Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9299658
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રામમંદિર, અયોધ્યા અને ભક્તિ(?)

રેખા સિંધલ|Opinion - Opinion|28 January 2024

રેખાબહેન – પ્રતાપભાઈ સિંધલ

પરણીને જે ઘરમાં મેં સાસરવાસ વેઠ્યો, તે ઘરની અને રામમંદિરની સહિયારી દીવાલ હતી. આ દીવાલ માંડ દસેક ફૂટ ઊંચી હશે. રામમંદિરના ઉપરના માળનો દાદરો આ દીવાલને અડીને જતો અમારા ફળિયામાંથી જોઈ શકાતો. એ જ રીતે અમારા ઘરની ઉપરના માળનો દાદરો અને બાલ્કની પણ મંદિરના આંગણામાંથી જોઈ શકાતા. હું પરણી તે પહેલાંથી રામનવમીના દિવસે ભક્તોની અવરજવર અમારા ફળિયા સુધી રહેતી. એ નવદિવસો આંગણે ઉત્સવ હોય એવું લાગતું. અમારા ઘરના બધા જ સભ્યો ભક્તોની સરભરા માટે તત્પર રહેતા. પગરખાં ઉતારવાથી માંડીને આરામ અને ભોજન તથા વોશરૂમની સગવડ માટે અમારાં બારણાં આ નવ દિવસો આખા ગામ માટે ખુલ્લાં રહેતાં. મારા સસરા રામના પરમભક્ત હતા. વર્ષોથી રોજ સાંજે મંદિરમાં થતી રામકથામાં એમની હાજરી અચૂક હોય. એ ગેરહાજર હોય ત્યારે મોટેભાગે અયોધ્યા ગયા હોય. રામાયણ એમને આખી ય કંઠસ્થ. તેઓ વિધુર હતા. બીજીવાર પરણવાનો વિચાર એમને માન્ય ન હતો. માવિહોણા ત્રણ બાળકોની જવાબદારી દાદા-દાદી અને નાના-નાની વચ્ચે વહેંચાયેલી હતી એ કારણે બાળકો દાદા અને નાનાના ઘર વચ્ચે ફંગોળાતા તેથી ક્યાં ય સ્થિર થઈ શકતા નહીં. મોટો દીકરો પરણશે એટલે મારા સાસુની જગ્યાએ વહુ તરીકે જવાબદારીઓ હું સંભાળીશ એવી આશાએ સ્થિરતા માટે અમારા લગ્નની રાહ જોવાતી હતી.

અમારા લગ્નજીવનની શરૂઆતના દિવસોમાં મારા સસરા પ્રત્યેના આદરને કારણે મેં પણ રામમંદિરે નિયમિત જવાનું શરૂ કરેલ. રોજ રાત્રે ૯ વાગ્યે એક કલાક સુધી ઢોલ, મંજીરા અને હારમોર્નિયમ સાથે ચોપાઈઓ સાંભળવા મળે અને વચ્ચે વચ્ચે માઈકમાંથી કથાના સૂર પણ શેરીના રસ્તા સુધી સંભળાય. બહેનોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય અને તેની વ્યવસ્થા પાછળના દરવાજા પાસે અલગ રહેતી. લગભગ એક અઠવાડિયામાં જ કથા સાંભળવામાંથી મારો રસ કાયમ માટે ઊડી ગયો. કારણ કે એ કથાકાર, રામ-સીતા સાથે સરખામણી કરી કથા વખતે આજ-કાલના ભણેલા દીકરા-વહુઓની ટીકા વચ્ચે વચ્ચે કરતા હતા. મહારાજના મુખેથી રામકથાની જગ્યાએ આજની પેઢીની ટીકાઓ સાંભળીને મેં કથામાં જવાનું બંધ કર્યું હતું. થોડા વખત પછી એ કથાકારને ઘરે કરચોરીને કારણે રેડ પડી હતી. ભક્તોની આ ટોળીમાં ગામમાં એક પ્રતિસ્થિત વેપારી પણ હતા. આ ભક્તની પોલ પણ એકવાર પકડાઈ ગઈ. એવું બન્યું કે રામનવમીનો નવ દિવસનો ઉત્સવ હોવાથી મંદિરના મુખ્ય દરવાજે માંડવો બંધાયેલો હતો. આ માંડવાનો ઉપલો ભાગ સળગ્યો એટલે બંબાવાળા દોડતા આવ્યા. બીજા એક પડોશીએ હાંસી સાથે મને જણાવ્યું હતું કે કહેવાતા ભક્ત એવા પેલા વેપારીની બીડીનું સળગતું ઠુંઠુ ઊડીને માંડવા પર પડ્યું હતું. એમના છૂપા વ્યસનની આમ તો બધાને ખબર હતી. એમના બહોળા કુટુંબમાં પણ સૌને એની જાણ હતી, પણ જાહેરમાં નહીં તેથી મને આ ખબર નહોતી. પડોશીનું વ્યંગભર્યું હાસ્ય મારી નાદાની માટે હતું.

બે ચાર વર્ષો પછી ફરી રામનવમીના આ નવદિવસ દરમ્યાન બીજો એક આશ્ચર્યજનક બનાવ બન્યો. ઉત્સવ હોય ત્યારે કથા રાતે બાર વાગ્યા સુધી ચાલુ રહે અને મંદિરની અંદર બધા સમાય નહીં એટલે રોડ પર માંડવા નીચે મહારાજ કથા કરે. બંને બાજુ નીચે પાથરણાં પર દૂરથી આવેલા ભક્તો બેઠા હોય. બાળકો પણ આસપાસ હોય, કોઈ દાદા-દાદીના ખોળામાં પણ બેઠાં હોય અને કોઈ અમારી ફળીમાં રમતાં હોય. મારાં બાળકો પણ સાથે રમતા હોય એટલે મારી નજર રસ્તા સુધી બાળકોનું ધ્યાન રાખવા ફરતી હોય. અચાનક મારું ધ્યાન પડ્યું કે એક ભક્ત કે જે ગામમાંથી ફાળો ઊઘરાવી મંદિરમાં દાનનો પ્રવાહ ચાલુ રાખતા હોવાથી પૂજનીય ગણાતા હતા તે કથા અધવચ્ચે છોડી બઝારના રસ્તે જતા હતા. મને થયું કે રાતના અગિયાર વાગ્યે કથા છોડીને ગામમાં જવા પાછળ શું કારણ હશે? મેં મારા પતિને પૂછ્યું તો એમને પણ નવાઈ લાગી, એટલે તરત સાયકલ પર જઈ એમનો પીછો કર્યો. મને એ ઠીક ન લાગ્યું પણ કોઈ પણ પ્રકારની ખોટી શંકાઓ કરતાં સચ્ચાઈ જાણવી એમને જરૂરી લાગી હતી. પોણી કલાક પછી પાછા આવીને મને કહે, “…… ભાઈને ઘરે ઘણા બધા ભેગા થઈને જુગાર રમે છે. કીહોલમાંથી મેં એમને મારી નજરે જોયા તો પણ માન્યામાં નથી આવતું.” આ વાત મારે માટે પણ નવાઈની હતી કારણ કે આ ભક્ત માટે મને બહુ માન હતું.

આવા અનુભવો પછી બીજા કહેવાતા ભક્તોથી છેતરાવાની નવાઈ ન લાગતી. મંદિરે ન જવાનો મારો નિર્ણય પણ મને બરાબર લાગ્યો. રામમંદિરના ટ્રસ્ટી એવા એક સેવાભાવી ગણાતા વડીલનો દંભ સૌ જાણે પણ એમના વિષે કોઈ ઘસાતું બોલે નહીં. બીજાને ઉતારી પાડવાની એમની આદતને કારણે સૌ એનાથી ડરે. એમની આંખોમાં બીજા પ્રત્યે તુચ્છતાનો ભાવ સ્પષ્ટ વંચાય. અમારી ફળીમાં કચરો જુવે તો એમની ફળીમાં હોય તેવા ચિડાય. આમ બધાને દોષ બતાવવા એ જ વડીલપણું હોય તેવું તેમનું વર્તન. તેમના ત્રણ ભાઈઓ સાથેના સંયુક્ત કુટુંબમાં ઘરની વહુવારુઓ પણ એમનાથી હાથ જોડે! આવા લોકોની દોસ્તી તો નુકશાન કરે જ પણ દુ:શ્મની એ કરતાં ય વધારે નુકશાન કરે. શાણપણ એ જ ગણાય કે આવા લોકોથી તરીને ચાલો અને એવા લોકોની વાતમાં ઊંડા ઉતરવાનું મૂકીને વંદન કરતા રહો. વડીલો પણ એ જ સલાહ આપે. કોઈ પણ વાતમાં ‘મારું શું? અને મારે શું?’નો મંત્ર જાણે કે મોટાભાગના પ્રજાજનોએ આત્મસાત કર્યો હોય તેમ જણાય. ધર્મ વિરૂદ્ધ ચાલતા કોઈ નાગરિકની વાત કરીએ તો “એમાં તારું શું જાય છે?” એ પ્રશ્ન તરત સામે આવે. નકારાત્મક્તાને આથી મોકળું મેદાન મળી જાય છે. જે અદૃશ્ય રીતે બધે જ ફેલાવા લાગે. કુટુંબ એ સમાજ અને રાજ્યનું એકમ છે. એમાં ઢંકાઈને વધતો સડો કેન્સરની જેમ વિસ્તરીને સમાજમાં ફેલાય ત્યારે સાચા ધાર્મિક અને દંભીઓને અલગ પાડવાનું ખૂબ અઘરું થઈ જાય.

એકવાર મારા સસરાના રૂમમાંથી પૈસાની ચોરી થઈ તેનો આરોપ મારી પર આવ્યો હતો પછી ચોર પાકિટ સાથે પકડાયો ત્યારે ખબર પડી કે ચોરે જ મારી પર શંકા ઊભી કરી હતી. નજીકના કુટુંબીનો એ છોકરો અમારે ત્યાં ગમે તે સમયે અચાનક આવી ચઢતો. એક દિવસ હું રસોડામાં વ્યસ્ત હતી ત્યારે એ આવ્યો અને હાથ ફેરવી ગયો. કુટુંબે શંકાની ટોપી મને પહેરાવી દીધી. મારા પતિને આ છોકરા પર શંકા હતી જે સાચી પડી તેથી હું ખોટા આક્ષેપમાંથી બચી ગઈ. મારા સસરા સહિત આખા કુટુંબના બહિષ્કાર અને અસહકારી વલણને કારણે અમે દેશ-પ્રદેશ છોડ્યાં હતાં. આ હથિયારો મર્મવેધી છે તે આપણે સૌ જાણીએ છીએ. ગાંધીજીએ આ હથિયારો વડે વિદેશીઓને હાંકી કાઢ્યા તે વંદનીય છે, પણ તેનો અનુચિત ઉપયોગ કરનારા કેટલા ય લોકો પોતાને અહિંસક અને ગાંધીવાદી માનતા હોય ત્યારે ગાંધીવાદ પણ કલુષિત થયેલો લાગે.

લગ્ન પછી ચૌદ વર્ષોનો સાસરવાસ વેઠ્યા પછી હું અમેરીકા આવી. એ પછી જ્યારે હું દેશમાં જતી, ત્યારે મારા ભોજનની મીઠાશને મારા સસરા ખૂબ વખાણતા અને મારી દેરાણીને પણ એ પ્રમાણે વાનગી બનાવવાનું સૂચન કરતા. એમના મૃત્યુના અઠવાડિયા પહેલાં એમણે મારા પતિ સાથે વીડિયો ફોનમાં વાત કરી ત્યારે મને બોલાવી હ્રદયથી આશીર્વાદ આપેલા. આ આશીર્વાદ સાથે ભળેલા પસ્તાવાનાં વિપુલ ઝરણાંમાં માફી ભળેલી હતી. જેમાં અમારો ગુનો એ હતો કે અમે દેશ છોડ્યો તે પગલું એમની ઈચ્છાવિરુદ્ધનું હતું. કુટુંબ દ્વારા થતી મારા વિષેની ખોટી ટીકાઓને સાચી માનીને એમણે મારી અને એથી ય વધારે એના દીકરાની એટલે કે મારા પતિની અસહ્ય અવગણના કરી હતી, એ બાબતનો એમને પસ્તાવો હતો. અમારા અમેરીકા આવવાનું મુખ્ય કારણ એ હતું કે ઘરમાં સત્તા એમની હતી અને જવાબદારી અમારી! બિલકુલ રાજા અને પ્રજાની જેમ જ! એ કારણે મારે જ નહીં મારા પતિને અને બાળકોને પણ ઘણું સહન સહન કરવું પડતું હતું.

સ્વાવલંબી થવા મેં નોકરી કરવાનું નક્કી કર્યું ત્યારથી એમને થયું કે અમે રામ અને સીતાના આદર્શોને અનુસરતા નથી. એમની કંજૂસાઈ મંદિરના ફાળામાં જતા પૈસાથી ઢંકાઈ જાય. મારા આવ્યા પહેલાં દાદી સાસુ ઘર વ્યવહાર ચલાવતાં હતાં. કુટુંબ આર્થિક રીતે સંપન્ન હતું પણ અમારા લગ્ન પછી આવક-જાવકના બે છેડા ભેગા કરવા માટે મારે નોકરી કરવી આવશ્યક હતી, કારણ કે મારા પતિની આવક મર્યાદિત હતી. બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ વગેરેના ખર્ચાઓ માટે પણ પરાધીન થવું પરવડે તેમ ન હતું. હું ધારું છું કે મારા સાસુના મૃત્યુ બાદ ભાંગી પડેલા મારા સસરાની ભક્તિ મરા મરામાંથી રામ રામ થયાની હતી. એમાં પલાયનવાદ વધારે હતો. મારા પરણ્યા પહેલાં તેઓ ઘરથી કંટાળીને ભાગી જતા ત્યારે મારા દાદી સાસુ ખાતરીથી કહેતા કે તેઓ અયોધ્યા ગયા હશે અને થાકીને પાછા આવશે, ત્યાં કોણ ઘર જેટલી સત્તા અને સાહ્યબી આપવાનું હતું? ત્યાંના સાધુઓની હાલત જોઈ એમને દયા ઉપજતી અને દાન આપીને આવતા પણ ઘરના બાળકોની જરૂરિયાતો પ્રત્યે દુર્લક્ષ હતા. વળી એમના કોપથી બાળકો ડરતાં તેથી દૂર જ રહેતાં. બાળકોને લાગતું કે માની સાથે સાથે એમણે પિતાને પણ ગુમાવી દીધા છે. જે દિવસે તેઓ ખુશ હોય તે દિવસે જ રામાયણની ચોપાઈઓ ઘરમાં સાંભળવા મળે પણ આવું ભાગ્યે જ બનતું.

વડીલોના દોષો ન જોવા, એમની આજ્ઞાનું પાલન કરવું, આવા આપણી સંસ્કૃતિના ઊંચા આદર્શોથી ચૂપ રહેવાનું નાનપણથી શીખવવામાં આવે છે. બળવાખોરને શિક્ષા કે બદનામી જે હથિયાર હાથવગુ હોય તેનાથી ડામી દેવાથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે, એમ માનનારો વર્ગ ઘણો મોટો છે. કુટુંબની સત્ય વાતો જાહેર કરીને સમાજને ઢંઢોળવાનો પ્રયત્ન પણ નિંદાને પાત્ર ગણાય. ઘરની વાત બહાર જાય તો આબરૂ જાય એટલે આબરૂ સાચવવા ગુનાઓ ઢંકાતા રહે અને છાના છપનો સડો વધતો જાય, જે આગળ જતાં સમાજની સમસ્યા બની રહે છે. આવી સમસ્યાઓનાં ઊંડાણ સુધી જવાની કોઈને જરૂરત નથી જણાતી. કેટલાક ભક્તોના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે. કેટલાકની ભક્તિ અંધશ્રદ્ધાથી ભરપૂર છે તો કેટલાક ભક્તિનો ભાવ રૂપિયામાં ફેરવવામાં વ્યસ્ત છે. કેટલા ય સાધુઓ પલાયનવાદી છે. કેટલાયને દંભ કોઠે પડી ગયો છે. સત્ય શંકાના વાદળોથી ઢંકાઈ જાય છે. અસત્યનો અંધકાર દૂર કરવા અનેક પંથ અને પંથીઓ પોતાની વાત ઘૂંટ્યા કરે ને વાડા બાંધ્યા કરે. એમાં કોણ કોને મદદ કરે અને કોણ કોનું વિચારે? બસ મંદિરો બાંધો, સોનાથી શણગારો, સોનુ લૂંટાવા અને લૂંટવા માટે લડાઈઓ કરો અને જયજયકાર સાથે ગાડરિયા પ્રવાહમાં તણાતા રહો. સાચી ભક્તિ માટે એ સિવાયનો વિકલ્પ વિચારનાર વીરલાઓ જો પદભ્રષ્ટ થઈ હાંસિયામાં ધકેલાઈ જતા હોય તો કોઈ શા માટે વિચારે? ધર્મના ઓઠા વગર એકતાની આશા વ્યર્થ હોય તેવા દેશો બિનસાંપ્રદાયિક કઈ રીતે ગણી શકાય? પછી તે ભારત હોય કે અમેરીકા કે પછી અફઘાનિસ્તાન!

e.mail : rekhasindhal@gmail.com

Loading

29 January 2024 રેખા સિંધલ
← કાઁગ્રેસ-અયોધ્યાનો નાતો ગુંચવાડા, અસ્પષ્ટતા અને ઇતિહાસની અવગણનાથી ભરેલો
શિક્ષણ વિભાગનો બાલ્યકાળ પૂરો થાય તો સારું … →

Search by

Opinion

  • ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!
  • કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !
  • સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’
  • સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ
  • જમીન 

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved