મહિલાઓ અનામત બિનઅનામત વર્ગની મહિલામાં વહેંચાવાને બદલે મહિલા તરીકે વિચારે તો તેમના અલ્પ પ્રતિનિધિત્વના પ્રશ્નના ઉકેલને બળ મળી શકે
લોક રક્ષક દળ(એલ.આર.ડી.)ની ભરતીમાં અનામત વર્ગની મહિલાઓને થયેલા અન્યાયનો સવાલ ગુજરાત સરકારે સુપર ન્યૂમરીથી નવી વધારાની ૨,૧૫૦ જગ્યાઓ ઊભી કરીને કામચલાઉ ઉકેલી દીધો છે. પરંતુ આ વિવાદનાં મૂળમાં રહેલા સામાન્ય વહીવટ વિભાગના તા. ૧-૮-૨૦૧૮ના ઠરાવ અંગે કંઈ કર્યું નથી. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓગસ્ટ ૨૦૧૮માં બિન-હથિયારધારી અને હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની ૯,૭૧૩ જગ્યાઓની સીધી ભરતીની જાહેરાત આપવામાં આવી હતી. બે વરસની ભરતી પ્રક્રિયા બાદ જાહેર થયેલ સિલેક્ટ લિસ્ટમાં અનામત વર્ગની મહિલા ઉમેદવારોને ઓપન મેરિટનો લાભ મળ્યો ન હોઈ આંદોલન શરૂ થયું હતું. લગભગ ૭૫ દિવસના આંદોલન બાદ, સરકારે ૫૦ ટકા ગુણાંક અને ૬૨.૫ કટ ઓફ માર્ક્સ મેળવ્યા હોય તેવા તમામ મહિલા ઉમેદવારોને પસંદ કરવાનો નિર્ણય લઈ સૌને રાજી રાખવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ તેનાથી મૂળ અસંતોષ હજુ વણઉકલ્યો રહ્યો છે.
ગુજરાતમાં તમામ સરકારી નોકરીઓમાં ૧૯૯૭થી મહિલાઓ માટે ૩૦ ટકા અનામતની જોગવાઈ અમલી હતી. પોણા બે દાયકા બાદ, ૨૦૧૪માં, રાજ્યના તત્કાલીન મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તેમાં ૩%નો મામૂલી વધારો કરતાં હવે મહિલા અનામતની ટકાવારી વધીને ૩૩ % થઈ છે. વળી આ મહિલા અનામત, અનામતમાં અનામત છે એટલે તે અનામત અને બિનઅનામત તમામ જગ્યાઓમાં લાગુ પાડવાની હોય છે. અર્થાત્ જો ૧૦૦ જગ્યાઓની ભરતી કરવાની હોય તો ઓ.બી.સી.ની ૨૭ અનામત જગ્યાઓમાં ૩૩ % મહિલા અનામત લેખે ૯, અનુસૂચિત જનજાતિની ૧૫માં ૫, આર્થિક પછાતની ૧૦માં ૩, અનુસૂચિત જાતિની ૭માં ૨ અને બાકીની બિનઅનામત કે સામાન્ય વર્ગની ૪૧ જગ્યાઓમાં ૧૯ જગ્યાઓ મળીને કુલ ૧૦૦માંથી ૩૩ જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવાની થાય છે. મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ વિભાગે તા. ૧-૮-૨૦૧૮ના ઠરાવથી મહિલા અનામત અંગે ઉપસ્થિત થયેલા તેર મુદાનું સ્પષ્ટીકરણ કર્યું છે. આ ઠરાવ થકી રાજ્યનું વહીવટી તંત્ર મહિલા અનામતના અમલમાં કેવી દિલચોરી રાખીને ત્રણ ટકાનો મામૂલી વધારો પણ અમલી બનવા દેતું નથી તે સ્પષ્ટ થાય છે. ઠરાવના મુદ્દા – ૩માં દર ૧૦ બેઠકે ૩.૩ બેઠક મહિલા માટે અનામત રાખવાનું ઠરાવ્યું છે પરંતુ બેઠકની ગણતરી વખતે પૂર્ણાંક સંખ્યાને જ ધ્યાનમાં રાખવા અને અપૂર્ણાંકને આગળ ખેંચતા રહી તેનું રજિસ્ટર નિભાવવા જણાવ્યું છે. આનો સાદો અર્થ એ થાય કે ૩૩% મહિલા અનામતનો અમલ ચોથા ભરતી પ્રસંગે જ થઈ શકશે. પૂર્ણાંકની ગણતરી મુજબ ભરતી કરતાં તો માત્ર ૩૦% અનામતનો જ અમલ થાય છે. એટલે કે વધારેલી ૩% અનામતનો કોઈ અર્થ સરતો નથી. એક ઉદાહરણથી આ બાબત સમજીએ તો જણાશે કે જો ૧૦૦ જગ્યાઓની ભરતી કરવાની હોય અને તેમાં અપૂર્ણાંક ધ્યાનમાં ન લેવાના હોય તો ઓ.બી.સી.ની ૨૭ જગ્યાઓમાં ૮, એસ.ટી.ની ૧૫ જગ્યાઓમાં ૪, ઈ.ડબલ્યૂ.એસ.ની ૧૦માં ૩, એસ.સી.ની ૭માં ૨ અને સામાન્ય વર્ગની ૪૧માં ૧૨ મળીને કુલ ૨૯ જગ્યાઓ જ મહિલાઓ માટે પહેલા ભરતી પ્રસંગે અનામત રાખવામાં આવશે.
તા.૧-૮-૨૦૧૮ના ઠરાવ પછી થયેલી ભરતીમાં અનામત સંવર્ગની મહિલા ઉમેદવારો જો ઊંચું મેરિટ ધરાવે તો પણ તેમને અનામત સિવાયની બેઠકો પર પસંદગીનો હક મળતો નથી. અનામત વર્ગના મહિલા ઉમેદવારો જો ઊંચુ મેરિટ ધરાવતા હોય તો તેમને સામાન્ય વર્ગમાં ગણવાનું તો ઠરાવ જણાવે છે પરંતુ રોસ્ટર ક્રમાંકમાં તેમને અનામત સંવર્ગમાં જ ગણવાનું જણાવીને ઓપન મેરિટના ખ્યાલને અર્થહીન કરી દીધો છે. કેમ કે જો ઓપન મેરિટના ઉમેદવારને અનામતમાં ગણવાના હોય તો અનામત વર્ગના નીચા મેરિટના ઉમેદવારને તેનો કશો લાભ મળતો નથી. સુપ્રીમ કોર્ટે ઈન્દ્રા સહાની, સભરવાલ અને રાજેશકુમાર દરિયાના ચુકાદામાં અનામત વર્ગના ઉમેદવારો જો ઊંચુ મેરિટ ધરાવતા હોય તો તેમને ઓપન મેરિટમાં જ ગણવા અને તેટલી અનામત બેઠકો પર અનામત વર્ગના અન્યને પસંદ કરવા જણાવ્યું જ છે. ગુજરાતમાં પુરુષ અનામતમાં તેનો અમલ થાય જ છે. અને તેના કારણે અનામત વર્ગના વધુ પુરુષ ઉમેદવારો પસંદગી પામે છે. પરંતુ જે વહીવટી તંત્ર અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને ઓપન મેરિટનો લાભ આપે છે તે અનામત વર્ગના મહિલા ઉમેદવારોને તેનો લાભ આપતું નથી. શું આ બાબત મહિલાવિરોધી માનસિકતાની ધ્યોતક નથી ?
દેશની અર્ધી આબાદી એવી મહિલાઓનું વહીવટી તંત્રમાં પ્રતિનિધિત્વ સાવ અલ્પ છે એટલે તેમને અનામત આપવામાં આવી છે. યાદ રહે આ અનામત તેમની વસ્તીના પ્રમાણ કરતાં ૧૭ ટકા ઓછી છે ત્યારે તેના અમલમાં આડખીલી કરવી તે મહિલાવિરોધી માનસિકતા જ છે. સરકારી નોકરીઓમાં, રાજકારણમાં અને શિક્ષણમાં મહિલાઓનું પ્રમાણ તેમની વસ્તી જેટલું હોવું જ જોઈએ. પરંતુ આપણે તે તો કરી શકતા નથી. તેના નિરાકરણ અર્થે આ પ્રતિનિધિત્વ ક્રમશ: વધારવા મહિલા અનામત નીતિ અમલમાં આવે તો તેનો અમલ પણ થવા દેતા નથી. જો મહિલાઓનું પ્રતિનિધિત્વ નોકરીઓ સહિતના ક્ષેત્રોમાં વધે તો તેમની અનામત અપ્રસ્તુત બની શકે પરંતુ જો મહિલા ઊંચી ટકાવારી ધરાવે અને કહેવાતા મુખ્ય પ્રવાહ સાથે હરીફાઈ કરે તો ઓપન મેરિટનો અમલ ન થવા દઈને તેને માત્ર અનામતમાં કેદ કરી દેવી તે ન વાજબી છે, ન કાયદેસર છે. દેશમાં મહિલાઓની વસ્તી લગભગ ૫૦ ટકા અને ઓ.બી.સી. વસ્તી ૫૨ ટકા હોવાનું અનુમાન છે તેની સરખામણીમાં તેમની અનામતની ટકાવારી તેમની વસ્તી કરતાં ઘણી ઓછી એટલે કે ૩૩% અને ૨૭% જ છે. હવે જો ઓપન મેરિટનો અમલ ન થવા દઈને તેમને તેમની અનામત ટકાવારીમાં જ સીમિત કરી દેવાય તો તે ધરાર અન્યાય છે.
એલ.આર.ડી.ના કિસ્સામાં બન્યું છે તેમ સામાન્ય વર્ગની મહિલાઓએ મહિલાને બદલે કથિત ઉચ્ચ વર્ણની બિનઅનામત મહિલા તરીકે વર્તવાનું પસંદ કર્યું અને અનામત વર્ગની મહિલાઓને કારણે તેમના હક ડૂબી રહ્યાની બૂમરાણ મચાવી પણ ગુજરાતમાં ૩૩% મહિલા અનામતનો જે વાસ્તવિક અમલ થતો નથી તે વાત વિસારે પાડી દીધી છે. પુરુષસત્તાક સમાજમાં જો મહિલાઓ અનામત બિનઅનામતમાં વહેંચાયેલી રહેશે તો સરકાર અને શાસનમાં તેમના વાજબી પ્રતિનિધિત્વની ગૂંચ ઉકલશે નહીં.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 25 માર્ચ 2020