પ્રેમ તો એક સીડી છે. ઉપર પણ ચડી શકાય અને નીચે પણ ઊતરી શકાય. દોષ સીડીનો નથી, જવાબદારી સીડીની નથી. સીડી તો તટસ્થ છે. ઉપર કે નીચે તો માણસ જાય છે. પ્રેમ પૈસાને પણ કરી શકાય, પ્રેમ કામુકતા પણ બની શકે અને દિશા બદલાય તો પ્રેમ જગતની, પદાર્થની પાર પણ લઈ જાય. પ્રેમને પ્રજ્ઞાપૂર્વક સમજો. પ્રેમની સંભાવનાઓને જાણો. પ્રેમને જ પ્રેમ કરો અને એ પ્રેમ ધીરે ધીરે પ્રાર્થનામાં પરિણમશે. ટકોરા મારીએ તો દ્વારો ખૂલે છે. આપણે એ જ પ્રાપ્ત કરીએ છીએ જેને આપણે શોધીએ છીએ.
— ઓશો
અમેરિકાની ટેલિવિઝન હિસ્ટ્રીમાં ઓપ્રાહ વિનફ્રે શોનું બહુ મોટું નામ છે. આ ટૉક શોને 47 અવૉર્ડ્ઝ મળ્યા હતા અને એ પંદર વર્ષ ચાલ્યો હતો. આમાંના એક શોમાં એક વાર હૉલોકાસ્ટનો ભોગ બનેલા એક યહૂદી વૃદ્ધની મુલાકાત હતી. એની કહાણી, ક્રૂરતા વચ્ચે પાંગરેલા કોમળ પ્રણયની કહાણી હતી. વેલેન્ટાઈન ડે નિમિત્તે યાદ કરીએ એ કહાણીને :
એક કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં બારતેર વર્ષનો એક યહૂદી છોકરો પુરાયો હતો. તેનાં માબાપને તેની નજર સામે જ મારી નંખાયા હતા. એક વાર કૅમ્પની કાંટાળી વાડની પેલી બાજુએ એક જર્મન છોકરી ફરવા નીકળેલી, તેણે આ દુ:ખી અને હતાશ છોકરાને જોયો. કરુણાથી તેનું હૃદય ભરાઈ ગયું. ગાર્ડની નજર ચૂકવી તેણે એક લાલ સફરજન ફેંક્યું. છોકરાએ એ ઝીલી લીધું, ખાધું અને આંખથી જ આભાર માન્યો. બીજા દિવસે સાંજે એ છોકરાના પગ આપોઆપ એ દિશામાં ગયા. મગજ કહેતું હતું, ‘રોજ કોઈ આ તરફ શું કામ આવે?’ મન કહેતું હતું, ‘કદાચ આવે.’ ખરેખર એ દિવસે પણ પેલી છોકરી આવી અને સફરજન ફેંકી ચાલી ગઈ. લગભગ વીસ દિવસ પછી છોકરાએ કહ્યું, ‘કાલથી તું ન આવીશ. કાલથી હું અહીં નહીં હોઉં. કૅમ્પ બીજી જગ્યાએ જવાનો છે.’
પંદરેક વર્ષ પછી, ન્યૂયૉર્કની ફૂટપાથ પર એક યુગલ ફરતું હતું. નવી નવી, પ્રણયમાં ફેરવાઈ જવાની તૈયારી કરતી મૈત્રીથી બન્નેના ચહેરા ચમકતા હતા. વાતવાતમાં યુવાન બોલ્યો, ‘મેં હૉલોકાસ્ટનો અનુભવ કર્યો છે.’ યુવતીએ કહ્યું, ‘મેં અનુભવ તો નથી કર્યો, પણ એક કૅમ્પ નજીકથી જોયો છે. ત્યાં એક છોકરો હતો, એને હું રોજ સફરજન આપતી.’
યુવાન બોલ્યો, ‘અને એ છોકરાએ એક દિવસ કહ્યું કે કાલથી તું ન આવીશ, કારણ કૅમ્પ બીજી જગ્યાએ ફેરવાઈ રહ્યો છે …’
‘હા, પણ તને કેવી રીતે ખબર?’
‘એ છોકરો હું જ છું.’ અને થોડા દિવસમાં બન્ને પરણી ગયાં. વાતનું સમાપન કરતાં વૃદ્ધે કહ્યું, ‘તમે સમજી તો ગયા હશો, એ છોકરો અને એ યુવાન તે હું.’
પ્રેમ આવો છે – કૉન્સન્ટ્રેશન કૅમ્પ જેવી અમાનવીય સ્થિતિમાં પણ પાંગરી શકે અને ફૂલોની કોમળ સેજ પર પણ ન પાંગરે. પ્રેમની શરત એક જ છે કે એમાં બનાવટ કે ગણતરીઓ ચાલતાં નથી. કૉન્સન્ટ્રેશન કૅમ્પની કાંટાળી વાડની બન્ને બાજુ રહેલાં બેઉ પાત્રો કોઈ બનાવટ વિના, પોતાનું ખરું સ્વ લઈને ઊભેલાં હતાં, તેથી પ્રેમ એમના અસ્તિત્વમાં મૂળ નાખી શક્યો.
ઓશો કહે છે, ‘પ્રેમમાં નિરાવરણ થવાનું છે તે આ અર્થમાં – પોતાને ઢાંકતાં તમામ આવરણો ફગાવી દો – જે છો તે જ બની રહો. બીજું કોઈ બનવાની જરૂર નથી. હું એ સ્થળને મંદિર કહું જ્યાં પ્રેમીઓ બિનશરતી પ્રેમ લઈને, કોઈ છૂપી પણ આકાંક્ષા વિના પરસ્પરને સમર્પિત થાય.’
અદ્દભુત વચનો છે ઓશોના : કહે છે, જીવન ત્યારે જ ભવ્ય બને છે જ્યારે તે પ્રેમના નિયમ અનુસાર કાર્ય કરે છે અને જીવન જ્યારે પ્રેમરહિત હોય ત્યારે જ અધમ બની જાય છે. નવ્વાણું ટકા લોકો વધતુંઓછું અધમ જીવન જીવે છે. એમને લાગે છે કે તેઓ પ્રેમ શું છે એ સમજે છે. આ ખોટી ધારણા જ તેમને પ્રેમની ખોજ કરતા અટકાવે છે. હકીકત એ છે કે જેમણે પ્રચંડતાથી પ્રેમ કર્યો હોય તેઓ પણ પ્રેમને બરાબર જાણતા નથી. કેમ કે પ્રેમ શબ્દોમાં કદી વર્ણવી શકાતો નથી. શબ્દો ખૂબ વામણા હોય છે અને પ્રેમ અત્યંત વિરાટ. ઈશ્વરને સમજી કે વર્ણવી શકાય તો પ્રેમને સમજી કે વર્ણવી શકાય.
બાળક આસપાસનું જોઈને શીખે છે ને પછી તેને પોતાના જીવનમાં પુનરાવર્તિત કરે છે. જેવો પ્રેમ એણે જોયો છે તેવો જ તે પણ કરે છે અને મીઠા, સુખદ, સ્નેહપૂર્ણ, કાળજી રાખતા કે પછી સ્વાર્થી, લુચ્ચા, ગણતરીબાજ, દંભી સંબંધોમાં બંધાઈ જાય છે. લોકો માને છે કે પોતે પ્રેમાળ છે, પણ સંબંધ ગમે તેટલો સારો હોય, અનેકવાર પ્રેમના નામે બનાવટ થતી જ હોય છે.
માટે ‘પ્રેમ શું છે એ ખબર નથી’ એ સમજો તો ત્યાંથી પ્રેમની શરૂઆત થાય. તો જ તમે બધી ધારણાઓ, પૂર્વગ્રહો, માન્યતાઓ, કલ્પનાઓ અને સંસ્કારોને બાજુ પર મૂકી શકશો. એ પૂર્ણ મુક્તિમાં અસ્તિત્વ આપમેળે ઊઘડશે અને પછી એના હૃદયમાંથી સુગંધ ઊઠશે. પ્રેમ આ સુગંધનું નામ છે. કેવી ભવ્ય હશે એ ક્ષણ જ્યારે તમે પ્રેમઊર્જાને તમારી આસપાસ એક આલોકમંડળની જેમ એક ખાસ સૌરભ સાથે વહેતી અનુભવશો!
પરમાત્માને પામવાનો એક માર્ગ ધ્યાનનો છે. જાગૃતિનો છે, બુદ્ધ, મહાવીર, લાઓત્સુ આ માર્ગના યાત્રી હતા. આ માર્ગ પ્રેમની જરાપણ ચર્ચા નથી કરતો, પણ તેમની સાધનાનો અંત પ્રેમમાં આવે છે. બુદ્ધે કહ્યું જ છે કે બુદ્ધત્વ સંપૂર્ણપણે ખીલી ઊઠે છે ત્યારે વ્યક્તિ નિરપેક્ષપણે પ્રેમપૂર્ણ, કરુણાપૂર્ણ બને છે. આમ ધ્યાનમાર્ગ પર પણ પ્રેમ છે ખરો, પણ એ જાગૃતિના પરિપાકરૂપે આવે છે. પ્રેમમાર્ગમાં સ્થિતિ વિપરીત છે. તેમાં સાધક પોતાને ઓગાળી દે છે. લીન થઈ જાય છે, વિલીન થઈ જાય છે. પવનમાં વાદળ સરે એમ પોતાને સરવા દે છે અસ્તિત્વની ભરપૂરતામાં. વાદળ પાસે કોઈ આકાંક્ષા, કોઈ નકાર, કોઈ અભિપ્રાય નથી. તે તો પવનને ઉપલબ્ધ રહે છે અને કોઈ ઉતાવળ વિના એ વહાવે તેમ વહે છે. જીવનમાં ક્ષણ ક્ષણ આવો પ્રેમ જીવી શકાય, જો માન્યતાઓ, પૂર્વગ્રહો, આગ્રહો, અહંકાર અને અપેક્ષાઓથી મુક્ત થઈ શકાય તો.
એ વાત અગત્યની નથી કે તમે કોને પ્રેમ કરો છો. અગત્યની વાત એ છે કે તમે પ્રેમરૂપ બનો. માણસો ડરે છે. હું પ્રેમ આપું, પણ એ ન આપે તો? પણ પ્રેમનો પણ એક કાયદો છે. એ પડઘો પાડે જ. જો પડઘો ન પડતો હોય તો પોતાના મનને તપાસો. શક્ય છે કે તમે જેને પ્રેમ કહેતા હો, તમારા એ સંવેદનમાં જ ક્યાંક કોઈ ગરબડ હોય.
તો પછી ધર્મ પ્રેમને અધ:પતન કરાવનાર; માણસને સ્વાર્થી, ભોગી, ઉપરછલ્લો બનાવનાર કેમ માને છે? ઓશો કહે છે, પ્રેમ તો એક સીડી છે. ઉપર પણ ચડી શકાય અને નીચે પણ ઊતરી શકાય. દોષ સીડીનો નથી, જવાબદારી સીડીની નથી. સીડી તો તટસ્થ છે. ઉપર કે નીચે તો માણસ જાય છે. પ્રેમ પૈસાને પણ કરી શકાય, પ્રેમ કામુકતા પણ બની શકે અને દિશા બદલાય તો પ્રેમ જગતની, પદાર્થની પાર પણ લઈ જાય. પ્રેમને પ્રજ્ઞાપૂર્વક સમજો. પ્રેમની સંભાવનાઓને જાણો. પ્રેમને જ પ્રેમ કરો અને એ પ્રેમ ધીરે ધીરે પ્રાર્થનામાં પરિણમશે. પ્રેમને બે ટકા જેટલું પણ આપણે જાણતા નથી. અઠ્ઠાણું ટકા પ્રેમ તો અજ્ઞાત છે, કેમ કે એમાં આપણે રસ લેતા નથી. પણ ટકોરા મારીએ તો દ્વારો ખૂલે છે. આપણે એ જ પ્રાપ્ત કરીએ છીએ જેને આપણે શોધીએ છીએ.
પ્રેમની વાત આવે એટલે મૈત્રેયીદેવીનું ‘ન હન્યતે’ યાદ આવે જ. એની વાત આપણે કરી ગયા છીએ. એ પુસ્તકે સાબિત કર્યું છે કે પ્રેમ હણાય છે, છતાં નથી હણાતો અને દુન્યવી ભાષામાં સફળ ન થાય તો પણ બધી દુનિયાદારી વચ્ચે જીવતો-જાગતો રહી શકે છે એટલું જ નહીં, તેનું હોવું જીવનને એક જુદું પરિમાણ આપે છે, જીવનને વધારે સભર અને સમૃદ્ધ કરે છે.
આવો પ્રેમ જીવનમાં ઉદિત થાઓ અને વિસ્તરો …!!
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 ફેબ્રુઆરી 2022