જ્યારે સ્ત્રીઓ સમૃદ્ધ થાય છે, ત્યારે વિશ્વ સમૃદ્ધ થાય છે – જેવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણ પર, G-20 મંત્રીસ્તરીય સંમેલનમાં વીડિયો સંબોધનમાં કહ્યું. વડા પ્રધાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંદર્ભે પણ યોગ્ય રીતે જ કહ્યું કે આદિવાસી પૃષ્ઠભૂ ધરાવતાં આ સન્નારી વિશ્વની સૌથી મોટી લોકશાહીનું નેતૃત્વ કરે છે. મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ G-20 એમ્પાવર સમિટમાં મહિલાઓની આગેવાનીમાં વિકાસનો અભિગમ પ્રશંસનીય ગણાવ્યો. એ સાચું કે સુનિતા વિલિયમ્સ જેવી સન્નારી અવકાશી સિદ્ધિનો વૈશ્વિક માનદંડ રોપે છે, તો દેશ-વિદેશમાં એવું કોઈ ક્ષેત્ર મહિલાઓએ સર કરવામાં બાકી નથી રાખ્યું એ પણ એટલું જ સાચું ને એની જેટલી નોંધ લેવાય એટલી ઓછી છે.
એ સાથે જ માનવીય અધોગતિની ચરમસીમા એ પણ છે કે એવો કોઈ ગુનો માણસ જાતે સ્ત્રીઓ સંદર્ભે કરવાનો બાકી નથી રાખ્યો જેની રાહ જોવી પડે. મહિલાઓ નવા શિક્ષિત સમાજમાં આગળ વધી છે એની ના નથી, પણ એ જ શિક્ષિત સમાજે સ્ત્રીઓનાં શોષણની વધુ સૂક્ષ્મ યુક્તિઓ વિકસાવી છે, એની પણ નોંધ લેવી ઘટે. શિક્ષણે વિકાસના અનેક માર્ગો ખોલ્યા એ સાથે જ શોષણની પણ અનેક રીતો વિકસાવી. એ વિકસાવવામાં સ્ત્રીઓ પણ બાકાત નથી. હકો પ્રત્યેની વિશેષ સભાનતાએ સ્ત્રીઓમાં પણ શોષણની સમજ વિકસાવી છે. સ્ત્રીઓને લગ્ન, પ્રેમની બાબતે પસંદગીની તકો વધી છે, તો બીજી તરફ એના ઉપયોગ-દુરુપયોગની તકો પણ વિકસી છે.
ગઈ કાલના જ સુરત સિટીલાઇટના સમાચાર છે, જેમાં તબીબ સ્ત્રીને તેનો પતિ છરી મારી દેતાં અચકાતો નથી, તો થોડા મહિનાઓ પર વલસાડમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધાના સમાચાર પણ છે જ ! ટૂંકમાં, શિક્ષણે વિકાસની તકો ઊભી કરી છે તે સાથે જ વિનાશની યુક્તિઓ પણ વિકસાવી છે. એ ય ખરું કે ક્યાંક પત્ની પીડિત યુનિયનો પણ રચાયાં છે. એ બધાં પછી પણ સ્ત્રીઓ તરફે થતા ગુનાઓનું પલ્લું નમેલું જ રહે છે તે સ્વયં સ્પષ્ટ છે, મહિલા વિકાસની અનેક સિદ્ધિઓ સ્વીકાર્યા પછી પણ, મહિલાઓ ગુમ થવાના જે આંકડાઓ બહાર આવ્યા છે તે ચામડી તતડાવી દેનારા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(NCRB)ના સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓમાં જણાવાયું છે કે આખા દેશમાં 2019થી 2021 સુધીમાં 18 વર્ષથી વધુ વયની 10,61,648 મહિલાઓ અને તેથી ઓછી વયની 2,51,430 કન્યાઓ ગુમ થઈ છે. એમાં મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 1,60,180 મહિલાઓ અને 38,234 છોકરીઓ ગુમ થઈ છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો એ આંકડાઓ અનુક્રમે 1,56,905 અને 36,606 પર બીજા નંબરે છે, તો મહારાષ્ટ્રમાં એ આંકડાઓ અનુક્રમે 1,78,400 ને 13,033 છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી મોખરે છે, ત્યાં 2019થી ‘21 દરમિયાન 61,054 મહિલાઓ અને 22,919 છોકરીઓ ગુમ થઈ છે. રહી વાત ગુજરાતની તો 2019 અને 2021 વચ્ચે 37,576 સ્ત્રીઓ અને 4,222 છોકરીઓ ગુમ થઈ છે. સંસદમાં એવું પણ જણાવાયું છે કે મહિલાઓની સલામતી માટે, ખાસ તો જાતીય ગુનાઓ સામે અવરોધ ઊભો કરવા ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ, 2013નો સમાવેશ થાય છે. વધુમાં ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) 2018 પણ ઘડાયો છે, જેમાં 12 વર્ષથી ઓછી વયની બાળકીના બળાત્કારના કેસમાં મોતની આકરી સજાનો સમાવેશ પણ થાય છે. આ કાયદામાં બે મહિનાની અંદર ચાર્જશીટ ફાઇલ કરવાનું અને અદાલતમાં બે મહિનામાં કેસનો નિકાલ લાવવાનું ફરજિયાત કરાયું છે. આ ઉપરાંત સરકારે આખા દેશ માટે 112 નંબર જાહેર કર્યો છે, જેના પર ગમે ત્યાંથી ફરિયાદ થઈ શકે છે.
સરકાર એની રીતે તો પ્રયત્નો કરે જ છે. કાયદા કડક થયા છે. ફાંસી જેવી સજાનો અમલ પણ થયો છે. કાલે જ 23 વર્ષના આરોપીને બે વર્ષની બાળાને પીંખીને મારી નાખવા બદલ, સૂરતની અદાલતે, રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે. એ સાથે સુરતમાં જ આ દસમી ફાંસીની સજા છે. એવા તો એટલા જઘન્ય અપરાધો સ્ત્રીઓ સંદર્ભે ગુજરાતમાં ને દેશમાં થાય છે કે ગુનેગારને ફાંસી જેવી સજાનો પણ ખોફ રહ્યો હોય એવું લાગતું નથી. ગઇકાલના જ સમાચાર છે કે ગુજરાતમાં 18 વર્ષથી નીચેની 4 છોકરીઓ રોજ ગુમ થાય છે ને 5 છોકરીઓ પર દુષ્કર્મ થાય છે. આ બધું જોતાં સ્ત્રી સશક્તિકરણની સમાંતરે સ્ત્રી અશક્તિકરણનો ઉપક્રમ પણ ચાલતો હોવાનો વહેમ પડે છે. સ્ત્રીને અપમાનિત કરીને જ પોતાનું માન જાળવી શકાય એવું માનનારો એક વર્ગ શિક્ષિતોમાં પણ છે તે દુ:ખદ છે.
થોડા મહિનાઓ પર 2016થી 2020 દરમિયાન ગુજરાતમાં 18થી ઉપરની 41,621 મહિલાઓ ગુમ થવાના સમાચાર હતા. તે અંગે ગુજરાત પોલીસે એવો ખુલાસો કરેલો કે 94.90 ટકા મહિલાઓ પરત આવી ગઈ છે અને 2,124 મહિલાઓ જ ગુમ છે. એની સામે ગૃહ મંત્રાલય દ્વારા એવું પણ કહેવાયું છે કે 2020માં 4,984 મહિલાઓની કોઈ ભાળ મળી નથી. આમાં કોણ સાચું છે તે નક્કી થઈ શકે એમ નથી, પણ, ક્યાંક કોઈક સ્તરે સરકાર હકીકતો છુપાવી રહી હોવાનો વહેમ પડે છે. લોકસભા કહે છે તેમ 2021 સુધીનાં પાંચ વર્ષમાં ગુજરાતની 7,430 બાળાઓ ગુમ છે. સુરતની જ વાત કરીએ તો છેલ્લાં બે વર્ષમાં દુષ્કર્મની 508 ઘટનાઓ સામે આવી છે. વધુ આંકડાઓમાં પડવા જેવું એટલે પણ નથી કે લોકસભાના અને ગુજરાત વિધાનસભાના આંકડાઓ વચ્ચે તફાવત મોટો છે અને કોણ કોને છાવરે છે એ નક્કી કરવાનું મુશ્કેલ છે.
એક વાત સ્પષ્ટ છે કે કોઈ સરકાર પોતાની નબળાઈ છતી કરે એમ નથી. જે આંકડાઓ આપવામાં આવે છે એ અંતિમ સત્ય નથી જ, પણ એટલું ચોક્કસ છે કે દેશમાંથી સ્ત્રીઓ ને છોકરીઓ ગુમ થાય છે ને સારી એવી સંખ્યામાં ગુમ થાય છે. એ પણ છે કે એટલી સંખ્યામાં પુરુષો ગુમ થતા નથી. એવું પણ નથી કે એમ ગુમ થવામાં દરેક વખતે સ્ત્રીઓ જ જવાબદાર છે. સાચું તો એ છે કે સ્ત્રીઓ કે છોકરીઓનાં ગુમ થવામાં પુરુષોનો હાથ હોવાની શક્યતાઓ વિશેષ છે. એ પણ સમજી શકાય એવું છે કે સ્ત્રીઓ કે છોકરીઓ આપમેળે અલોપ થતી નથી. તેને અલોપ કરવામાં આવે છે. તેને ઉઠાવી જવામાં આવે છે ને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. તેને જાતીય પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે ને તે કામ તેની પાસે બળજબરીએ કરાવવામાં આવે છે. બે વર્ષની છોકરીથી માંડીને ડોશી સુધીની કોઈ પણ સ્ત્રીને સમજાવીને કે બળજબરીએ, જાતીય પ્રવૃત્તિઓમાં જોતરવામાં આવે છે. એ હેતુસર તેને દેશમાં કે વિદેશમાં વેચી દેવાનું પણ ચાલે છે. આવું કરનારાં તંત્રોનું આખું નેટવર્ક ગોઠવાયેલું હોય છે ને તે પોલીસતંત્ર જેટલું જ સક્રિય હોય છે.
બીજી તરફ એકલદોકલ સ્ત્રી કે છોકરી કોઈ માણસની યુક્તિ કે બળજબરીનો ભોગ બનતી હોય છે ને જો ત્યાંથી ન છટકી શકે તો અંતહીન પીડા વેઠવા લાચાર બને છે. માણસ જો હેવાનિયત પર ઊતરી આવે તો એ સ્ત્રી કે છોકરીનો મર્યે જ છૂટકો થાય છે. હવે તો પુરુષ ભોગવીને અટકી જતો નથી, કરપીણ હત્યા પણ કરતો હોય છે, તે એટલે કે પીડિતા કોઇની સામે પોતાનું નામ ન ફોડી દે. હત્યા પછી ખૂની વધુ વિચારતો થાય છે, તે એ રીતે કે લાશ પોતાની ઓળખ છતી ન કરી દે. કોઈ પુરાવો જ ન રહે એ રીતે હત્યારો લાશનો નિકાલ કરે છે. તેનાં એટલા ટુકડા કરે છે કે જંગલમાં કે દૂર ક્યાંક નિકાલ સરળ થઈ જાય. એટલાથી પણ એ અટકતો નથી એટલે એ લાશને રાંધવા-બાફવા મૂકે છે ને બફાયેલા ટુકડા કૂતરાને ખવડાવી દે છે કે સ્ત્રીનું કૈં બાકી જ ન રહે. આટલું કર્યાં પછી પણ એ પકડાય તો છે જ ને એ બહાર આવે છે કે એક માણસ કેટલી હદે બર્બર કે નીચ થઈ શકે છે !
અહીં કહેવાનું એ જ છે કે સ્ત્રી સાથે કઇ હદે પુરુષ જઇ શકે છે. જેને એ ચાહે છે એનો જ એ સર્વનાશ પણ કરી શકે છે. આટલી હિંસક વૃત્તિ કદાચ અભણમાં ન હતી. અગાઉના સમયમાં સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર નથી થયો એવું નથી, પણ એનું ઘાતકીપણું આજના સમયમાં ભયંકર રીતે અનુભવાય છે ને તે બધી રીતે અક્ષમ્ય છે. એ જોતાં લાખોની સંખ્યામાં સ્ત્રીઓ દેશમાંથી ગુમ થાય ત્યારે એની સાથે શું થયું હશે એ વિચારતાં લાગે છે કે કહેવાતી સ્ત્રી સમાનતા કે સશક્તિકરણની વાતો પરપોટા જેવી છે. વધારે સાચું તો એ છે કે સ્ત્રીઓની સુરક્ષા હજી પણ સળગતો ને વણઉકલ્યો પ્રશ્ન જ છે – બિલકુલ મણિપુર જેવો જ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઑગસ્ટ 2023