તેનો સ્વભાવ જ વિસ્તરવાનો અને જોહુકમીનો છે
૧૮૯૦ના દાયકામાં લોકમાન્ય તિલકને એમ લાગ્યું હતું કે પ્રજાની અંદર રાષ્ટ્રીય જાગૃતિ પેદા કરવા માટે ધર્મનો ઉપયોગ કરવો જોઈએ. લોકો મુખ્યત્વે ધર્મને અંગત બાબત સમજે છે, ઉપાસના અને આધ્યાત્મિકતા સાથે જોડે છે, સ્વર્ગ-નરક, પાપ-પુણ્ય કે પુનર્જન્મ સાથે જોડે છે, પ્રજા તહેવાર ઉજવે છે તો તેમાંની સામૂહિકતા પણ સામાજિક છે; રાજકીય નથી, આ સ્થિતિમાં ધર્મનો રાજકીય જાગૃતિ માટે ઉપયોગ કરવો જોઈએ. લોકમાન્યએ ૧૮૯૩માં ગણપતિ ઉત્સવને સાર્વજનિક બનાવ્યો. મહારાષ્ટ્રના લોકો પોતાના ઘરમાં અમુક દિવસો માટે ગણપતિની ઉપાસના કરતા હતા, તેમને કહેવામાં આવ્યું કે તમારે સાર્વજનિક રીતે ગણપતિનો ઉત્સવ કરવો જોઈએ. એક વાર ગણપતિને લઈને લોકો રસ્તા પર આવશે એ પછી બીજા ઉદ્દેશ આપોઆપ એમાં ઉમેરાતા જશે.
કાલનો દિવસ અને આજની રાત. ૧૨૫ વરસ થઈ ચૂક્યાં સાર્વજનિક ગણેશમહોત્સવ શરૂ થયે અને ૭૫ વરસ થવાં આવ્યાં સ્વરાજ મળ્યે પણ ગણપતિ પાછા ઘરમાં ગયા નથી. જઈ શકે એમ જ નથી. જવા દેવામાં આવતા નથી. આજ તો સ્થિતિ એવી જોવા મળે છે કે ભાદરવા મહિનામાં ગણપતિ ઘરમાં ઓછા, રસ્તા પર વધુ જોવા મળે છે. હ્રદયમાં ઓછા, મનમાં વધુ જોવા મળે છે. ઉપાસનામાં ઓછા, પ્રદર્શનમાં વધુ જોવા મળે છે. ગણપતિમાં આત્માને લીન કરવાની જગ્યાએ રાજકારણને અને અસ્મિતાઓને ગણપતિ સાથે લીન કરવામાં આવે છે. ધર્મ અને ગણપતિ ત્યારે પણ સાધન હતા અને આજે પણ સાધન જ છે, માત્ર ઉદ્દેશ ઉદાત્તમાંથી અંગત અને વિકૃત થયો છે.
કોઈ નેતાને ગણપતિનો ખપ છે. કોઈ ગુંડાને પોતાની ધાક જમાવવા ગણપતિનો ખપ છે. કોઈ શ્રીમંતને પોતાની શ્રીમંતાઈ બતાવવા ગણપતિનો ખપ છે. કોઈ જાતિને પોતાની જાતિની અસ્મિતાનું પ્રદર્શન કરવા ગણપતિનો ખપ છે. જાહેરજીવનમાં પ્રવેશવા માગતા મહત્ત્વાકાંક્ષીઓ સાર્વજિક ગણેશ ઉત્સવ મંડળ રચીને ગણપતિનો ઉપયોગ કરે છે. ટૂંકમાં ગણપતિનો ઉપાસના માટે ઓછો ઉપયોગ થાય છે, અન્ય ઉદ્દેશો માટે વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઉપાસના ઉત્સવમાં ફેરવાઈ ગઈ અને ઉત્સવ વિકૃતિમાં ફેરવાઈ ગયો.
હવે ૧૨૫ વરસના અનુભવ પછી કહો કે ગણપતિનો રાજકીય ઉપયોગ એ સરવાળે ફાયદાનો સોદો રહ્યો કે નુકસાનનો? પાછું આવું એકલા ગણપતિની બાબતમાં મહારાષ્ટ્ર પૂરતું જ નહોતું બન્યું. ગણપતિની પાછળ પાછળ બંગાળમાં દુર્ગાને લઈને, અન્ય પ્રદેશમાં રામ કે હનુમાનને લઈને, દક્ષિણમાં દ્રવિડો દ્વારા રાવણને લઈને જાગૃતિને નામે શક્તિપ્રદર્શન કરવા લાગ્યા હતા. મૂળ ઉદ્દેશ અથવા કહેવા પૂરતો ઉદ્દેશ જાગૃતિનો હતો, પણ પરિણામ શક્તિપ્રદર્શન હતું. અત્યારે તમામ સાર્વજનિક ધાર્મિક ઉત્સવો કોમની સંખ્યાશક્તિનું, ધનશક્તિનું કે બાહુબળનું પ્રદર્શન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઉપાસના વિકૃત શક્તિપ્રદર્શનમાં ફેરવાઈ ગઈ. એટલે જ સવાલ પૂછવામાં આવ્યો છે કે રાજકીય ઉપયોગ એ સરવાળે ફાયદાનો સોદો રહ્યો કે નુકસાનનો?
લોકમાન્ય તિલકે હિંદુઓમાં રાજકીય જાગૃતિ આણવા ગણપતિનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું એ પછી ૨૮ વરસે રવીન્દ્રનાથ ટાગોરે ચેતવણીનો ઘંટ વગાડ્યો હતો. આ ૧૯૨૧ની વાત છે. ગાંધીજીએ દેશમાં અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું જેને કારણે રવીન્દ્રનાથ ભયભીત થઈ ગયા હતા. મહાત્મા ગાંધી રાષ્ટ્રવાદી ગાંધી હોય એ તેમનાથી જોવાતું નહોતું. મહાત્માની બાથમાં કોઈ હોય અને કોઈ ન હોય એવું કેમ બને? સ્વદેશી અને વિદેશીનું વિભાજન આઝાદી મેળવવા માટે ખપનું હોય તો પણ તે જોખમી છે.
આપણે પહેલાં સ્વદેશી અને વિદેશી એવો ભેદ કરીશું, એ પછી વિદેશીનો તિરસ્કાર કરીશું, એ પછી તેનો બહિષ્કાર કરીશું, એ પછી તેની સાથે દુર્વ્યવહાર કરીશું, એ પછી આપણે વિદેશીને મારી નાખશું અને કદાચ જાતિનિકંદન સુધી પહોંચશું. આ બાજુ બીજે છેડે આપણે સ્વદેશીની વ્યાખ્યા કરીશું, એ પછી એમાંથી રાષ્ટ્ર નામની કલ્પના વિકસાવીશું, એ પછી ભરોસાની એરણે કયા સ્વદેશી પર ભરોસો કરાય અને કયો સ્વદેશી વિશ્વાસઘાત કરી શકે તેની ગણતરી માંડીશું. તેઓ ક્યાંથી આવ્યા છે અને કોને પૂજે છે તેનાં મૂળિયાં શોધીશું, કોને અંદર લેવા અને કોને બહાર રાખવા એનો વિચાર કરીશું, આ રીતે માનવીય ભાવનાને ભૂમિમાં પરિવર્તિત કરીશું અને પછી ‘આપણી’ હકની ભૂમિનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરીશું, ‘આપણી હકની ભૂમિ’નો વિસ્તાર કરવા માટે સંસ્કૃતિનો ઉપયોગ કરીશું અને તેમાંથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ વિકસાવીશું.
રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે આ ખેલ ખતરનાક છે અને સરવાળે આપણને અને સમગ્ર માનવજાતને નુકસાન પહોંચાડનાર છે. આનું મુખ્ય કારણ એ છે કે ઉપરનો આખો મહેલ કલ્પનાઓ અને ધારણાઓ પર રચાયો છે. એને માટે ખોટા ઇતિહાસ દ્વારા પ્રમાણો પેદા કરવામાં આવશે અને તેને વારંવાર દોહરાવીને માણસની અંદર ઝેર અને દ્વેષ પેદા કરવામાં આવશે. આજે જે વિદેશી સાથે કરવામાં આવે છે તે કાલે વિધર્મી સાથે, અન્ય વંશીય માટે, ન ગમતી જ્ઞાતિઓ માટે, વંશ માટે કરવામાં આવશે. એક દિવસ એવો આવશે કે માણસ, માણસ મટીને કલ્પનાના મહેલનો ગુરખો બની જશે. કલ્પનાના સુખ માટે પોતાના હાથે જ પોતાના સંસારને નર્કમાં ફેરવી નાખશે.
યાદ રહે, રવીન્દ્રનાથ ટાગોર આ દલીલો વિનાયક દામોદર સાવરકર સામે નહોતા કરતા, મહાત્મા ગાંધી સામે કરતા હતા જેઓ સ્વયં મર્યાદાપુરુષ હતા. ગાંધીજી અસહકારના આંદોલન વખતે રવીન્દ્રનાથને સમજાવવાની કોશિશ કરતા હતા કે તેઓ રાષ્ટ્રવાદનો વિકૃત અને વિકરાળ ચહેરો જાણે છે. પણ આઝાદી માગીને મળતી નથી. તેને માટે સંઘર્ષ કરવો પડે છે અને આપણી આઝાદી ઝૂંટવી લેનારનું નાક પણ દબાવવું જોઈએ. કેટલું નાક દબાવાય અને કેમ નાક દબાવાય એનું મને ભાન છે. રાંક પ્રજા પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. હિંસક ક્રાંતિનો વિકલ્પ તો આનાથી પણ ખતરનાક છે. ટૂંકમાં ગાંધીજીની દલીલ એવી હતી કે તેમનો રાષ્ટ્રવાદ માફકસરનો રાષ્ટ્રવાદ છે, એટલે કવિએ નિશ્ચિંત રહેવું જોઈએ.
રવીન્દ્રનાથને ગાંધીજીની દલીલ ગળે ઉતરી નહોતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ માફકસરનો હોઈ જ ન શકે. તેનો સ્વભાવ જ વિસ્તરવાનો અને જોહુકમી(હેજિમોનીક)નો છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ ખૂબ ખતરનાક છે અને ભારત માટે તો એ વધુ ખતરનાક છે. રાષ્ટ્ર એ ભારતની સદીઓ જૂની અને પાયાની સમસ્યા છે.
કવિવરે આમ કેમ કહ્યું? આટલું આકરું નિદાન? મહાત્માની ક્ષમતા અને વિવેક પર શંકા કરવા સુધી આગળ કેમ ગયા? રવીન્દ્રનાથ ટાગોર કોઈ એરાગેરા નથુ ખેરા માણસ નહોતા. દૂરનું ભાળી શકનારા કવિ હતા. આખું વિશ્વ તેમને એ રીતે જોતું હતું અને હજુ આજે પણ જુએ છે. એક બાજુ મહાત્મા અને બીજી બાજુ ગુરુદેવ અને ચર્ચાનો વિષય છે રાષ્ટ્રવાદ. તમે પણ એક અઠવાડિયું આ વિષે વિચારો. શું લાગે છે? એ પછી આ ચર્ચા આગળ લઈ જશું.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑક્ટોબર 2019