પણ નહીં દઈએ, અબ્દુલ હમીદની કુરબાનીને યાદ કરવાનો હક્ક પણ અમે છીનવી લઈશું. અમે ગંગા કિનારાના બધા ગાલિચાના વણકરોને અમારી સાથે લઇ જશું અને તમારા ઘરોમાંથી પણ તેમણે બનાવેલ ગાલીચા ઉઠાવીને લઇ જશું. અલીગઢના તાળા તો હવે તમારા ઘરની રક્ષા નહીં જ કરે. અમે તાજિયાના સરઘસને ઉપાડીને અમારી સાથે લઇ જશું. અમે મહાભારતમાંથી માસૂમ રઝાના લખેલા સંવાદો પણ કાઢી લઈશું. અમે શાહરુખ, સલમાન અને આમીરખાનને સાથે લઇ જશું. અમે પાછી લઇ લેશું અમારી બિરિયાની, અમારા કબાબ, અમારી સેવૈયાં. અમારી શેરવાનીને પણ અમે અહીં નહીં છોડીએ, અમારા કુર્તા-પાયજામા અને મહિલાઓના સલવાર-કુર્તા પણ પાછા લઇ જશું. અમે કંઈ જ નહીં છોડીએ. સાધ્વીજી.
અમને પાછું જોઈએ છે એ બધું પાણી જે વજૂ કરતી વખતે અમારી કોમે ગંગા-જમુના સંસ્કૃિતને સમૃદ્ધ કરતાં વહાવ્યું છે. અમને પાછો જોઈએ અમારા બાળકોનો એ સમય જે એમણે રામલીલા જોઈને વિતાવ્યો છે. અમને પાછો આપો એ પ્રેમ અને દુવાઓ જે અમે પ્રભાતની અજાનથી લઈને તે પાંચ વખતની નમાજમાં આ દેશને માટે આપ્યા છે અને માગ્યા છે. અમને પાછો આપો અમારી કોમના લોકોનો એ અભિનય જે તેઓ રામલીલામાં સદીઓથી આજપર્યંત કરતા આવ્યા છે.
બહુ લાંબુ લિસ્ટ છે, સાધ્વીજી।
આ તો માત્ર નમૂના છે. આવો હિસાબ કરીએ. અમે પણ જોઈએ કે આ દેશમાંથી અમારી ચીજોને કાઢીને અમને પાછી આપી દેવાની હેસિયત તમારામાં આવી જાય તે દિવસે અમને કાઢી મુકજો. વિશ્વાસ રાખજો, અમે દેશ છોડી દઈશું. અમે જાણીએ છીએ કે એ આપની હેસિયત કે ઔકાતમાં ક્યારે ય નહોતું, આજે પણ નથી અને ક્યારે ય આવશે પણ નહીં.
આ અમારું વહાલું વતન છે, અને અમે વતનના છીએ. અમે મુસલમાન છીએ. વતન પ્રત્યેની વફાદારીમાં જે દિવસે અમે નીચા પડીશું, ત્યારે અમારા ઇમાનમાંથી પણ હટેલા હોઈશું. એટલે અમને દેશભક્તિ તો ન જ શીખવાડો.
— એક ભારતીય મુસલમાન
(સાધ્વી પ્રજ્ઞાના નિવેદન ઉપરથી લખાયેલ લેખ)
(રાજકોટથી પ્રકાશિત થતા ‘સર્વોદય સમાજ’માં ‘સદભાવના સાધના’માંથી લીધેલ આ લેખ સાભાર પ્રસ્તુત)