મુંબઈના ગિરગામ વિસ્તારના અવંતિકાબાઈ ગોખલે રોડને એક નાકે, વિલા બેલ-વ્યુ મકાન હેઠળ, વરસોથી, સેન્ડવીચ બનાવતા ને વેંચતા રાજુભાઈનો બાંકડો મંડાતો રહેતો. અમારા નિવાસસ્થાનેથી ઊતરતાં રાજુભાઈ જોડે વાતચીત થયા કરે. ચાળીસેક વરસથી આમ રાજુભાઈ જોડે પરિચય. અને પછી તો તેમણે બનાવેલી સેન્ડવીચ લઈને અમે ઘેર આવતાં અને માણતાં. સ્વચ્છ અને ઉચ્ચ કક્ષાનો સરંજામ અને એવા જ તે ખુદ પણ ચોખ્ખા. અમારી ગલીના દરેક દુકાનદાર સાથે તેમનો સદ્દગુણી વ્યવહાર. ક્યારે ય ન કોઈ જોડે ઊંચે સાદે વાત કરે, કે ન કોઈનું તેમણે લગીરેક મનદુ:ખ પણ કર્યું હોય.
અમારાં પરિવારમાંથી કુંજબહેન, કુન્તલ, કીર્તિ, ભક્તિ-મિલિન્દ, ભૂષણ તેમ જ રાજુલબહેનના તે ખાસ માનીતા સેન્ડવીચવાળા. ઘરમાં આવે અને પોતા સંગાથે રાજુભાઈની સેન્ડવીચ લઈને જ આ દરેક ઘરમાં પગ માંડે અને પછી પડીકે બાંધી સેનડવીચ આરામે માણે. તેમાં ય રાજુલબહેન તો સૌથી ચડે : પોતાનાં જ ચચ્ચાર પડીકાં જોગવેલાં જ હોય ! … અને એ સ્વાદ વરસોથી એક જ રહ્યો.
અમારો લતો મોટર બજાર તરીકે જાણીતો. અને તેથી રાજુભાઈને તેમની સારી ઘરાકી રહેતી, સંતોષકારક વકરો રહેતો. આમ તેમણે સારી એવી બચત કરી, કેમ કે તેમની જિંદગી સાદી અને સરળ.
તેમને બે બાળક : એક દીકરો અને એક દીકરી. દીકરો સોફ્ટવેરનો ઈજનેર. દીકરી એક તબીબને પરણી છે.
થયું એવું કે વખત જતા, દીકરાને ધંધામાં 70-80 લાખ રૂપિયાની ખોટ આવી. રાજુભાઈ તો ઊંચેરો જીવ. દાદરમાંના પોતાનું મકાન તેમણે વેંચી કાઢ્યું. આવેલી એક કરોડ 50 લાખની રકમમાંથી દીકરાને 80 લાખ સુપરત કર્યા. અને દાયકાઓ જૂનો પોતાનો ધંધો વીંટીસાટી બાકીની રકમ લઈને મુંબઈ છોડી પોતાને વતન જવા નીકળવાનો તેમણે મનસૂબો કર્યો. કુદરતની ગત ન્યારી છે ને … નીકળવાના હતા તે દિવસના આગલા જ દિવસે રાજુભાઈને હૃદયરોગનો મોટો હુમલો આવ્યો અને તેમણે મોટે ગામતરે જવાની વાટ લીધી. અમે સૌ આધાતમાં વલોવાયાં રહ્યાં. અમારી ગલીના દરેક દુકાનદારે, દરેક રહેવાસીએ પોતાનો એક સ્વજન ગુમાવ્યો હોય તેવી પીડાલાગણી દરેકને થઈ.
આવા સાચુકલા અને ઘસાઈને ઊજળા થનારા મનેખને કુદરત નિરામય શાંતિ જ બક્ષે. પણ અમારે સૌને તેમનો ખાલીપો સહેવાનો રહ્યો. રાજુભાઈનું સ્મરણ સતત રહ્યા કરવાનું.