વિવેક કુમારના મૂળ હિન્દી લેખ અને નિવેદિતા મેનને કરેલા તેના અંગ્રેજી અનુવાદને આધારે આ ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે અને આ બંને લેખ ‘કાફિલા’ પર ઉપલબ્ધ છે.
— મૈત્રેયી યાજ્ઞિક
°°°
એક મુસ્લિમ જમીનદારે દાનમાં આપેલી જમીન પર બાંધવામાં આવેલું અયોધ્યાનું 300 વર્ષ પુરાણું આ રામ જન્મસ્થળ મંદિર, નવા વિસ્તૃત રામ મંદિર માટે જગ્યા કરી આપવા માટે, ઓગસ્ટ 2020માં તોડી પાડવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્ય : ‘ધ વાયર’)
એ લોકો કહે છે કે રામ અયોધ્યામાં જન્મ્યા; અયોધ્યામાં રમ્યા અને ભમ્યા, અયોધ્યામાં જ ઉછરીને મોટા થયા, ત્યાંથી જ તેમને વનવાસ અપાયો, અને પછી ત્યાં જ પાછા ફરીને તેમણે શાસન પણ કર્યું. રામના જીવનની ક્ષણેક્ષણની યાદમાં અયોધ્યામાં મંદિરો છે. જ્યાં રમ્યા ત્યાં ગુલેલા મંદિર. જ્યાં અભ્યાસ કર્યો ત્યાં વસિષ્ઠ મંદિર. જ્યાં બેસીને રાજ કર્યું ત્યાં મંદિર છે, તો જ્યાં ભોજન લીધું ત્યાં સીતા રસોઇ છે. જ્યાં ભરત રોકાયા હતા ત્યાં મંદિર છે. હનુમાન મંદિર છે, કોપ ભવન છે. સુમિત્રા મંદિર છે, દશરથ ભવન છે. આવા તો કંઈ કેટલાં ય મંદિરો છે અને એ બધાં લગભગ 400થી 500 વર્ષ જૂનાં છે. કહેવાનું તાત્પર્ય એ કે હિન્દુસ્તાનમાં મુગલોના શાસનકાળ દરમિયાન, મુસ્લિમોના શાસનકાળ દરમિયાન આ મંદિરો બાંધવામાં આવ્યાં હતાં.
ગજબ કહેવાય નહીં! મુસ્લિમોએ આ મંદિરો બનાવવાની મંજૂરી કેમની આપી હશે? એમને તો મંદિરો તોડી પાડવા માટે યાદ કરવામાં આવે છે. તેમના નાકની નીચે એક આખું ને આખું શહેર ધીમે ધીમે મંદિરોની નગરીમાં ફેરવાઈ ગયું અને તેઓએ કંઈ જ ન કર્યું! આ તે કેવા આતયાયીઓ હતા જે મંદિરો માટે જમીન આપતા જ રહ્યા હતા? ગુલેલા મંદિર જ્યાં છે તે જમીન મુસ્લિમ શાસકોએ જ આપી હતી એવું કહેનારા નક્કી જુઠ્ઠા હોવા જોઈએ. અને દિગંબર અખાડામાં રાખેલા એ દસ્તાવેજો, જેમાં લખેલું છે કે મંદિર બનાવવાના ચોક્કસ હેતુ માટે મુસ્લિમ શાસકોએ 500 વીઘા જમીન દાનમાં આપી હતી, એ ચોક્કસપણે નકલી હોવા જોઈએ. અને આજે નિર્મોહી અખાડો જ્યાં ઊભો છે એ જમીન નવાબ સિરાજ ઉદ-દૌલાએ આપી હતી એ વાત સાચી હોઈ જ ન શકે. ના, સત્ય તો માત્ર એક જ છે, અને એ છે બાબર અને એણે બનાવેલી બાબરી મસ્જિદ!
હવે તો એવું લાગે છે કે તુલસીદાસ પણ ખોટા હતા, તેઓ 1528ની આસપાસના અરસામાં જ થઈ ગયા, કારણ કે તેમનો જન્મ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 1511માં થયો હતો. લોકોનું કહેવું છે કે 1528માં જ બાબરે, જ્યાં રામનો જન્મ થયો હતો તે સ્થળે આવેલ રામમંદિર તોડીને ત્યાં જ, બાબરી મસ્જિદ ચણી હતી. તેમના સમયમાં આ વાત તુલસીદાસના જોવા-જાણવામાં નક્કી આવી જ હોવી જોઈએ. રામના જન્મસ્થળે આવેલ મંદિર બાબર તોડી રહ્યો હતો ત્યારે પણ તુલસીદાસ લખી રહ્યા હતા, “માંગ કે ખાઈબો, મસીત મેં સોઈબો”– ભીખ માંગીને ખાઉં છું ને મસ્જિદમાં સૂઈ રહું છું. અને પછી તેમણે લખ્યું રામચરિતમાનસ. રામમંદિર તૂટ્યાનો અને તેના જ ખંડિયેર પર બાબરી મસ્જિદ ચણાયાનો તુલસીદાસને જરા સરખો ય રંજ નહીં થયો હોય? તેમણે ક્યાંક તો એના વિશે કંઈક તો લખ્યું હશે ને?
અયોધ્યામાં સત્ય અને અસત્ય પોતાનો અર્થ ખોઈ ચૂક્યા છે.
પાંચ પેઢીઓથી મુસ્લિમોએ ત્યાં ફૂલો ઉગાડ્યાં છે. અને એ તમામ ફૂલો મંદિરોમાં, દેવતાઓને, રામને ચડતાં રહ્યાં છે.
કંઈ કેટલાં ય વર્ષોથી મુસ્લિમો ત્યાં લાકડાની ચાખડીઓ બનાવતા આવ્યા છે. મુસ્લિમોએ બનાવેલી આ ચાખડીઓ સાધુ- સન્યાસીઓ, ઋષિમુનિઓ, રામ ભક્તો, સૌ કોઈ પહેરતા આવ્યા છે.
સુંદર ભવન મંદિરનું સમગ્ર સંચાલન ચાર દાયકા સુધી એક મુસ્લિમના હાથમાં રહ્યું હતું. 1949માં તેના સંચાલનની જવાબદારી સાંભળનાર મુન્નુ મિયાં 23મી ડિસેમ્બર, 1992 સુધી તેના મેનેજર રહ્યા હતા. કેટલીકવાર એવું ય બન્યું હતું કે ભક્તો ઓછા હતા અને આરતી દરમિયાન મુન્નુ મિયાંએ પોતે તાલબદ્ધ રીતે કરતાલ બજાવી હતી, ત્યારે શું એમને વિચાર સરખો ય આવ્યો હતો કે શું છે અયોધ્યાનું સત્ય અને શું છે એનું જુઠ્ઠાણું?
અગ્રવાલ દ્વારા બંધાવવામાં આવેલા મંદિરની એકએક ઈંટ 786નો આંકડો કોતરેલો છે. આ મંદિર બનાવવા માટેની તમામ ઈંટો રાજા હુસૈન અલી ખાને આપી હતી. અહીં શું સાચું માનવું? મંદિર બનાવનાર અગ્રવાલનું મગજ ઠેકાણે નહોતું? કે પછી હુસૈન અલી ખાન પાગલ હતા કે મંદિર બનાવવા માટે ઈંટો દાનમાં આપી રહ્યા હતા? અહીં પ્રાર્થના કરવા ઊઠેલા હાથ હિંદુના કે મુસ્લિમના હાથ તરીકે ઓળખી શકાતા નથી, એ તમામ હાથ અહીં પૂજા કરવા ઊઠે છે, ઈબાદત કરવા ઊઠે છે. આ એક 786ના આંકડાએ આ મંદિરને બધાનું બનાવી દીધું હતું. શું માત્ર 6ઠ્ઠી ડિસેમ્બર, 1992 એ જ એક સત્ય છે?
6 ઠ્ઠી ડિસેમ્બર, 1992 પછી અયોધ્યાના મોટાભાગનાં મંદિરોનો કબજો સરકારે લઈ લીધો. તમામ મંદિરોને તાળાં લગાવી દેવાયાં. આરતી બંધ થઈ ગઈ. લોકોએ ત્યાં જવાનું છોડી દીધું. શું બંધ દરવાજા પાછળ બેઠેલા દેવી-દેવતાઓએ એક ગુંબજ પર ચઢી જઈને રામને મુઠ્ઠીમાં કરી લેવાની મહત્ત્વાકાંક્ષા રાખતા લોકોને શાપ આપ્યો હશે?
શું અયોધ્યાનાં એ પ્રાચીન મંદિરોમાંથી રામના નામે અયોધ્યામાં અને ભારતભરમાં વહેલા એ લોહીની બૂ આવતી હશે?
અયોધ્યા એ કહાણી છે એક નગરની એક “સમસ્યા”માં ફેરવાઈ જવાની.
અયોધ્યા કહાણી છે એક આખી સંસ્કૃતિના મોતની.
e.mail : maitreyi.yajnik@gmail.com
મૂળ હિન્દી લેખ કાફિલા પર અહીં વાંચી શકાશે.
તેનો અંગ્રેજી અનુવાદ કાફિલા પર અહીં વાંચી શકાશે.