આવી ઘટના તો માત્ર ભારતમાં જ બની શકે, અને ઘટના પછી જે ઘટનાઓ બની રહી છે એ પણ માત્ર ભારતમાં જ બની શકે!
પહેલાં કથાનક :
ચિત્રા રામકૃષ્ણન્ નામનાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહેનની એપ્રિલ ૨૦૧૩માં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એન.એસ.ઈ.)નાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (સી.ઈ.ઓ.) તરીકે નિમણૂક કરવામાં આવે છે. હવે એન.એસ.ઈ. કેટલું મોટું એક્સચેન્જ છે એ તો તમે જાણો છો અને એમાં આ બહેન તો તેની સ્થાપના કરવામાં આવી એ પહેલાંથી તેની સાથે સંકળાયેલાં હતાં. નવા કોમ્યુટર યુગમાં ઓનલાઈન ટ્રેડીંગ કરી શકાય એવું એક એક્સચેન્જ સ્થાપવું જોઈએ એમ નાણાં મંત્રાલયને લાગ્યું હતું અને તેના સ્વરૂપની કલ્પના કરવાનું કામ જેમને સોપવામાં આવ્યું હતું એમાં એક ચિત્રાબહેન પણ હતાં. ખરું પૂછો તો ચિત્રા રામકૃષ્ણન્ મુખ્ય હતાં. શેરબજારની રિંગમાં દલાલો રાડો પાડીને સોદા કરતા હોય એની જગ્યાએ, એટલે કે રિંગની જગ્યાએ, એક સર્વર હોય, એક બેકઅપ સર્વર હોય અને દલાલો પણ પોતપોતાનાં સર્વર ધરાવતા હોય અને એન.એસ.ઈ. સાથે જોડાયેલા હોય તો કોઈને સદેહે શેરબજારની રિંગમાં આવવાની જરૂર ન પડે. આમ નેશનલ સ્ટોક એક્સચેન્જની કલ્પના કરનારાઓમાં ચિત્રા રામકૃષ્ણન્ એક અને મુખ્ય હતાં. એન.એસ.ઈ.નો ઢાંચો તૈયાર કરવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી.
એન.એસ.ઈ.ના સર્વર સાથે દલાલોનાં સર્વર જોડાયેલાં હોય એ તો જાણે સમજ્યા, પણ પ્રશ્ન હતો દલાલોના સર્વરના લોકેશનનો. જૂનાં શેરબજારમાં એક જ સ્થળે (શેરબજારની રિંગ) દલાલો એકત્ર થતા હતા, માર્કેટની રુખની એક સાથે જાણકારી મેળવતા હતા, તેના આધારે સોદાઓ કરતા હતા અને શેરબજારમાં લખાવતા હતા. નવા ઢાંચામાં દલાલોએ શેરબજારમાં આવવાનું નહોતું, પણ પોતાનાં સ્થળેથી ધંધો કરવાનો હતો, સર્વર દ્વારા. એન.એસ.ઈ.નું મુખ્ય સર્વર એ લોકેશન અને દલાલોનાં સર્વર એ કો-લોકેશન. હવે લોકેશન અને કો-લોકેશન વચ્ચે જે અંતર હોય એનાથી ધંધામાં કોઈ ફરક પડે ખરો? મિલિયન ડોલર ક્વેશ્ચન આ છે.
એન.એસ.ઈ. અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ કો-લોકેશન વિષે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. હાઈ ફ્રિકવન્સી હોય અને કો-લોકેશન મુખ્ય લોકેશનની નજીક હોય તો શેરબજારની મુવમેન્ટની જાણકારી એવા લોકોને બે-ચાર સેકન્ડ વહેલી મળે અને બે-ચાર સેકંડનો ફરક અબજો રૂપિયાના નફા-નુકસાનનો ફરક પેદા કરી શકે. માટે નાના દલાલો અને ધંધામાં સમાન તકની નૈતિકતાનો આગ્રહ રાખનારા પારકી છઠ્ઠીના જાગતલો (વ્હીસલ બ્લોઅર્સ) વારંવાર સત્તાવાળાઓનું ધ્યાન દોરતા હતા કે કો-લોકેશનમાં અસમાનતા એક કૌભાંડ છે. એમાં એવી ટેકનોલોજી દાખલ કરવી જોઈએ કે જેથી માહિતી ક્યારે મળે તેની અસમાનતાને કારણે કેટલાક લોકોને મળતા લાભ નિવારી શકાય.
સતાવાળાઓ એટલે એન.એસ.ઈ.ના સંચાલકો, શેરબજારનું નિયમન કરનારી સંસ્થા સેબી (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા)ના હોદ્દેદારો અને નાણાં પ્રધાન સહિત નાણાં મંત્રાલયના મૂડીબજારનો હવાલો ધરાવનારા અધિકારીઓ. હવે બને છે એવું કે ચિત્રા રામકૃષ્ણન્ લોકેશન અને કો-લોકેશનવાળા એન.એસ.ઈ.ના ઢાંચાની યોજના બનાવે છે અને દાખલ કરે છે. વાત અહીં પૂરી થતી નથી. સેબીએ શેરબજારનું નિયમન કઈ રીતે કરવું એની રૂપરેખા બનાવવામાં પણ ચિત્રા રામકૃષ્ણન્ મુખ્ય ભૂમિકાએથી કામ કરે છે. જે વ્યક્તિ કેસીનોનો ઢાંચો વિકસાવે એ વ્યક્તિ કેસીનો ઉપર નજર કેમ રાખવી એની સંહિતા પણ વિકસાવે. આ થોડુંક વિચિત્ર હતું, પણ કદાચ એવી ગણતરી હશે કે જે વ્યક્તિએ ઢાંચો વિકસાવ્યો છે એ વ્યક્તિ ઢાંચાની બારીકીઓ વધારે જાણતી હોય એટલે એ વ્યક્તિ નિયમનોનું સ્વરૂપ પ્રમાણમાં વધારે અસરકારકપણે વિચારી શકે. અને આવે છે ૨૦૧૩ની સાલ. ચિત્રા રામકૃષ્ણન્ની એન.એસ.ઈ.ના સી.ઈ.ઓ. તરીકે નિમણૂક કરવામાં આવે છે.
ચિત્રા રામકૃષ્ણન્ને સોંપવામાં આવેલી આ ત્રણેય ભૂમિકા (અત્યંત નિર્ણાયક ભૂમિકા) સદ્દહેતુનું પરિણામ હતું અને એમાં કોઈ કૌભાંડ નહોતું એમ આપણે માની પણ લઈએ તો પણ સવાલ તો બચે જ છે કે એન.એસ.ઈ.ના લોકેશન અને કો-લોકેશનમાંની ક્ષતિ બાબતે નાના દલાલો અને વ્હીસલ બ્લોઅરો ધ્યાન દોરતા હતા તો તેના તરફ ધ્યાન કેમ આપવામાં ન આવ્યું? કોના હિતમાં એ વ્યવસ્થા કાયમ રાખવામાં આવી છે અને સુધારવામાં આવતી નથી? આ પ્રશ્ન જ્યારે કરો ત્યારે ચિત્રા રામકૃષ્ણન્નું ત્રણેય જગ્યાએ હોવું એ કોઈ અજ્ઞાત હાથ કે હાથોનું ભારતના સામાન્ય જનોના પૈસા લૂંટવાનું કાવતરું હોય એમ ભાસે છે.
અજ્ઞાત હાથ! ચિત્રા રામકૃષ્ણન્ જેવા એન.એસ.ઈ.ના સી.ઈ.ઓ. બને છે કે તરત તેઓ હિમાલયના કોઈ સિદ્ધ યોગીની સલાહ લે છે અથવા એ સિદ્ધ યોગી સલાહ આપે છે. એ સિદ્ધ યોગી સદેહે કોઈને મળતા નથી. એ યોગી પોતાનું સરનામું કોઈને આપતા નથી. એ યોગી ટેલિફોન રાખતા નથી એટલે કોઈ તેમનું લોકેશન જાણી ન શકે. એ યોગીનું નામ શું છે એ કોઈ જાણતું નથી. ચિત્રા રામકૃષ્ણન્ પણ નામ જાણતાં નથી. તેઓ માત્ર એટલું જ કહે છે કે વર્ષો પહેલાં તેઓ એ યોગીને મળ્યાં હતાં અને તેમની દેવીશક્તિથી પ્રભાવિત થયાં હતાં. જે શક્તિનો પરિચય થયો એ દૈવી હતી અને જ્યારે જરૂર હોય ત્યારે માર્ગદર્શન આપતા રહે છે એટલે નામ-ઠામ જેવા સ્થૂળ પરિચય નિરર્થક છે. એ યોગી ચિત્રા રામકૃષ્ણન્ને સપનાંમાં પણ મળતા નથી, પણ ઈમેઈલ દ્વારા સલાહ આપે છે. તેમનું ઈમેઈલ એકાઉન્ટનું નામ પણ અધ્યાત્મિક છે : રીગયજુરસામ@આઉટલુક.કોમ. રીગયજુરસામ એટલે ઋગ્વેદ, યજ્રુવેદ અને સામવેદ. વળી આ યોગી ચિત્રા રામકૃષ્ણન્ને માત્ર શેરબજારના કામકાજને લગતી જ સલાહ આપે છે. યોગી અસાર સંસારમાં શેરબજારના ધંધામાં રસ લે છે.
ચિત્રા રામકૃષ્ણન્ સી.ઈ.ઓ. બન્યાં એ પછી યોગી ચિત્રા રામકૃષ્ણન્ને સલાહ આપે છે કે તેઓ બાલમેર લૉરી નામની કંપનીમાં વરસે ૧૫ લાખના પગારની નોકરી કરતા આનંદ સુબ્રમણ્યમ્ નામના માણસને એન.એસ.ઈ.માં સલાહકાર તરીકે નિયુક્ત કરે. યોગીએ જ પગાર ઠરાવ્યો એક કરોડ ૪૬ લાખ અને એ પણ સપ્તાહમાં ત્રણ દિવસ કામ કરવા માટે. બાલમેર લૉરી ટ્રાવેલ અને લોજિસ્ટિકના ક્ષેત્રમાં કામ કરનારી કંપની છે અને તેને નાણાંક્ષેત્ર સાથે કોઈ સંબંધ નથી એટલે દેખીતી રીતે આનંદ સુબ્રમણ્યમ્ને ફાયનાન્સનું કોઈ જ્ઞાન નહોતું. ચિત્રા રામકૃષ્ણન્ યોગીના આદેશને માથે ચડાવે છે અને નિમણૂકો માટેની જરૂરી વિધિ કર્યા વિના બારોબાર આનંદ સુબ્રમણ્યમ્ની સલાહકાર તરીકે નિયુક્તિ કરે છે. હવે યોગીનો માણસ ચિત્રા રામકૃષ્ણન્ની સાથે એક જ કેબિનમાં બેસતો હતો અને યોગીના નામે ચિત્રાબહેનને સલાહ આપતો હતો. એક રીતે એન.એસ.ઈ.નું સંચાલન યોગીએ સીધું પોતાના હાથમાં લઈ લીધું. વરસ પછી યોગીએ ચિત્રા રામકૃષ્ણન્ને સલાહ આપી કે આનંદ હવે ત્રણની જગ્યાએ ચાર દિવસ આપશે અને તેનો પગાર ચાર કરોડ ૬૦ લાખ કરી આપવામાં આવે. તેમને એમ પણ કહેવામાં આવ્યું કે આનંદ ત્રણ દિવસ ઑફિસમાં હાજર રહેશે અને એક દિવસ એ ગમે ત્યાંથી કામ કરશે. તેને વિદેશયાત્રા માટે ફર્સ્ટ ક્લાસનું અને ભારતમાં પ્રવાસ કરવા માટે એક્ઝીક્યુટીવ ક્લાસનું ભાડું આપવામાં આવે. ચિત્રા રામકૃષ્ણને એન.એસ.ઈ.ના બોર્ડને પૂછ્યા વિના પગાર પણ વધારી આપ્યો અને ભાડાની વ્યવસ્થા પણ કરી આપી.
આધ્યાત્મિક બાબતોની જગ્યાએ માત્ર ધંધાકીય સલાહ આપનાર યોગી હવે ચિત્રા રામકૃષ્ણન્ને આજે તેઓ કેવાં સુંદર દેખાય છે, આજે વાળની લટ કેવી દેખાય છે અથવા તેમાં કેવો ફેરફાર કરવો જોઈએ, પહેરેલાં કપડાંનો રંગ અને મેચિંગ વગેરે વિષે પણ કમેન્ટ્સ કરતી પોસ્ટ ઈમેઈલ્સ દ્વારા મોકલતો થાય છે. ચિત્રા રામકૃષ્ણન્ તો એમ જ માને છે કે આ બાબાની દિવ્યદૃષ્ટિનું પરિણામ છે.
માન્યામાં ન આવે એવી વાત લાગે છે ને! કોઈ સિદ્ધહસ્ત લેખક પણ કલ્પના ન કરી શકે એવો પ્લોટ વાસ્તવમાં ભજવાયો અને એ પણ ત્રણ વરસ સુધી. એ દરમ્યાન વ્હીસલ બ્લોઅર્સ વારંવાર સરકારનું અને સેબીનું ધ્યાન દોરતા હતા કે કોઈક કો-લોકેશનનો ફાયદો ઉઠાવી રહ્યું છે. તેમને ક્યાં ખબર હતી કે કો-લોકેશન તો એન.એસ.ઈ.ની સાવ નજીક હતું. ખરું પૂછો તો લોકેશન અને કો-લોકેશન વચ્ચે અદ્વૈત રચાયું હતું. જીવ અને શિવ એક જ હતા. આ અર્થમાં આધ્યાત્મિકતા ખરી! તેમને લેવામાં આવનારા નિર્ણયો, લેવામાં આવેલા નિર્ણયો એમ બધી જ માહિતી આ કો-લોકેશનથી મળતી હતી અને તેનો લાભ ઉઠાવવામાં આવતો હતો. આમ છતાં નહોતી સરકાર જાગી કે નહોતા સેબીના સત્તાવાળાઓ જાગ્યા. કોઈને એવો પ્રશ્ન નહોતો થયો કે નાણાંકીય બાબતોની કોઈ જાણકારી ધરાવનારા માણસને અધધધ ભાડાં-ભથ્થાં મળીને પાંચ કરોડનો પગાર શા માટે આપવામાં આવે છે?
અને ૨૦૧૬માં ચિત્રા રામકૃષ્ણન્ સામેથી રાજીનામું આપી દે છે. એ અજ્ઞાત યોગીને અને ચિત્રાબહેનને લાગ્યું હશે કે વધારે લોભ કરવામાં ક્યારેક ભાંડો ફૂટી જાય એનાં કરતાં લૂંટેલ માલ લઈને ચાલતા થવામાં વધારે માલ છે.
વાર્તા પૂરી થઈ, હવે કેટલાક સવાલો.
સવાલ એક. કોણ છે આ યોગી? આનંદ સુબ્રમણ્યમ્ પોતે? કે પછી કોઈ દલાલ કે કોર્પોરેટ કંપની? કે પછી શાસકોમાંથી કોઈ? આનંદ સુબ્રમણ્યમ્ પોતે એકલે હાથે આટલું મોટું સાહસ કરે એ માની શકાય એવી વાત નથી. કોઈક અજ્ઞાત હાથે આનંદ સુબ્રમણ્યમ્ને એન.એસ.ઈ.માં દાખલ કર્યો હોવો જોઈએ.
સાવલ બે. ચિત્રા રામકૃષ્ણન્ અંધશ્રદ્ધાળુ બેવકૂફ છે કે પછી તેઓ પોતે પણ કૌભાંડમાં ભાગીદાર હતાં? તેમની ઉજ્વળ કારકિર્દી ઉપર નજર કરો તો માનવું મુશ્કેલ બને કે તેઓ આટલાં અંધભક્ત હોય.
સવાલ ત્રણ અને સૌથી મોટો સવાલ. ૨૦૧૪-‘૧૬ની આ ઘટના વિષે સેબીએ એક-બે નહીં છ વરસ સુધી કોઈ તપાસ ન કરી એનું શું કારણ? અંદેશો તો હતો જ. સેબીનું અને સરકારનું ત્યારે વારંવાર ધ્યાન પણ ખેંચવામાં આવ્યું હતું. શા માટે?
અને આખરી સવાલ :
અનૈતિકતાની તાકાત ધરાવતા અને ઉપરથી શાસકો દ્વારા રક્ષણ મેળવતા સાંઢોના કેસીનો (શેરબજાર)માં કોના પૈસાનું ધોવાણ થાય છે? કોણ લૂંટાય છે? એક બેવકૂફ મતદાતાથી વધુ છે તમારી કોઈ કિંમત? ભલા માણસ, તમારું નહીં તો તમારાં સંતાનનાં ભવિષ્યનો તો વિચાર કરો! આ દેશમાં આવું પણ બને! કોઈ અજ્ઞાત માણસ યોગી બનીને શેરબજાર ચલાવે? જગતના પછાતમાં પછાત દેશમાં પણ આવું નહીં બનતું હોય.
પણ ફરક શો પડે છે. એક દિવસ કહેવામાં આવશે કે જવાહરલાલ નેહરુ તેમના ધોબીને કપડાં ધોવાનું મહેનતાણું નહોતા આપતા. બેવકૂફો ગેલમાં આવી જશે અને આયખું ધન્ય થઈ જશે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ફેબ્રુઆરી 2022