ઘટના – ૧
અમેરિકાના ટેકસાસમાં ગર્ભપાત કાનૂની ગુનો હતો. ૧૯૬૯માં ટેકસાસ નિવાસી મહિલા નૉમૉ મેકર્કાવી ગર્ભપાત કરાવવા માંગતાં હતાં. પરંતુ રાજ્યનો કાયદો તેમને ગર્ભપાતની મંજૂરી આપતો નહોતો. તેથી તેમણે ફેડરલ કોર્ટમાં એબોર્શન લોને પડકાર્યો હતો. ગર્ભપાતના કાયદાને ગેરબંધારણીય ઠેરવવાની માંગણી કરી હતી. અદાલતમાં સરકાર પક્ષે ડિસ્ટ્રીકટ એટર્ની ડેનરી વેડે કાયદાનો બચાવ કર્યો હતો. ફેડરલ કોર્ટે કાયદાની બંધારણીયતાને માન્ય રાખીને ગર્ભપાત ગેરકાયદે હોવાનું સ્વીકાર્યું હતું. એટલે મહિલાને ગર્ભપાતની મંજૂરી મળી નહીં. મહિલાએ આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારતાં અમેરિકી સુપ્રીમ કોર્ટે ૧૯૭૩માં મહિલાનો ગર્ભપાતનો હક માન્ય રાખ્યો હતો. અદાલતી કાર્યવાહીમાં મહિલાની ઓળખ ગુપ્ત રાખી તેમને જેન રો તરીકે ઓળખાવ્યાં હતાં. બચાવ પક્ષે એટર્ની હેનરી વેડ હતા. એટલે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો રો વર્સિસ વેડ જજમેન્ટ તરીકે તરીકે જાણીતો છે.
હવે પચાસેક વરસોના અંતરાલે આ વરસે જ અમેરિકાની સુપ્રીમ કોર્ટે રો વર્સિસ વેડ જજમેન્ટને ઊલટાવીને ગર્ભપાત કરાવવો તે ગેરકાયદેસર હોવાનો ચુકાદો આપ્યો છે.
ઘટના – ૨
અપરિણીત પરંતુ લીવ ઈન રિલેશનશીપમાં રહેતાં મૂળે ભારતના મણિપુર રાજ્યનાં અને દિલ્હીવાસી પચીસ વર્ષીય મહિલાએ તેમનાં ૨૩ અઠવાડિયાના ગર્ભનો નિકાલ કરવા દિલ્હી હાઈકોર્ટમાં ધા નાંખી હતી. મહિલાએ સ્વીકાર્યું હતું કે તેમના પુરુષસાથી સાથેના સહમતીથી બંધાયેલાં શરીર સંબંધથી તેઓ ગર્ભવતી થયાં હતાં. પરંતુ પુરુષમિત્રે લગ્નનો ઈન્કાર કરતાં હવે તેઓ બાળકને જન્મ આપવા માંગતા નથી. દિલ્હી હાઈકોર્ટે ૧૯૭૧ના મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગન્સી એક્ટ, ૨૦૨૧ના સુધારા અને તે અંગેના નિયમ-૩-બીનું ટેકનિકલ અર્થઘટન કરી, નિયમમાં દર્શાવેલ વર્ગીકરણ મુજબની સ્થિતિ ધ્યાનમાં રાખી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપી નહીં. એટલે મહિલાએ સર્વોચ્ચ અદાલના દ્વાર ખટખટાવ્યા.
સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચૂડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે, જોગાનુજોગ આ વરસના આંતરરાષ્ટ્રીય સલામત ગર્ભપાત દિવસે (૨૯મી સપ્ટેમ્બર), ચુકાદો આપી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપી હતી.
દુનિયાના વિકસિત અને આધુનિક મનાતા દેશ અમેરિકાની સુપ્રીમ કોર્ટ ગર્ભપાત મુદ્દે પારોઠનું પગલું ભરતો ચુકાદો આપે છે, ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટ ગર્ભપાત મંજૂરીની સ્થિતિનો દાયરો વધારતો ઐતિહાસિક ચુકાદો આપે છે. સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં ગર્ભપાત માટે પરિણિત-અપરિણીત મહિલા વચ્ચેના ભેદનો છેદ ઉડાડીને વિવાહિત, અવિવાહિત અને એકલ નારીને પણ ગર્ભપાતનો અધિકાર હોવાનું જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો મહિલાઓના માનવીય અને બંધારણીય અધિકારોની દૃષ્ટિએ તો મહત્ત્વનો છે જ, તે સામાજિક રીતે પણ મહત્ત્વનો છે અને સમાજ પરિવર્તનની દિશામાં નોંધપાત્ર બની શકે તેમ છે.
ભારતમાં દરરોજ લગભગ આઠ મહિલાઓના મોત અસલામત ગર્ભપાતને કારણે થાય છે. માતા મૃત્યુના ત્રણ પ્રમુખ કારણોમાંનું એક અસુરક્ષિત ગર્ભપાત છે. વરસ ૨૦૦૭થી ૨૦૧૧ના ગાળામાં ૬૭ ટકા ગર્ભપાત અસુરક્ષિત હતા. લૈન્સેટનો ૨૦૧૯ના વરસનો એક અહેવાલ જણાવે છે તેમ ૨૦૧૫માં જે ૧૫.૬ મિલિયન ગર્ભપાત થયા હતાં તેમાંથી ૭૮ ટકા અસુરક્ષિત હતા. દેશની ૮૦ ટકા મહિલાઓ સલામત અને કાયદેસર ગર્ભપાતનો કાયદો દેશમાં પ્રવર્તમાન હોવાની હકીકતથી જ વાકેફ નહોતી તેમ પણ આ રિપોર્ટ જણાવે છે.
ભારતમાં છેક ૧૯૭૦ના દાયકામાં ગર્ભપાતનો કાયદો ઘડાયો હતો. તેમાં ૨૦૨૧માં સંશોધન પણ થયું છે. તેની જોગવાઈઓ મુજબ મહિલા ૨૦થી ૨૪ અઠવાડિયા સુધીના ગર્ભનો નિકાલ કરાવી શકે છે. જો કે દેશની સામાજિક-આર્થિક સ્થિતિને કારણે છતે કાયદે સ્ત્રીઓને ગેરકાયદે અને અસલામત રીતે ગર્ભનો નિકાલ કરાવી જીવનું જોખમ વ્હોરવાની ફરજ પડાય છે. ભારતની રૂઢિવાદી અને પિતૃસત્તાક સામાજિક સ્થિતિને કારણે ગર્ભપાતનો નિર્ણય મહિલા જાતે કરી શકતી નથી. પરંતુ પતિ અને પરિવાર કરે છે. ગર્ભમાં ઉછરતા જીવનો નિકાલ ધાર્મિક અને સામાજિક રીતે ખરાબ જ નહીં હત્યા માનવામાં આવે છે. જો કે આવું માનનારા સ્ત્રીભૃણની હત્યા કરતા અચકાતા નથી. વળી પરિણીત મહિલાઓને જ કાયદેસરના ગર્ભપાતનો અધિકાર હોવાનો સામાજિક આગ્રહ હોય છે. કથિત સામાજિક પ્રતિષ્ઠાને કારણે એકલ કે અવિવાહિત મહિલા ગર્ભપાત કરાવ્યાનું જાહેર કરી શકતી નથી.
ગર્ભપાત અંગેના ૧૯૭૧ના કાયદામાં ૨૦૨૧માં જે સુધારા થયા તેમાં વિવાહિત અને અવિવાહિત એવા ભેદ ન હોવાનું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું છે. ઉપરાંત ૨૦૨૧ના સુધારાઓમાં પતિને બદલે સાથી (પાર્ટનર) શબ્દનું પ્રયોજન સહેતુક અને નારીવાદીઓના પ્રયાસો પછી થયું છે. એટલે અવિવાહિત પરંતુ લીવ ઈનમાં રહેતી મહિલાઓ અને એકલ નારી પણ ગર્ભપાતની એટલી જ હકદાર છે જેટલી વિવાહિત નારી છે. તે બાબત સર્વોચ્ચના ચુકાદા પછી અધોરેખિત કરીને કહેવાની જરૂર છે. જસ્ટિસ ચંદ્રચૂડે તેમના ચુકાદામાં એ બાબત પણ જણાવી છે કે ગર્ભપાત કાયદાના નિયમ ૩-બી(એ) પ્રમાણે પત્ની સાથે બળજબરીથી બાંધેલા શરીર સંબંધથી જો તે ગર્ભવતી બને અને તેને પત્ની જન્મ આપવા ન માંગતી હોય તો તે પણ ગર્ભપાતની અધિકારી છે. વૈવાહિક બળાત્કારનો પ્રશ્ન સુપ્રીમની દેવડીએ પડતર છે અને સરકારનું વલણ તેને ગુનો ગણવાનું નથી ત્યારે હાલમાં ગર્ભપાતના કાયદા પ્રમાણે મળેલી આ છૂટ પણ મહિલાઓને આશા જગાડનારી બની શકે છે.
ગર્ભપાતનો સવાલ મહિલાઓની સાથેસાથે બાળકોની દૃષ્ટિએ પણ ચકાસવો જોઈએ. માતાના જીવનમાં અવાંછિત એવા બાળકોની સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય અને મનોવૈજ્ઞાનિક સ્થિતિઓનું વિષ્લેષણ કરતું એક અધ્યયન ૨૦૧૬માં પ્રગટ થયું હતું. બૉર્ન અનવોન્ટેડ, થર્ટી ફાઈવ યર્સ લેટર : ધ પ્રૈગ સ્ટડી શીર્ષક હેઠળના અભ્યાસનું તારણ હતું કે અવાંછિત બાળકોની શૈક્ષણિક કારકિર્દી વાંછિત બાળકોની તુલનામાં ખૂબ જ નબળી હતી. જનની જેમને જન્મ આપવા નહોતી માંગતી એવા બાળકોનું જીવન વધુ સંઘર્ષોભર્યું તો હતું જ, તેમની મન:સ્થિતિ પણ સારી નહોતી.
ગર્ભપાતના વિરોધીઓ ગર્ભધારણ કરવાની વિશિષ્ટ ક્ષમતા માત્ર સ્ત્રીમાં જ છે એટલે ગર્ભમાં રહેલા બાળકને જન્મ ન આપવાનો નિર્ણય તે એકલી જ ન લઈ શકે તેવી દલીલ કરે છે. બીજી તરફ સ્ત્રીના શરીર પર માત્ર સ્ત્રીનો જ અધિકાર છે એટલે બાળકને જન્મ આપવો કે નહીં તે માત્ર સ્ત્રી જ નક્કી કરી શકે તેમ ગર્ભપાતના તરફદારોની દલીલ છે. ગર્ભપાત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે આવા તમામ વિવાદોનો અંત આવવો જોઈએ અને ગર્ભપાતના મહિલા અધિકારને સ્વીકારી લેવાનો રહે. ગરિમાપૂર્ણ જીવનના મૂળભૂત અધિકારમાં ગર્ભપાતનો અધિકાર પણ સામેલ ગણાશે. મહિલા મુક્તિની દિશાનું મહત્ત્વનું પગલું પણ તે બની રહેશે.
e.mail : maheriyachandu@gmail.com
![]()


બંધારણના અનુચ્છેદ ૨૧ (ક) પ્રમાણે દેશના છથી ચૌદ વરસના તમામ બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળેલો છે. પરંતુ સમાન શિક્ષણ બધાં બાળકોને મળતું નથી. સરકારી, અનુદાનિત અને ખાનગી એવા શાળાઓના ભેદ છે, અંગ્રેજી અને માતૃભાષામાં શિક્ષણ એવા માધ્યમના ભેદ છે. એન.સી.આર.ટી.નાં પાઠ્યપુસ્તકો અને રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનાં પાઠ્યપુસ્તકો એવાં પાઠ્યપુસ્તકોના ભેદ છે. શાળાંત પરીક્ષાના ભિન્ન ભિન્ન પરીક્ષા બોર્ડના પણ ભેદ છે. ટૂંકમાં શાળા, અભ્યાસક્રમ, માધ્યમ, પરીક્ષા બોર્ડ અને પરીક્ષા પદ્ધતિમાં ભારોભાર ભેદ પ્રવર્તે છે.