આ વર્ષ માર્ક્સના પુનરાગમનનું વર્ષ છે. માટે, આ વર્ષે ચર્ચામાં રહેલો શબ્દ ફક્ત કોરોના નહીં હોય. દુનિયાભરની ચર્ચાના કેન્દ્રસ્થાને ઉભરેલો શબ્દ છે શ્રમિક કે મજૂર. ‘શ્રમિક’ સાંભળતાં જ સૌથી પહેલી છબી ઉપસે છે કાર્લ માર્ક્સની. એનો શ્રમિક જાણે અચાનક જ સામે આવી ગયો. ફિલિપાઇન્સમાં તે પગપાળો ચાલી રહ્યો હતો, ભારતમાં ચાલતાં ચાલતાં જ તેણે પ્રાણ તજી દીધા અને મૂડીવાદના અભિમાનથી છલકાતા અમેરિકામાં તે ભોજન માટેની કતારમાં ઊભેલો દેખાયો.
આ શ્રમિક હતો, પાયાનો પથ્થર, જે હમણાં સુધી છૂપાયેલો હતો ને હવે સાક્ષાત્ સામે આવી પડ્યો. સરકારોએ તેને તોતિંગ સમસ્યા કે માથાના દુઃખાવા તરીકે જોયો. પણ તેમનામાં એટલી માણસાઈ છે કે તે શ્રમિકોને મરવા દેવા માગતી નથી. એ તેમને બે ટંકનું ભોજન આપી રહી છે, તેમના ખાતામાં મહિને રૂ. પાંચસો નાખી રહી છે. મુદ્દે, તે શ્રમિકોને મરવા નહીં દે. માર્ક્સ વ્યંગપૂર્ણ સ્મિત સાથે પૂછે છે, ‘તેમને જીવિત રાખવાની ઇચ્છા એ માણસાઈ છે કે મૂડીની મજબૂરી? હવે એ દીવા જેવું ચોખ્ખું નથી થઈ ગયું કે સમાજ જેમને ફક્ત જીવતાં રાખવા પૂરતી માણસાઈ ધરાવે છે? એ શરીરો વિના બધું કામકાજ ઠપ્પ થઈ ગયું છે અને ગાડીને પાછી પાટે ચડાવવી હશે તો આ શરીરોની જરૂર પડશે. ‘આ શરીર, જે શ્રમિકનું છે અને શ્રમ જેનો ગુણ છે.’
માર્ક્સે જ કહેલું ને કે માત્ર મૂડી જ મૂડીને પેદા કરતી નથી. શ્રમ વિના મૂડી નિષ્ક્રિય અને બિનઉત્પાદક બની જાય છે. તેમાં જીવ રેડવાનું કામ શ્રમ કરે છે. સચ્ચાઈ તો એ છે, જે માર્ક્સે દોઢસો વર્ષ પહેલાં કહેલીઃ મૂડી એ સંચિત શ્રમ છે. ફરક હોય તો એટલો કે (મૂડી સ્વરૂપે સંચિત) શ્રમ મજૂરના શરીરથી અલગ થઈ ગયો છે અને તે મજૂરની મિલકત પણ મટી ગયો છે. મૂડી જેટલી વધે છે, એટલો જ મજૂર કંગાળ બનતો જાય છે.
આ બધી વાતો જૂના જમાનાની માની લેવામાં આવી. માર્ક્સે ચેતવણી આપેલી કે મૂડીનું આ જે વિરાટ સ્વરૂપ દેખાય છે તે તંદુરસ્તીનું નહીં, રોગનું લક્ષણ છે. આ કસાયેલું નહીં, ફૂલી ગયેલું શરીર છે. તેની સામે છે માંડ માંડ જીવન ટકાવી રાખનાર મજૂર. ફક્ત મજૂર જ પોતાનું રક્ષણ જાતે કરી શકતો નથી, એમ નહીં. મૂડી પણ પોતાની જાતે પોતાનું રક્ષણ કરી શકતી નથી. મૂડી સરકાર સમક્ષ બચાવ માટે ધા નાખી રહી છે, અત્યારે જ એ ચોખ્ખું દેખાતું નથી? અને મૂડીને ઉગારવા માટે રોકાણ કોનું થશે? તમારું-મારું ને તેમનું જે બધાને દયા કરીને સરકારમાઈબાપ ટ્રેન અને બસમાં ઘર ભેગાં કરી રહી છે.
સૌથી પહેલાં સરકારે મૂડીમાલિકોને શું આશ્વાસન આપ્યું? તો કહે, ચિંતા ન કરતા. અમે રોજના કામના કલાક વધારીને બાર કરી દઈશું. કાર્લ માર્ક્સ ફરી સ્મિત કરે છે, ‘આ કલાકોમાં તો ખરું રહસ્ય છે. કલાકો જેટલા વધશે, એટલા મજૂર ઓછા થશે. પેદા થઈ રહેલી ચીજનાં મૂલ્ય સાથે શ્રમ અને સમયના સરવાળાનો કંઈક તો સંબંધ છે જ.’
આ સમસ્યા અંગે ડેવિડ હાર્વેએ થોડું વિચાર્યું છે. શરીરશ્રમ ઉપરાંત બીજી મહત્ત્વની બાબત હતી સમય. અત્યારે બધા પાસે સમય જ સમય છે અને એ પણ શરીરથી (શરીરશ્રમથી) અલગ થયેલો સમય. કેટલાક માટે આ સમય પોતાના આંતરિક જગતમાં ડૂબકી મારવા માટે વણમાગ્યે મળી ગયેલી ચીજ છે, તો ઘણાખરા લોકો માટે તે બળજબરીથી લદાયેલો બોજ. આ સમયમાં પોતાના આંતરિક જગત સાથે રૂબરૂ થવાની સુવિધા તેમની પાસે નથી. આ બધો સમય તેમણે તો આત્માને—આંતરિક જગતને — ધારણ કરનારી બાહ્ય એવી કાયાને ટકાવી રાખવામાં જ ખર્ચવો પડે, એવું બંધન હતું. ટૂંકમાં, તેમની પાસે અધ્યાત્મની સગવડ બિલકુલ ન હતી.
મજૂરોનાં ટોળેટોળાં ઘર છોડીને સડકો પર ઊતરી પડ્યાં ત્યારે સત્તાધારી પક્ષના એક સાંસદે બહુ ભદ્દી રીતે આ વાત કહી દીધીઃ આ ‘બેજવાબદાર’ મજૂરોને માગ્યા વિના જ રજાઓ મળી ગઈ છે. એટલે તેમને લાગે છે કે આ સમય તો સગાંસ્નેહીઓને હળવામળવા માટે મળ્યો છે. તેમની ટીકા પાછળનો ભાવ આવો જ હતો. તેનો ધ્વનિ હતો કે રજાઓ આ મજૂરોનો અધિકાર નથી, એ તો જાણે વધારાનાં મોજશોખનો હિસ્સો છે. તેમનો સમય ને તેમની રજાઓ મૂડીની માલિકીનાં છે કે પછી મૂડીની ચોકીદારી કરતી સરકારની માલિકીની, જે તેનો ઉપયોગ ‘રાષ્ટ્રીય સંપત્તિ’ના ઉત્પાદન અને સંગ્રહ માટે કરે છે. સાંસદ ફક્ત તેમની વાત કરતા ન હતા. એ તો સાદી સમજની વાત છે કે મજૂરોએ દેશ માટે જાતને જીવિત રાખવાની છે. તે બીમાર પણ ન પડી શકે. તેનાથી રાષ્ટ્રીય સંપત્તિના સર્જનમાં અવરોધ આવશે. તેમની તંદુરસ્તી માટે અલગથી ખર્ચ કરવો પડે તો તે દેશ માટે વધારાના બોજરૂપ છે.
આમ, આપણે જોઈ શકીએ છીએ કે એક જ વખતે સમયનો જે અર્થ મજૂરો માટે છે, તે બીજા લોકો માટે નથી. મતલબ કે, આપણે ગમે તેટલી સહિયારાપણાની અને સામૂહિકતાની વાત કરીએ, પણ આ સમાજમાં કોઈ સમય સહિયારો નથી.
સહિયારો સમય નથી, તો પછી સામે મોં ફાડીને ઊભેલી આફત સામે કરવામાં આવતી સહિયારી સક્રિયતા પણ કેમ અને શી રીતે શક્ય બને? આ સમસ્યા વિશે વિચારતાં હાર્વે માર્ક્સને યાદ કરે છે. આપણે દેશને કે રાષ્ટ્રને તંદુરસ્તી અને સમૃદ્ધિ ભણી દોરી જવો હોય તો એવી સામૂહિકતા વિકસિત કરવી પડે, જે સમય સાથે સંકળાયેલા વર્તમાન વિરોધાભાસ થકી સિદ્ધ થઈ શકશે નહીં.
એક સંપન્ન દેશ કેવો હશે? માર્ક્સનો ચોખ્ખો જવાબ છે, ‘સાચો સંપન્ન દેશ એને કહેવાય જ્યાં કામના કલાક બાર નહીં, છ હોય. કામના વધારાના સમય પર અંકુશ હોય તેને સમૃદ્ધિ ન કહેવાય. બલકે, ઉત્પાદનકાર્યમાં ખર્ચાયેલા સમય ઉપરાંત આખા સમાજની પ્રત્યેક વ્યક્તિ પાસે પોતાની મનમરજી પ્રમાણે ખર્ચવાનો સમય હોય તેને સમૃદ્ધિ કહેવાય.’ માર્ક્સ શ્રમિકોને અને દરેકને વિશિષ્ટ વ્યક્તિ તરીકે જોતી-સ્વીકારતી સામૂહિક સક્રિયતા પર ભાર મૂકે છે. ઘણા લોકો પાસે વધારાનો સમય જ ન હોય અને જૂજ લોકો પાસે સમય જ સમય હોય, તે અન્યાય છે. તે સામૂહિકતાનું ઉલ્લંઘન પણ છે. કોરોના વાઇરસના ચેપને અટકાવવા માટે વારેઘડીએ સામૂહિક એકજૂથતા જેવા ગુણની વાત કરવામાં આવે છે. શ્રમિકો પાસેથી તેમનો સમય છીનવી લેવામાં આવે, તો આવી એકજૂથતા અશક્ય છે. શ્રમિકોનાં ખાલીખમ તનમાંથી આ સમય નીચોવી લેવા માટે સરકારી રાહે બળપ્રયોગ થતો હોય, તો પછી વિદ્રોહ કેમ ન થાય? માર્ક્સના જન્મનાં ૨૦૨ વર્ષ પછી આ જૂનો સવાલ નવેસરથી સામે આવી ઊભો છે.
અનુવાદઃ ઉર્વીશ કોઠારી
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 10 મે 2020