પેટ્રોલ-ડીઝલનો ભાવ લિટરના હજાર રૂપિયા થઈ જાય તો પણ કોઈના પેટનું પાણી હાલે તેમ નથી. એના બે અર્થ થાય. એક તો એ કે પ્રજા પાસે વધારાની એટલી કમાણી છે કે તેને મોંઘવારી ગમે તેટલી વધે તો પણ ફેર પડે તેમ નથી. તેને ખાતરી છે કે સરકાર ગમે તેટલો ભાવ વધારો ઝીંકે તો પણ બીજી ઘણી રીતે એટલી કમાણી તો કરી જ લેવાશે કે ગજવું હલકું નહીં થાય. બીજો અર્થ એ થાય કે અનેક પ્રકારની મોંઘવારીનો ત્રાસ વેઠીને પ્રજા એટલી બેહાલ થઈ ગઈ છે કે તેની વિરોધની શક્તિ જ મરી પરવારી છે. તે જાત બચાવે કે સરકાર સામે દાંતિયા કરે? લોકોમાં એક વર્ગ એવો છે જેને સરકારમાં ઉત્તમથી ઓછું તો કંઈ જણાતું જ નથી ને એક વર્ગ એવો છે તે ખામી ગણ્યા કરે છે, પણ તેના વિરોધના દાંત-નખ નીકળી ગયેલા છે એટલે તેનું કંઈ ઉપજે તેમ નથી. એક વફાદાર વર્ગ છે જે નફાદાર પણ છે એટલે તે તો સરકારની આરતી ઉતારવામાં માને છે ને જે ખોટમાં છે તે વર્ગ ખૂણે રડીને બેસી રહે છે. આ બંને પરિસ્થિતિનો ભરપેટ લાભ ઉઠાવાય છે. તંત્રો બરાબર જાણે છે કે ક્યાંયથી વિરોધ થવાનો નથી એટલે પ્રજાની બોચી પકડવામાં વાંધો નહીં આવે. કૉન્ગ્રેસ વિરોધ કરે છે, પણ એ તો કરે હવે, એમ માની લેવાયું છે. એ વિરોધ પક્ષ છે તો વિરોધ તો કરે જ ને! કૉન્ગ્રેસનો વિરોધ સરકાર લેખામાં લેતી નથી. કારણ એમાં દમ નથી ને એ વિરોધનો પડઘો દૂર સુધી પડે એમ નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં એટલું થયું છે કે જરૂરી બાબતોનો પ્રજા કે સંગઠનો દ્વારા વિરોધ કરવાનું લગભગ બંધ થયું છે. આ સારાં એંધાણ નથી. લોકશાહીને દાવ પર લગાવવા જેવું છે. પ્રજાએ વિચારી લેવાનું રહે કે તે લોકશાહીને સાચવવા માંગે છે કે તેને લોકશાહી વિરુદ્ધનું પણ કંઈ ખપે તેમ છે?
એવું જરા ય માનવાની જરૂર નથી કે લોકશાહી ખતરામાં છે. એવું નથી. તે ઈન્ટેકટ છે, પણ અત્યારના સંજોગો એવા છે કે પ્રજા લોકશાહી અંગે પૂરતી બેપરવા થઈ ગઈ છે. ચિંતાજનક છે તે આ. ઉદાહરણ આપીને વાત કરું તો ગઈ ૭ જૂનથી રોજ, એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ વધે છે. હવે એ સાબિત કરવાની જરૂર નથી કે વ્યક્તિના ભાવ ઘટે છે ને વસ્તુના ભાવ વધે છે. એ ક્રમે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધે છે ને રોજ વધે છે, પણ કૉન્ગ્રેસના જરાતરા વિરોધ સિવાય ખાસ કોઈ ઊહાપોહ નથી. એનો અર્થ એવો થાય કે ભાવવધારો કૉન્ગ્રેસને જ લાગે છે ને પ્રજાને તેની કોઈ અસર વર્તાતી નથી. કોઈ માઈનો લાલ પૂછતો નથી કે ભાઈ આ રોજ શું માંડ્યું છે? રોજ જ ભાવ કેમ વધે છે? એવું કોઈ પૂછતું નથી. આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ભાવો વધ્યા છે? કોઈ યુદ્ધ શરૂ થયું છે?ના, એવું તો કંઈ નથી. તો પછી ભાવો વધે છે કેમ? ને આ પેટ્રોલ-ડીઝલ પૂરતી જ વાત નથી. શાકભાજીનો ઉપાડ ઘટી ગયો ત્યારે શાક ફેંકાઈ ગયું, પણ સસ્તું ન જ થયું. બીજી ખાસિયત પણ જોવા જેવી છે. માની લઈએ કે આવક નથી એ સ્થિતિમાં ભાવો વધે તો તે સમજી શકાય, પણ આવક થાય પછી ભાવો ઘટવા જોઈએ, પણ તેવું થતું નથી. ભાવો વધેલા જ રહે છે ને તેમાં વધારો થશે, પણ ઘટાડો થતો નથી.
સરકારે માર્ચ ૧૪ને રોજ પેટ્રોલ અને ડીઝલમાં ત્રણ ત્રણ રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી વધારી. પછી ફરી મે ૫ ને રોજ પેટ્રોલમાં ૧૦ રૂપિયા અને ડીઝલમાં ૧૩ રૂપિયા વધાર્યા. એમાં બે લાખ કરોડની વધારાની આવક થઈ. યાદ રહે કોરોના કાળમાં સરકારને આ આવક થઈ. આપણે ત્યાં એવું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સરકાર જ વધારે એવું નથી. એ સરકારની જ ત્રણ કંપનીઓ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ ભાવોની સમીક્ષા જૂન ‘૧૭થી કરતી જ આવી છે. એ બધામાં ન પડીએ તો પણ એટલું છે કે ૭ જૂનથી ૧૮ જૂન સુધીના ૧૨ દિવસમાં જ પેટ્રોલમાં ૬.૫૫ રૂપિયા અને ડીઝલમાં ૭.૦૪નો લિટરે વધારો થયો છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે અગાઉ પેટ્રોલના ભાવમાં બે વખત સાત ટકાનો ઘટાડો સરકારે કર્યો હતો. આ એટલે કહ્યું કે રાજ્ય સરકારે ૧૬ જૂનથી બે રૂપિયાનો વધારો કર્યો તેનો ઊહાપોહ ન થાય. આ વધારો, પેલા રોજ વધતા ભાવ ઉપરાંતનો છે. આ બે રૂપિયા ખાસ ગુજરાત સરકારની ભેટ (કે ફેંટ) છે. આ વધારાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલા ભાવ નથી. તે તો હજી તળિયે જ બેઠેલા છે. તો, ભાવ વધારવાનું કારણ શું? કારણ એ કે સરકાર પાસે પૈસા નથી. મે મહિનામાં બે લાખ કરોડની સરકારને કમાણી થઈ તેમાં ગુજરાત સરકારને કંઈ મળ્યું નથી એમ માનીએ તો જ સરકાર પાસે પૈસા નથી એ વાત ગળે ઊતરે. નાયબ મુખ્યમંત્રીશ્રી, સરકાર પાસે પૈસા નથી તો તમે ભાવ વધારીને પ્રજાનું ખીસું કાતરશો, પણ આ ગાળામાં પ્રજા ક્યાં કમાવા ગઈ તે કહેશો? પૈસા તો પ્રજા પાસે પણ નથી. તો, તે કોનું ગજવું કાતરે? જેમ સરકારની આવક ઘટી છે એમ જ પ્રજાની આવક પણ પણ ઘટી છે તેનું શું? જેને કમાણી જ નથી થઈ એને લૂંટો છો, એટલી શરમ તો રાખો, ભલા માણસ!
એ સમજી શકાય એવું છે કે કોરોના પ્રકરણને કારણે સરકારોની આવક ઘટી છે એટલે તે વધારવા જુદા જુદા હેડ નીચે તે ભાવ વધારી આવક મેળવવા મથે છે, પણ આ જ ગાળો પ્રજા માટે પણ ખતરનાક પુરવાર થયો છે, તેનું શું? લાખો લોકોએ રોજગારી ગુમાવી છે. પગાર વગર રહેવાનું આવ્યું છે ને ખર્ચા તો ચાલુ જ રહ્યા છે. ઘરમાં રહેવાને કારણે વીજળીનો વપરાશ વધ્યો છે. સ્કૂલો-કોલેજો બંધ રહી, પણ તેની ફીની તલવાર માથે લટકે જ છે. ખાનગી નોકરી કરનારાઓ ઘરમાં રહેવા જતાં ઘરે બેઠાં છે તે સરકાર જાણે છે? ઘરમાં રહેવાનો કોઈ પગાર આપતું નથી, તેમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારીને સરકાર મરેલાંને મારવા બેઠી છે તે બરાબર નથી.
સરકાર પોતે મોંઘવારી વધારી રહી છે તે સ્પષ્ટ છે, કારણ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધે છે તો ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ પણ વધે છે. કારણ એ વાહનો ડીઝલથી ચાલે છે ને ડીઝલના ભાવ વધે તો તેનાં ભાડાં વધે જ છે. એને લીધે વાહનોમાં આવતી ચીજ વસ્તુઓ પણ મોંઘી થાય છે. એની અસર પણ પ્રજા પર જ પડે છે. એટલે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો સરકારે વિચારીને જ કરવો જોઈએ. છાશવારે ભાવ વધારવાનું કોઈ પણ રીતે પ્રજાનાં હિતમાં નથી એ સરકારે સમજવાનું રહે છે.
લોકડાઉનમાં દુનિયા લગભગ બંધ રહી એમાં એવું થયું કે વાતાવરણ સુધર્યું. જળ,વાયુનું પ્રદૂષણ ઘટ્યું. વાહનો બંધ પડ્યાં એને કારણે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ લગભગ બંધ રહ્યો. એની અસર એ પડી કે પેટ્રોલ-ડીઝલના ભાવ તળિયે નહીં, માઈનસમાં ગયા. પેટ્રોલને, પેટ્રોલની ટાંકીમાં જ પડીને આપઘાત કરવાનો વખત આવ્યો. એ તબક્કે તો એવું લાગતું હતું કે પેટ્રોલ, પાણીને ભાવે વેચાશે. પણ, ભારતમાં તો પાણી જ પેટ્રોલને ભાવે વેચાતું હોય ત્યાં પેટ્રોલ, પાણીને ભાવે તો વેચાય જ કેમ?ભારતમાં સસ્તું ને શુદ્ધ કશું મળે એમ નથી. તેનું કારણ છે – રાજા અને પ્રજા. બંને ભ્રષ્ટ છે. સરકાર જાણે છે કે પ્રજાને કઈ કઈ યુક્તિથી લૂંટી શકાય એમ છે. એટલે તે તો અનેક પ્રકારના સીધા-આડા કરવેરા નાખીને લૂંટશે જ. બીજી બાજુ પ્રજા પણ જાણે છે કે કેવી રીતે સરકારની આંખમાં ધૂળ નાખીને છટકતાં રહેવું. આ સ્પર્ધા છે ને એમાં જે પ્રમાણિક છે, ગરીબ છે, સાધારણ છે તેનો મરો થાય છે. એને જીવવાનો અધિકાર જ ન હોય તેમ દુનિયા તેની સાથે વર્તે છે. આમ ન થવું જોઈએ, પણ થાય છે ને એની શરૂઆત ઘણીવાર તો સરકારથી થતી હોય એવું લાગે છે. આ અટકવું જોઈએ.
પ્રગટ : “ધબકાર”, 19 જૂન 2020