આંખ ચાળે છે
યાદને
અને ખરે છે
આંસુઓ …
આભ
ચાળે છે પાણીને
અને જળકણો વેરાય છે
ધરતી પર
તે
નીચે બેઠી બેઠી
વેરાયેલું જળ ચાળે છે
અને કસ્તર ઉછાળી મૂકે છે
તે
ઘાસ થઈને ફૂટે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()
આંખ ચાળે છે
યાદને
અને ખરે છે
આંસુઓ …
આભ
ચાળે છે પાણીને
અને જળકણો વેરાય છે
ધરતી પર
તે
નીચે બેઠી બેઠી
વેરાયેલું જળ ચાળે છે
અને કસ્તર ઉછાળી મૂકે છે
તે
ઘાસ થઈને ફૂટે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()
આમ કોઈનાં નામ દેવાં જેવાં નથી એટલે મંત્રી – એટલું કહેવું જ પૂરતું છે ને જ્યારે બધા જ સરખા હોય ત્યારે કોઈનું નામ ન દઈએ તો ચાલે. હા, કોઈ વિશિષ્ટ કૈં કરે તો નામ દેવાનું ઠીક પણ લાગે. બધા જ સરખા હોય ત્યાં નામ પણ શું દેવાના? મધ્ય પ્રદેશના એક મંત્રીએ પેટ્રોલના ભાવ વધારા સંદર્ભે કહ્યું કે જીવનમાં સમસ્યા ન હોય તો સુખનો ખ્યાલ જ નહીં આવે. દુ:ખ વિના આનંદનો અનુભવ જ નહીં થાય. દુ:ખ આપણને સુખનું મહત્ત્વ સમજાવે છે. કોઈ સંતની વાણી હોય એવી વાત મંત્રીએ કરી છે. મંત્રીએ કેન્દ્ર સરકાર ભાવ વધારાને મામલે નિષ્ફળ ગઈ છે એવું પૂછાતાં કહ્યું કે આ માત્ર તમારા જેવા કેટલાકનું જ માનવું છે, તેઓ જ આવી અફવા ફેલાવે છે.
એમ લાગે છે કે આ દેશ સલાહો, ઉપદેશો, જાહેરાતોથી ખદખદે છે. ખૂબી એ છે કે જે આવે છે તે આપણું ભલું કરવા આવે છે ને પોતાનું ભલું કરીને આગળ નીકળી જાય છે ને આપણે હતા ત્યાંથી વધુ પાછળ જઈ પહોંચીએ છીએ. મધ્ય પ્રદેશના મંત્રીએ દુ:ખ વગર સુખનું મહત્ત્વ નહીં સમજાય એવો ઉપદેશ આપ્યો, પણ તે પ્રજા માટે છે, પોતાને માટે નથી. મંત્રી એટલું તો સમજે છે કે પેટ્રોલનો ભાવ વધારો દુ:ખદાયક તો છે જ, પણ પ્રજાએ તે કોઠે પાડી લેવા જેવો છે. જેમ કોરોના કોઠે પડી ગયો છે, એમ જ પેટ્રોલનો ભાવ પણ કોઠે પડી જશે. પેટ્રોલનો ભાવ વધારો સમસ્યા તો છે જ, પણ સમસ્યા છે તેથી સુખનો ખ્યાલ આવે છે એવું મંત્રીનું કહેવું છે. દુ:ખ નહીં હોય તો આનંદની કિંમત નહીં સમજાય ને આનંદની કિંમત સમજાય એટલે તો પેટ્રોલના ભાવ વધે છે ! મંત્રીનું એમ પણ માનવું છે કે ઈંધણના ભાવ વધારાને મામલે સરકાર નિષ્ફળ ગઈ નથી. જેમને એવું લાગે છે એવા તો ઓછા જ છે. મતલબ કે ભાવ વધારો મોટે ભાગની પ્રજાને માફક આવી ગયો છે. મંત્રીને તો કરોડો કમાવાના મળતા હશે, એટલે ઈંધણનો ભાવ એમને અસર નહીં જ કરે. એટલે જે દુ:ખ મંત્રીને અનુભવાતું નથી તે દુ:ખ લોકોએ વેઠતાં શીખવું જોઈએ એવું સંતમંત્રી કહે છે, તો પ્રશ્ન એ થાય કે સુખનું મહત્ત્વ સમજાય એ માટે પણ સાહેબે થોડું દુ:ખ વેઠવું જોઈએ એવું નહીં? એવી તૈયારી સાહેબ બતાવે તો કેવું સારું ! પણ એમને તો બોલવાનું છે. એ બોલવા માટે ને પ્રજા વેઠવા માટે છે.
આ અગાઉ પણ મધ્ય પ્રદેશના શિક્ષણ મંત્રીએ વધુ ફી ન ભરી શકતા વાલીઓને મરી જવાનું કહ્યું જ છે, તો છત્તીસગઢના પૂર્વ મંત્રીએ પણ કહ્યું છે કે ઈંધણનો ભાવ વધારો માફક ન આવતો હોય તેમણે ખાવાપીવાનું છોડી દેવું જોઈએ, મતલબ કે મરી જવું જોઈએ. મંત્રીઓ આવી નિર્લજ્જ સલાહો આપે એના કરતાં મોંઘવારી કાબૂ કરવાની પ્રમાણક કોશિશો કરે તો પ્રજા પર ઉપકાર જ થશે.
મંત્રીમંડળનાં વિસ્તરણ પછી ખાતાંઓ બદલાયાં, એ પછી પણ લૂંટ ઘટી નથી. નવા પેટ્રોલિયમ મંત્રીએ પણ ભાવ વધારવાનું તો ચાલુ જ રાખ્યું છે. માથાના વાળ વધે એમ ભાવો વધે છે. સરકાર કર વધારીને કમાણી કરે તે તો સમજાય, પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને લૂંટે તેને પણ કમાણી ગણે એ શરમજનક છે. મજબૂરીથી ભાવ વધારવા પડે એનો વાંધો ન હોય, પણ બેશરમી અને નફફટાઈથી ભાવ વધારો થાય એ લૂંટથી પણ બદતર ગુનાહિત કૃત્ય છે. છેલ્લા છ મહિનામાં 4.91 લાખ કરોડની લૂંટ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને ચલાવી છે ને એને એ કમાણી ગણાવે છે તે દુ:ખદ છે.
આશ્ચર્ય તો એનું પણ છે કે ભાવવધારો માત્ર વિપક્ષોને જ લાગે છે. એ જુદી જુદી રીતે ભાવવધારાનો વિરોધ કરે છે ને તેને તેમ કરતાં અટકાવવામાં આવે છે કે તેની ધરપકડ થાય છે, તો સવાલ એ થાય કે શાસક પક્ષના સભ્યોને પેટ્રોલ, દૂધ, કઠોળ, શાકભાજી મફત મળે છે કે એમનું સરકાર પૂરું કરે છે કે કોઈ ગુપ્ત રાહત મળે છે કે ભાવ વધારો નડતો જ નથી? એવું તો કેમ માનવું કે શાસક પક્ષનો કોઈ સભ્ય પેટ્રોલ પુરાવે તો તેનું બિલ નહીં ફાટે? ખબર નથી પડતી કે મોંઘવારી વિપક્ષને જ કેમ નડે છે? જો, મોંઘવારી ખરેખર હોય તો એ તો શાસક પક્ષને કે કોઈ પક્ષમાં ન હોય તેવી પ્રજાને પણ લાગેને ! ભા.જ.પ.ના કોઈ સભ્યને દૂધ લિટરે બે રૂપિયા મોંઘું થયું કે પેટ્રોલ શ્રીગંગાનગરમાં 112 રૂપિયે લિટર થયું એ નડે જ નહીં એ કેવું? કે એ સૌને સરકારી સાલિયાણું મળે છે? જો નહીં, તો એમને મોંઘવારી ન નડવાનું શું કારણ છે? વિશ્વમાં દર મિનિટે 11 લોકો ભૂખે મરી જતાં હોય ને અહીં કારમી ગરીબી અનેકોનો ભોગ લેતી હોય એ પીડા સરકારને ને પ્રજાને સ્પર્શે જ નહીં એ કેવું?
આપણી મોટા ભાગની પ્રજા અંધવિશ્વાસે જીવે છે. શાસકોમાં તેને ભારોભાર વિશ્વાસ છે. તે પ્રજાનું ખોટું નહીં જ કરે એમ માને છે ને પેટે પાટા બાંધીને પણ જીવવા તૈયાર છે. એ સારી વાત છે, પણ સારું ખરાબ જોવાનું તો બંધ ન કરાય ને ! સારું ખરાબ કૈં સ્પર્શે જ નહીં એવું તો કેમ બને? સારું થાય ત્યારે સરકારને વખાણવી ને નબળું થાય ત્યારે વખોડવી – એ ગુણ જો પ્રજા નહીં વિકસાવે તો તેણે કોઈ પણ પ્રકારનાં શોષણ માટે તૈયાર રહેવું પડશે. લૂંટારાઓ તો તેને લૂંટશે જ, પણ સાધુસંતો પણ તેને ઠગે તો આશ્ચર્ય ન થવું જોઈએ. સરકારમાં વિશ્વાસ હોવો સારી વાત છે, પણ કેવી સરકારમાં તે પણ વિચારવાનું રહે.
વિસ્તરણ પામેલી સરકારમાં 36 નવા મંત્રીઓ ઉમેરાયા છે. તેમણે નવાં સ્થાન પર હજી કોઈ કામ શરૂ પણ નથી કર્યું ત્યાં તો તેમની આરતી ઉતારવાનું શરૂ થઈ ગયું છે. કોઈ કામ થયું હોય તો તેની પ્રશંસા થાય તે સમજાય, પણ ખુરશી પર બેસવાની પણ જાહેરાતો? રોજ જ દર્શન દેવાની આ ટેવ વડા પ્રધાને પાડી છે, એમનું જોઈને મંત્રીઓ પણ પ્રાકટ્ય મહોત્સવો ઉજવવાનું ચૂકતા નથી. આ કોઈ રીતે યોગ્ય નથી. આ મહોત્સવો કરોડોમાં પડે છે. કાલ ઊઠીને પટાવાળો પણ પાટોત્સવ ઊજવે તો નવાઈ નહીં ! એ પણ ખોટી રીતે કમાઈને ઊઘડતે પાને મંગળાની આરતી ઉતરાવે તો આપણે તો ભાવિક ભક્તોની જેમ દર્શનનો લાભ જ લેવાનો રહે. વિસ્તારાયેલા મંત્રીમંડળમાં 42 ટકા મંત્રીઓ દાગી છે. 78માંથી 33 મંત્રીઓનાં નામ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. એમના પર હત્યાના, હત્યાની કોશિશનાં, લૂંટ વગેરેના કેસો ચાલે છે. નવું મંત્રીમંડળ યુવા અને શિક્ષિત હશે, પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલું છે ને પ્રજા જોયા મૂક્યા વગર વિશ્વાસે વહાણ ચલાવ્યે રાખે એ કમનસીબી છે. એ નથી સમજાતું કે પ્રજા આટલી નિર્માલ્ય કેમ છે? તે સજીવ છે તેની પ્રતીતિ કેમ થતી નથી?
એનાં બે કારણો હોઈ શકે. પ્રજા ક્યાં તો આઘાતોથી મૂઢ થઈ ગઈ હોય અને સાચુંખોટું સમજવાની શક્તિ ગુમાવી દેતાં ચૂપ થઈ ગઈ હોય એમ બને. તે એ વિશ્વાસે પણ હોય કે ગમે તેવી સ્થિતિમાં પણ તેને ઉગારનારું કોઈ આવી ચડશે. ક્યાં તો તે સરકારથી ચાર ચાસણી ચડે એવી હોય કે સરકારે છો લૂંટવું હોય એટલું લૂંટે, તે તો ગમે ત્યાંથી સરકાર સહિત અનેકને છેતરીને તળિયું ટાઢું કરી જ લેશે. આવું હોય તો પેટ્રોલ હજાર રૂપિયે લિટર થાય તો પણ તેના પેટનું પાણી નહીં હાલે. જે વેઠે છે તે વેઠાય ત્યાં સુધી વેઠશે ને નહીં વેઠાય તો આપઘાત કરતાં તેને કોણ રોકે છે? જીવવા માટે તેની પાસે એક માર્ગ નહીં હોય, પણ મરવા માટે અનેક માર્ગો હશે.
એમ લાગે છે કે સરકારને યોજનાઓની જાહેરાતમાં છે એટલો રસ યોજનાઓમાં નથી. રસીકરણની જાહેરાત તો કરી દે છે ને બધાંને રસી મુકાવવાનો આગ્રહ પણ કરે છે, પણ તે મુકાય છે કે કેમ તેની ચિંતા તે કરતી નથી, નહિતર રસી અમુક દિવસ બંધ રહેવાની જાહેરાત સરકાર શું કામ કરે? સરકાર જો ચોક્કસ હોય તો એવું તો ન જ બનેને કે લોકો રસી મુકાવવા જાય ને ધક્કા ખાઈને પાછા ફરે? લોકો આવી ઢીલાશને ચલાવી લે છે ને પછી સમસમીને રહી જાય છે તે કાયરતાનું જ પરિણામ છે. કદાચ લોકો વધારે જવાબદાર છે. પ્રજાને પેટ્રોલ મોંઘું લાગે જ છે, દૂધ, તેલ, અનાજ, કઠોળ વગેરેમાં લોકોનો પનો ટૂંકો પડે જ છે, પણ પક્ષની વફાદારી આડે આવતી હોય એવું બને ને એ જ કારણે કદાચ તે વેઠી રહી છે. સરકારે કમસેકમ એની દયા ખાઈને પણ મોંઘવારી ઘટાડવા કૈં કરવું જોઈએ, એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જુલાઈ 2021
![]()
એ આવકાર્ય છે કે વિસ્તૃત મંત્રીમંડળમાં સમાવાયેલા મંત્રીઓમાં ગુજરાતના સાત મંત્રીઓ છે. અમિત શાહ તો ગૃહ મંત્રી હતા જ તેમને વધારાનું સહકાર ખાતું સોંપાયું છે. એમનો સહકારી સંસ્થાઓને કેવો સહકાર મળે છે તે જોવાનું રહે. એસ. જયશંકર વિદેશ મંત્રી છે જ, પણ પુરુષોત્તમ રૂપાલા રાજ્ય મંત્રી હતા, તેમને મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરીનો હવાલો સોંપી કેબિનેટમાં સ્થાન અપાયું છે તો મનસુખ માંડવિયાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું ફાળવાયું છે, એટલું જ નહીં, કેમિકલ અને ફર્ટિલાઇઝર્સનો વધારાનો હવાલો પણ તેમને સોંપાયો છે. 1995માં શિક્ષણ સમિતિના સભ્ય તરીકે શરૂઆત કરીને ત્રણ વખત સુરતના સાંસદ તરીકે ચૂંટાનાર દર્શના જરદોશને ટેક્સટાઇલ અને રેલવેના રાજ્ય કક્ષાનાં મંત્રી બનાવાયાં છે તે સુરત માટે ગૌરવની વાત છે. તેઓ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગથી પરિચિત છે ને વખતોવખત કોરોના કાળમાં તેના પ્રશ્નો વિષે સક્રિયતા પણ દાખવી ચૂક્યાં છે, એટલે તેમની પસંદગી યોગ્ય થઈ લાગે છે. સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની વાત વર્ષોથી ચાલે છે, પણ અત્યારે તો તે વર્લ્ડમાં કોઈ ક્લાસ ન હોય એવું જ છે, ઈચ્છીએ કે દર્શના જરદોશ રેલવે સાથે સંકળાયાં છે તો એ દિશામાં પણ કૈં થાય. ટૂંકમાં, તેમની પાસેથી અપેક્ષાઓ હવે વધી છે. આ ઉપરાંત ગુજરાતના ડો. મહેન્દ્ર મુંજપરાને મહિલા અને બાળવિકાસ તથા આયુષના રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે તો દેવુસિંહ ચૌહાણને રાજ્ય કક્ષાના દૂરસંચાર મંત્રી બનાવાયા છે. આ ફેરફારો આકસ્મિક નથી, પણ ચોક્કસ ગણતરીને આભારી છે. આવતે વર્ષે ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીઓ આવી રહી છે એટલે ઉત્તર પ્રદેશ અને ગુજરાતના અનુક્રમે આઠ અને સાત મંત્રીઓ મંત્રીમંડળમાં સમાવાયા છે. અપના દળના અનુપ્રિયા પટેલનો વાણિજ્ય અને ઉદ્યોગના રાજ્ય મંત્રી તરીકેનો સમાવેશ પણ મહત્ત્વનો છે. ઉત્તર પ્રદેશમાં વિપક્ષી એકતા થઈ નથી, એ સ્થિતિમાં અનુપ્રિયાનો મંત્રીમંડળમાં સમાવેશ ઉત્તર પ્રદેશનો ચૂંટણી જંગ જીતવાનો એક પ્રયત્ન હોઈ શકે છે. કેન્દ્રીય મશીનરી કામે લગાડવા છતાં પશ્ચિમ બંગાળ ભા.જ.પ.ના હાથમાંથી ગયું જ. એનું પુનરાવર્તન ઉત્તર.પ્રદેશમાં ન થાય તેનો પૂરતો વિચાર મંત્રીમંડળનાં વિસ્તરણ વખતે કરાયો લાગે છે. રાજયોની ચૂંટણીઓ જીતવાનું ગણતરીપૂર્વક્નું આયોજન કરવાની સાથે જ મંત્રીમંડળમાં 25 રાજ્યોનું પ્રતિનિધિત્વ થયું છે તેમાં પણ બધાંને રાજી રાખવાનો પ્રયત્ન જણાઈ આવે છે.

courtesy : Manjul, the cartoonist
મંત્રીમંડળમાં 43 મંત્રીઓએ શપથ લીધા જેમાં 15 કેબિનેટ કક્ષાના તો 28 રાજ્યકક્ષાના છે. આ ઉપરાંત મંત્રીમંડળ પર હવે અભણ કે વૃદ્ધ મંત્રીઓનો ચાર્જ મૂકી શકાય એમ નથી, કારણ કુલ 78 મંત્રીઓમાંથી 68 મંત્રીઓ પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રીઓ છે ને તેમાંના કેટલાક તો ડોકટર, વકીલ, એન્જિનિયર છે તો કેટલાક પીએચ.ડીની ડિગ્રીઓ પણ ધરાવે છે. વિસ્તરણમાં 36 નવા ચહેરાઓ ઉમેરાયા છે જેમાંના 7 એકલા ઉત્તર પ્રદેશના છે. એ સાથે જ ઉત્તર પ્રદેશના જ કુલ 16 મંત્રીઓ થયા છે. લોકસભા સીટની દૃષ્ટિએ ગુજરાતની 26 લોકસભા સીટ છે જ્યાંથી 7 મંત્રીઓ આવ્યા છે એ રીતે વધુ ટકાવારી ગુજરાતની ગણાય. અગાઉ સૌથી ઓછી ઉંમર(38)ના મંત્રીનો યશ સ્મૃતિ ઈરાનીને મળેલો. એ સ્થિતિ બદલાઈ છે અને સૌથી ઓછી ઉંમર(35)ના મંત્રીનો યશ નિશીથ પ્રમાણિકને મળ્યો છે. આમ તો 14 મંત્રીઓ એવા છે જે 50થી ઓછી ઉંમર ધરાવે છે એ જોતાં ઉંમરનો રેશિયો અગાઉ 59.80 હતો તે 58 થતાં લગભગ બે ટકા ઘટ્યો છે. વર્તમાન કેબિનેટમાં 89.50 ટકા મંત્રીઓ કરોડપતિ છે, જેમાં સૌથી વધુ સંપત્તિ (379 કરોડ) નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે છે, તો સૌથી ઓછી સંપત્તિ (6.42 લાખ) પ્રતિમા ભૌમિક પાસે છે. એ રીતે 2019નો કરોડપતિ મંત્રીઓનો રેશિયો પણ 91 પરથી દોઢ ટકા ઘટ્યો છે. કેબિનેટમાં 11 મંત્રીઓ મહિલાઓ છે જે 9 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. મહિલાઓનાં પ્રતિનિધિત્વ ઉપરાંત જ્ઞાતિ સમીકરણનો પણ ખ્યાલ રખાયો છે. આ મંત્રીમંડળમાં 27 ઓ.બી.સી., બાર દલિત અને 8 આદિવાસી મંત્રીઓ છે એટલે એમ લાગે છે કે આ વખતે તમામ જાતિ-વર્ગને સંતોષ થાય એવું મંત્રીમંડળ રચાયું છે.
એ પણ સારું થયું કે ડો. હર્ષવર્ધન પાસેથી આરોગ્યખાતું આંચકી લેવાયું, કારણ કોરોના મહામારીમાં બીજી લહેર વખતની તેમની ઉદાસીનતા આંખે ઊડીને વળગે તેવી હતી. આ ઉપરાંત 216 કરોડ ડોઝ રસીના ઉપલબ્ધ થવાની વાત કરીને એમણે 135 કરોડ ડોઝ જ ઉપલબ્ધ થવાની વાત કરી એ ઠીક ન થયું. 81 કરોડ ડોઝ ઓછા થવા પાછળનો તર્ક ગળે ઊતરે તેવો ન હતો. હર્ષવર્ધન આ રીતે બીજી વખત પડતા મૂકાયા છે તે સૂચક છે. હવે આરોગ્ય ખાતું મનસુખ માંડવિયાને સોંપાયું છે એટલે તેમની સામે પણ પડકાર તો છે જ. ત્રીજી લહેર આવી તો તેમની કામગીરીની કસોટી થાય તો નવાઈ નહીં. પેટ્રોલિયમ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી લઈને હરદીપસિંહ પૂરીને અપાયું છે. ઈંધણના ભાવ મનસ્વી રીતે વધતા રહ્યા છે ને ધર્મેન્દ્ર પ્રધાને તો સાફ કહ્યું પણ હતું કે ઈંધણના ભાવ ઘટાડવાનો સરકારનો ઇરાદો નથી. એ ધર્મેન્દ્ર પ્રધાન નવા મંત્રીમંડળમાં શિક્ષણ મંત્રી બન્યા છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ હતા, તેમની પાસેથી શિક્ષણ મંત્રાલય લઈ લેવાયું છે, એ પરથી એમ લાગે છે કે નવી શિક્ષણનીતિમાં વડા પ્રધાનનું યોગદાન જ કદાચ સૌથી વધુ છે. એ જો પોખરિયાલની જ નીપજ હોત તો શિક્ષણખાતું તેમની પાસેથી લેવાયું ન હોત. જો કે, પોખરિયાલે રાજીનામું આપવા પાછળ નબળાં સ્વાસ્થ્યનું કારણ આપ્યું છે. એ સાચું હોય તો શિક્ષણખાતું છોડવાનું વાજબી લેખાય. તેમનું ખાતું ધર્મેન્દ્ર પ્રધાન પાસે આવ્યું છે ને નવી શિક્ષણનીતિ લાગુ થવા જઈ જ રહી છે, તો તેમને ભાગે બહુ કામ કદાચ નહીં આવે એમ બને, પણ તેમણે છોડેલું પેટ્રોલિયમ ખાતું હરદીપસિંહની કસોટી કરે એમ બને. જો ઈંધણના ભાવ ઘટાડવામાં સફળ નહીં થાય તો વિપક્ષનો અને જનતાનો સામનો કરવાનો તેમને આવશે. જો કે, છાશવારે ભ્રામક પેકેજો જાહેર કરનારાં અને 75 + સિનિયર્સને રિટર્ન ફાઇલ ન કરવાનું કહીને કરની જવાબદારી ઊભી રાખનારાં નિર્મલા સીતારામનને છેડ્યાં નથી એનું આશ્ચર્ય થાય છે. આ ઉપરાંત રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર જેવા સિનિયર મંત્રીઓ સહિત કુલ 12 મંત્રીઓના રાજીનામાં પડ્યાં છે એ પરથી એમ લાગે છે કે વડા પ્રધાને મંત્રીઓની કામગીરી પર નજર રાખી છે ને જે મંત્રીઓ નિષ્ક્રિય કે નબળા રહ્યા છે કે વિવાદમાં ફસાયા છે એમને મંત્રીપદ છોડાવ્યું છે. અહીં વડા પ્રધાનનું ખમીર બોલતું હોવાનું કોઈને સંભળાય તો નવાઈ નહીં.

સાચુંખોટું તો વડા પ્રધાન જાણે પણ તેમને વિષે એવું કહેવાય છે કે તેમની અગાઉની સરકારે જે વિદેશી દેવાં બાકી રાખેલાં એ દેવાં ચૂકવવામાં ભાવ વધારો તેમણે ખપમાં લીધો છે. આગલી સરકારે દેવું કરીને કાચું તેલ ખરીદ્યું ને ઈંધણના ભાવ વધવા ન દીધા, ઉપરથી 2,50,000 કરોડની લોન લીધી જેનું દર વર્ષે વ્યાજ 25,000 કરોડ થતું હતું. વડા પ્રધાનના કહેવા મુજબ આગલી સરકારનું દેવું ચૂકવવાની જવાબદારી તેમની સરકાર પર આવી. જો કે 2,50,000 કરોડનું દેવું તેમની સરકારે ચૂકવી દીધું હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સંરક્ષણ, રેલવે, વીજળી જેવી ઘણી બાબતો માટેના ખર્ચ હાલની સરકારે ભોગવવાના આવ્યા છે. એ બધો ખર્ચ ઈંધણના ભાવ વધારામાંથી કઢાયો હોવાનું કહેવાય છે. આ બધું વડા પ્રધાનને નામે કોઇકે ચલાવ્યું હોય એ શક્ય છે. આ સાચું માનીએ તો પણ કેટલાક પ્રશ્નો તો રહે જ છે. જેમકે કૉન્ગ્રેસની સરકારે દેવું કરીને ઈંધણના ભાવ વધવા નથી દીધા એ સાચું નથી, કારણ છેલ્લી કૉન્ગ્રેસી સરકારના વખતમાં પણ ઈંધણના ભાવ તો વધ્યા જ છે. એ વખતે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવો જ એટલા હતા કે ભાવ વધારવા જ પડે એની સામે લોકડાઉન વખતે ઈંધણના ભાવ તળિયે ગયા ને છતાં ભાવો તો વધતા જ રહ્યા ને તે પણ એવે વખતે જ્યારે લોકો પાસે આવકના કોઈ ઠેકાણાં ન હતાં. એ પણ છે કે સરકાર પાસે આવકનું આ જ એક સાધન હતું એવું ન હતું. બીજી બધી ચીજવસ્તુઓ પર, આવક પર ટેક્સ તો લાગતો જ હતો. એટલે વડા પ્રધાનનું એમ કહેવું કે ઈંધણનો ભાવ વધારો દેવું ચૂકવવામાં ગયો એ યોગ્ય લાગતું નથી. જો દેવું ચૂકવાઈ ગયું હોય તો હવે તો ઈંધણના ભાવ કાબૂમાં આવવા જોઈએ. જોઈએ, હરદીપસિંહ પૂરી તેની સાથે કેવીક બાથ ભીડે છે તે !
અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે નોટબંધી, જી.એસ.ટી., 370 નાબૂદી જેવા મોટા નિર્ણયો લીધા છે, વિદેશમાં વિશ્વગુરુની હવા પણ ભારતે ઊભી કરી છે, પણ સાધારણ માણસ સુધી સરકાર ઓછી જ પહોંચી છે તે હકીકત છે. આવકનાં ઠેકાણાં નથી ને દૂધથી માંડીને પેટ્રોલ સુધીની બધી જ વસ્તુઓ મોંઘી છે. પ્રજા લૂંટાયેલી છે ને વધુ લૂંટાઈ રહી છે, આવું હોય ત્યારે સરકાર પાસેથી સાધારણ માણસ ભીખની નહીં, પણ રાહતની આશા તો રાખે. એ રાહત ન થાય તો લૂંટનારા બદલાયા છે ને લૂંટ ચાલુ છે, એમ જ પ્રજાએ માનવાનું રહે. ઈચ્છીએ કે મોટું પ્રધાનમંડળ ખોટું સાબિત ન થાય અને કમસેકમ મત મેળવવા જેટલી ગરજ તો એ રાખે જ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 જુલાઈ 2021
![]()

