આ વરસનો આંતરરાષ્ટ્રીય મહિલા દિન(આઠમી માર્ચ) બેહદ ખાસ હશે. વારાસણીના પ્રેમચંદ જન્મસ્થાન લમહી ઈલાકામાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું મંદિર બનાવવામાં આવ્યું છે. ઓણની સુભાષ જયંતીએ આર.એસ.એસ.ના વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશ કુમારના હસ્તે ખુલ્લા મુકાયેલા સુભાષ મંદિરમાં નેતાજીની કાળા આરસની આદમકદ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ સુભાષ મંદિરની વિશેષતા એ છે કે તેની પૂજારણ તરીકે એક દલિત કિશોરીની નિયુક્તિ કરવામાં આવી છે. ગર્ભવતી સ્ત્રીઓ નેતાજી જેવાં દેશભક્ત સંતાનોને જન્મ આપે તે હેતુથી મંદિરમાં તેમના માટે ખાસ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ! દેશભક્ત સંતાનોની જનેતાઓ ખુદ ભારતીય સેનામાં હોય તો તેમની સ્થિતિ કેવી હોય છે તે તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું છે. દેશની ભૂમિસેનામાં કાર્યરત મહિલા અફ્સરોને સેનાની કમાન પોસ્ટ અને પેન્શનપાત્ર કાયમી નોકરી આપવામાં આવતી નથી. મહિલાઓને શા માટે આ કામ આપી ન શકાય તે અંગે કોર્ટમાં સરકારની દલીલ હતી કે ભારતીય સેનામાં ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા જવાનો હોય છે જે મહિલા અફ્સરોના ઓર્ડર સ્વીકારે તેવો તેમનો જન્મગત ઉછેર નથી અને મહિલા હોવાના કારણે આ અફ્સરો સામાજિક અને શારીરિક મર્યાદાઓ ધરાવે છે. સર્વોચ્ચ અદાલતે સરકાર અને સમાજના આ પિતૃસત્તાત્મક વિચારોને ફ્ગાવી દઈને મહિલા અફ્સરોને સેનામાં બરાબરીનો અધિકાર આપ્યો, તે સ્ત્રી અધિકારની દિશામાં નોંધપાત્ર કદમ છે.
ભારતીય સેના સાથે મહિલાઓનો નાતો નવેક દાયકા પુરાણો છે. ૧૯૨૭માં સેનાની ર્નિંસગ સેવામાં પ્રવેશથી તેનો આરંભ થયો હતો. ૧૯૪૩માં તબીબ તરીકે અને લાંબા અંતરાલ બાદ ૧૯૯૨માં આર્મી અફ્સરો તરીકે મહિલાઓ સેનામાં જોડાઈ હતી. આજે ભારતીય સેનામાં ૨૧.૬% ડોક્ટરો અને ૧૦૦% નર્સીસ મહિલા છે. જો કે સેનાની ત્રણેય પાંખોમાં માંડ ૩.૯% જ મહિલા ઓફ્સિર્સ છે. તેમાં સૌથી વધુ ૧૩.૨૮% વાયુસેનામાં અને ૬.૭% નૌસેનામાં છે. વાયુસેના અને નૌસેનામાં મહિલા અફ્સરોને ઘણાં વિભાગોમાં બરાબરીનો હક મળ્યો છે. વાયુસેનામાં મહિલા પાઇલટ લડાકુ વિમાન પણ ઉડાડે છે, પરંતુ ભૂમિ સેનામાં ૨૦૧૦ના દિલ્હી હાઈકોર્ટના ચુકાદા અને તેના પર સુપ્રીમ કોર્ટની કોઈ મનાઈ ન હોવા છતાં મહિલા અધિકારીઓને ૧૪ વરસની શોર્ટ ટર્મ નોકરી જ આપવામાં આવતી રહી છે અને તેઓ કોઈ કમાન્ડ પોસ્ટ પર ફરજ બજાવી શકતી નથી. આ અન્યાય સામે મહિલા અધિકારીઓએ અદાલતમાં દાદ માંગતા સર્વોચ્ચ અદાલતે મહિલા અફ્સરોની બરાબરીની માંગ માન્ય રાખી છે અને સરકારની મહિલાઓને ઉણી કે ઊતરતી માનવાની વૃત્તિની ટીકા કરી છે. જો કે મહિલાઓને યુદ્ધ ક્ષેત્રમાં મોકલવાનો નિર્ણય અદાલતે સરકાર અને સેના પર છોડી દીધો છે. અમેરિકાએ ૨૦૧૩માં મહિલાઓને યુદ્ધમાં મોકલવાનું શરૂ કર્યું હતું. પોલેન્ડ, કેનેડા, બ્રિટન, સ્વિડન, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, જર્મની અને ઉત્તર કોરિયાનાં સૈન્યોમાં મહિલાઓ યુદ્ધ ક્ષેત્રમાં જોડાઈ શકે છે. સ્લોવેનિયાનાં સેનાપ્રમુખ જ મહિલા છે. ભારતની ત્રણેય લશ્કરી પાંખના વડાના બંધારણીય એવા રાષ્ટ્રપ્રમુખના પદે મહિલા બિરાજી ચૂક્યાં છે પરંતુ લશ્કરમાં મહિલાને કમાન્ડ પોસ્ટ મળતી નથી !
ભારતમાં મહિલાઓને સમાનતાનો હક તો નથી જ, નોકરીઓ અને ધંધા રોજગાર સહિતના વર્કફેર્સ(કાર્યબળ)માં પણ તેમનું પ્રમાણ નગણ્ય છે. દેશની કુલ જનસંખ્યાના ચોથા ભાગની મહિલાઓ જ વર્કફેર્સમાં છે અને તે પ્રમાણ પણ ઘટતું જાય છે. ૨૦૦૫માં દેશના વર્કફેર્સમાં મહિલાઓનું પ્રમાણ ૩૬.૭% હતું તે ૨૦૧૮માં ઘટીને ૨૩.૩% થઈ ગયું છે. સરકારના લેબરફેર્સ સરવેમાં જણાવાયા મુજબ ૨૦૧૮માં શહેરોમાં ૧૦.૮% અને ગામડાઓમાં ૩.૮% મહિલાઓ બેરોજગાર છે. ૧૫થી ૧૯ વરસની ૨૭.૨% શહેરી અને ૧૩.૬% ગ્રામીણ મહિલાઓ બેરોજગાર છે. ગ્લોબલ જી.ડી.પી.માં મહિલાઓનો ફાળો ૩૬% અને દુનિયાના કુલ વર્કફેર્સમાં મહિલાઓની ભાગીદારી ૩૯% છે પરંતુ ભારતના જી.ડી.પી.માં મહિલાઓનો ફાળો ૧૮% અને વર્કફેર્સમાં મહિલાઓ ૨૩% જ છે. જો રોજગારમાં અને દેશના કુલ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારાય તો ૨૦૨૫ સુધીમાં ભારતના જી.ડી.પી.માં ૧૮% સુધીની વૃદ્ધિ થઈ શકે તેમ છે. બી.જે.પી.એ તેના ૨૦૧૯ના ચૂંટણીઢંઢેરામાં વુમન ઈન વર્કફેર્સનો રોડમેપ તૈયાર કરી વર્કફેર્સમાં મહિલાઓની ભાગીદારી ૩૦% કરવાનું વચન આપ્યું છે તેના અમલની જરૂર છે.
ઘરકામ અને કુટુંબની સારસંભાળના સ્ત્રીઓનાં કામનું કોઈ આર્થિક મૂલ્ય ગણવામાં આવતું નથી. ૩૫ કરોડ ઘરેલુ મહિલાઓના શ્રમની કિંમત ૬૧૩ અબજ ડોલર છે. અસંગઠિત ક્ષેત્રોમાં ૧૯.૫ કરોડ મહિલાઓ વિનાવેતને કામ કરે છે. જ્યાં તે વેતન સાથે કામ કરે છે ત્યાં પણ તેને પુરુષની સરખામણીએ ઓછું વેતન આપવામાં આવે છે. કામના સ્થળે તેનું શોષણ પણ થાય છે. દેશમાં ૪૫% ભારતીયો મહિને રૂ.૧૦,૦૦૦ કે તેથી ઓછું વેતન મળવે છે પરંતુ ૬૩% મહિલાઓ માસિક રૂ.૧૦,૦૦૦ અને ૩૨% મહિલાઓ માસિક રૂ. ૫,૦૦૦ કે તેથી ઓછું વેતન મેળવે છે. પુરુષ કરતાં મહિલા કામદાર દરરોજ ૫૦ મિનિટ અને વરસે ૩૦ દિવસ વધુ કામ કરે છે પણ પુરુષ કરતાં તેને ૧૯% ઓછું વેતન મળે છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર વિશ્વના ૧૩૫ દેશોમાં ભારતનું સ્થાન ૮૭મું છે. ૨૦૦૪ પછી ઊંચો આર્થિક વિકાસ દર દેશે હાંસલ કર્યો અને રોજગારીનું મોટા પાયે સર્જન થયું ત્યારે કાર્યબળમાં મહિલા હિસ્સેદારી વધવી જોઈતી હતી તે ઘટી છે. આવક વધે વેતન વધે ત્યારે મહિલા રોજગારના બજારમાંથી બહાર ધકેલાય, શિક્ષણમાં અવ્વલ રહેતી મહિલાઓ નોકરીના બજારમાં અવ્વલ ન હોય તેનું ગણિત સમજવા માટે અર્થશાસ્ત્ર નહીં સમાજશાસ્ત્રને કામે લગાડવું પડશે. મનરેગાનાં કામોમાં ૫૦% મહિલા ભાગીદારી હોય અને કમરથી નીચા કે વાંકા વળીને ખેતી સહિતનાં જે કામો કરવાનાં હોય તે આપણે માત્ર મહિલાઓના માથે જ મારીએ છીએ તેમાં પણ કોઈ અર્થશાસ્ત્ર નથી મહિલાવિરોધી સામાજિક વ્યવસ્થા જ જવાબદાર છે.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરની કપડાં સીવનાર બહેનોએ ૮મી માર્ચ, ૧૮૫૭ના રોજ પહેલી વાર સંગઠિત થઈ અન્યાય વિરુદ્ધ સરઘસ કાઢયું ત્યારે તેમની માંગ શ્રમિક તરીકેની ઓળખની, બહેતર વેતનની અને કામના નિશ્ચિત કલાકોની હતી. સ્ત્રીની પ્રાથમિક ઓળખ તરીકે તેના શ્રમને ગણી તેનું મહિમામંડન કરવામાં આવે છે. તેમ કરીને તેની શ્રમિક તરીકેની ઓળખ અને તેના કામનું મૂલ્ય ભૂલી જવાય છે. આર્થિક મૂલ્ય ધરાવતી શ્રમશક્તિમાંથી મહિલાઓનો એકડો ભૂંસી નંખાય છે. બીજા માટે કરવામાં આવતા અનુત્પાદક શ્રમને સ્ત્રીની નિયતિ બનાવી દેવાયો છે. સ્ત્રીને જીવન ગુજારો કરી શકાય તેટલું નહીં આત્મસન્માન સાથે કામને યોગ્ય વેતન આપવાની જરૂર છે. અસ્તિત્વ માટેની સ્ત્રીની જદ્દોજહદને આત્મસન્માન અને સમાનતા સુધી લઈ જવાની જવાબદારી સમગ્ર સમાજની છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 04 માર્ચ 2020