સર્વોચ્ચ અદાલતે જેને સંવિધાનિક (એટલે કે જન્મજાત) અધિકાર ગણાવ્યો તે પ્રાઇવસી એટલે શું? મોટા ભાગના લોકોને પ્રાઇવસીનો અર્થ ખબર નથી, અને એટલે જ એનો વાદવિવાદ સર્વોચ્ચ અદાલત સુધી ગયો. કારણ એ છે કે પ્રાઇવસી એ પશ્ચિમની ધારણા છે, જ્યાં ન્યુક્લીઅર પરિવારની શરૂઆત થઇ હતી. ભારતીય સમાજ કબીલાઇ જીવનથી ઊઠીને બિરાદરી સુધી ગયો છે અને નિજતા અથવા અંગતતાની સરખામણીમાં સાર્વજનિકતાનું પલડું વધુ નમેલું રહે છે.
ભારતીય ભાષાઓમાં એટલે જ પ્રાઇવસી માટે ઉચિત શબ્દ નથી. સૌથી પહેલો શબ્દ મનમાં આવે છે તે ગોપનિયતા છે, પરંતુ પ્રાઇવસીનો અર્થ કશુંક છૂપું રાખવું એ નથી. પ્રાઇવસી એટલે શરમ પણ નહીં, કારણ કે શરમમાં કશુંક ઢાંકી રાખવાનો ભાવ છે. પ્રાઇવસી એટલે કશુંક ખોટું છે, અને સાર્વજનિક સ્ટાન્ડર્ડને માફક આવે તેવું નથી એમ પણ નહીં. પ્રાઇવસી એટલે એકલતા ય નહીં અને ભેદ-ભરમ પણ નહીં.
તો શું? સર્વોચ્ચ અદાલતે એનું ભાષાંતર તો કરીને ન આપ્યું, પણ એક આખું વાક્ય લખીને વ્યાખ્યા બાંધી. અદાલતનું જજમેન્ટ લખે છે, ‘જીવનની દિશા-દશાને અસર કરે તેવી પસંદગી (ચોઇસ) કરવાનો દરેક વ્યક્તિનો અધિકાર અને સ્વાયત્તતા એટલે પ્રાઇવસી.’ પ્રાઇવસીને લઇને અસ્પષ્ટતાના કારણે જ ઘણા લોકો (સરકાર સહિત) એમ તર્ક કરે છે કે કશું છુપાવાનું ન હોય તો પછી પ્રાઇવસીને લઇને આટલી બધી હોહા શા માટે?
આ કેસમાં દલીલો ચાલતી હતી ત્યારે સરકારી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ જે કહ્યું હતું તે સાંભળો, ‘શરીર ઉપર કોઇને અબાધિત અધિકાર નથી.’ પછી ફ્રેન્ચ ચિંતક-લેખક જીન જેસ્ક્યુ રુસોને ટાંકીને રોહતગીએ ઉમેર્યું, ‘રાજ્ય એક કોર્પોરેશન છે. નાગરિકો એના સભ્ય છે. ઘોડિયામાંથી લઇને કબર સુધી રાજ્ય સાથે આપણે સમજૂતી-કરારથી બંધાયેલા છીએ … તમે ચાહો તો પણ રાજ્ય તમને ભૂલી નહીં જાય … તમને ગાયબ રહેવાનો અધિકાર નથી … અમે તમારા ડી.એન.એ. સુધી જઈશું.’
વ્યક્તિના શરીર(અને મન)માં ઘૂસીને અંદરના તમામ ડાટા ઉપર રાજ્યનો અધિકાર સ્થાપવાની સરકારની આ ધમકી સામે જ સર્વોચ્ચ અદાલતે કવચ મૂકીને જીવનમાં થનારા અનાવશ્યક અને અનુચિત હસ્તક્ષેપથી વ્યક્તિને બચાવી છે. અદાલતનો આ નિર્ણય એક સુંદર કવિતા જેવો છે, જેને વારંવાર વાંચવાનું મન થાય. આ નિર્ણયના ઐતિહાસિક મહત્ત્વની જાણ આપણને ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી આપણને પ્રાઇવસીની અગત્યતા નહીં સમજાય.
પ્રાઇવસીની સૌથી પહેલી વ્યાખ્યા સેમ્યુઅલ વોરેન અને લુઇસ બ્રાન્ડેઇસ નામના કાયદાના પંડિતોએ એક પેપર્સમાં કરી હતી, જે 1890માં હાર્વડ લૉ રિવ્યૂ પત્રિકામાં પ્રગટ થયું હતું. એમાં એમણે કહ્યું હતું કે પ્રાઇવસી એટલે ‘રાઇટ ટુ બી લેફ્ટ અલોન’ (દખલઅંદાજી વગર જીવવાનો અધિકાર). 1975માં ન્યૂ યૉર્કના સમાજ મનોવિજ્ઞાની ઇર્વીન અલ્ટમેને એમાં વધુ સ્પષ્ટતા કરી કહ્યું કે પ્રાઇવસી એટલે સમાજને કેટલો અને કઇ હદ સુધી વ્યક્તિગત જીવનમાં પ્રવેશવા દેવો તેનો અધિકાર. મતલબ કે મારે મારી અંગત રુચિ શું હોવી જોઇએ અને મારે એને બીજાને બતાવવી જોઈએ કે નહીં તેનો હક માત્ર મને જ છે.
અર્થાત્ સમાજને કે બીજી વ્યક્તિને ક્ષતિ ન પહોંચે ત્યાં સુધી મારે શું ખાવું-પીવું, કોને પ્રેમ કરવો અને લગ્ન કરવાં કે નહીં, બાળક પેદા કરવાં કે ન કરવાં, કેવાં કપડાં પહેરવાં અને ભગવાનમાં માનવું કે ન માનવું જેવી બાબતોમાં સરકાર દખલ કરી ન શકે. પ્રાઇવસીનો આ મામલો એટલા માટે સર્વોચ્ચ અદાલતમાં આવ્યો હતો કે નાગરિક કલ્યાણની યોજનાઓનો લાભ લેવા માટે સરકારે આધાર કાર્ડને ફરજિયાત બનાવી દીધું હતું. આમાંથી આધાર કાર્ડમાં દર્જ થયેલો નાગરિકનો અંગત ડાટા સરકાર કે બીજી કોઈ એજન્સીના હાથમાં જઈ ચડે તો પ્રાઇવસીનું શું એ પ્રશ્ન ઊભો થયો હતો.
સરકારે તો ત્યાં સુધી દલીલ કરી હતી કે, પ્રાઇવસીની આ માથાકૂટ તો ભદ્ર વર્ગના લોકોમાં છે, બાકી ગરીબ લોકોને તો પેટ ભરવાથી મતલબ છે. સર્વોચ્ચ અદાલતે આકરા શબ્દોમાં કહ્યું કે, ગરીબોને સિવિલ કે રાજકીય અધિકારોની પડી નથી અને એમને તો બે ટંક ખાવાનું જ જોઇએ છે એવા તર્ક ઉપર સદીઓથી આ દેશમાં ગરીબોનું શોષણ થતું રહ્યું છે.
અદાલતે કહ્યું કે કોઈના કલ્યાણના નામે એના અધિકાર છીનવી ન લેવાય. આ અધિકાર એનું મનુષ્ય હોવું એમાં જ નિહિત છે અને એટલે જ એ સંવિધાનિક છે. આધાર કાર્ડને ‘ઇલેક્ટ્રોનિક ગળાપટ્ટો’ ગણાવીને વરિષ્ઠ એડવોકેટ શ્યામ દીવાને કોર્ટને કહ્યું કે નાગરિક જો સતત નિગરાની (સર્વેલન્સ) હેઠળ હોય તો પછી એની ચિંતા વધી જાય કે એ શું કરશે, શું બોલશે તો સરકાર એને ક્યારે પજવશે? આધારના ડાટા જો સરકાર પાસે હોય તો પછી નાગરિકની રાજકીય અને અંગત રુચિ છીનવાઈ જાય છે અને એણે ગુલામ થઈને રહેવું પડે. પ્રાઇવસીને જન્મસિદ્ધ અધિકાર ગણાવીને અદાલતે રાજ્ય અને એના નાગરિકો વચ્ચેના સંબંધને નવી જ વ્યાખ્યા આપી છે.
આપણે ઇન્ફોર્મેશન અને ડાટાના યુગમાં જીવીએ છીએ. આપણા બધાની જાત-ભાતની ઇલેક્ટ્રોનિક ઓળખાણો છે અને સિરિયલ નંબરો છે. આપણને ખબર છે કે આપણી જિંદગીમાં કોર્પોરેટ સેક્ટરની હાજરી કેટલી છે. આજે જે રીતે ટેક્નોલોજીનો વિકાસ થયો છે તે જોતાં કોઇ પણ કોર્પોરેશન કે કંપની પાસે તમારી અઢળક માહિતી પડેલી હોઇ શકે. આ માહિતીઓનો ગમે ત્યારે, ગમે તે ઉપયોગ થઇ શકે છે. આવું થાય તો તમે ક્યાં જશો? પ્રાઇવસી એ સંવિધાનિક અધિકાર છે એવું સાબિત થવાથી હવે તમે આવી દખલઅંદાજી અથવા ગેરઉપયોગ સામે અદાલતની મદદ માગી શકો છો.
જ્યોર્જ ઓરવેલે 1949માં લખેલી નવલકથા ‘1984’માં સર્વવ્યાપી અને બધા ઉપર નિગરાની રાખતી સત્તાની કલ્પના કરી હતી, જે આજના ભારત અને અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી નંબરથી હકીકત બની ગઇ છે. ડિજિટલ ટેક્નોલોજીએ આપણી ચિકિત્સા અને કોમ્પ્યુટર વિજ્ઞાનમાં સુવિધા અનેકગણી વધારી દીધી ત્યારે નકારાત્મક વિચારોવાળી રાજકીય કે કોર્પોરેટ વ્યવસ્થા એનો વિનાશકારી ઉપયોગ કરે તેવી સંભાવના પણ વધી ગઇ છે. એટલે જ શકીલ બદાયુનીની એ શાયરી નવા સંદર્ભમાં પ્રાસંગિક બની છે, જેમાં એમણે લખ્યું હતું:
મુજે છોડ દે મેરે હાલ પર તિરા ક્યા
ભરોસા ચારાગર,
યે તિરી નવાજિસ-એ-મુખ્તસર મેરા
દર્દ ઔર બઢા ન દે
(ચારાગર : વૈદ્ય, નવાજિસ-એ-મુખ્તસર : કૃપાદૃષ્ટિ)
સૌજન્ય ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 03 સપ્ટેમ્બર 2017