Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375772
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ દેશની એકતા અને અખંડતામાં બાધક છે?

Bhaashaa Ane Gyaati Deshnee Ekataa Ane AkhaNdataamaaM Baadhak Chhe ?|Opinion - Opinion|30 June 2024

રમેશ ઓઝા

પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ આ ત્રણને ભારતમાં ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક માનવામાં આવે છે અને એ મુખ્ય રાષ્ટ્રવાદને નિર્બળ કરે છે એવી એક વ્યાપક સમજ પ્રવર્તે છે. પણ સવાલ એ છે કે ભારતમાં મુખ્ય રાષ્ટ્રવાદ શેનો બનેલો છે? એનું એકમેવ ઘટક કયું? અને બીજો સવાલ એ કે શું ઉપ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદને અનિવાર્યપણે નિર્બળ કરે છે?

કેન્દ્રની ડાબી બાજુએ જે લોકો છે અને હતા એમાંના કેટલાક લોકોનો અભિપ્રાય એવો છે કે ભારતીય રાષ્ટ્રવાદ એ મુખ્ય રાષ્ટ્રવાદ છે અને પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ એ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે. તેઓ એમ પણ માને છે કે ઉપ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદને નિર્બળ કરે છે, માટે ભારતની પ્રજાને ભારતીય રાષ્ટ્રીય નાગરિક ધર્મના શિક્ષણ દ્વારા ઉપ રાષ્ટ્રવાદના મોહથી મુક્ત કરવી જોઈએ. કેન્દ્રની જમણી બાજુએ જે લોકો હતા અને છે તેમનો અભિપ્રાય એવો છે કે હિંદુ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદ છે અને પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે અને માટે તે મુખ્ય રાષ્ટ્રવાદને કમજોર કરે છે. બન્ને ધારાના લોકો ઉપ રાષ્ટ્રવાદના ઘટકો વિષે એક સરખો અભિપ્રાય ધરાવે છે, પરંતુ તેમનું મુખ્ય રાષ્ટ્રવાદનું એકમેવ ઘટક અલગ છે. એક માટે ભારતીય છે અને બીજા માટે હિંદુ ધર્મ છે.

જેઓ ભારતીયતાને રાષ્ટ્રવાદનું મુખ્ય અને એકમેવ ઘટક માને છે તેમની દલીલ એવી છે કે ધર્મ સ્વયં એક પૃથકતા પેદા કરનારી અસ્મિતા છે જે વિધર્મીઓની બાદબાકી કરે છે અને જે બાદબાકી કરે એ રાષ્ટ્રને જોડનારી કડી ન બની શકે. જ્યાં બહુમતી આવી ત્યાં લઘુમતી આવવાની જ. બહુમતી પોતે જ લઘુમતીને પેદા કરે છે. આ બાજુ ભારતીય ઓળખ લઘુમતી પેદા કરતી નથી અને જે બહુમતી અને લઘુમતીમાં દેશને ન વહેંચે એ રાષ્ટ્રનું મુખ્ય અને એકમેવ ઘટક હોઈ શકે. તેમની દૃષ્ટિએ તો ધર્મ પણ ઉપ રાષ્ટ્રવાદનું ઘટક છે. જેઓ હિંદુ ધર્મને રાષ્ટ્રવાદનું મુખ્ય ઘટક માને છે તેમની દલીલ એવી છે કે ભારતીયતા એક કલ્પના છે, વાસ્તવિકતા નથી. કલ્પના ગમે એટલી રોમાંચક હોય, તે વાસ્તવિકતાની જગ્યા ન લઈ શકે. ઓળખ આધારિત બહુમતી અને લઘુમતી એક વાસ્તવિકતા છે અને ભારતમાં હિંદુ ધર્મ એ બહુમતી પ્રજાને જોડનારી એકમેવ અને પ્રબળ કડી છે. પણ થોડા લોકોની બાદબાકી થાય છે તેનું શું? એની ચિંતા કરવાની જરૂર નથી અને જેમની બાદબાકી થાય છે તેમણે સમજવું જોઈએ કે આ દેશ હિંદુઓનો છે.

પણ આનો અર્થ એવો નથી કે ભારતની પ્રજા કેન્દ્રની જમણે અને ડાબે એમ બે ભાગમાં અડધોઅડધ એક સરખી વહેંચાયેલી છે. કેન્દ્રની ડાબે જે લોકો છે એમાં વિચારધારાના હજુ બે રંગ જોવા મળે છે. કેટલાક લોકો એમ માને છે કે પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ પણ એક વાસ્તવિકતા છે અને તેની ઉપેક્ષા ન થઈ શકે. જો હિંદુ રાષ્ટ્રવાદ સામે ચાલીને કોઈની બાદબાકી કરતો હોય તો પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ તો પરંપરાગત રીતે બાદબાકી થયેલાં ઘટકો છે. તેઓ ન્યાય માગે છે અને તમે તેને ઉપ રાષ્ટ્રવાદનું લેબલ ચોડીને વર્જ્ય માનો છો? કેન્દ્રની ડાબી બાજુનો એક પક્ષ કેન્દ્રની ડાબી બાજુના બીજા પક્ષ સામે પ્રતિવાદ કરે છે. પહેલાં ન્યાય આપો, પોતાનાં કરો, બાથમાં લો, સમાવો અને પછી કહો કે પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે અને ભારતીય રાષ્ટ્રવાદમાં અવરોધક છે. મુદ્દો ન્યાયનો છે. ભારતીય રાષ્ટ્રવાદની કલ્પના ગમે તેવી ભવ્ય હોય એ અન્યાય કરનારો તો ન જ હોવો જોઈએ. માટે ઉપ રાષ્ટ્રવાદથી ડરવાની જરૂર નથી. એ વાસ્તવિકતા છે અને જો તેનો સ્વીકાર કરવામાં આવશે અને તેને તેનું હકનું સ્થાન આપવામાં આવશે તો એ ભારતીય રાષ્ટ્રની રંગોળીમાં પોતાનાં રંગ પૂરશે. જરા ય ખોટનો સોદો નથી.

કેન્દ્રની ડાબી બાજુએ એક બીજો પક્ષ છે જે એમ માને છે કે રાષ્ટ્રવાદની કલ્પના જ વર્ચસ્વવાદી (hegemonic) છે. આ બીજો પક્ષ પાછો બે પક્ષમાં વહેંચાયેલો છે. સામ્યવાદીઓ એમ માને છે કે સહિત અને રહિત એ દરેક સમાજની બે નક્કર વાસ્તવિકતા અથવા વાસ્તવિક ઓળખ છે અને એ સિવાયની બીજી ઓળખો અને ઓળખ આધારિત કહેવાતી વાસ્તવિકતાઓ મુખ્ય વાસ્તવિકતાને નિર્બળ બનાવે છે. એક શોષણ કરે છે અને બીજાનું શોષણ થાય છે. માટે જેટલો રાષ્ટ્રવાદ નિર્બળ એટલી મજૂરોની ક્રાંતિની સંભાવના વધુ. આમ વિચારીને ભારતનાં સામ્યવાદીઓએ ભારતના વિભાજનનું સ્વાગત કર્યું હતું. તેમને એમ લાગતું હતું કે રાષ્ટ્રીયતા વિનાના પાકિસ્તાનમાં સામ્યવાદી ક્રાંતિ ઝડપથી થશે.

અસ્મિતાઓનો ડર દલિતો પણ અનુભવે છે. જ્યાં અસ્મિતાઓ હોય ત્યાં આગ્રહો હોય અને દલિતોને તો કોઈ અસ્મિતા જ આપવામાં નથી આવી. માટે દલિત વિદ્વાનો માને છે કે કાયદાનું રાજ હોય એટલું પૂરતું છે. બધાને એક સરખો દરજ્જો આપતું બંધારણ હોય, એ દરજ્જાને સુરક્ષા આપતું કાયદાનું રાજ હોય, સ્વતંત્ર ન્યાયતંત્ર હોય એટલું પૂરતું છે. આ દેશના નિર્બળ નાગરિકને રક્ષણની ગેરંટી આપી શકે છે, બાકી રાષ્ટ્રવાદ એક કે બીજી રીતે અનુકૂળ થવાનો આગ્રહ રાખે છે અને એમાં હંમેશાં નિર્બળે જ સબળના પક્ષે અનુકૂળ થવાનું રહે છે. આ વખતની ચૂંટણીમાં દલિતોએ અને બીજી અત્યંત પછાત જાતિઓએ બંધારણને બચાવવા બી.જે.પી.ની વિરુદ્ધમાં મત આપ્યો એનું આ કારણ છે. આ વખતની ચૂંટણીમાં પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ એક પ્રભાવી પરીબળ સાબિત થયાં એનું પણ એ જ કારણ છે. જો બંધારણ બદલાય અને ભારતીય રાષ્ટ્રની જગ્યાએ હિંદુ રાષ્ટ્ર આવે તો આ ત્રણેયને હાંસિયામાં ધકેલી દેવામાં આવે. જ્યાં સુધી હિંદુ રાષ્ટ્રવાદને નામે મુસલમાનોને અન્યાય થતો હતો કે હાંસિયામાં ધકેલવામાં આવતા હતા ત્યાં સુધી આ કોઈને ખાસ કોઈ વાંધો નહોતો.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 30 જૂન 2024

Loading

30 June 2024 Bhaashaa Ane Gyaati Deshnee Ekataa Ane AkhaNdataamaaM Baadhak Chhe ?
← વરસાદ આવતા પહેલાં જ 
ઝાડ બચાવવા માટે  વિરોધ પ્રદર્શન →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved