મણિપુરની શરમજનક ઘટના વિષે સર્વોચ્ચ અદાલતમાં સરકારે બચાવ કરતા કહ્યું હતું કે આવી ઘટના તો દેશભરમાં અન્ય રાજ્યોમાં પણ બની રહી છે! પશ્ચિમ બંગાળનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. અને સરકાર વતી સર્વોચ્ચ અદાલતમાં આ દલીલ કોણે કરી હતી? એડવોકેટ બંસરી સ્વરાજે જે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બી.જે.પી.નાં નેતા સુષ્મા સ્વરાજનાં પુત્રી છે. બંસરી સ્વરાજનો સુષ્મા સ્વરાજ સાથેનો સંબંધ અહીં એટલા માટે યાદ કરવામાં આવ્યો કે ૨૦૧૨માં જ્યારે નિર્ભયાઘટના બની ત્યારે સુષ્મા સ્વરાજે લોકસભામાં નિર્ભયાની વ્યથાને વાચા આપતું એવું હ્રદયદ્રાવક ભાષણ કર્યું હતું કે ઘણાં લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. હવે તેમનાં પુત્રી કહે છે કે આમાં શું? આવું તો દેશભરમાં બને છે, અન્ય રાજ્યોમાં પણ બને છે.
૧૯૪૬ના ઓકટોબરમાં જ્યારે નોઆખલીમાં હિંદુઓની કત્લેઆમ કરવામાં આવી ત્યારે ગાંધીજીએ અવિભાજિત બંગાળના મુખ્ય પ્રધાન શહીદ સુહરાવર્દીને કહ્યું હતું કે તેઓ નોઆખલી જવા માગે છે. પૂર્વ બંગાળના એક ખૂણે આવેલા નોઆખલીમાં બનેલી ઘટનાની ખબર દેશભરમાં અને વિશ્વમાં ન પહોંચે એ માટે બંગાળની મુસ્લિમ લીગની સરકારે મીડિયાને મેનેજ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એવું બન્યું નહીં. એમાં જો ગાંધીજી નોઆખલી જાય તો તો જગત આખાને એની જાણ થાય. ત્યારે મુખ્ય પ્રધાન શહીદ સુહરાવર્દીએ દલીલ કરી હતી કે મહાત્માજી, આવી ઘટનાઓ તો દેશભરમાં બની રહી છે. તમે ત્યાં તો જતા નથી અને નોઆખલી જ કેમ? ગાંધીજી હિંદુ છે અને હિંદુઓની ચિંતા કરી રહ્યા છે અને મુસલમાનોની તેમને પરવા નથી એવો પણ આડકતરો આરોપ કરવામાં આવ્યો હતો.
ગાંધીજીએ સુહરાવર્દીની અન્યત્ર પણ આવું જ થઈ રહ્યું છે એવી દલીલ સ્વીકારી નહીં અને નોઆખલી ગયા. ગાંધીજીનાં જીવનનું નોઆખલી પર્વ મહાકાવ્ય જેવું છે. એ મહાકાવ્ય એટલા માટે છે કે બહુમતી મુસલમાનોની વચ્ચે નોધારા બની ગયેલા નોઆખલીના ગરીબ હિંદુઓ માટે ગાંધીજી સિવાય કોઈનો સધિયારો નહોતો. અહીં એક પ્રસંગ ટાંકવા જેવો છે. નોઆખલીમાં ગામેગામ શાંતિ સમિતિ રચવાનો પ્રસ્તાવ આવ્યો અને હિંદુ અને મુસલમાન એમ બન્ને કોમની બેઠક બોલાવવાનું નક્કી થયું. બેઠક માટે કલકત્તાથી ગયેલા હિંદુ મહાસભાના નેતાઓએ દલીલ કરી કે મહાત્માજી અત્યારે શાંતિ સમિતિ રચવાનો કોઈ અર્થ નથી. વગદાર અને ભદ્ર હિંદુઓ તો નોઆખલી છોડીને જતા રહ્યા છે. જે પાછળ રહ્યા છે એ ગરીબ વંચિત નામશુદ્ર જેવી જાતિની પરચૂરણ પ્રજા છે. ગાંધીજીએ કહ્યું કે જે પોતાનાં ભાંડુઓને દુઃખની ગર્તામાં ભગવાન ભરોસે છોડીને ભાગી ગયા એ હોય તો પણ શા કામના? એ તો જીવતા મુઆ ગણાય. એને નેતા કહેવાય? ગાંધીજીએ કહેવાતી પરચૂરણ પ્રજાને પ્રજાકીય નેતૃત્વ આપ્યું હતું. સ્થાનિક બંગાળી મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ અમલદારોની આંખમાં આંખ પરોવીને વાત કરતા તેમણે એ પરચૂરણ પ્રજાને શીખવ્યું હતું.
નોઆખલીમાં ગાંધીજીની પાર્ટીમાં નિર્મલ કુમાર બોઝ નામના એક નૃવંશશાસ્ત્રી હતા. ગાંધીજીએ તેમને ખાસ સાથે લીધા હતા. નોઆખલી પહોંચ્યા પછી નિર્મલ કુમારને લાગ્યું કે ગાંધીજી માટે દુભાષિયા તરીકે કામ કરી શકનારા ઘણા બધા લોકો ઉપસ્થિત છે માટે તેમની કોઈ જરૂર નથી. તેઓ ગાંધીજીને મળ્યા વિના ટીમનું નેતૃત્વ કરનારા સતીશચન્દ્ર દાસગુપ્તાને જણાવીને કલકત્તા પાછા જતા રહ્યા. તેઓ વાયા ઢાકા કલકત્તા પહોંચ્યા એ પહેલાં ગાંધીજીનો “નોઆખલી પાછા આવો”, એમ કહેતો તાર રાહ જોતો પડ્યો હતો. નિર્મલબાબુ નોઆખલી ગયા ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું કે દુભાષિયાનું કામ કરનારાઓ તો ઘણા છે, પણ મારે તો એ જાણવું છે કે સીધાસાદા માણસના ચિત્તમાં હિંસા ઉદ્ભવે છે કઈ રીતે અને તે હિંસા કૃતિમાં ઉતરે છે કઈ રીતે? પ્રજાની અંદર કોમી વિભાજન પેદા કરનારાઓ તેનો કઈ રીતે ઉપયોગ કરે છે. તમારે મસ્જિદોમાં થતા મૌલવીઓનાં ભડકાઉ ભાષણો, સ્થાનિક નેતાઓનાં ભાષણો, નનામા ચોપાનિયાં, પોસ્ટરો વગેરેનાં તરજુમા મારા માટે કરવાના છે. એમ લાગે છે કે માનવચિત્તમાં હિંસા અને દ્વેષ બહુ ઊંડે સુધી ધરબાયેલાં પડ્યાં છે.
અને ચોથી અને અત્યંત મહત્ત્વની ઘટના. ગાંધીજીએ નોઆખલીના પોલીસવડાને લોકોની હાજરીમાં મોઢામોઢ કહ્યું હતું કે જો ઇસ્લામનો અર્થ શાંતિ અને ન્યાય થતો હોય તો તમે સાચા મુસલમાન નથી. શું તમારો ધર્મ તમને પક્ષપાત કરવાનું અને ફરજ પ્રત્યે આંખ આડા કાન કરવાનું શીખવે છે?
મણિપુર પ્રસંગે આજે નોઆખલીની ગાંધીયાત્રાને યાદ કરવામાં આવી રહી છે અને એ માટે વિદ્વાનો પાસે પોતપોતાની દલીલો છે. મને પણ આજે નોઆખલી પર્વ પ્રાસંગિક લાગી રહ્યું છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 06 ઑગસ્ટ 2023