દક્ષિણ આફ્રિકા હંમેશાં એક વાતે ગૌરવ લેતું રહ્યું છે કે તમે અમને મોહનદાસ આપ્યા અમે તમને મહાત્મા આપ્યા! ગાંધીજીની એડવોકેટમાંથી આંદોલનવીર બનવાની યાત્રાએ દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર જ આકાર લીધો હતો, એ હકીકત છે, પરંતુ સાથે સાથે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી રહી કે ગાંધીજીના આંદોલને સમગ્ર દક્ષિણ આફ્રિકાને એવું તો આંદોલિત કરેલું કે તેની અસર દાયકાઓ સુધી જળવાઈ રહી.
આ અસર હેઠળ જ નેલ્સન મંડેલા જેવા નેતા પેદા થયા. આ અસરનું જ પરિણામ છે કે દક્ષિણ આફ્રિકા ભેદભાવમુક્ત અને ન્યાયી રાષ્ટ્ર તરીકે સ્થાપિત થઈ શક્યું છે. આ વાતનું સ્મરણ કરવાનું કારણ દુ:ખદ છે. નેલ્સન મંડેલાના નિકટતમ સાથીઓમાંના એક એવા ભારતીય મૂળના સંઘર્ષવીર અહેમદ કથરાડાનું ગત 28મી માર્ચ, 2017ના રોજ 87 વર્ષની વયે નિધન થયું.
રંગભેદ અને અન્યાય સામે આખી જિંદગી આંદોલન રૂપી તલવાર તાણનારા અહેમદ કથરાડા માત્ર દક્ષિણ આફ્રિકામાં જ નહીં, સમગ્ર વિશ્વમાં એક આંદોલનપુરુષ-રાજપુરુષ તરીકે નામના ધરાવતા હતા. કથરાડાના સંઘર્ષનો અંદાજ માંડવો હોય તો એક આંકડો પૂરતો છે કે તેમણે 87 વર્ષના આયુષ્યમાં 75 વર્ષ જાહેરજીવન-સેવા-સંઘર્ષ પ્રવૃત્તિઓમાં ગાળ્યાં હતાં, તેમણે જિંદગીનાં 26થી વધુ વર્ષો જેલમાં વિતાવવા પડેલાં, જેમાંથી 18 વર્ષ તો કુખ્યાત રોબેન ટાપુ પર આકરી સજા વેઠી હતી.
અહેમદ કથરાડાને આપણે ગુજરાતીઓએ તો ખાસ ઓળખવા જોઈએ અને આદર્શ બનાવી પ્રેરણા મેળવવી જોઈએ, કારણ કે તેઓ મૂળે તો ગુજરાતી પરિવારનું જ ફરજંદ હતા. તેમનો પરિવાર સુરતથી સ્થળાંતર કરીને આફ્રિકામાં સ્થાયી થયો હતો. અલબત્ત, કથરાડાનો જન્મ (21 ઑગસ્ટ, 1929) અને ઉછેર દક્ષિણ આફ્રિકામાં જ થયો હતો. ભારતીય મૂળના હોવાને કારણે જ સ્વાભાવિક રીતે જ તેઓ મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલા આંદોલનના પ્રભાવ અને પ્રવૃત્તિઓના સંપર્કમાં આવ્યા.
કથરાડા યુવા વયે જ ભારતીય મૂળના લોકોના રાજકીય પક્ષ ટ્રાન્સવાલ ઇન્ડિયન યૂથ કૉંગ્રેસ સાથે જોડાયા હતા અને બહુ ઝડપથી સંગઠનકાર તરીકે આગળ વધ્યા હતા. આગળ જતાં તેઓ નેલ્સન મંડેલાના સંઘર્ષના સાથી બની રહ્યા હતા. કથરાડા અને નેલ્સન મંડેલા આજીવન ગાઢ મિત્રો બની રહ્યા હતા. મંડેલા કથરાડાને પોતાનું જ ‘પ્રતિબિંબ’ કહેતા તો કથરાડા મંડેલાને ‘મોટા ભાઈ’ માનતા. તેમની દોસ્તી સજાથી લઈને સત્તા સુધી જળવાઈ રહી હતી અને એકબીજાના વિશ્વાસુ સાથી બની રહ્યા હતા.
ઈ.સ. 1964માં કુખ્યાત રિવોનિયા કેસમાં મંડેલા ઉપરાંત જે ત્રણ લોકોને રાજકીય કેદી તરીકે જનમટીપની સજા મળેલી, એમાંના એક કથરાડા હતા. મંડેલાની જેમ રોબેન ટાપુ પર તેમણે પણ આકરી સજા કાપી હતી. સંઘર્ષની જેમ જ નેલ્સલ મંડેલા જ્યારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે પણ કથરાડાએ તેમના પાર્લમેન્ટરી કાઉન્સેલર તરીકે જોડાઈને દેશમાં રંગભેદમુક્ત નવી નીતિ નિર્ધારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
દક્ષિણ આફ્રિકાના અન્ય દેશો સાથેના સંબંધો સ્થાપવા અને વધારવામાં પણ કથરાડાનું મોટું પ્રદાન રહ્યું છે. ‘અંકલ કેથી’ તરીકે જાણીતા કથરાડાએ ક્યારે ય સત્તા કે પદ માટે રાજકારણ કર્યું નહોતું.
દક્ષિણ આફ્રિકામાં આઝાદી, લોકશાહી અને શાંતિ માટેના તેમના આજીવન સંઘર્ષને સલામ!
સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 05 અૅપ્રિલ 2017