સર્વિસ બીફોર સેલ્ફ કે ‘પીડ પરાઈ જાણે રે’-નો ધ્યેયમંત્ર ધરાવતી ભારતીય સેનાને રાષ્ટ્રવાદ અને દેશભક્તિના રાજકીય રંગે ન રંગી દેવાય તેની સજાગતા જરૂરી છે
સવાસો સાલ પુરાણી, બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં સ્થપાયેલી, ભારતીય સેનાની ભરતીમાં નવતર પ્રયોગ થવાનો છે. ટૂર ઓફ ડ્યુટી તરીકે જાહેર થયેલ આ ભરતી યોજનામાં નિયત લાયકાત ધરાવતા કોઈ પણ ભારતીય નાગરિક સ્વૈચ્છિક રીતે ત્રણ વરસ માટે સેનામાં ફરજ બજાવી શકશે. સેનાના અધિકારીઓ વચ્ચેના આંતરિક અધ્યયનમાં આ યોજના ચર્ચાઈ હતી. પહેલાં એના અંશો લીક થયા પછી, લશ્કરી પ્રવક્તાએ યોજનાની વિગતો જાહેર કરી છે. જો કે હજુ આ બાબત વિચારણાના તબક્કે છે અને ભારત સરકારની મંજૂરી બાકી છે.
૧૩૦ કરોડ વસ્તીના દેશની બાહ્ય સુરક્ષા માટે મજબૂત સેનાની જરૂર હોવી સ્વાભાવિક છે. બીજી તરફ ભારતીય સેનામાં ઘણાં સમયથી અધિકારીઓની અછત છે. યુવાનોને લશ્કરી નોકરીનું આકર્ષણ છે પરંતુ તેને તેમાં આજીવન કારકિર્દી બનાવવી નથી. સેનામાં નોકરીનો સમયગાળો ઓછામાં ઓછા ૧૦થી ૧૪ વરસનો છે. આટલાં વરસની નોકરી પછી નિવૃત્ત થનાર નવી યોગ્ય નોકરી શોધીને કેરિયરની બીજી ઈનિંગ શરૂ કરી શકતા નથી. આ બધા પ્રશ્નોને કારણે સેનામાં ટૂંકા ગાળાની નોકરીની યોજના વિચારણા હેઠળ હતી. ટૂર ઓફ ડ્યુટી યોજના તેનો પરિપાક છે. યોજનાના પ્રસ્તાવમાં કહેવાયું છે કે, ‘બેરોજગારી આજની વાસ્તવિકતા છે. તેમ છતાં તેની સાથે રાષ્ટ્રવાદ અને દેશભક્તિની લહેર ફરીથી ઊઠી છે’ એટલે આ યોજના બેરોજગારીના નિવારણ અને રાષ્ટ્રવાદ તથા દેશભક્તિનાં પોષણ માટે પણ છે.
રાષ્ટ્રવાદ અને દેશભક્તિને કારણે જ યુવાનો સેનામાં જોડાય છે કે સારી સવલતો અને આકર્ષક પગાર પણ કારણ છે તે વિશે બેમત રહેવાના. પરંતુ ટૂંકાગાળાની નોકરીનું પ્રયોજન સેનાના ખર્ચમાં કાપનું પણ છે. ૨૦૦૫-૦૬માં ભારતીય સેનાના નિવૃત્તકર્મીઓના પેન્શનનો ખર્ચ રૂ. ૧૨,૭૧૫ કરોડ હતો. જે ૨૦૨૦-૨૧માં વધીને ૧,૩૩,૦૦૦ કરોડ થવાનો છે. સેના માટે ફાળવાતા બજેટનો ૬૦ ટકા હિસ્સો પગાર અને પેન્શન માટે વપરાય છે. છેલ્લા પાંચ વરસમાં ભારતના સંરક્ષણ બજેટમાં ૬૮ ટકાનો વધારો થયો છે. પરંતુ તેની સામે પગારનો ખર્ચ ૭૫ ટકા અને પેન્શનનો ખર્ચ ૧૪૬ ટકા વધ્યો છે. પગાર અને પેન્શનમાં રક્ષા બજેટનો સિંહભાગ ખર્ચાઈ જતો હોઈ શસ્ત્રોની ખરીદી અને સેનાના આધુનિકીકરણ માટે ખર્ચ કરી શકાતો નથી.
ટૂર ઓફ ડ્યુટી યોજના હેઠળ હાલ તરત ભૂમિસેનામાં ૧૦૦ અધિકારીઓ અને ૧,૦૦૦ જવાનોની ભરતી કરવા વિચારાશે. આ માટે ભરતી નિયમોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. કે ગુણવત્તા સાથે બાંધછોડ થશે નહીં. ઉંમર, અભ્યાસ, શારીરિક યોગ્યતા અને તાલીમનું સ્તર યથાવત રહેશે. કુલ ૩૬ મહિનાની નોકરીમાં નવ મહિના તાલીમના રહેશે. તાલીમ પછી ફ્રન્ટલાઈન ઓપરેશન ડ્યુટી પણ કરી શકશે. પરંતુ તેને કોઈ પેન્શન મળશે નહીં. સરકાર ટૂંકાગાળાની આ નોકરી દ્વારા લશ્કરને કાયમ યુવા રાખવા માંગે છે, દેશભક્તિ વધારવા માંગે છે પણ ખર્ચ ઘટાડવા માંગે છે !
આજે સેનામાં ૧૦ વરસની નોકરી કરનાર પ્રત્યેક વ્યક્તિ પાછળ રૂ.૫.૧૨ કરોડ અને ૧૪ વરસની નોકરી કરનાર પાછળ રૂ. ૬.૩૮ કરોડનો ખર્ચ થાય છે. પરંતુ ૩ વરસની ટૂર ઓફ ડ્યુટીમાં દરેક વ્યક્તિ પાછળ રૂ. ૮૦થી ૮૫ લાખનો જ ખર્ચ થશે . અધિકારીને મહિને ૬૦થી ૮૦ હજાર અને અને જવાનને ૩૦થી ૫૦ હજાર કરમુક્ત પગાર આપવામાં આવશે. ત્રણ વરસે નોકરીની સમાપ્તિ વખતે સૈનિકોને ૨થી ૩ લાખ અને અફસરને ૫થી ૬ લાખ રૂપિયા આપવામાં આવશે. જો ચાલુ નોકરીએ શહીદ થાય તો નિયમિત કર્મીને મળતા તમામ લાભો મળશે. આ યોજના પાછળનો એક મહત્ત્વનો ઉદ્દેશ ખર્ચ ઘટાડવાનો છે તેમ સેનાને વિશિષ્ટ પ્રતિભાઓનો, લાભ આપવાનો અને અફસર લેવલે મેનેજમેન્ટ પ્રોફેશનલને આકર્ષિત કરવાનો પણ છે. હાલમાં બહુ નાના પાયે ભરતી કરવાની છે એટલે બેકારી દૂર કરવાનો હેતુ ખાસ સરે એમ લાગતું નથી. પરંતુ સેનાના અનુભવ પછી નવી નોકરીમાં સરળતા રહેશે એમ બની શકે. દેશના જાણીતા ઉધ્યોગપતિ આનંદ મહેન્દ્રાએ આ યોજનાને આવકારી છે અને ત્રણ વરસ પછી નિવૃત્ત થનારને પોતાની કંપનીમાં નોકરી આપવાની ખાતરી આપી છે. તેમનું માનવું છે કે સેનાની તાલીમથી સજ્જ થયેલા યુવાનો તેમના માટે ફાયદાકારક રહેશે. ૨૨થી ૨૩ વરસના જે સ્નાતક યુવાનો સેનામાં આ યોજના હેઠળ જોડાશે તે ૨૫થી ૨૭ વરસે નિવૃત્ત થઈને નવી સારી કારકિર્દી બનાવી શકશે. તેઓને ભારતીય સેનાની જીવનશૈલીનો અનુભવ થશે, સંચાલકીય પ્રબંધન જાણવા મળશે, આત્મવિશ્વાસ, એકાગ્રતા, સામાજિક કૌશલ, ધૈર્ય અને જવાબદારી જેવાં ગુણો ખીલશે.
નિવૃત્ત લશ્કરી અધિકારીઓ આ યોજનાની સફળતા વિશે મતમતાંતર ધરાવે છે. કેટલાકને તે બહુ ક્રાંતિકારી લાગે છે તો કેટલાકને ગંભીર વિચાર કર્યા વિનાની, હાલની રાજનીતિને અનુકૂળ બનવાની ચાલ લાગે છે. આ યોજના ત્રણને બદલે પાંચ વરસની કરવાનું પણ સૂચન છે. સેનાની હાલની કુલ ભરતીમાં ટૂર ઓફ ડ્યુટીથી ૫૦ ટકા અને ૫૦ ટકા નિયમિત ભરતી કરવા વિચારવા જણાવાયું છે. સેના પણ અન્ય વિકલ્પો વિચારી રહી છે. તેમાં બી.એસ.એફ., સી.આર.પી.એફ. જેવા અર્ધસૈનિકદળોમાં નવી ભરતી થયેલ વ્યક્તિઓને અડધી નોકરી સેનામાં ડેપ્યુટેશન પર કરવા વિચારાઈ રહ્યું છે. કોલેજ કક્ષાએ નેશનલ કેડેટ કોરની તાલીમ પામેલા ૧૫ લાખ યુવાનોને પણ સેના સાથે જોડી શકાય. લશ્કરની મુખ્ય હરોળ નાની અને સહાયક કેડર મોટી હોય કે તેનું પ્રમાણ ૧:૫નું હોય તેવો દુનિયામાં લશ્કરી માપડંડ છે. પરંતુ ભારતીય સેનામાં તે પ્રમાણ કાં તો ઊલટુ છે કે લગભગ સમાન છે. જેમ કે ભૂમિસેનામાં ૧૨,૦૦,૨૫૫ સક્રિય અને ૯,૯૦,૯૬૦ અનામત સ્ટાફ છે. આ પ્રમાણ બદલવા અંગે પણ વિચારવાનું રહે.
દુનિયાના કેટલાક દેશોએ તેના તમામ નાગરિકોને કે કુટુંબના એક સભ્યને ટૂંકાગાળા માટે પણ લશ્કરમાં જોડાવું ફરજિયાત કર્યું છે. ઈઝરાયેલ, ફ્રાન્સ, ઉત્તર અને દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, સિરિયા, સ્વિત્ઝરલેન્ડ આવા કેટલાક દેશો છે. ભારતમાં આ યોજના દ્વારા આપણે આ દેશોની દિશામાં તો નથી જઈ રહ્યાને તેવી આશંકા જન્મે છે. ભારતીય સેનાનો ધ્યેર્ય મંત્ર તો ‘સર્વિસ બીફોર સેલ્ફ’ અર્થાત્ ‘પીડ પરાઈ જાણે રે’-નો છે તેને હાલનું રાજકારણ રાષ્ટ્રવાદ અને દેશભક્તિના રંગે રંગીને વિસારે ના પાડી દે તે માટે સજાગ રહેવાની જરૂર છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 03 જૂન 2020