ભારતમાં આઝાદી પૂર્વેથી આજ દિન સુધી શહેરી અને સમૃદ્ધ લોકોના સુખ અને ભોગ-વિલાસ માટે, ઉદ્યોગપતિઓના નફા માટે અને કંઈ કેટલા ય સ્થાપિત હિતોની તરફેણમાં આદિવાસીઓને એમનાં જળ, જંગલ અને જમીનનું બલિદાન આપવું પડ્યું છે. આજના સમયમાં સુખી સંપન્ન લોકો માટે ‘ગિલ્ટ ફ્રી કૂકિંગ’, ‘ગિલ્ટ ફ્રી ઈટિંગ’, ગિલ્ટ ફ્રી શોપિંગ’ બોલવાનો ચાલ છે. આદિવાસી સમુદાયોના ભોગે આપણે ખેતી-સિંચાઈ, ઘર, ઇ.માં ચોવીસ કલાક પાણીની રેલમછેલ, બુલેટ ટ્રેનની મુસાફરી, પર્યટનનો લહાવો, ઉદ્યોગોમાં બેફામ નફો, વગેરેમાં રાચીએ છીએ ત્યારે ‘ગિલ્ટ ફ્રી લિવિંગ’ અપનાવવાનું કેમ નથી ગમતું? આદિવાસીને વંચિત કરીને આપણે મહાલીએ છીએ, બદલામાં એમના માટે આપણે શું કરીએ છીએ?
૩જી મે, ૨૦૨૨ના રોજ ‘મૈં ભી ભારત : The Adivasi Question” પર ‘पानी — आदिवासी, वादे और धोके की कहानी : ज़मीन दे कर क़ीमत चुकाई फिर भी आदिवासी प्यासे’ નિહાળ્યું.
રાજ્યસભા ટી.વી.ના ભૂતપૂર્વ સિનિયર ઍડિટર એવા શ્યામ સુન્દર આખા ભારતમાં ભ્રમણ કરી ભારતનો અવિભાજ્ય હિસ્સો પણ જેને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે એવાં આદિવાસી સમુદાયોની જીવન-રીતિ, ખાનપાન, ખાસ કરીને આદિવાસીઓને સતાવતા પ્રશ્નો, સમસ્યાઓ, એમની સાથે થતાં અન્યાય, ઠગાઈ, વગેરેનું ખૂબ સચોટ અને નિસ્બતભર્યું દસ્તાવેજીકરણ કરી આપણા દેશના વૈવિધ્યપૂર્ણ વારસાની જાળવણીમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે. એમનાં જ શબ્દો ગુજરાતીમાં રજૂ કરું છું :
પાલઘરના ધામણ ગામનાં આ વૃદ્ધ એમના ઘરનું છાપરું બદલવાની મથામણ કરી રહ્યાં છે. છાપરાની સાથે એમને એમના ઘરની વાડ પણ બદલવાની છે. આ વડીલના ચહેરા પર કોઈ જ પ્રકારના ભાવ દેખાતા નથી. એવું પણ નથી લાગતું કે એમને કામ પુરું કરવાની ઉતાવળ છે.
એમને કામ કરતાં અમે ખાસ્સી વાર જોતાં રહ્યાં. પછી પોતાને જ સવાલ કર્યો કે ઉતાવળ શેના માટે હોય એમને? કારણ કે મજૂરીની શોધમાં જે લોકો બહાર નીકળી જાય છે એમનું તો ઠીક છે પરંતુ જે આદિવાસીઓ ગામમાં જ રહી જાય છે એમની પાસે કરવા માટે કંઈ ખાસ હોતું નથી. એનું કારણ કે અહીં હજુ પણ ખેતી વરસાદ આધારિત છે. સિંચાઈનું કોઈ સાધન નથી અને ગરમીની તો એ પરિસ્થિતિ છે કે પાકની વાત તો છોડો, ઢોર માટે એક તણખલું ઘાસ પણ નજરે ચઢતું નથી. આમ તો સિંચાઈની અહીં વાત કરવી બેઈમાની જ લાગે છે કારણ કે અહીં તો એકએક ટીપા પાણી માટે પણ આદિવાસી તરસતા રહે છે. આપણે જાણીએ છીએ કે ઋતુચક્ર કુદરતના હાથમાં છે. પરંતુ આદિવાસીઓ વિરુદ્ધનો આ મામલો ધોખાનો નહીં તો વચનભંગનો તો છે જ. અહીંના આદિવાસીઓએ પાણી માટે ખૂબ મોટી કિંમત ચુકવી છે.
દોસ્તો, આ પાસોડીપાડા છે અને આ ગામનું નામ મોઢ છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં તમે જાઓ તો આદિવાસી ગામો ખૂબ લાંબા પહોળા વિસ્તારમાં ફેલાયેલાં હોય છે. એમાં અલગ અલગ hamlets હોય છે એટલે કે અલગ અલગ વસ્તીઓ હોય છે જેને ક્યાંક ‘ફળિયા’ કહેવામાં આવે છે અને ક્યાંક ‘પાડા’ કહેવામાં આવે છે. આ મોઢ ગામનો જ એક વિસ્તાર છે, ગ્રામપંચાયત મોઢ ગામ છે. જિલ્લો પાલઘર છે અને તાલુકો દહાણું છે.
આ ગામની નજીક જ એક બહુ મોટો ડૅમ છે અને આ ડૅમ બનાવવા માટે આ ગામની જમીનનું સંપાદન કરવામાં આવેલું.
ડૅમની પાછળ ખૂબ બધું પાણી પણ દેખાય છે. પરંતુ અફસોસની વાત એ છે કે જે ગામની જમીન પર આ ડૅમ બન્યો છે, એ ગામના આદિવાસીઓ માટે પીવાનું પાણી નસીબ નથી.
અહીંની સ્ત્રીઓનો ખૂબ બધો સમય પીવાનું પાણી એકઠું કરવામાં વપરાય જાય છે, અને જ્યારે સૌથી વધુ વરસાદ પડે છે ત્યારે આ સ્ત્રીઓ માટે પીવાનું પાણી ભેગું કરવું વધુ મુશ્કેલ બની જાય છે. આવો, આ ગામની આખી કહાણી જોઈએ.
જયંતી જીવે હરપાલે અને એમની પુત્રવધૂ એક જરૂરી ‘મિશન’ પર નીકળી પડી છે. વાસણોની સાથે એમના હાથમાં તમે એક ગરણી પણ જોઈ શકો છો. એની જરૂર તમને આગળની તસવીરો જોઈને સમજાઈ જશે. જયંતી અને આ ગામની બીજી સ્ત્રીઓ માટે પોતાનાં પરિવારો માટે પીવાનાં પાણીની વ્યવસ્થા કરવી એક ‘મિશન’ જ છે. પાલઘર અને થાણેની કેટલી ય તહેસીલોના આદિવાસી વિસ્તારોની આ કહાણી અમે જોઈ છે. અહીંની સ્ત્રીઓનો દિવસનો મોટો હિસ્સો પરિવાર માટે પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં જ જતો રહે છે. બેશક, આ ખૂબ થકવી દેવાવાળું કામ તો છે જ, પરંતુ એ સિવાય આ પરિસ્થિતિઓની કડીઓને જોડીશું તો આ આદિવાસી વિસ્તારોના સામાજિક અને આર્થિક પ્રશ્નો પણ સમજાવા લાગશે. દા. ત. થોડી સૂક્ષ્મતામાં ઉતરીશું તો ખ્યાલ આવશે કે પાણીની સમસ્યા ખેતી, કૃષિ ઉત્પાદનો કે મજૂરી કે કામની શોધમાં ગામ છોડવાની મજબૂરી સુધી સીમિત નથી, પરંતુ અહીંની આદિવાસી સ્ત્રીઓની સાક્ષરતાના ઓછા દરનું કારણ પણ પાણીની અછત છે. તમે કહી શકો છો કે અમે કલ્પનાના ઘોડા કંઈક વધારે જ દોડાવી રહ્યાં છીએ અથવા ઉડાડી રહ્યાં છીએ, પરંતુ તમે જ્યારે અહીંની હાલત જોશો તો સમજશો કે વાત વધારીને કરવાની કોશીશ અમે બિલકુલ નથી કરી રહ્યાં.
ભારતના લગભગ બધાં જ સમુદાયોની માફક જ મોટા ભાગના આદિવાસી સમુદાયોમાં ઘર ચલાવવાની જવાબદારી સ્ત્રીઓના ખભે જ નાખવામાં આવે છે. એ ન્યાયે પરિવાર માટે પીવાનાં પાણીની વ્યવસ્થા કરવાનું પણ એનાં જ માથે આવે છે. હવે પાણી ક્યાંથી આવશે, એના માટે સ્ત્રીઓએ કેટલું દૂર ચાલવું પડશે અને કેટલું વજન ઊંચકવું પડશે એ એના નસીબ પર નિર્ભર છે. પાણીની શોધ અને એની તજવીજ કરવામાં પરિવારની દીકરીઓ ખૂબ નાની ઉંમરમાં જ જોતરાઈ જાય છે અને શાળા ને પાણીમાંથી પરિવાર પાણીની જ પસંદગી કરે છે.
ઉનાળામાં પ્રાથમિક્તા પીવાનું પાણી છે, સ્વચ્છ પીવાનું પાણી નહીં. પરંતુ શું આદિવાસીઓ સ્વચ્છ પીવાનાં પાણીનું મહત્ત્વ નથી સમજતા? જો ના સમજતા હોત તો પછી જયંતી શું કરવા ગરણીથી પાણી ગાળીને ભરે છે? આમ, આ વિસ્તારના આદિવાસીઓને આ દોષ આપી શકાય એમ નથી. જયંતી અને એમની પુત્રવધૂ પાણી ભરીને એમના ઘર તરફ નીકળી પડે છે.
તમામ સંઘર્ષો ઉપરાંત જયંતી અને એમના ગામની સ્ત્રીઓનું નસીબ બે બાબતોમાં સારું છે. પ્રથમ, એ કે એમને ૨થી ૩ કિલોમીટરના દાયરામાં જ પાણી મળી રહે છે અને બીજું, કે પાણી મેળવવા એમને કોઈ ખતરનાક ઊંડા કૂવામાં નથી ઊતરવું પડતું. હાલ પૂરતું જયંતીના પરિવાર માટે બપોરનાં પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. સાંજે એમને ફરી પાણી ભરવું પડશે. જયંતીના પરિવારને દિવસમાં ત્રણ વખત પાણી ભરવું પડે છે અને આ કામમાં તેમને ઓછાંમાં ઓછાં ૬ કલાક થઈ જાય છે. જ્યારે આ પ્રકારની કહાણીઓ સામે આવે છે તો કેટલા ય નકામા પ્રકારના તર્ક લડાવવામાં આવે છે. દા. ત. આદિવાસી સ્ત્રીઓ મહેનત કરે છે એટલે બિમાર નથી પડતી. જો કે, આંકડા આ તર્કને સાચો સાબિત થવા દેતા નથી. ખરેખર તો પાણી માટે આ સ્ત્રીઓ અને આદિવાસીઓને કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે એ સમજવાની જરૂર છે. એમનો આર્થિક વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને વધુ સારી જિંદગીનો હક — બધું જ આનાથી પ્રભાવિત થાય છે. અને આ તથ્ય સામે આપણે આંખ આડા કાન કરતાં રહીએ છીએ.
પાસોડીપાડાની હાલત સમજતા અને સમજાવતા મને એક જૂની પુરાણી કહેવત યાદ આવે છે — દીવા તળે અંધારું. જી હા, હાલ મને આ ગામની હાલત સમજવા અને સમજાવવા માટે બીજું કંઈ યાદ આવતું નથી કારણ કે પાસોડીપાડા અને આસપાસના કેટલાં ય ગામોની આજુબાજુ પાણીનો મોટો ભંડાર છે. એટલું પાણી છે કે અહીં આખું વર્ષ પાક લણી શકાય એમ છે, અને ઘેરઘેર પાણી પણ પૂરું પાડી શકાય એમ છે. તો પછી એમને પાણી કેમ નથી મળતું, અને આ પાણી જાય છે ક્યાં? આની પણ ચર્ચા કરીએ છીએ પરંતુ એ પહેલાં આ ગામની અમુક સ્ત્રીઓ સાથેની વાતચીત સાંભળીએ. પાણી અને એમની જિંદગીના સંદર્ભમાં એ શું કહે છે એ જાણીએ :
સ્ત્રી ૧: અમે ખાડો ખોદીને પાણી લાવ્યાં છીએ. આ પાણી પીવાથી માંદા પણ પડી જઈએ છીએ. શરદી, સળેખમ, તાવ જેવી વ્યાધીઓ અહીં સામાન્ય બાબત છે. ખાડો ખોદવામાં આખો દિવસ જતો રહે છે. એક ખાડામાં વધુ દિવસ પાણી નથી આવતું. દર વખતે ખાડો ખોદવાથી પાણી આવી જ જાય એવું પણ બનતું નથી. ચોમાસામાં તો પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે. જેવો વરસાદ અટકે કે તરત જ પાણી ભરવા નીકળી પડીએ છીએ. કોઈ પણ ઋતુમાં જિંદગી સુગમ નથી હોતી.
સ્ત્રી ૨: પાણીની ખૂબ અછત છે અમારે ત્યાં. દરરોજ ખાડો ખોદવો પડે છે. ખાડો ખોદીએ એટલે પાણી વધુ નીચું જતું જાય છે. ચોમાસામાં ગામની ચારે બાજુ પાણી ભરાઈ જાય છે પરંતુ પીવાનું પાણી નથી મળતું. એવા સમયે એવું સ્થળ શોધવું પડે છે જ્યાં પીવાના પાણી માટે ખાડો ખોદી શકાય. ચોમાસામાં એક સ્ત્રી છત્રી પકડીને ઊભી રહે છે અને બીજી સ્ત્રી ખાડામાંથી પાણી ભરવાનું કામ કરે છે. ખૂબ મુશ્કેલી પડે છે. ચારેકોર પાણી હોય છે પણ પીવાનું પાણી ઘણી મુશ્કેલી બાદ મળે છે. ખાડો ખોદવાની જગ્યા જ ના મળે ત્યાં વળી પીવાનું પાણી ક્યાંથી લાવવું? માથે ઊંચકીને પાણી ભરી લાવવું પણ સહેલું નથી હોતું. લપસી જવાનો ડર રહે છે.
પાલઘર જિલ્લામાં ત્રણ ડૅમ છે. ત્રણેય ડૅમ આદિવાસીઓની જમીન પર બનેલા છે. સ્પષ્ટ છે કે આ ડૅમ માટે આદિવાસીઓ વિસ્થાપિત પણ થયાં છે. પાસોડીપાડા નજીક કુરજે ડૅમ બનેલો છે. આ ડૅમને દાપચૅરી ડૅમના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ડૅમના જળાશયમાં જે પાણી છે તે કાયદેસર રીતે આદિવાસીઓનું જ છે. પરંતુ આદિવાસીઓના ખેતરો કે પીવા માટે જ પાણી ઉપલબ્ધ નથી. આ પાણી મુંબઈ કે એના ઉપનગરોને પહોંચાડવામાં આવે છે. એના માટે મોટીમોટી પાઈપ લાઈનો બીછાવી દેવામાં આવી છે.
મહાનગરોની તરસ છિપાવવા માટે અહીં આવી કેટલી ય પરિયોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. પરંતુ આદિવાસીઓ માટે એક હૅન્ડપંપને ચાલુ હાલતમાં રાખવા માટે સરકારી તંત્રને બિલકુલ રસ નથી.
સ્રોત: https://youtu.be/WRcpBoeL618
e.mail: rupaleeburke@yahoo.co.in