આપણે, ઉત્સવ*ના લોકો
શું કામ ભીડવાળા ઉત્સવો લોકપ્રિય છે? આ કોવિડ કાળમાં વિજ્ઞાન આપણને ચેતવણી આપે છે પરંતુ મોટી સંખ્યામાં લોકો ઉત્સવો એકધાર્યા કરે જાય છે અને શ્વાસ લેવા પણ રોકાતા નથી. આ કોયડા પાછળનું કારણ એ છે કે આ પ્રશ્ન પૂછનારાએ જ ખુલાસો આપવાનો છે, નહીં કે એથી ઊલટું.
કોવિડ પ્રોટોકૉલ(શિષ્ટાચાર)થી કુટુંબ, કૉર્પૉરૅટ ઑફિસ, શાળા, દિવાળીની ઊજવણી વગેરે ઉલળી પડે છે. પુનરાવર્તી, અરસપરસ, લાંબા સમયગાળા પર્યંત બીજા લોકોને સામેલ કરતા વ્યવહારો પર આ તમામનો આધાર રહેલો છે. સામાજિક સંસ્થાઓ મૂળે સંબંધ આધારિત હોઈ, એને બીજા લોકોની જરૂર પડે છે. જો આની બાદબાકી કરી નાખવામાં આવે તો એ પ્રાણીમમીવિદ્યા* સમું બની જાય છે; નિષ્પ્રાણ પ્રતિકૃતિ.
એટલા માટે બીજા લોકોને મળવું સાધારણ બાબત છે કારણ કે સંસ્થાગત વર્તન એની ભલામણ કરે છે, અને ધ્યાન ધરો, સંસ્થાઓ સમાજ રચે છે. તો ભૂલ કરનાર પાત્રો કોણ છે? પોતાના રોજીંદા જીવનમાં સમાજની? કે પછી એ લોકો જે અમુક ડૉક્ટરો, થોડા મંત્રીઓ અને મુઠ્ઠીભર ન્યાયાધીશોથી દોરવાઈને ઉત્સવમાં ખલેલ પહોંચાડે છે?
અગાઉના સમયમાં સીટ બૅલ્ટ, હૅલ્મૅટ જેવા સુરક્ષાના નિયમોથી નહોતું થતું એટલું કોવિડ અનુરૂપ વર્તન સંસ્થાઓને ઉજાડે છે. પેલાંનો વિશિષ્ટ કાર્યો સાથે સંબંધ હતો, સમગ્ર સામાજિક જીવન સાથે નહીં. આમ છતાં, એમના અંગેની સમજાવટ કરવામાં દસકાઓ લાગી ગયેલા. શરૂઆતમાં સીટ બૅલ્ટ પહેરવો એ ટેસ્ટૉસ્ટરૉનની ઊણપ કબૂલ કરવા બરાબર હતું અને કોઈ પણ ખરો પુરુષ એ માટે તૈયાર ન થાય.
તેમ છતાં, એ બાબતોનું પાલન કરવું સહેલું હતું કારણ કે એ ટૂંકા સમયગાળા માટે હતા અને અમુક નક્કી કાર્યોને જ લાગુ પડતાં હતાં, જેવા કે વાહન હાંકવું અને જાહેરમાં બીડી-સિગારૅટ પીવી. આનાથી વિરુદ્ધ, કોવિડના નિયમો સર્વત્ર છે અને આપણા સામાજિક જીવનના દરેક પાસાને હર પળે સ્પર્શે છે. તેથી જ બીજા કરતાં પોતે ચઢિયાતા છે એવું માનનારા અહંકારી, અસામાજિક લોકોને આ સૌથી માફક આવે છે.
જીવનશૈલી સંબંધિત આ પ્રતિબંધોથી બહુમતી દુભાય છે કારણ કે સામાન્ય જીવન જીવવા માટે એમને બીજાની જરૂર હોય છે. એમના માટે સમાજનું મહત્ત્વ છે, અમૂર્ત સ્વરૂપમાં નહીં પરંતુ ચોક્કસ સ્થળ-કાળમાં. એમની અને કોવિડના નિયમોનું પાલન કરનારા વચ્ચેનો ભેદ પૃથ્વીનો પરગ્રહવાસીઓને અપાતા સાદ જેવો છે. પૃથ્વી પર હોવાનો જો ફાયદો હોય તો એ કે બહુ વિચારવું ના પડે. એ વધારાનું બોનસ છે.
પુનરાવર્તી વ્યવહારો પર ટકેલી સંસ્થાઓ સાથે આપણા સામાજિક જીવન જડાયેલા છે તેથી દરેક પગલા અંગે વિચારવાની અને ચિંતન કરવાની પીડામાંથી આપણને છૂટકારો મળે છે. અમુક અંગત ચીજોને બાદ કરતાં આપણી ભૂમિકાઓ પહેલેથી નક્કી કરેલી છે. એક માને એનું કામ ખબર હોય છે, એક ઉપરીને એના હાથ નીચેના કર્મચારીઓને સંભાળતા આવડે છે અને વર્ગમાં શું થશે એ અંગે બાળક જાણતું હોય છે, સિવાય કે કૂતરું ઘરકામ ખાઈ ગયું હોય.
સામૂહિક દ્વારા સમાજ પોતાને રીચાર્જ કરે છે અને ટોળું આપણી સામાજિક જાતની પુષ્ટિ છે. બીજાઓ સાથે હોવું અને સંસ્થાઓએ જે શીખવ્યું છે એ મુજબ કરવું આપણને ગમે છે. જેમ ડી.એચ. લૉરૅન્સે કહ્યું છે, “મોટા ભાગના લોકોમાં એક પ્રકારની ચીકણાશ હોય છે, એ લોકો સમૂહ સાથે ચોંટી જાય છે.” આ રીતે આપણે વિચારવાની તસ્દીમાંથી મુક્ત થઈ જઈએ છીએ અને વધુ આનંદદાયક અને પરિપૂર્ણ જિંદગી જીવી શકીએ છીએ.
એવું નથી કે એક સાંસ્કૃતિક પ્રદેશમાં બધાં એક સરખું વર્તન કરે છે, પરંતુ સામાજિક આદાન-પ્રદાનને નકારવાથી સંસ્થાગત વર્તન ખોખલું થઈ જાય છે અને આપણી સામાજિક ઓળખનો પાયો હલી જાય છે. માત્ર વિમુખ આત્માઓ, જે વિરલ જીવન જીવતા હોય, આવા સંજોગોમાં ખુશ રહી શકે છે. એનું કારણ એ કે એ લોકો સામાજિક સંબંધો પર નભતા જ નથી અને બહુ જ ઓછા લોકો સાથે ઘરોબો રાખવો ગમે છે.
આવા લોકો વ્યક્તિવાદી હોય છે, વધુ પડતું વિચારે છે અને લાંબા સમયથી પૂજનીય ગણાતી સામાજિક સંસ્થાઓ અંગે ટીકાત્મક હોય છે. બહુમતીના મતની ઘણી વખત હાંસી ઉડાવે છે, લઘુમતીનો મત લે છે અને વારંવાર પોતાના દાવાને સમર્થન આપવા વિજ્ઞાનનો સહારો લે છે. નવાઈની વાત નથી કે આ લોકોએ કોવિડના નિયમોને ખૂબ ઉત્સાહથી વધાવ્યાં છે. એમના માટે સ્વપ્ન સાચું પડ્યા જેવું છે.
હવે સમાજ પોતાની નિરંતરતા માટે આ લોકો પર આધાર રાખી શકે નહીં કારણ કે એ લોકો સાંકડા માર્ગ પર ચાલે છે અને ત્યાં બહુ બધાં સમાઈ શકે નહીં. કારણ કે આ લોકો લઘુમતીના મતને સમર્થન આપે છે, સરકારો, ખાસ કરીને લોકતંત્રો, વધુ સમય માટે એમના પર નભવાનું ટાળે છે. લોકતંત્રમાં બહુમતીનો મહિમા છે અને તેથી ઘણી વખત તંત્ર ઔપચારિક ધોરણે જે બાબતોની જાહેરાતો કરે છે એને વાસ્તવમાં ફગાવી દે છે.
વૈજ્ઞાનિક ધોરણે જે સાચું હોય છે એ સામાજિક ધોરણે સાચું હોતું નથી, કમ સે કમ પહેલી નજરે તો નહીં. વિજ્ઞાનની અમૂક ભલામણોને મૂળિયાં નાખતાં સમય લાગે અને માસ્ક પહેરવા તથા રસીકરણ મામલે આપણે એ જોયું. એક વર્ષ પૂર્વે હતી એના કરતાં આજે વધુ સ્વીકૃતિ થઈ છે. આમ છતાં, સામાજિક અંતર* (મારું ઉમેરણ: દૈહિક અંતર) પાળવું અઘરું પડે છે કારણ કે સંસ્થાગત રચનાના કાળજા પર ઘા થાય છે.
એવું નથી કે કોવિડ નિયમોને પાળનારા અને અવગણના કરનારાને જુદા પાડતી લીટી સજ્જડ છે. વાસ્તવિક જીવનમાં એક છેડે કોવિડ શિષ્ટાચારને મક્કમતાથી પાળનારા હશે જે એક તસુ પણ નહીં ખસે. મધ્યમાં હશે વધતાઓછા પ્રમાણમાં ઘડીકમાં સ્વીકૃતિ અને ઘડીકમાં અવગણના કરનારા મળશે જેઓ પસંદગીના મેળાવડાઓમાં નાની છૂટછાટો લેશે. છેવટે, બહુમતી હશે જે ખુલ્લેઆમ ઉત્સવમાં હકડેઠઠ ભાગ લેશે.
સરકારો આ બહુમતી તરફ ધ્યાન ધરે છે પરંતુ બહુ દેખીતી રીતે નહીં. રસીકરણ પર સહર્ષ ભાર મૂકશે પરંતુ સામાજિક અંતર અને માસ્ક અંગે વિસંગતતા દાખવશે. એમને સમજાય છે કે લોકોને એકબીજાથી દૂર રાખવાથી બિનસામાજિક લઘુમતી ખુશ થશે. વિશાળ બહુમતીને સમૃદ્ધ થવા ડી.એચ. લૉરૅન્સની “ચીકણાશ”ની જરૂર હોય છે. વિચારવાના કંટાળાજનક કાર્યથી એમને એ બચાવી રાખે છે.
સત્ય કહેવું હોય તો સરકારને પણ સમાજને જરૂર હોય તેટલી આ ચીકણાશનો ખપ છે. કોણ કહે છે સમૂહ ચબરાક છે?
• મૂળ લેખમાં ‘party’ શબ્દ છે. દા. ત. બર્થ ડે પાર્ટી.
• Taxidermal
• Social distancingને બદલે physical distancing શબ્દ વાપરવાની ભલામણ થયેલી છે કારણ કે social distancingમાં સામાજિક ભેદભાવનો અણસાર વર્તાય છે.
સ્રોત : ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા, ૨ ઑગસ્ટ, ૨૦૨૧. પ્રિન્ટ ઍડિશન.
e.mail: rupaleeburke@yahoo.co.in