આમ વિચારતો હતો ત્યાં એક મિત્ર ભાઉસાહેબનું ધ્યાન મારા તરફ ગયું. તેણે મને બોલાવ્યો, અરે! સંભયા, તું ઈકડે યા!” મિત્રો સંગે જોડાતાં, મારાથી તેમને પુછાઈ ગયું! “તમે બધા આ રંગીન મહેફિલમાં ક્યારના કવિઓની વાતો સંગે સુનીલ દેશમુખના નામની ચર્ચા કરી રહ્યા છો. શું જાદુ છે એવું આ નામમાં!”
શરદભાઉ બોલ્યા, “તું સાહિત્યનો જીવ છો? એટલે તને એક સવાલ પૂછવાનું મન થાય છે! કયાં ય તે સાંભળ્યું છે કે વાંચ્યું છે કે કોઈ માણસે રાજીખુશીથી પોતાની માતૃભાષાના કલ્યાણ અર્થે રૂપિયા એક કરોડ એટલે અમેરિકન ડૉલર પ્રમાણે લગભગ ૩,00,000/- દાનમાં આપ્યા હોય?”
સવાલનો જવાબ દીવા જેવો ચોખ્ખો હોવાથી જરા પણ વિચાર કર્યા વગર, મિત્રોને જણાવ્યું, તમે એક કરોડની વાત કરો છો! મેં ચાલીસ વર્ષની જિંદગીમાં કયાં ય વાંચ્યું કે સાભળ્યું નથી કે કોઈ ભારતીયે વિદેશમાં કે વતનમાં સાહિત્ય જગતને પચ્ચીસ લાખ પણ આપ્યા હોય.
“મારા સામું ખડખડાટ હસતા ચારે મિત્રો બોલ્યા! સાંભળ! સ્ટેમ્ફર્ડ, કનેકટીકટમાં સ્થાયી થયેલ ફકત ૪૬ વર્ષના નિવૃત્ત કેમિકલ એન્જિનિયર સુનીલ દેશમુખે ગયા મહિને એક કરોડ રૂપિયાનું દાન (ડૉલર ૩,00,000) ‘મહારાષ્ટ્ર ફાઉન્ડેશન’ નામની સંસ્થાને આપીને તથા આ સંસ્થા દ્વારા એક યોજના ઘડીને મરાઠી સાહિત્યને પ્રોત્સાહન આપવાનું પ્રેરક કાર્ય કર્યુ છે.”
આપણે ગુજરાતીઓ પણ મરાઠીબંધુઓની જેમ સુનીલ દેશમુખના નામ પર ગૌરવની એક મહોર મારવા જેટલા નશીબદાર તો ખરા જ! જે નગરને કવિ આદિલ મન્સૂરીએ પોતાની ગઝલમાં ખૂબ લાડ લડાવ્યાં છે તે નદીની રેતમાં રમતા અમદાવાદ શહેરમાં સુનીલ દેશમુખનો જન્મ થયો છે. શૈશવકાળ ખાંડથી મઘમઘતા શહેર સાંગલીમાં વીત્યો છે, તો ભણતર ભારતની આર્થિક મહાનગરી મુંબઈમાં થયું છે.
મૅટ્રિકની પરીક્ષામાં સુનીલે જ્યારે આખા મહારાષ્ટ્ર બૉર્ડમાં ચોથી રેન્ક મેળવી, આગળ અભ્યાસ અર્થે મુંબઈની મહાવિધાલયમાં કદમ મૂક્યો ત્યારે એક જંગી સમસ્યા મૂંઝવી રહી હતી. સુનીલ હ્રદયથી કવિતાનો જીવ. કવિતા તેના લોહીમાં ટહુકતી હતી. જો આટર્સમાં દાખલ થાય તો ભવિષ્યમાં આર્થિક પ્રશ્ન જીવનને સખત મૂંઝવે!
જીવનના શોખનું બલિદાન આપી ભવિષ્યનાં સ્વપ્નો માટે શું એન્જિનિયરિંગ તરફ વળવું! આ પહાડ જેવા પ્રશ્ન પર ઊંડો વિચાર કરી, આખરે સુનીલે મન પર મક્કમતાની ગાંઠ વાળી. જો ભવિષ્યમાં આર્થિક રીતે સધ્ધર થઈ જઈશ તો જીવનનાં પાછલાં વર્ષોમાં કવિતા સાથે આનંદપ્રમોદથી જીવી શકીશ! આ અટલ વિશ્વાસ સાથે સખત મહેનત કરી મુંબઈ મહાવિધાલયમાંથી કેમિકલ એન્જિનિયરિંગની પદવી પ્રાપ્ત કરી ૧૯૭૦ના પ્રારંભમાં અમેરિકાની ભૂમિ પર એન્જિનિયરિંગ ઉચ્ચ અભ્યાસ અર્થે કદમ મૂક્યો.
અમેરિકામાં ભારતથી આવેલ મધ્યમ વર્ગનાં સંતાનોની જેમ શરૂઆતમાં એકાદબે નાનીમોટી નોકરી કર્યા બાદ અમેરિકન શેરબજારમાં શ્રીગણેશ કર્યા. દિવસરાતનો વિચાર કર્યા વગર સખત પરિશ્રમ કરી ઊજળો પૈસો બનાવ્યો. આ મહેનતુ માણસ પાસે જોખમ ખેડવાની સાહસવૃત્તિ પણ ગજબની હશે, ધગશ, આવડત અને મહેનતના જોરે પુરુષાર્થ પ્રારબ્ધમાં ફેરવી અઢળક ધન કમાઈ ફકત ૪૬ વર્ષની નાની વયે નિવૃત્તિ લઈ લીધી.
સુનીલ દેશમુખ એન્જિનિયર સાથોસાથ વકીલ પણ છે. અમેરિકાના કનેકટીકટ રાજ્યમાં વકીલાત કરવાનો કાયદેસરનો પરવાનો પણ ધરાવે છે. જ્યારે પણ કોઈ ગરીબ માણસને કાયદાની દૃષ્ટિએ અન્યાય થતો દેખાય ત્યારે તેના હક્ક માટે આ માણસ તનમનથી કોઈ પ્રકારની ફી લીધા વગર અદાલતનાં દ્વાર ખખડાવે છે.
સુનીલ દેશમુખ નિવૃત્તિમાં શું નથી કરતો? આ પણ એક સવાલ છે? દિવસનો થોડોઝાઝો સમય અનાથ બાળકોની સેવામાં તેમ જ પત્ની પ્રતિભા સંગે ભવિષ્યમાં ઈન્વેસ્ટમેન્ટ માટેની યોજનામાં ફાળે છે. પરંતુ મોટા ભાગે સવારનો સમય કસરત, ઘ્યાન, પુસ્તક અને સંગીતમાં વિતાવે છે. વાચનનો રસિયો સુનીલ દેશમુખ મરાઠી કવિ નારયણ સુર્વે, વિંદા કરંદીકર અને વસંત બાપટની કવિતામાં ગળાડૂબ ડૂબી ગયો છે.
સુનીલ દેશમુખને જીવનમાં એક જ દુઃખ સતત દિનરાત સતાવે છે કે તે આ જન્મે કવિ ન થઈ શક્યો! જો ઈશ્વર તરફથી તેને આવતા જન્મની પસંદગી વિશે પૂછવામાં આવે તો તે આવતે જન્મે કવિ થઈને જન્મવાની ઈચ્છા ધરાવે છે!
e.mail : preetam.lakhlani@gmail.com