‘ના, હું એવો પરાણો નહીં બનાવું. બળદો ય પ્રાણી છે, પથ્થર નથી ! −− મારે ય ઈશ્વરને જવાબ આપવાનો છે. …’
આ શબ્દો હતા, મગન લુહારના. એનો વાસ અમારા ઘર નજીક હતો. કોઢ, ધમણ, એરણ વગેરે પણ ત્યાં જ. સવાર પડે અને ધમણની ધમધમાટી શરૂ થાય. મગન પોતે જ ધમણ ધમે. તણખા ઊડે, જ્વાળા ફૂંફવે અને ત્યાર પછી, ધમણચૂલામાં મૂકાયેલું લોઢું રાતું ચોળ થાય એટલે, તેને એરણ પર ગોઠવી, હથોડા વડે ટીપટીપ શરૂ કરવામાં આવે. આ ટીપટીપ અમે દરરોજ સવારસાંજ સાંભળીએ. ઘડાતા ઘાટ જોઈએ. મજા આવે. ક્યારેક આશ્ચર્ય પણ થતું કે બળબળતા લોઢાના ઘાટ ઘડનારો મગન લુહાર જરાયે ઉગ્ર ન હતો. બલકે શાંત, વિનમ્ર ! તેને કોઈની સાથે લડતાં-ઝગડતાં અમે જોયો ન હતો.
પણ આજે તેનો ચીસ જેવો ઊંચો અવાજ સાંભળ્યો તો અમે ચોંક્યા. જોયું તો એક મૂછાળો રજપૂત, સામાન્ય કરતાં મોટી આરવાળા પરાણા માટે આગ્રહ કરી રહ્યો હતો. અને મગનનો જવાબ હતો, ‘ના, એ નહીં બને ! બિલકુલ નહીં બને ! … મૂંગા પ્રાણીઓ પરના જુલમમાં હું સામિલ નહીં થાઉં … … !’
એ દરમિયાન આવી પહોંચેલા મારા કાકા અહમદે, હકીકત જાણી, તો ગુસ્સો આવ્યો. અને રાતાપીળા થઈ રહેલા રજપૂતને ઠપકો આપતાં કહ્યું, ‘શરમ કર, શરમ ! … જંગલી લાગે છે. જે બળદો તારી ખાતર જાત તોડે છે, તારી જમીનો આબાદ કરે છે, તેમના પર જુલમ કરવો છે ? −− જરાયે દયા નથી આવતી ? −− અરે, મૂરખ, આપણી ખાતર જાત તોડે તેને તો સારું સારું ખવડાવવાનું હોય ! −- ઘોંચવાના નહિ, પોષવાના હોય !’
કાકાના ઠપકાથી એ રજપૂત એવો ભોંઠો પડ્યો કે થોડી વાર પહેલાંનો તેનો રાતો ચહેરો ફીક્કો થઈ ગયો. અને કંઈક બબડતો ને પગ પછાડતો ચાલ્યો ગયો.
કાકા, ભગત જેવા આદમી હતા. મગન લુહાર પણ એ જ દિશાનો રાહગીર. એ બન્નેને સારું બનતું. નવરાશના સમયે તેઓ અલકમલકની, ઇન્સાનિયતની, લોકકલ્યાણની વાતો કર્યા કરતા અને લોકોના એલફેલ દેખીસાંભળી અફસોસ કરતા. કાકાએ મગનને કહ્યું હતું, ‘તારે કોઈથી બીવાની જરૂરત નથી. અમે છીએ. − તું તારો ધંધો બેધડક કર્યા કર.’
મગનને, કાકાની એ હૈયાધારણ ઘણી હતી. અને તેની ધમણ ધમાતી રહેતી હતી.
દિવસભર એરણ ઉપર તેની ટીપટીપ ચાલતી રહેતી. કોઢની બહાર તે ગાડાના પૈડે વાટ પણ ચડાવતો અને તેનું આ કામ અમને અદ્દભુત લાગતું ! ધગધગતી આગમાં વાટને લાલચોળ કર્યા પછી, ચીપિયા વડે ઉપાડીને તેને, તે અને તેનો જોડીદાર પૈડા ઉપર ચડાવતા ! અને ત્યારે પૈડામાંથી નીકળતા ધુમાડા વચ્ચે જે ટીપટીપ થતી અને બૂમો પડતી ત્યારે તો મગન લુહાર કોઈ મોટા કાબેલ ઈજનેર જેવો લાગતો ! … અમે શું જે જોતા તે પોકારી ઊઠતા, ‘વાહ, મગનકાકા, વાહ !’
આ કસબી કામ દરમિયાન, પૈડે ચઢાવાઈ રહેલી વાટ, ક્યારેક તેના સાંધામાંથી એકાએક ઉખડી જતી ! છનન કરતીકને છટકતી ત્યારે તો ભારે ભાંજગડ થઈ જતી ! − અગર પૂરતી સાવધાની ન રાખી હોય કે ચપળતા ન વાપરી હોય તો તો એ છટકેલી વાટ કારીગરના જિસમને જલાવી નાખે !
એવી વાટને પુન: સાંધવી પડતી. ટાંકા લગાવવા પડતા. પૈડા સાથે બંધબેસતી છે કે નહીં તે ચકાસવું પડતું. અને ત્યારે પછી વાટ પૈડે ચઢાવાતી. આ ધકમકમાં ત્રણેક દિવસ લાગી જતા.
હું ઘણું કરીને પાંચમા – છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો ને મગનની કોઢમાં મારી આવજા હતી ત્યારે તેણે, બળબળતી વાટની હડફેટે ચઢેલા, એક કણબીનો કિસ્સો કહેલો. કહેલું : એ કણબી બહુ ચાંપલો ને મોંફાટ હતો. વાટ ગરમ થઈ રહી હતી ને પૈડાને ઠીકઠાક કરવામાં આવી રહ્યું હતું ત્યારે ય તેની બકબક ચાલુ હતી. વગર વિચાર્યું બોલ્યે ચાલ્યો જતો હતો.
અને પછી વાટ તપીને લાલચોળ થઈ ગઈ તો મેં અને મારા કારીગરે ચીપિયા વડે વાટ ઉપાડી. અને પૈડા તરફ પગ ઉપાડ્યા તો ન જાણે શું થયું કે એ કણબી ‘અરે − અરે’ કરતો દોડ્યો. લપસ્યો ને મારા પગ સાથે અથડાયો ! એ સાથે વાટ ચીપિયમાંથી છટકી ને ‘છનન’ કરતીકને કણબીના માથા પાસે પડી !
મગન ‘હાય-હાય’ કરી ઊઠ્યો ! બોલ્યો, ‘એ કદાચ એની માની દુઆ હશે, નહિતર એ કણબીના બચવાની કોઈ તક ન હતી. શેકાઈ જ ગયો હોત … … !’ ને માથું ઝટકવા લાગ્યો.
‘પછી શું થયું ?’ મેં પૂછ્યું.
‘થવાનું શું હતું ?’ મગને કહ્યું, ‘લોકોએ એવા ડામ આપ્યા કે એ કણબી તેની બધી ચાંપલાઈ ભૂલી ગયો. − હવે જ્યારે મને જૂએ છે કે કાન પકડે છે !’
મગનની કોઢમાં ધારિયાં બનતાં. કુહાડા, કુહાડી, કોદાળી, દાતરડાં, ખુરપી, ચાંચવા તથા ખેડૂતોના ઉપયોગની, નાનીમોટી બીજી ઘણી વસ્તુઓ બનતી. તે એક કુશળ – અનુભવી કારીગર હતો. ઈચ્છ્યું હોત તો મોટું વર્કશોપ લઈને બેસી ગયો હોત. શ્રીમંત થઈ ગયો હોત ! પણ નહીં, તે પૈસાવાદી નહીં, એક ભક્તજીવ હતો. તે અકસર કહેતો ય હતો કે આ પેસા તો કંઈ પણ નથી. −− અસલ કમાણી છે ઈશ્વરની યાદ. −− ઈશ્વરનો પ્યાર, કરે બેડો પાર !
પરંતુ એનો અર્થ એ નથી કે તેને ધંધામાં રસ ન હતો. તે આશ્રયી – પરિશ્રમી આદમી હતો. સવારે સમયસર તેની કોઢ ખૂલી જતી. હથોડાની, ઠોકઠાક શરૂ થઈ જતી. ધમણ ધમાતી અને ધમણ જોડેનો ચૂલો ભભૂકતો. અને કમાણી તેની પાસે દોડતી આવતી ! વળી તે હતો એટલો ઉદાર ને એવી માન્યતા ધરાવતો હતો કે, આપણી કમાણીમાં લાચારો − ગરીબોનો ય હિસ્સો હોય છે. કદાચ આ કારણ હતું કે તેને ત્યાં લાચારો, ફકીરો, જોગીઓની અવરજવર ચાલુ રહેતી. તે સૌને કંઈ ને કંઈ આપતો. તે કશા ભેદભાવમાં માનતો ન હતો. માણસાઈમાં શ્રદ્ધા હતી. કહેતો ય હતો :
જૂઠ્ઠી છે સૌ જાતજમાત
સૌથી ઉત્તમ માનવવાદ !
મગન લુહાર આજે નથી. અલબત્ત, તેની કોઢ છે. કામકાજની ભરમાર છે. પરંતુ મગનના સમયમાં, આ કોઢમાં, જે મીઠી સુવાસ હતી, તે આજે નથી.
મગનના અવસાનને વર્ષો થયાં, તેનો દેહ ખાક થઈ ગયો છે. પણ કોઈકે કહ્યું છે એમ દેહ માટીમાં ભળી જાય છે, પણ માણસનું સદાચરણ સદ્દચારિત્ર્ય અને માણસાઈ મરતાં નથી.
માણસ નથી હોતો, પણ તેની સારાઈ, સત્કાર્યોની હળવી – હળવી સુવાસ આપણી આસપાસ વ્યાપતી રહે છે !
“પુષ્પ કરમાઈ શકે છે
ખુશબૂ કરમાતી નથી !”
11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]