આમ તો આપણે તેમને સલામ ભરવી જોઈએ. આ સત્યકથાના અંતે આપણે ભરવાના જ છીએ. પણ તેઓ સેનાપતિ હતા, તે માટે નહીં – તેમણે ભરેલી અભૂતપૂર્વ સલામી માટે.
ભારતીય લશ્કરની 8th Jammu & Kashmir Light Infantryમાંથી ૩૭ વર્ષની સેવા બાદ ૨૦૧૬ની ૩૦મી સપ્ટેમ્બરે, મેજર જનરલ તરીકે નિવૃત્ત થયેલા સોમનાથને હવે પછીનું જીવન કેવી રીતે જશે, એની કોઈ જ કલ્પના ન હતી. લશ્કરી મથકમાંથી માન સન્માન મેળવીને સરકારી ક્વાર્ટરના એર-કન્ડિશન્ડ બેડરૂમમાં સોમનાથને ઊંઘ આવતી ન હતી. પ્રવૃત્તિ સભર કારકિર્દીની વિવિધ ઘટનાઓ તેમના ચિત્તમાં ઉપરતળે થઈ રહી હતી. પણ એ બધાંની વચ્ચે વળી વળીને તેમના બહુ જ વ્હાલા (*)સૂબેદાર નિહાલસિંહની યાદ તેમને સતાવતી હતી. નિહાલસિંહે કારગિલ મોરચે દેશની સેવામાં આપેલું, પોતાના જાનનું સર્વોચ્ચ બલિદાન તેમના દિલને કોરી રહ્યું હતું. ‘આ બધી આરામદાયક સુવિધાઓ અને તગડું પેન્શન, નિહાલસિંહની શહાદતની આગળ ધૂળ બરાબર પણ નથી. એના જેવા હજારો જવાનોની આહૂતિ વિના આ બધી સુખ સગવડો મારા જેવા લોકો શી રીતે ભોગવી શકે?’
(*) – કાલ્પનિક પાત્ર
સવાર પડતાં તેમણે પત્ની ચિત્રાને પોતાનો સંકલ્પ જણાવી જ દીધો.
બને તેટલી જલદી હું દેશના દરેકે દરેક રાજ્યમાંથી નિહાલસિંહ જેવા, દેશને ખાતર મરી ફીટેલા જવાનોને સલામી આપવા નીકળી પડવાનો છું – સાયકલ પર.
ચિત્રાને નિહાલસિંહની નિષ્ઠા અને જિંદાદિલી માટે બહુ જ આદર હતો. પણ તે ઘરરખુ ગૃહિણીમાં વહેવારિક જ્ઞાન વધારે હતું. તેણે સોમનાથને સમજાવ્યું કે, ‘રસ્તે સાયકલ બગડે, તો સાવ દૂરની જગ્યામાં એની મરામત માટે સ્પેર પાર્ટ હોવા જોઈએ. બીજી એક સાયકલ પણ તૈયાર હોવી જોઈએ, જેથી મોટી મરામતની જરૂર હોય તેવા સંજોગોમાં યાત્રા અટકી ન પડે. વળી રહેવા / જમવાની સગવડનું આગોતરું આયોજન પણ કરવું જોઈએ. હું અહીં ઘેર બેઠાં એકલી શું કરવાની? હું કારમાં બધો સરંજામ લઈ તમારી આગળ આગળ મુસાફરી કરીશ અને બધી વ્યવસ્થા કરતી જઈશ. કોઈ આપત્તિ આવી પડે તો હું એમાં તમને સહાય કરી શકું.’
લડાઈઓનું આયોજન તો સોમનાથની રગે રગમાં હતું જ. તેના ગળે પણ આ વાત ઊતરી ગઈ. તેના ઉપરી કોર કમાન્ડરને તેણે આ સંકલ્પની જાણ કરી. તેમણે પણ આ વાતને તરત વધાવી લીધી. પણ સાથે કહ્યું, “એમ ને એમ છાનામાનો વિદાય થઈશ તો લોકોમાં જાગૃતિ શી રીતે આવશે? હું એક નાનકડો સમારંભ ગોઠવીશ. એમાં બધાંની શુભેચ્છાઓ લઈને તમે બે જણ વિદાય થજો.”
૧૯ ઓક્ટોબરે સોમનાથ ઝા અંબાલા કેન્ટથી સાઈકલ પર એમની અફલાતૂન સફરે નીકળી પડ્યા. છ મહિના સાથે રહેવાની તૈયારીવાળા ડ્રાઈવર અને જરૂરી સાધન સામગ્રી લઈને એક કારમાં ચિત્રાએ પણ પતિને સાથ આપ્યો.
સોમનાથના પોતાના શબ્દોમાં –
“…. on the 19th of October I sat on my cycle saddle and took off to pay my homage to all the martyred soldiers of our country since Independence. I am paying this homage by paying two minutes for each fallen hero. And since the number of such heroes is close to 21,000, I have given myself the mandate of cycling 42,000 minutes on this journey. Another mandate I laid down for myself is to route myself through all the 29 states of our great nation because our fallen heroes come from every corner of the country. This is my symbolic homage to my brethren who didn’t have the privilege of retiring as I did. They made the supreme sacrifice before that.
I’m not on a publicity seeking mission nor on an adventure trip, nor on any record setting endeavour. Neither is my journey a touristy or a socialising trip. Mine is a kind of a pilgrimage, to honour our fallen heroes. This spirit of committed camaraderie must be upheld at all costs by us in the military, in spite of the pressures of a changing eco-societal environment around us. This is what sets us apart, the grain from the chaff.”
શરૂઆતમાં તો સોમનાથને આવનારા દિવસો અંગે આછો પાતળો ખ્યાલ જ હતો. પણ જેમ જેમ મુસાફરી આગળ ધપતી ગઈ, તેમ તેમ એક અનન્ય, લડાયક જુસ્સો સોમનાથની નસ નસમાં પ્રગટવા લાગ્યો. દેશના અવનવા વિસ્તારોના જાતજાતના અને ભાતભાતની ભાષા બોલતા લોકો સાથે ભળતાં લડાઈના જુસ્સાને ટપી જાય તેવો દેશભક્તિનો જુવાળ અને વતન માટેનો નિર્વ્યાજ પ્રેમ સોમનાથમાં ઊભરવા લાગ્યાં. જ્યાં રાતવાસો કરે ત્યાં ચિત્રાએ ઘર ઊભું કરી દીધું હતું. આમ દરેક જગ્યા સોમનાથને માટે વતન બનતી ગઈ.
ફેસબુકના મિત્રોએ તેમની યાત્રાના એકે એક ચરણને ઉત્સાહ અને પ્રેમથી સભર કરી દીધું. આખી યાત્રાનો સીલસીલો ત્યાં અકબંધ સચવાયેલો છે. મીડિયાએ પણ સોમનાથને પોંખવામાં અને નવાજવામાં ઉત્તમ સહકાર આપ્યો. આ યાત્રાના પ્રતાપે, સોમનાથની અંગત લાગણી અને મનોકામના તો પરિપૂર્ણ થયાં જ. પણ દેશવાસીઓમાં પણ લશ્કરી જવાનો માટે સન્માન અને પ્રેમની સરવાણીઓ ફૂટવા લાગી. સ્થાનિક નાગરિકો અને સરકારી / બિનસરકારી સંસ્થાઓએ આપેલ પ્રેમ, સત્કાર અને ઉત્તેજને સોમનાથ અને ચિત્રા ઝાની યાત્રાને ૨૯ ધામ યાત્રા બનાવી દીધી.
● સાત મહિના
● ૨૯ રાજ્યો
● ૧૨,૦૦૦ કિલોમિટર
● ૨૧,૦૦૦ શહીદ થઈ ગયેલા જવાનોને સલામ / શ્રધાંજલિ
૧૯ એપ્રિલ – ૨૦૧૭માં નવી દિલ્હીના ‘ઈન્ડિયા ગેટ’ માં આવેલ ‘અમર જવાન’ યુદ્ધ સ્મારકમાં શહીદ થયેલ અનામી સૈનિકને સલામી આપ્યા બાદ, બે એક આખરી મુકામો પછી સોમનાથની આ અમર યાત્રા પૂર્ણ થઈ છે.
આપણે આ સેનાપતિને બા-અદબ સલામ ભરીને વીરમીએ.
વીડિયો –
https://www.youtube.com/watch?v=qjSvQKicVQc
સાભાર – Better India, Times of India,
સંદર્ભ –
http://www.thebetterindia.com/96969/army-india-soldiers-veteran-martyrs/
http://www.indiatimes.com/news/india/meet-maj-gen-somnath-jha-a-retired-indian-army-officer-who-is-cycling-12-000-km-to-honour-fallen-soldiers-263963.html
https://www.facebook.com/somnath.jha.7545
http://www.ssbcrack.com/2017/03/major-general-somnath-jha.html
e.mail : surpad2017@gmail.com