ઉત્તરાખંડમાં જે વિવાદાસ્પદ સંજોગોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું તે નિમિત્તે એ સંદર્ભની કેટલીક ચર્ચા જરૂરી બને છે. આપણા દેશમાં બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીઓ અને તેને કારણે પડનારી સંભવિત અસરોની વિગતવાર જોગવાઈઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિને ઘણી બધી સત્તાઓ આપવામાં આવી છે, પણ તેનો ઉપયોગ તેમણે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળ, ખાસ તો કૅબિનેટની સલાહ અને મદદથી જ કરવાનો છે. આ માટે જે ત્રણ પ્રકારની કટોકટીઓની જોગવાઈ બંધારણમાં કરવામાં આવે છે, તેમાં રાષ્ટ્રીય કટોકટી (સલામતી વિષયક કટોકટી), બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટીનો સમાવેશ થાય છે.
સ્વાતંત્ર્ય પછીના સમયમાં રાષ્ટ્રીય અથવા સલામતી વિષયક કટોકટી ત્રણ વખત જાહેર કરવામાં આવી, ૧૯૬૨માં ચીનના આક્રમણ વખતે, જે ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે અમલમાં હતી. બીજી વાર ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં જાહેર કરવામાં આવેલ અને ત્રીજી વાર ‘આંતરિક અશાંતિ’નાં સંદર્ભમાં ત્યારનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદેલી. જે ભારે ટીકાપાત્ર બનેલી.
બીજા પ્રકારની કટોકટી છે, બંધારણીય કટોકટી. બંધારણના આર્ટિકલ ૩૫૬ અનુસાર રાજ્યના ગવર્નરના અહેવાલ આધારે અથવા એ વિના ‘રાષ્ટ્રપતિને એવું લાગે કે’ બંધારણીય જોગવાઈઓ અનુસાર કોઈ રાજ્યની સરકાર ચાલી શકે તેમ નથી તો તેઓ તે રાજ્યમાં બંધારણીય કટોકટી લાદી શકે છે અને તે એકમ રાજ્યને ‘રાષ્ટ્રપ્રમુખના શાસન’ હેઠળ મૂકવામાં આવે છે. તે વખતે જે તે રાજ્યના ગવર્નર કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે, કેટલાકની દૃષ્ટિએ ‘એજન્ટ’ તરીકે રાજ્યનો વહીવટ કરે છે. રાષ્ટ્રપતિના શાસન દરમિયાન પાર્લમેન્ટને રાજ્યયાદીના વિષયો પર કાયદા ઘડવાની સત્તા પ્રાપ્ત થાય છે. આ પ્રકારની કટોકટીથી એકમ રાજ્યની સ્વાયત્તતા નષ્ટ થઈ જાય છે અને એકમ રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર કેન્દ્ર સરકારને આધિન થઈ જાય છે. ક્યારેક રાજ્યની વિધાનસભાને ‘મૂર્છિત અવસ્થા’(સસ્પેન્ડેટ એનિમેશન)માં રાખવામાં આવે છે. જ્યારે એમ લાગે કે બંધારણીય જોગવાઈઓ અનુસાર સરકાર રચી શકાય તેમ છે, તો તેને ‘મૂર્છિત’ અવસ્થામાંથી જાગૃત કરી શકાય છે!
બંધારણની જોગવાઈઓ અનુસાર સરકારની રચના કરી શકાય તેમ નથી અથવા તે ચાલી શકે તેમ નથી તેમ લાગે તો તેમાં ‘બંધારણની કઈ જોગવાઈઓ’, એનો ક્યાં ય ફોડ પાડવામાં આવ્યો નથી. સામાન્ય રીતે રાષ્ટ્રપતિનું શાસન એક વર્ષ સુધી ચાલુ રાખી શકાય, અસાધારણ સંજોગોમાં ત્રણ વર્ષ સુધી તેને લંબાવી શકાય છે. બંધારણીય કટોકટીની વધુમાં વધુ ત્રણ વર્ષની મુદત પૂરી થાય કે તરત જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી કરીને લોકો દ્વારા ચૂંટાયેલી સરકારની રચના કરવામાં આવે.
બંધારણસભામાં જ્યારે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી, ત્યારે ઘણા સભ્યોએ તેનો જોરદાર વિરોધ કરેલો. તે વખતે તેનો બચાવ કરવામાં આવેલો કે આપણે ત્યાં અમેરિકા જેવું સમવાયતંત્ર નથી પણ અર્ધ સમવાયતંત્ર (ક્વોસી ફેડરલ) છે. બંધારણના પહેલા જ આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત ‘એકમ ઘટક રાજ્યોનો સંઘ’ (યુનિયન) છે, બીજા શબ્દોમાં ભારત એક ‘સંઘરાજ્ય’ છે, ‘ફેડરેશન’ નથી.
તેનો બીજો બચાવ એ રીતે કરવામાં આવેલો કે ઘટક રાજ્યમાં કોઈ અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય અને બંધારણીય જોગવાઈઓ અનુસાર સરકારની રચના જ થઈ શકે તેમ ન હોય, ત્યારે ના છૂટકે, છેલ્લા ઉપાય તરીકે મર્યાદિત સમયગાળા માટે જ ‘બંધારણીય કટોકટી’ લાદી શકાય અને તેથી તેને ‘રાષ્ટ્રપતિશાસન’ કહેવું જોઈએ.
હવે બંધારણના જો કોઈ એક આર્ટિકલનો સૌથી વધારે વખત દુરુપયોગ થયો હોય, અને તે પણ રાજકીય કારણોસર થયો હોય તો તે છે આર્ટીકલ ૩૫૬. ૧૯૫૦થી આજ સુધીમાં ૧૨૬ વખત તેનો ‘દુરુપયોગ’ થયો છે. કેન્દ્રમાં જે સરકાર સત્તા પર હોય તેણે પોતાના રાજકીય લાભ ખાતર રાજ્ય સરકારો ‘ગબડાવી’ અને રાષ્ટ્રપતિનું શાસન લાદ્યું છે. બંધારણસભામાં તેના સંભવિત દુરુપયોગ સામે આંગળી ચીંધવામાં આવી ત્યારે બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર ડૉ. ભીમરાવ આંબેડકરે જણાવ્યું હતું કે આ આર્ટિકલનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે. તેને ‘ડેડ લેટર’ ગણવામાં આવે.
આર્ટિકલ ૩૫૬ હેઠળ રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું હોય તો તેને અદાલતોમાં પડકારી શકાય? કારણ કે આ રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે. આ શંકાનું નિવારણ સર્વોચ્ચ અદાલતે ૧૯૯૪માં ‘બોમ્માઈ કેસ’ નામે જાણીતા થયેલા ચુકાદામાં કર્યું છે. નવ ન્યાયમૂર્તિઓની બેન્ચ દ્વારા તેના બહુમતી ચુકાદામાં જણાવવામાં આવ્યું કે બંધારણીય કટોકટી લાદવાના રાષ્ટ્રપતિના જાહેરનામાને અદાલતમાં પડકારી શકાય અને રાષ્ટ્રપતિના જાહેરનામાને જરૂર લાગે તો ગેરબંધારણીય અને રદબાતલ જાહેર કરી શકાય. બોમ્માઈ કેસનો ચુકાદો એક અત્યંત મહત્ત્વનો ‘લેન્ડમાર્ક’ ચુકાદો ગણાય છે.
બીજું, એ ચુકાદામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે સરકારને બહુમતી ધારાસભ્યો અથવા લોકસભાના સભ્યોનો ટેકો છે કે નહીં તેની કસોટી ગૃહમાં જ કરવામાં (ઑન ધ ફ્લોર ઑફ ધ હાઉસ) કરવામાં આવવી જોઈએ. ગવર્નરના બંગલા કે રાષ્ટ્રપતિ ભવનના કમ્પાઉન્ડમાં ‘માથા’ ગણીને કે તેમની ‘સહીઓ’ને આધારે નહીં. સરકારને બહુમતી સભ્યોનો ખરેખર ટેકો (સમર્થન) છે કે નહીં, તેની સાચી પરીક્ષા ગૃહમાં જ થવી જોઈએ, અને જો બહુમતીનો ટેકો પુરવાર ન થાય તો તરત જ રાજીનામું આપી દેવું જોઈએ.
આ આર્ટિકલનો દુરુપયોગ કૉંગ્રેસ સરકાર જ્યારે કેન્દ્રમાં હતી, ત્યારે તેમણે પણ કરેલો. પહેલો ઉપયોગ કેરળમાં સત્તા પર આવેલ ડાબેરી પક્ષોની સરકાર સામે કરેલો, ત્યારે નેહરુ સરકારનું આ વલણ ભારે ટીકાપાત્ર બનેલું.
૧૯૭૭માં નવ રાજ્યો જેવાં કે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં વિધાનસભાઓનું વિસર્જન કરવામાં આવ્યું અને આ બધા રાજ્યોમાં રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું, કેટલાક વિવેચકો કહે છે કે જથ્થાબંધ ધોરણે રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું હોય, એ પહેલો બનાવ હતો.
૧૯૮૦માં કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર સત્તા પર આવી. તેણે અગાઉની કૉંગ્રેસ (આઈ) સરકારનું અનુકરણ કર્યું અને નવ સભ્યો જેવાં કે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુની સરકારોને બરતરફ કરી અને આ બધાં રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. જથ્થોબંધ ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હોય, એવો આ બીજો કિસ્સો ભારતના બંધારણીય ઇતિહાસમાં નોંધાયો છે.
ભારતના જાણીતા ન્યાયવિદ ફલી નરિમાને તાજેતરમાં એક લેખમાં જણાવ્યું છે કે ભારતીયસંઘના વડા રાષ્ટ્રપતિના નામે જે ‘રાષ્ટ્રપતિશાસન’ લાદવામાં આવે છે, તેની ‘બદનામી’થી રાષ્ટ્રપતિને દૂર રાખવા જોઈએ એને બદલે ‘પ્રાઈમમિનિસ્ટર રુલ’ (વડાપ્રધાનનું શાસન) રાખવું જોઈએ અને તે માટે બંધારણમાં જરૂરી સુધારો કરવો જોઈએ. હકીકતમાં ‘રાષ્ટ્રપતિશાસન’ લાદવાનો નિર્ણય તો વડાપ્રધાન-કૅબિનેટ જ લેતા હોય છે. તો પછી શા માટે ‘વડાપ્રધાનશાસન’ જ નામ ન રાખવું જોઈએ! નરિમાનની દલીલમાં તથ્ય છે.
૨૭, મિથિલા સોસાયટી, આંબાવાડી, અમદાવાદ
સૌજન્ય :”નિરીક્ષક”, 01 મે 2016; પૃ. 02-03