‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં’, એવું ચાણક્યે ભાવિ ભાખીને કહ્યું હશે. આવું કહ્યું ત્યારે એને અંદાજ હશે જ કે શિક્ષક સાધારણ પણ હોઈ શકે છે. શિક્ષક સાધારણ હોય તો શિક્ષણ કેવું હોય તેનાં અસંખ્ય ઉદાહરણો ગુજરાતની રોજ બ રોજની જિંદગીમાં જોવા મળે છે. એમાં કોઈ શંકા નથી કે ગુજરાતમાં શિક્ષણ કેવળ અખતરાઓનો ભોગ થઈ પડ્યું છે ને એના ખતરાઓનો સામનો વિદ્યાર્થીઓ, વાલીઓ તો કરે જ છે. પણ શિક્ષકો પણ એમાંથી બાકાત નથી. ખબર નથી કે શિક્ષણ વિભાગને એના અખતરાઓની અસર વર્તાય છે કે નહીં, પણ મંત્રીઓએ એ જોવાનું રહે જ છે કે તેમના પ્રયોગો શિક્ષણ જગતમાં સ્વીકારાય. નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે તે નીતિ તરીકે તો આવકાર્ય છે જ, પણ તેને લાગુ કેવી રીતે કરાય છે, તેનાં પર પણ તેની સફળતાનો આધાર રહેલો છે. શિક્ષણ શાળાઓથી શરૂ થાય તે અપેક્ષિત છે. તે દુકાનોથી શરૂ થાય તો વિચારવાનું રહે. પૈસા હોય તેવું ટોળું કે.જી.-નર્સરીની દુકાન ખોલી કાઢે, ઓછા પગારે કાચા-પાકા શિક્ષકો દ્વારા કાચુંપાકું ભણાવી દે ને વાલીઓને લાગે કે તેમનું છોકરું ભણે છે, પણ શું ભણે છે તે તો છોકરું જ જાણતું હોય છે. મોટે ભાગે તો તે શિક્ષણનો બોજ ઉપાડતાં નાની ઉંમરથી જ શીખી જાય છે. જો કે, તેને ખબર નથી કે આ બોજ કયાં સુધી ઉપાડવાનો છે ને તેની ફળશ્રુતિ શું છે?
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાતમાં બે ઘટનાઓ સામે આવી. એક તે શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબે ગાંધીનગરની ઝિંડવા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. સાધારણરીતે સાહેબો આચાર્યની ખુરશીમાં જરા ય સંકોચ વગર ગોઠવાઈને હુકમો છોડતા હોય છે, પણ મંત્રીશ્રીએ આગ્રહ છતાં, આચાર્યની ખુરશીમાં ન બેસવાનો વિવેક દાખવી આચાર્ય પદની ગરિમા જાળવી. સાહેબે બાલિકાઓ સાથે સંવાદ કર્યો ને શિક્ષકોની કામગીરીનું નિરીક્ષણ કર્યું. પોતે પ્રાધ્યાપક હોવાથી મંત્રીશ્રીએ હળવી શૈક્ષણિક કામગીરી પણ કરી ને શાળા સંદર્ભે સંતોષ વ્યક્ત કર્યો.
બીજી ઘટનામાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને તળિયા ઝાટક તપાસ કરવાનો આદેશ આપવો પડ્યો. બન્યું એવું કે વરાછાની સાધના નિકેતન સ્કૂલમાં હિતેશ સરવૈયાની ચાર વર્ષની જુનિયર કે.જી.માં ભણતી બાળકી તેની શિક્ષિકાના હાથના બે તમાચા ને ત્રીસેક ધબ્બાનો ભોગ બની. 9 ઓક્ટોબરે સાડા ચારે દીકરી ઘરે આવી તો ડ્રેસ બદલતી વખતે માતાને પીઠ પર મારઝૂડ થયેલી દેખાઈ. માતાએ શિક્ષિકાને પૂછ્યું તો એમણે એક ઝાપટ માર્યાનું કબૂલ્યું. માતાએ પૂછ્યું કે એક ઝાપટથી આટલાં નિશાન કેવી રીતે પડે? શિક્ષિકાએ ફરી એવું નહીં થાય એમ કહીને બચાવ તો કર્યો, પણ બીજે દિવસે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતાં ખબર પડી કે બાળકીને બે થપ્પડ મરાઈ હતી, ગાલે ચીમટા ભરાયા હતા ને પીઠ પર ત્રીસ પાંત્રીસ ધબ્બા મરાયા હતા. આ અત્યાચાર એટલે ગુજારાયો હતો કે બાળકીએ લેસન કર્યું ન હતું. વીડિયો વાઇરલ થતાં વાલીઓમાં હોબાળો મચી ગયો. પોલીસ ફરિયાદ થઈ. શિક્ષિકાને બરતરફ કરાઇ ને તેની ધરપકડ થઈ. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જણાવ્યું કે કે.જી.ના વિદ્યાર્થીઓ પાસેથી લેસન માંગવાનું જ નથી હોતું. પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મારઝૂડના ત્રાસ સામે શિક્ષકોને દંડની જોગવાઈ છે, પણ તેનો અમલ થતો નથી, તેથી સરકારે ફરી પરિપત્રો ફટકારી દીધા, જેમાં 10થી 25 હજારનો દંડ વસૂલવાની વાત છે.
કૈં બને છે કે પ્રતિક્રિયાઓ ફટાફટ આવવા લાગે છે. એ કેવું કે પચીસ હજારનો દંડ થાય તો મારઝૂડ કે માનસિક ત્રાસનાં કોઈ ચિહ્ન પછી રહેતાં નથી ! જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ કે.જી.ના વિદ્યાર્થી પાસેથી લેસન માંગવાનું નથી એવી વાત કરી તો શિક્ષિકાને એની ખબર ન હતી એમ માનવાનું રહે. સવાલ તો એ પણ છે કે એવી ખબર બધી સ્કૂલોને છે? 10થી 25 હજારનો દંડ તો થાય, પણ એટલો પગાર શિક્ષકોને કેટલી સ્કૂલો આપે છે? આ સ્કૂલની વાત જવા દઇએ, કેટલીક સ્કૂલો બરાબર જ ચાલતી હશે એ પણ માની લઇએ, પણ સરકારે આવી સ્કૂલો અંગે એ જોયું છે કે તે સરકારી ધારાધોરણ પ્રમાણે ચાલે છે? જે સંચાલકો છે તે સ્કૂલો ચલાવવાની આવડત કે અનુભવ ધરાવે છે? એમાં જે શિક્ષકો નીમાય છે તે યોગ્ય લાયકાત ધરાવે છે? એવા શિક્ષકોને ધારાધોરણ મુજબ પગાર ને બીજી સવલતો અપાય છે? આ સવાલોના જવાબ નકારમાં આવવાની સંભાવનાઓ ઘણી છે.
મોટે ભાગે સ્કૂલો ચલાવનારા કોઈક રીતે લાઇસન્સ મેળવી લે છે ને કોઈ ફેક્ટરીની જેમ સ્કૂલો ચાલુ કરી દે છે. કારીગરો રખાય તેમ શિક્ષકો રખાય છે. શિક્ષકને સંચા ચલાવવા જેવી આવડત ન હોય તો પણ તે બાળકોને ચલાવે છે તે હકીકત છે. મોટેભાગના શિક્ષકોને કોઈ તાલીમ નથી. નોકરી નથી એટલે જે મળી તે નોકરી કરી લેવા લાચાર છે. બાળકો પાસે કેવી રીતે કામ લેવું તેની આવડત અપવાદરૂપે જ હોય છે. ઘણુંખરું તો તે ઘેટાંબકરાંની જેમ જ બાળકો જોડે વર્તે છે. લેસનની તો વાત જ નથી ક્યાં ય, પણ ચોપડાંનું વજન ને લેસન ત્રણચાર વર્ષનાં બાળકની ચામડી ઉધેડતું રહે છે. તેને કોઈ આનંદ ભાગ્યે જ હોય છે. નાનેથી જ તેને લાગવા માંડે છે કે ઘરમાં તે વધારાનું છે એટલે મમ્મી સ્કૂલે ધકેલે છે ને સ્કૂલમાં તે ટોળાંનો ભાગ છે એટલે ત્યાં હોય કે ન હોય, સરખું જ છે. વાલીઓ ઢગલો ફી આપીને નાનપણથી બાળકો માટે માનસિક ત્રાસ ને માર ખરીદે છે. મોટે ભાગના વાલીઓ અલ્પ શિક્ષિત છે. બાપ કારીગર હોય, પણ તેને તેનું છોકરું જન્મતાં જ અંગ્રેજની ઔલાદ હોય તેવું અપટુડેટ જોઈએ છે, એટલે બાળક અઢી ત્રણ વર્ષનું થાય કે નર્સરી–કે.જી.માં ધકેલે છે. કે.જી.-નર્સરીનો કોઈ જ બેઝિક કન્સેપ્ટ ન હોય એવા ધંધાદારી સંચાલકો સ્કૂલો ચલાવે છે ને અભણ શિક્ષિકો કોઈ જ તાલીમ વગર ભણાવે છે. એમાં દાટ બાળકોનો વળે છે. ગુજરાતમમાં કે.જી.-નર્સરી શિક્ષણ અપવાદરૂપે જ ઠીક છે, બાકી, એ બંધ થાય તો બાળકો પર તો ઉપકાર જ થશે. જે શિક્ષણથી આનંદ ન મળે એ શિક્ષણ નથી, શિક્ષા છે. આપણું આખું શિક્ષણ પીડાનો પર્યાય છે. એનું મુખ્ય કારણ યોગ્ય શિક્ષકોના અભાવમાં અપાતું શિક્ષણ છે.
ગુજરાતમાં શિક્ષક વગર શિક્ષણનો પ્રયોગ ચાલે છે. નવી શિક્ષણ નીતિ શિક્ષકો વગર જ સફળ થશે એવું સરકારને કઇ રીતે લાગે છે તે નથી ખબર, પણ કેટલી ય સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી એવું તો સરકાર જ વિધાનસભામાં કબૂલે છે. શિક્ષકોનો દુકાળ છે? ના. હોય તો લીલો દુકાળ છે. શિક્ષકો જગ્યા વગર ને જગ્યાઓ શિક્ષક વગર ઝૂરે છે. કાયમી શિક્ષકોની 32,000ની ઘટ છે ને તે 2017થી ચાલી આવે છે. 2017થી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી. બીજી તરફ 40 હજાર શિક્ષકો બધી પાત્રતા સાથે નોકરીની વાટ જોઈ રહ્યા છે. શિક્ષકો હોવા છતાં ભરતી થતી નથી અને સરકાર કામચલાઉ શિક્ષકોથી કામ કાઢવા માંગે છે. તે પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકો, શિક્ષા સહાયકો, જ્ઞાન સહાયકોથી કારભાર ચલાવે છે. આ વેપલો તે એટલે કરે છે કે શિક્ષકોને કાયમી કરવા ન પડે ને નિવૃત્તિનાં પેન્શન ને બીજા લાભો આપવા ન પડે. આ કામચલાઉ શિક્ષકોની કરામત અન્ય કોઈ રાજ્યોમાં જાણમાં નથી. તો, ગુજરાત એટલું ગરીબ થઈ ગયું છે કે તેણે આમ આંગળાં ચાટીને પેટ ભરવું પડે? ના, સરકાર ગરીબ નથી. આ વર્ષનું સૌથી વધુ બજેટ શિક્ષણને ફાળવાયું છે. તો આવું કેળવેલું દારિદ્રય શિક્ષણને કઇ રીતે ઉપકારક નીવડશે એ પ્રશ્ન જ છે.
કોઈ પણ શિક્ષણ નીતિ યોગ્ય શિક્ષક વગર નકામી છે. 40,000 યોગ્ય શિક્ષકો સરકારે જ પરીક્ષાઓ લઈ લઈને તારવ્યા છે. આ પરીક્ષાઓ કામચલાઉ નોકરી માટે લેવાઈ નથી. તેમને હવે જ્ઞાન સહાયકની નોકરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આપવાની વાત સરકાર કરે એમાં છેતરપિંડી છે. એક ભાવિ શિક્ષકને એવું કહેતાં સાંભળ્યા કે શિક્ષકની નોકરી માટે પોતે 26 વર્ષ ભણવામાં કાઢ્યાં, એ પછી પણ કાયમી નોકરીને બદલે જ્ઞાન સહાયકની નોકરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવાની હોય તો શિક્ષણનો અર્થ ખરો? તે પણ 32,000 કાયમી શિક્ષકોની ઘટ પુરાવાની બાકી હોય ત્યારે? આ શરમજનક છે.
કેટલાક પેન્શન મેળવતા નિવૃત્તો એવી દલીલ કરે છે કે આજના ઘણા શિક્ષકો વફાદારીથી નોકરી કરતા ન હોય તો એમને કાયમી શું કામ કરવા જોઈએ? એવું તો જે પેન્શન મેળવે છે એ શિક્ષકોમાં ય ક્યાં ન હતું? એ બધાએ વફાદારીથી જ નોકરી કરી હતી એવું હતું? એટલે કામચોરી તો ત્યારે હતી ને આજે ય છે. એ ખરું કે ઘણા શિક્ષકો વર્ગખંડમાં ન જઈને અને ટ્યૂશન પૂરું કરીને બેવડું કમાય છે. એ પણ શરમજનક જ છે. એટલું છે કે કાયમી નોકરીની ખાતરી મળતાં ઘણા ફરજ પ્રત્યે બેપરવા થઈ જાય છે. એમને સભાન રાખવા માટે વખતોવખત ખાતાકીય તપાસ ને પરીક્ષાનું શસ્ત્ર ઉગામી શકાય ને એમાં નિષ્ફળ જાય તો તે અંગેની શિક્ષાત્મક જોગવાઇઓ પણ વિચારી શકાય. પણ, કાયમી જગ્યાઓ હોય ને તે સરકાર ન ભરે તે યોગ્ય નથી. વારુ, કામચોરીની તો અન્ય ક્ષેત્રોમાં પણ વર્ષોથી ટેવ ચાલી આવે છે, પણ ત્યાં બધાંને જ કોન્ટ્રાક્ટ પર રખાતા નથી. કામચલાઉ નોકરીઓ ઉપરાંત ત્યાં કાયમી નોકરીની ને નિવૃત્તિ પછીના લાભોની જોગવાઈ છે જ. સરકારી ખાતાઓમાં, બેન્કોમાં આખો સ્ટાફ કામચલાઉ નથી, તો શિક્ષક જ કોન્ટ્રાક્ટ પર કેમ? એ જો એટલું જ યોગ્ય છે તો સરકાર ને તેનાં મંત્રીઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કેમ નથી?
ટૂંકમાં, કોઈ પણ સંજોગોમાં શિક્ષક કામચલાઉ ચાલવાનો નથી, સિવાય કે શિક્ષણનો જ અગ્નિ સંસ્કાર કરવાનો હોય …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ઑક્ટોબર 2023