રાહુલ સાંકૃત્યાયનનું નામ હિન્દીના પ્રમુખ સાહિત્યકારોની યાદીમાં આવે છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં તેમણે યાત્રા-સાહિત્ય અને વિશ્વ-દર્શનમાં જે યોગદાન આપ્યું છે તેના કારણે તેમને યાત્રાસાહિત્યના પિતામહ અને દર્શનના મહાપંડિત કહેવાય છે. આ રાહુલ સાંકૃત્યાયને બૌદ્ધ ધર્મની વ્રજયાન શાખાનાં મૂળિયાં ઉત્તરપ્રદેશમાં શોધ્યાં છે. આ વ્રજયાન શાખાના અનુયાયીઓને સિદ્ધ (સિદ્ધ એટલે શારીરિક તથા આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ) કહેવાય છે. રાહુલ સાંકૃત્યાયન આ સિદ્ધોના સાહિત્યને ‘સંતોનું જનભાષામાં લખાયેલું સાહિત્ય’ કહે છે, જે સાતમી સદીથી લઇને તેરમી સદી સુધી ઉત્તર ભારતમાં એની સરગર્મી ઉપર હતું.
રાહુલ સાંકૃત્યાયને આવા 84 સિદ્ધોનાં નામોનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ હજુ સુધી માત્ર 14 જ સિદ્ધોની રચના મળી શકી છે. ‘સરહપા’ને સિદ્ધ સાહિત્યના પ્રવર્તક સંત માનવામાં આવે છે.
એ ઉપરાંત શબરપા, લુઇપા, ડેમ્ભિપા, કન્ડપા અને કુક્કરિયા જેવાઓની ગણના હિન્દીના આદિ સિદ્ધ કવિઓમાં થાય છે. આ સિદ્ધો મુખ્યત્વે દેશના પૂર્વ આંચલમાં રહેતા હતા અને નાલંદા તેમ જ વિક્રમશિલાનાં વિશ્વવિદ્યાલય એમનાં સાધના કેન્દ્ર હતાં. તુર્કી શાસક બખ્તિયાર ખિલજીએ અહીંનાં પુસ્તકાલયો સળગાવી દીધાં, મંદિર-મઠોને લૂંટી લીધાં અને પૂજારીઓ, ભિક્ષુકો, સિદ્ધોની કત્લેઆમ કરી તે પછી આ બધા સિદ્ધો અહીંથી વિખરાઇ ગયા.
મોટાભાગના આ સિદ્ધો નીચી જાતિના હતા અને બ્રાહ્મણવાદ તથા જાતિવાદના વિરોધમાં માણસની સાહજિક અને સ્વાભાવિક વૃત્તિઓનાં ગુણગાન ગાતી રચનાઓ કરતા હતા. સિદ્ધોની આ પ્રકારની પ્રવૃત્તિથી એક પ્રકારની સ્વચ્છંદતાનો જન્મ થયો. સિદ્ધોની સુખવાદી અને ભોગ-પ્રધાન યોગ-સાધનાની પ્રતિક્રિયારૂપે આ સિદ્ધ સંસ્કૃિતમાંથી જ નાથપંથીઓની હઠયોગ સાધનાનો જન્મ થયો. આ પંથને ચલાવવાવાળા એક મત્સ્યેન્દ્રનાથ (મછંદરનાથ) અને બીજા ગોરખનાથ (ગોરક્ષનાથ). આ ગોરખનાથ એટલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનેલા યોગી આદિત્યનાથના ગુરુ. રાહુલ સાંકૃત્યાયન ગોરખનાથનો સમય નવમી સદીમાં મૂકે છે, અને કહે છે કે ગોરખનાથે ઉત્તરપ્રદેશમાં ધનિક અને સામંતશાહીનો વિરોધ કરતી સંત પ્રણાલીની શરૂઆત કરી હતી.
યોગી આદિત્યનાથની ઓળખાણ ‘હિન્દુ હાર્ડલાઇનર’ (કટ્ટર હિન્દુ) તરીકેની છે. ગોરખનાથની ગણના પણ કડવાં વેણ ઉચ્ચારનારા સંતોમાં થાય છે. ભોગવાદી સંસ્કૃિતની નિંદા કરવાનો એમનો અંદાજ નિરાળો હતો. હિન્દીમાં એમનાં આખ્યાન ગોરખવાણીથી પ્રચલિત છે. એક જગ્યાએ એ લખે છે:
બડે બડે કુલ્હે મોટે મોટે પેટ,
નહીં રે પતા ગુરુ સૌ ભેટ
ષડ ષડ કાયા નિરમલ નેત,
ભઇ રે પૂતા ગુરુ સૌ ભેટ
મતલબ કે જેના કુલ્હા મોટા હોય અને પેટ ફૂલેલાં હોય એ એટલા પ્રમાદી છે કે તેમને હજુ સુધી સારા ગુરુ નથી મળ્યા. અગર એનું શરીર ખડ-ખડ એટલે કે ચરબીથી મુક્ત હોય અને આંખ નિર્મળ હોય તો સમજવું કે એને ગુરુ મળી ગયા છે. શરીરની સ્થૂળતા અને અધિક આહાર પર કટાક્ષ કરનાર ગોરખનાથ પહેલા સંત છે. ગોરખવાણી એવી છે કે સતહ પરથી સમજમાં ન આવે. ‘ગોરખ ધંધા’ શબ્દ અહીંથી જ આવે છે. એવું કામ જે નરી આંખે જુદું દેખાય પણ જેના કરવા પાછળનો આશય અલગ જ હોય.
‘ગોરખનાથ એન્ડ કનફટા યોગી’ નામની ચોપડી લખનાર બ્રિટિશ લેખક જ્યોર્જ બ્રિગ્સ કહે છે કે ગોરખનાથે તત્કાલીન સમાજ અને સામંતી વ્યવસ્થા સામે એક મોરચો માંડ્યો હતો. એક રીતે આ રાજનીતિક અભિગમ કહેવાય. બ્રિગ્સ લખે છે કે ગોરખનાથના વિચારોએ એક પરંપરા અને પંથનું સ્વરૂપ લઇ લીધું હતું અને આગળ જતાં ગોરખપંથના બાર ઉપપંથ થઇ ગયા હતા. બહુ બધા લોકો સંન્યાસને જીવનથી વિરક્તિ તરીકે જુએ છે અને એવું માની લે છે કે એક સંન્યાસીને સમાજથી શું લેવા-દેવા? આવું છે નહીં. સંન્યાસી પોતે ભલે સાંસારિક જીવન જીવતો ન હોય, પરંતુ આજુબાજુના સમાજને વ્યાખ્યાઇત કરવાનું કામ એના ભાગે આવે છે. ગોરખનાથનો વિરોધી સૂર કે કડવાં વેણ એ ભિન્ન મતનો જ પ્રકાર છે, જે લોકતાંત્રિક રાજનીતિનો અગત્યનો પાયો છે. જે લોકો સમાજને ત્યજીને સંન્યાસમાં જોડાઇ ગયા એમાં વિરક્તિ કરતાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો ભાવ વધુ હતો. ઇતિહાસકાર રોમીલા થાપર સંન્યાસને એક પ્રકારની પ્રતિ-સંસ્કૃિત એટલે કે કાઉન્ટર કલ્ચર કહે છે. ઉદાહરણ તરીકે બૌદ્ધની સંઘ પ્રથા, હિન્દુ સંતોની ભક્તિ પ્રથા, બ્રહ્મો સમાજ, આર્ય સમાજ અને સનાતન ધર્મ મુખ્ય પ્રવાહની હિન્દુ સંસ્કૃિત સામેની રાજનીતિ જ હતી. ગોરખપંથ આવો જ એક રાજનીતિક અવાજ હતો.
સ્વાભાવિક રીતે જ ગોરખપીઠના તત્કાલીન મહંત દિગ્વિજયનાથ 1967માં હિન્દુ સભાની ટિકિટ ઉપર સંસદીય ચૂંટણીમાં ઊતર્યા હતા અને જીત્યા હતા. એમના ઉત્તરાધિકારી અને રામમંદિર આંદોલનના નેતા મહંત અવૈધનાથ ચાર વખત ધારાસભામાં અને ચાર વખત સંસદમાં ચૂંટાયા હતા. અવૈધનાથના શિષ્ય યોગી આદિત્યનાથ પાંચ ટર્મથી સંસદમાં ચૂંટાયા છે, અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે.
ટૂંકમાં કહીએ તો એક સંન્યાસી મુખ્યમંત્રી બન્યા એમાં બહુ લોકોને જે આશ્ચર્ય થયું તે અસ્થાને છે. યોગી આદિત્યનાથ એટલા જ સંસારી છે જેટલા સંસારી કોઇ રાજનીતિક પક્ષના અધ્યક્ષ કે કંપનીના ચેરમેન છે. ગોરખપંથની પોતાની પ્રથા, નિયમો, શાખાઓ અને પ્રવૃત્તિઓ છે. એમાં પણ પૈસાની લેવડ-દેવડ થાય છે અને હિસાબ-કિતાબ રખાય છે.
આદિત્યનાથે લગ્ન નથી કર્યાં અને એમનો કોઇ પરિવાર નથી એનો મતલબ એમ નહીં કે એ સમાજથી વિરક્ત અને વિમોહી છે. સામે પક્ષે હકીકત એ પણ છે કે ભારતીય રાજનીતિ ક્યારે ય ધર્મથી અલગ રહી નથી. ઇન્દિરા ગાંધીએ, 1976માં પહેલીવાર સંવિધાનમાં ધર્મનિરપેક્ષતા શબ્દ સામેલ કર્યો હતો પણ એ પછીનાં વર્ષોમાં એ શબ્દનું સતત ખૂન થતું રહ્યું હતું. પરંતુ એ કહાની ફીર સહી. અત્યારે તો આદિત્યનાથને ગોરખવાણી યાદ કરાવીએ:
મનમાં રહિણાં, ભેદ ન કહિણાં,
બોલિલા અમૃત વાણી,
અગિલા અગની હોઇલા,
હે અવધૂ તો આપણ હોઇલા પાણી.
(કોઇનાથી ભેદ ન કરો, મીઠી વાણી બોલો … અગર સામેવાળી વ્યક્તિ આગ બનીને સળગી રહી હોય તો હે યોગી, તું પાણી બનીને એને શાંત કર.)
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 26 માર્ચ 2017