નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર ડેસમન્ડ ટુટુ કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત આર્ચબિશપ હતા. ગયા રવિવારે એટલે કે 26 ડિસેમ્બર 2021ના દિવસે 90 વર્ષની વયે એમનું મૃત્યુ થયું. તેઓ જીવનભર અસમાન નાગરિક-અધિકાર, રંગભેદી પાસપોર્ટ પ્રક્રિયા, શિક્ષણમાં ભેદભાવ અને દક્ષિણ આફ્રિકામાંથી અશ્વેતોની બળજબરીથી કરવામાં આવતી હકાલપટ્ટી વિરુદ્ધ લડ્યા હતા. પ્રસ્તુત છે એમનાં જીવન અને કાર્યોની નાની ઝલક …
‘મારા સુંદર અને પ્રિય દક્ષિણ આફ્રિકાથી અહીં આવવા નીકળ્યો એ પહેલા સાઉથ આફ્રિકન કાઉન્સિલ ઑફ ચર્ચીઝની એક્ઝિક્યુટિવ કમિટીની કટોકટીની મિટિંગમાં હાજર રહેવાનું થયું. આ મિટિંગ, અમારી ભૂમિ પર ચાલી રહેલા હિંસાચારના અનુસંધાનમાં બોલાવવામાં આવી હતી. અમે કેટલાક પીડિતોને પણ મળ્યા. એક વૃદ્ધાએ કહ્યું, ‘હું મારા પૌત્ર અને જેમની મા કામે જતી હોય તેવાં થોડાં પડોશી બાળકોને સાચવતી. એક દિવસ પોલિસથી બચવા વિદ્યાર્થીઓ ભાગતા હતા. અચાનક કોઈ દોડી આવ્યું અને મને બહાર આવવા કહ્યું. મેં જોયું તો મારો છ વર્ષનો પૌત્ર લોહીલુહાણ પડ્યો હતો. પોલિસે તેને ગોળીથી વીંધી નાખ્યો હતો.’ રોજ કેપટાઉનના પાંચસાત કામચલાઉ ઝૂંપડાં પોલિસ તોડી નાખે છે. સામાન ફેંકી દે છે. રડતાં નાનાં બાળકોને ગોદમાં લઈ માતાઓ વરસતા વરસાદમાં ભીંજાતી રહે છે. આ સ્ત્રીઓનો ગુનો એટલો જ છે કે એમને એમના પતિ સાથે, એમનાં સંતાનોના પિતા સાથે રહેવું છે.
દક્ષિણ આફ્રિકાની ભૂમિ, જ્યાં ખ્રિસ્તીઓ વસે છે, જ્યાં ‘ફેમિલી ડે’ નામનો તહેવાર ઉજવાય છે, ત્યાં અમારાં નાનાં નિર્દોષ બાળકોની, પ્રેમાળ પત્નીઓની આવી દશા ? અશ્વેતોના કુટુંબ, કુટુંબ નથી હોતાં ? આ કોઇ આકસ્મિક ઘટના નથી. સરકારી નીતિ અનુસાર અમને પદ્ધતિસર હાંકી કઢાય છે, મારી નખાય છે. કેમ કે અમે કાળા છીએ. ભગવાને આપેલા ચામડીના રંગ બદલ આવી સજા હોય ?’
1984માં નોબેલ શાંતિ પુરસ્કાર સ્વીકારતી વખતે ડેસ્મન્ડ ટુટુએ આ શબ્દોથી એમના નોબેલ-સ્વીકૃતિ વ્યાખ્યાનની શરૂઆત કરી હતી. રંગભેદ સમાપ્ત કરવાના અને એલ.જી.બી.ટી. માટે સમાન અધિકાર પ્રાપ્ત કરવાના પ્રયત્નો માટે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર ડેસમન્ડ ટુટુ કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત આર્કબિશપ હતા. તેઓ જીવનભર અસમાન નાગરિક-અધિકાર, રંગભેદી પાસપોર્ટ પ્રક્રિયા, શિક્ષણમાં ભેદભાવ અને દક્ષિણ આફ્રિકામાંથી અશ્વેતોની બળજબરીથી કરવામાં આવતી હકાલપટ્ટી વિરુદ્ધ લડ્યા હતા. ગયા વરસના અંતે, રવિવાર, 26 ડિસેમ્બર 2021ના દિવસે, 90 વર્ષની વયે, એમનું મૃત્યુ થયું. જોઈએ એમનાં જીવન અને કાર્યોની નાની ઝલક.
શિક્ષક પિતા ઝાકરિયાહ અને ઘરકામ કરનારી માતા અલેથાને ત્યાં 1931માં ટુટુનો જન્મ. 1943માં આખો પરિવાર એંગ્લિકન બન્યો. ગરીબી અને વિસ્થાપનો વચ્ચે ટુટુએ અભ્યાસ, સ્કાઉટિંગ અને ટેન્ડરફૂડની તાલીમ લીધી. હાઈસ્કૂલમાં ફાધર હડલ્સ્ટને વાંચવાનો શોખ લગાડ્યો. મેડિકલમાં પ્રવેશ મળ્યો હોવા છતાં ગરીબીને કારણે તેમણે શિક્ષક બનવાનું પસંદ કર્યું. 1955માં પિતાની સૌથી તેજસ્વી વિદ્યાર્થિની લેહ સાથે લગ્ન કર્યાં અને થિયોલોજીનો અભ્યાસ કરી પાદરી-પદ મેળવ્યું. 1962માં થિયોલોજીના વધુ અભ્યાસ માટે લંડન ગયા અને દક્ષિણ આફ્રિકાના સૌથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવનાર એંગ્લિકન પાદરી બન્યા.
એમણે ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ઈસ્લામ પર ડૉક્ટરેટ શરૂ કર્યું. સાથે રંગભેદ વિરુદ્ધ કામ પણ કરવા માંડ્યું. 1972માં ફરી ઈંગ્લૅન્ડ ગયા અને છ મહિના ત્રીજા વિશ્વની મુસાફરીમાં ગાળ્યા. 1975માં દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા અને જોહાનિસબર્ગના પ્રથમ અશ્વેત એંગ્લિકન ડીન અને જોહાનિસબર્ગમાં સેન્ટ મેરી કેથેડ્રલ પેરિશના રેક્ટર નિયુક્ત થયા. અશ્વેત લોકોની અવદશાના શાંતિપૂર્ણ પરિવર્તન માટે તેઓ સતત મથ્યા. પણ ગોરી સરકારના અત્યાચારો અને હત્યાઓ ચાલતા રહ્યા. 1976માં તેઓ બિશપ બન્યા. ગ્રામીણ પરગણાઓની મુલાકાત દરમિયાન, તેઓ કલાકો સુધી ઘોડા પર મુસાફરી કરતા. 1978માં તેઓ દક્ષિણ આફ્રિકન કાઉન્સિલ ઓફ ચર્ચના જનરલ સેક્રેટરી થયા.
એમણે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંધિ કરાવવા પ્રયત્ન કર્યો અને ઝિમ્બાબ્વે, લેસોથો અને સ્વાઝીલેન્ડના વડા પ્રધાનો અને બોત્સ્વાના અને મોઝામ્બિકના પ્રમુખોને પત્ર લખીને દક્ષિણ આફ્રિકાના શરણાર્થીઓને હોસ્ટ કરવા બદલ આભાર માન્યો. આ બધાથી રૂઢિચુસ્ત દક્ષિણ આફ્રિકન ગોરાઓ, માધ્યમો અને કેટલાક અશ્વેતો નારાજ થયા, પણ ટુટુ પાદરી તરીકેની પોતાની ભૂમિકા અને જવાબદારીને ન વીસર્યા. દક્ષિણ આફ્રિકાના લોકોને વિદેશમાં ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેમણે એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટી કાઉન્સિલની પણ શરૂઆત કરી. અશ્વેતો પર બળજબરી માટે સરકારની કડક ટીકા બદલ સરકારે એમની ધરપકડ કરી બે વર્ષ માટે પાસપૉર્ટ જપ્ત કર્યો. પછીથી એમણે અમેરિકા જઈ ત્યાંના લોકોને નેલ્સન મંડેલા વિશે જાગૃત કર્યા. અસંખ્ય પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કર્યું અને યુનો સુરક્ષા પરિષદને દક્ષિણ આફ્રિકાની સ્થિતિ સમજાવી. આ બધાં કામોમાં ટુટુને પત્ની લેહનો પૂરો સાથ મળતો.
18 ઑક્ટોબર 1984ના રોજ, ટુટુને જાણવા મળ્યું કે દક્ષિણ આફ્રિકામાં શ્વેત લઘુમતી શાસનનો અંત લાવવાના તેમના પ્રયાસ બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ટુટુ ત્યારે અમેરિકામાં હતા. દક્ષિણ આફ્રિકાના અશ્વેતોએ આ ઘટનાની ઉજવણી કરી હતી, પણ સરકારે ટુટુને તેની સારુ અભિનંદન પણ આપ્યા નહીં. ટુટુ એની પરવા કર્યા વિના આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય રહ્યા, અનેક સંસ્થાઓ સ્થાપી, સેવાકાર્યો કર્યા અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. બર્માના વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા અને સાથી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીની મુક્તિ માટે હાકલ કરી. 1994માં શ્વેત શાસનનો અંત આવ્યો.
2007માં, ટુટુ નેલ્સન મંડેલા અને રાજદ્વારી પ્રક્રિયાની બહાર વરિષ્ઠ વિશ્વ નેતાઓના અનુભવને એકત્ર કરતી પહેલ રૂપે બનેલા ‘ધ એલ્ડર્સ’માં ભૂતપૂર્વ યુ.એસ. પ્રમુખ જીમી કાર્ટર, નિવૃત્ત યુ.એન. સેક્રેટરી જનરલ કોફી અન્નાન અને ભૂતપૂર્વ આઇરિશ રાષ્ટ્રપતિ મેરી રોબિન્સન સાથે જોડાયા. ટુટુને જૂથના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. કાર્ટર અને ટુટુએ લાંબા સમયથી ચાલતા સંઘર્ષોને ઉકેલવાના પ્રયાસરૂપે ડાર્ફુર, ગાઝા અને સાયપ્રસનો પ્રવાસ કર્યો. વિશ્વશાંતિ માટેનાં કાર્યો માટે બરાક ઓબામાએ ટુટુને યુનાઇટેડ સ્ટેટ્સનું સર્વોચ્ચ પ્રેસિન્ડેશ્યલ મેડલ ઑફ ફ્રિડમ આપ્યું.
2010માં ટુટુ સત્તાવાર રીતે જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા. ટુટુ અને દલાઈ લામાએ સાથે મળીને એક પુસ્તક લખવા માંડ્યુ હતું. 2016માં ટુટુની પુત્રીએ એની સ્ત્રીસાથી સાથે લગ્ન કર્યાં, એ પછી ટુટુએ આંતરરાષ્ટ્રીય સ્તરે અને એંગ્લિકન ચર્ચની અંદર સમલૈંગિક અધિકારોના સમર્થનમાં કાર્યો કર્યાં.
જેને પોતે અનૈતિક વર્તન માનતા તેની વિરુદ્ધ જાહેરમાં બોલતાં ટુટુ કદી અચકાતા નહીં. પછી ભલે પોતે ચીન-યુરોપમાં હોય કે યુનાઇટેડ સ્ટેટ્સમાં. ટૂટુએ દક્ષિણ આફ્રિકાની વિવિધ જાતિઓ વચ્ચે જોવા મળતા તફાવતની સુંદરતાનું વર્ણન કરવા માટે ‘રેઈનબો નેશન્સ’ની રચના કરી હતી. વર્ષોથી આ શબ્દની લોકપ્રિયતા ઓછી ન થઈ હોવા છતાં, સંયુક્ત સુમેળભર્યા દક્ષિણ આફ્રિકન રાષ્ટ્રનો આદર્શ સિદ્ધ કરવાનો હજુ બાકી છે.
એક માણસ પર્વત પરથી પડી ગયો. તેના હાથમાં એક ડાળ આવી ગઈ. એને પકડીને લટકતાં તેણે બૂમ મારી, ‘ઉપર કોઈ છે ?’ અવાજ આવ્યો. ‘હું છું.’ ‘હું કોણ ?’ ‘હું ભગવાન. તને બચાવીશ. ડાળી છોડી દે.’ માણસે બૂમ મારી, ‘ઉપર બીજું કોઈ છે ?’ આ ટુટુની પ્રિય વાર્તા હતી. ટુટુની સૌથી મોટી સિદ્ધિ હતું દક્ષિણ આફ્રિકા સ્વતંત્ર થયું એ પછી તત્કાલીન રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના નિર્દેશ પર સ્થપાયેલું ‘ટ્રુથ એન્ડ રિકન્સિલીએશન કમિશન’. ટુટુ તેના અધ્યક્ષ હતા. પીડિતો અને એમના પરના અત્યાચારોની તપાસ કરતા. વિની મંડેલાની ‘ફૂટબૉલ ટીમ’ના અશ્વેતોએ ગોરાઓ પર ખૂબ અત્યાચાર કર્યા ત્યારે કોઈએ એમને પૂછ્યું, ‘એમના કેસોની પણ તપાસ કરશો ?’ ત્યારે ટુટુ બોલ્યા, ‘કેમ નહીં, વિક્ટિમ ઈઝ અ વિક્ટિમ ઈઝ અ વિક્ટિમ. પીડાનો કોઈ રંગ નથી હોતો.’ રંગભેદ યુગમાંથી દક્ષિણ આફ્રિકાના સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડેસ્મન્ડ ટુટુને દુનિયા જલદી ભૂલી નહીં શકે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 જાન્યુઆરી 2022