એક મિત્રએ મને સવાલ કર્યો કે દેશમાં આટ-આટલું બની રહ્યું છે ત્યારે સંઘપરિવારમાં ચૂપકીદી કેમ છે? કોઈ કેમ કાંઈ બોલતું નથી? એક વરસથી કાશ્મીરને લશ્કરી બેરેકમાં ફેરવી નાખવામાં આવ્યું છે. મનસ્વીપણે નાગરિક ધારો લાગુ કરીને બીજા તો ઠીક, પણ ઇશાન ભારતના હિંદુઓને નાગરિકતા વિહોણા કરી નાખ્યા અને બીજા કરોડો હિંદુઓ નાગરિકતાવિહોણા થવાના છે. ચાર કલાકની નોટિસમાં લોકડાઉન જાહેર કરીને લાખો મજૂરોને રઝળાવી મૂક્યા જેમાં અંદાજે ૯૦ ટકા હિંદુઓ હશે. તેમની યાતના અને વલોપાત જોઇને ભલભલાની આંખ ભીની થઈ જાય ત્યારે સંઘપરિવારમાંથી કોઈએ ગ્લાનિ નહીં અનુભવી હોય? ગાલ્વાનની ખીણમાં હિંદુ જવાનો શહીદ થાય અને વડા પ્રધાન કહે કે ભારતમાં કોઈ આવ્યું જ નહોતું ત્યારે સંઘપરિવારમાં કોઈનું હિંદુ દિલ કણસતું નહીં હોય? હિંદુ હોવા માટે ગર્વ લેનારાઓની હિંદુ સંવેદનશીલતા ક્યાં? તેઓ વધારે વ્યાપક બને એવી તો આપણે અપેક્ષા પણ રાખતા નથી.
સવાલ તો વાજબી છે. સ્વાભાવિક પણ છે. સ્વાભાવિક એટલા માટે છે કે આપણે હજુ હમણાં સુધી એવા દિવસો જોયા છે જ્યારે શાસકો કોઈ હદબહાર અનુચિત કામ કરે ત્યારે તેમના જ વિચારપરિવારના (એ પરિવાર એટલે સેક્યુલર, લિબરલ, ડેમોક્રેટિક) લોકો ચેતવતા હોય, પડકારતા હોય અને રસ્તા ઉપર ઊતરીને તેમની સામે સંઘર્ષ કરતા હોય. ભેદી ચૂપકીદીનો આપણે હજુ સુધી અનુભવ કર્યો નહોતો. હકીકતમાં ભારતીય જનતા પક્ષને અને નરેન્દ્ર મોદીને દિલ્હી સુધી પહોંચવામાં સેક્યુલર, લિબરલ, ડેમોક્રેટ પરિવારના ઊહાપોહ અને રસ્તા પરના આંદોલનનો મોટો હાથ હતો. તેમના પોતાના હાથ કરતાં પણ વધારે મોટો. નવનિર્માણ અને બિહાર આંદોલન આનાં સૌથી મોટાં ઉદાહરણ છે.
અંગ્રેજીમાં એને કોન્શ્યસ કીપર તરીકે ઓળખાવવામાં આવે છે. એવા માણસો જે સમાજના અને પરિવારના આત્માની રખેવાળી કરે. આવું કોણ કરી શકે? એ, જેનો અંતરાત્મા જાગતો હોય અને જેનો અંતરાત્મા જાગતો હોય એનો વિવેક સાબૂત હોવાનો જ. જેનો વિવેક સાબૂત હોય તે અંગત રાગદ્વેષ કે સ્વાર્થને વચ્ચે ન આવવા દે. એવા લોકો પરિવારને કે સમાજને ચેતવે. મર્યાદાનું ભાન કરાવે. વારંવાર ચેતવે. નીતિ સમજાવે. રસ્તો આંતરે અને જરૂર પડે તો સામે પણ પડે. એવા લોકો ચૂપ રહીને અનીતિના, ખોટાપણાના કે ખોટી પ્રવૃત્તિના મૂક સાક્ષી બની ન રહે. પરિવારની રક્ષા માટે ઘરમાં જેમ ઓસડિયાં રાખવાં જરૂરી માનવામાં આવતાં હતાં એમ ‘નિંદક નીઅરે રાખીએ’ એમ કબીરે કહ્યું છે. બંને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે.
એક સમય હતો જ્યારે અંતરાત્માના રખેવાળો મોટી સંખ્યામાં હતા. પરિવારોમાં પણ હતા અને સમાજમાં પણ હતા. હું જ્યારે પરિવારની વાત કરું છું ત્યારે તેમાં માત્ર લોહીના પરિવારનો જ સમાવેશ નથી થતો, વિચારપરિવારનો પણ સમાવેશ થતો હોય છે.
દરેક યુગમાં કોઈને કોઈ વિચારપરિવારો આકાર પામતા હોય છે. આખા વિશ્વ પર નજર કરશો તો છેલ્લાં દોઢસો વરસમાં છ પ્રકારનાં વિચારપરિવારો આકાર પામ્યાં છે. સામ્યવાદી વિચારોમાં શ્રદ્ધા રાખનારો પરિવાર, સમાજવાદી વિચારોમાં શ્રદ્ધા રાખનારો પરિવાર, રાષ્ટ્રવાદી વિચારોમાં શ્રદ્ધા રાખનારો પરિવાર, ગાંધીજીના વિચારોમાં શ્રદ્ધા રાખનારો પરિવાર, પોતપોતાના ધર્મોની સર્વોપરિતામાં અને સરસાઈમાં માનનારો જે તે ધાર્મિક કોમવાદી પરિવાર, (ધર્મ આમ તો સૌથી જૂની સંસ્થા છે, પરંતુ ધર્મની સરસાઈ સ્થાપિત કરવાની વૃત્તિ ખાસ કરીને આજકાલ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, એટલે ધાર્મિકતાએ કોમવાદી રૂપ અપનાવ્યું છે.) અને ઘણીવાર એવું બને છે કે બહુમતી કોમવાદ રાષ્ટ્રવાદ સાથે ભાગીદારી કરી લે છે એટલે તેના પરિણયથી જે વિચારપરિવાર આકાર લે છે એ ફાસીવાદી પરિવાર.
તો દોઢસો વરસમાં છ વિચારપરિવાર જગતે જોયાં. સામ્યવાદી વિચારપરિવાર, સમાજવાદી વિચારપરિવાર, ગાંધીવાદી વિચારપરિવાર, રાષ્ટ્રવાદી વિચારપરિવાર, કોમવાદી વિચારપરિવાર અને ફાસીવાદી વિચારપરિવાર. આ છ વિચારપરિવારોમાંથી ભારત ઉપર ગાંધીવિચારનો પ્રભાવ ઘણો ઊંડો અને દીર્ઘકાલીન હતો. ગઈ સદીમાં લગભગ સાત દાયકા સુધી તેનો પ્રભાવ જોવા મળતો હતો જેને કારણે ગાંધી વિચારપરિવાર સૌથી મોટો હતો અને વ્યાપક હતો. અનેક સંસ્થાઓ ગાંધીવિચાર પરિવારે સ્થાપી હતી અને કૉન્ગ્રેસે ૧૯૨૦ પછીથી ગાંધીવિચારને અપનાવી લીધો હતો. એ રીતે કૉન્ગ્રેસ પણ ગાંધીવિચાર પરિવારની એક સભ્ય હતી જે સંસદીય લોકશાહીમાં સત્તાનું રાજકારણ કરતી હતી.
હવે અત્યાર સુધીનો અનુભવ આપણને એમ કહે છે કે ગાંધીવિચાર પરિવારને સતત અંતરાત્માના રખેવાળો મળતા રહ્યા છે. ગાંધીજીએ પોતે ચક્રવર્તી રાજગોપાલાચારીને પોતાના અંતરાત્માના રખેવાળ તરીકે નિયુક્ત કર્યા હતા અને એક પ્રસંગે તો તેમણે તેમના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધીને તેમના (ગાંધીજીના) અંતરાત્માની રખેવાળી કરવાનું કહ્યું હતું. ખબરદાર બોલવામાં ઊણો ઉતર્યો તો!
આઝાદી પછી કૉન્ગ્રેસ જ્યારે સત્તામાં આવી ત્યારે કૉન્ગ્રેસીઓ વિરોધ પક્ષોથી જેટલા પરેશાન નહોતા એટલા તેમના પોતાના જ પરિવારના અંતરાત્માના રખેવાળોથી પરેશાન હતા. એવું એક રાજ્ય નહીં મળે અને એવો એક દાયકો નહીં મળે જ્યારે અંતરાત્માના જાગતલોએ શાસકોને પડકાર્યા ન હોય. આપણે માત્ર ગુજરાતની જ વાત કરીએ તો રવિશંકર મહારાજ, આત્મારામભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, ઉમાશંકર જોશી, નારાયણભાઈ દેસાઈ, ચુનીભાઈ વૈદ્ય વગેરે જાહેરજીવનના અંતરાત્માના રખેવાળ હતા. ઉમાશંકર જોશીને ઇન્દિરા ગાંધીએ રાજ્યસભામાં નિયુક્ત કર્યા હતા, પરંતુ ઈમરજન્સીમાં જ્યારે ઉમાશંકર જોશીને લાગ્યું કે હવે ચૂપ નહીં રહેવાય ત્યારે તેમણે ભારતીય સંસદીય ઇતિહાસમાં અમર ભાષણ આપ્યું હતું. ૧૯૭૦ના દાયકામાં જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધીને પડકાર્યાં હતાં એ તો જાણીતી ઘટના છે.
આવા તો સેંકડો ઉદાહરણ આપી શકાય એમ છે, પણ સંઘપરિવારમાંથી આવું એક પણ ઉદાહરણ કેમ નથી મળતું, એની ચર્ચા આવતા સપ્તાહે, પણ એ પહેલાં જો સંઘપરિવારમાંથી ઊઠેલા આત્માના અવાજનું કોઈ ઉદાહરણ આપી શકે એમ હોય તો ધ્યાન દોરવા વિનંતી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જુલાઈ 2020