રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને વટાણા વેરી નાખ્યા છે. બી.જે.પી.ના સંસદસભ્ય ડૉ. મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં, પાર્લામેન્ટ એસ્ટિમેટ્સ કમિટી સરકારી બેન્કોનાં ખોટાં થયેલાં નાણાંની તપાસ કરી રહી છે, અને તપાસના ભાગરૂપે કમિટીએ રઘુરામ રાજનની પૂછપરછ કરી હતી. ડૉ. રાજન અત્યારે અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં ભણાવે છે. કમિટીએ ડૉ. રાજનને પ્રશ્નોત્તરી મોકલી હતી અને કહ્યું હતું કે અત્યારે પ્રત્યક્ષ આવવાની જરૂર નથી, અહીં ઉપસ્થિત કરવામાં આવેલા પ્રશ્નો વિષે તમારો અભિપ્રાય આપશો તો ચાલશે.
પ્રશ્નો દેખીતા હતા. આટલી બધી રકમ ખોટી થવાનું કારણ શું? એમાં વિપરીત આર્થિક પરિબળોનો ફાળો કેટલો અને બેન્કિંગ સિસ્ટમનો ફાળો કેટલો? બેન્કોની ફૂલ નોન પરફોર્મિંગ અસેટ(એન.પી.એ.)માં જાણીબૂજીને બેન્કોને નવડાવવામાં આવી હોય એનું પ્રમાણ કેટલું અને તેનું સ્વરૂપ કેવું? બેન્કોના કામકાજ પર નજર રાખનારી સંસ્થાઓ(મુખ્યત્વે રિઝર્વ બેન્ક)માં અને તેની નિયમન વ્યવસ્થામાં શું ખામી છે? આટલા સવાલો પછી દેખીતા સવાલો હોવાના કે આમાં સુધારો કઈ રીતે થાય અને રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે તમે શું પ્રયાસ કરેલા?
રઘુરામ રાજને ૧૭ પાનાંનો જવાબ લખ્યો છે જેને કારણે સરકાર મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. તેમણે કહ્યું છે કે મેં (રાજને) જાણીબૂજીને, કૌભાંડના ભાગરૂપે, મોટા પ્રમાણમાં બેન્કોને નવડાવનારા વિલફુલ ડિફોલ્ટર્સની એક યાદી વડા પ્રધાનના કાર્યાલયને મોકલી હતી અને પગલાં લેવાની ભલામણ કરી હતી, પરંતુ તેનું શું થયું છે તેની મને જાણકારી નથી.
રઘુરામ રાજન રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર છે, જવાબદાર માણસ છે અને દૂર અમેરિકા રહે છે એટલે તેમણે કહ્યું છે કે ‘શું થયું એની મને જાણકારી નથી’, બાકી એમાં વડા પ્રધાને શું કર્યું છે (કે નથી કર્યું) એની જાણકારી રાજન સહિત આખા જગતને છે. કાંઈ જ થયું નથી અને એમાંના ચારને દેશ બહાર જવા દેવામાં આવ્યા છે અને એકને ફાયદો કરાવી આપવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એના સાડા ચાર વરસ થવા આવ્યા છે, રઘુરામ રાજન રિઝર્વ બેન્કમાંથી ગયા એને બે વરસ થઈ ગયાં છે; પરંતુ થયું કાંઈ જ નથી.
હવે બી.જે.પી.ના પ્રવક્તાઓ બચાવ કરી રહ્યા છે કે રાજને એ પત્ર તો ડૉ. મનમોહન સિંહના વખતમાં લખ્યો હતો. આ વાત સાચી હોય તો પણ સવાલ થઈ શકે કે રિઝર્વ બેન્કના ગવર્નરે ડૉ. મનમોહન સિંહને અંગત પત્ર લખ્યો હતો કે ભારતના વડા પ્રધાનને? ડૉ. મનમોહન સિંહ નિવૃત્ત થયા, ત્યારે તેઓ શું રાજનનો પત્ર સાથે ઘરે લઈ ગયા હતા? જો તેઓ સત્તાવાર પત્ર ઘરે લઈ ગયા હોય તો ડૉ. મનમોહન સિંહ સામે ફોજદારી કેસ થઈ શકે એમ છે. આમ પણ તેઓ કૉન્ગ્રેસના કોઈ નેતાને જેલ મોકલવા આતુર છે, તો અહીં તો ભૂતપૂર્વ વડા પ્રધાનનો કેચ હાથમાં આવે એમ છે. એ પત્ર ભારતના વડા પ્રધાનને લખવામાં આવ્યો હતો અને ભારતના વડા પ્રધાનની ફરજ બનતી હતી કે કોઈ પગલાં લે.
ડૉ. રઘુરામ રાજને ચોથી સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ત્રણ વરસ માટે રિઝર્વ બેન્કના ૨૩મા ગવર્નર તરીકે હોદ્દો ગ્રહણ કર્યો હતો. રાજને કુલ છત્રીસ મહિનામાંથી આઠ મહિના યુ.પી.એ. સરકાર સાથે કામ કર્યું હતું અને ૨૮ મહિના એન.ડી.એ. સરકાર સાથે કામ કર્યું હતું. જે આઠ મહિના યુ.પી.એ. સરકાર સાથે કામ કર્યું, એમાંથી ચાર મહિના તો કોઈ ખાસ કામકાજ વિનાના લોકસભાની ચૂંટણીના હતા. આમ છતાં પણ માની લો કે રાજને એ પત્ર ડૉ. મનમોહન સિંહ સરકારને લખ્યો હતો, તો પણ તેના પર એક્શન લેવાની જવાબદારી નરેન્દ્ર મોદીની હતી. બચાવ ગળે ઊતરે એવો તો હોવો જોઈએ, પણ એ જો શક્ય ન હોય તો કમસેકમ શોભે એવો તો હોવો જ જોઈએ.
ડૉ. રઘુરામ રાજનને રિઝર્વ બેન્કમાંથી કેમ તગેડી મુકવામાં આવ્યા, એ પણ ઉઘાડું સત્ય છે. એક એન.પી.એ. અને બીજું નોટબંધી. રાજન આ બન્ને માટે અનુકૂળ નહોતા. બેન્કોએ પાનાં ખોલી નાખવા જોઈએ એવો રાજનનો આગ્રહ હતો. છુપાવવાનું કાંઈ જ નથી, જે હોય એ ખુલ્લું પાડો. તમારી બેલેન્સશીટ ક્લીન કરો. દેવાંની પુનર્રચના (રિસ્ટ્રક્ચરીંગ ઓફ ડેબ્ટ) કરીને દેશને અને જાતને છેતરવાની જરૂર નથી. ટૂંકમાં રઘુરામ રાજન એક એક કરીને જનતાને બેવકૂફ બનાવવાના છીંડા બંધ કરવા માટે આગ્રહ કરતા હતા, અને એ લૂટારુ ઉદ્યોગપતિઓને માફક આવે એમ નહોતું. આ માણસ ઢાંકપીછોડો કરવામાં આડો આવે છે માટે એને કાઢો. ડૉ. સુબ્રમણ્યમ સ્વામી નામના કટ્ટર હિન્દુત્વવાદી દેશપ્રેમીને રાષ્ટ્રહિતમાં રાજનની પાછળ છોડવામાં આવ્યા હતા. હવે આ પત્ર એ વાતની પુષ્ટિ આપે છે. નોટબંધી તો કાળાં નાણાંને સફેદ કરી આપવાનું કૌભાંડ હતું, અને હવે એ પણ બહાર આવી ગયું છે કે એ કૌભાંડનું કેન્દ્ર ગુજરાત હતું.
રઘુરામ રાજને તેમના પત્રમાં ઇન્સોલ્વન્સી નીતિ વિષે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. જો નાણાં પાછાં મેળવવાં હોય તો દરેક દરવાજા બંધ કરવામાં આવે અને એમાં અદાલતના દરવાજાનો પણ સમાવેશ થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે એન.પી.એ.ની રિકવરીને લગતી સ્પેિશયલ લીવ પિટિશન દાખલ નહીં કરવી જોઈએ અને જજોએ વિવેક કરવો જોઈએ કે આ સમય મેળવવા માટેની રમત તો નથીને. તાજેતરમાં વીજળીનું ઉત્પાદન કરવાના નામે બેન્કો પાસેથી ધિરાણ મેળવીને બેન્કોને ઉઠાડી મૂકનારા લૂંટારા ઉદ્યોગપતિઓ સાથે મળીને અદાલતમાં ગયા છે, અને સર્વોચ્ચ અદાલતે તેમને રાહત પણ આપી છે. તેઓ રિકવરીને લગતા રિઝર્વ બેન્કના ૧૨મી ફેબ્રુઆરીના સર્ક્યુલરથી બચવા માગે છે.
છેલ્લે, હજુ ગયા અઠવાડિયાની વાત. રિઝર્વ બેન્કે માહિતીના અધિકાર હેઠળ ‘ધ વાયર’ નામના ન્યુઝ પોર્ટલને માહિતી આપી છે કે ૨૦૧૬માં સરકારી બેન્કોએ ૫૯૦ અબજ રૂપિયાનું કૃષિધિરાણ ૬૧૫ કંપનીઓને આપવામાં આવ્યું છે. કેટલું? ૫૯૦ અબજ રૂપિયાનું અને એ પણ માત્ર ૬૧૫ ખાતામાં . એકને સરેરાશ ૯૫ કરોડ રૂપિયા. ખેતીવાડી માટેનું ધિરાણ અત્યંત હળવી શરતે અને ઓછા વ્યાજે (ચાર ટકે) આપવામાં આવે છે અને એમાં રિલાયન્સ ફ્રેશનો પણ સમાવેશ થાય છે. ઘણાં લોકોનાં પેટ જ નથી ભરાતા એ જોઇને આશ્ચર્ય થાય છે.
બાકી દેશપ્રેમની તો વાત જ નહીં પૂછો.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 સપ્ટેમ્બર 2018
કાર્ટૃન સૌજન્ય : "ધ હિન્દુ", 13 સપ્ટેમ્બર 2018