ઉઘાડપગા
અનેક પેઢીઓથી
ઉઘાડા પગે જ ફરે છે
અને
સંભળાવ્યા કરે છે પોતાની સંતતિઓને
ચમત્કારિક પવનપાવડીની વાતો.
જે પગમાં પહેરીને
રાજકુમારો
ઓળંગી જાય છે
સાત-સાત દુર્ગમ પર્વતો
સાત કાળા સમુદ્રો
સાત અભેદ્ય જંગલો
અને
માણસ ગંધાય માણસખાઉં કરતાં રાક્ષસને મારીને
પામે છે સુંદર રાજકુમારી –
અંતે
ખાધું-પીધું ને રાજ કર્યું જેવો સુખદ અંત.
પવનપાવડી પહેરીને ઊડતા ઋષિવરો
સતત સહાનુભૂતિપૂર્વક વિચાર્યા કરે છે
કે
ઉઘાડપગાઓ
ભોળા હોય છે
એટલે ઉઘાડપગા છે
કે
ઈમાનદાર હોય છે
એટલે
કે
પછી
એમના ઉઘાડપગા હોવા પાછળ
જવાબદાર હોય છે એમનામાં રહેલી આનુવંશિક મૂર્ખતા?
કે પછી
તેઓ એટલે ઉઘાડપગા રહી જાય છે
કેમ કે
ઉઘાડપગા માટે ચાલતા વિચારધારાઓના યજ્ઞમાંથી
માત્ર અને માત્ર
પ્રકટ થાય છે પવનપાવડી,
જેના પર ઉઘાડપગાઓનો કોઈ જ અધિકાર નથી હોતો.
ઉઘાડપગાઓને
એ ક્યારે ય સમજાતું નથી
કે
જેમના પગ
સમયાનુસાર
પોતાનું માપ બદલતા હોય,
જેમના પગ
અવસર પ્રમાણે ચાલ ચાલતા હોય,
જેમના પગ
પગલાં વિશે ક્યારે ય ન વિચારતા હોય,
જેમના પગ
શું ચાતરવું
અને શું અંકિત કરવું એની કુનેહ ધરાવતા હોય,
જેમના પગ
ઐતિહાસિક ક્ષણે
પગલાં ન મળે એ રીતે પલાયન થવાનું જાણતા હોય
અને
જેમના પગ
ઇતિહાસમાં પગલાં પાડવાની કળા જાણતા હોય –
એમને નસીબ થતી હોય છે પવનપાવડી.
હમણાં જ
શ્રેષ્ઠીપરિવારના
કેટલાક તેજતર્રાર યુવાનો
ઉઘાડપગાઓનાં પાત્ર ભજવતાં ભજવતાં
ઉઘાડપગાઓનાં ચિત્ર ખેંચતાં ખેંચતાં
બાપ-દાદાની પવનપાવડી પહેરીને
પાણી પર ટપ્પી ખાઈને સામે પાર પહોંચતા પથરાની જેમ
ઉઘાડ પગાઓના માથે ઠેક દેતો-દેતો
પહોંચી ગયા ઊંચેરા શિખર પર –
એ જોઈ
એક ઉઘાડપગા કવિએ
ઉઘાડપગાઓની રાજનીતિ કરતા
ઉઘાડપગી યુનિવર્સિટીના
કમિટેડ પ્રોફેસરને પૂછ્યું
કે
આ ઘટનાને તમે કઈ રીતે મૂલવશો ?
એમણે તરત જ
જેમ કોઈ શ્રદ્ધાળુ મંદિરની બહાર ચંપલ ઉતારે
એમ
ઉઘાડપગાઓની રાજનીતિ ઉતારીને બાજુ પર મૂકી,
મનોમન પેલા શ્રેષ્ઠીપરિવારની સ્તુિત કરીને
વક્રદૃષ્ટિથી
તિર્યકમુદ્રા ધારણ કરી
કટાક્ષમય ભાષામાં બોલ્યા :
‘એ માટેની લાયકાત એમનામાં જ હતી’.
પેલા ઉઘાડપગા કવિનો સવાલ
લાયકાત અંગે નહોતો
પણ
સામાજિક ન્યાયની રાહે મળવા જોઈતા સમાન અવસર
અને
અવસર મેળવવાની
ન્યાયસંગત પ્રમાણિત અને પ્રામાણિક પદ્ધતિ અંગે હતો,
જેને પ્રોફેસરસાહેબે
કોર્સબહારના પ્રશ્નની જેમ
બાજુ પર મૂકી દીધો,
અને
ફરી પગરખાંની જેમ પગમાં ઉઘાડપગાઓની રાજનીતિ પહેરીને
ચાલી નીકળ્યા ઉઘાડપગાઓના ઉત્કર્ષ માટે પરિસંવાદોમાં ભાષણ આપવા!
હમણાં હમણાં
ઉઘાડપગાઓમાં
એક સમજણ વિકસી છે
અને
તે એ કે
એમના ઉઘાડપગા પણા માટે
દાયકાઓથી ચાલતી
ઉઘાડપગાઓની રાજનીતિ જ જવાબદાર છે
જેના કારણે
કેટલાક લોકોને
વંશાનુગત રીતે પ્રાપ્ત થતી રહે છે પવનપાવડી.
ઉઘાડપગાઓ પાસે
એક મોટી શક્તિ એ હોય છે
કે
તેઓ વખત આવ્યે
પવનપાવડી પહેરી ઊડનારાઓને
ઉઘાડ પગે ફરતા કરી મૂકે છે
પણ
એમનામાં એ સામર્થ્ય ક્યારે ય નથી આવતું
જે
દૂર કરે એમનું ઉઘાડપગાપણું!
ઓશીકે પવનપાવડી મૂકીને સૂતેલા રાજપુરુષોની ઊંઘમાં
સતત ફરતા રહે છે ઉઘાડપગા
જેના કારણે ક્યારેક-ક્યારેક
રાજકુટુંબમાં
એવા મહાત્મા જન્મતા હોય છે,
જે ઉઘાડપગાઓનાં દુઃખ જોઈને
દેહ પર ધારણ કરી લે છે માત્ર પોતડી
અને ઉઘાડપગાઓને
પોતાના મનમંદિરમાં
સ્થાપે છે ઈશ્વરની જેમ –
આના કારણે ઉઘાડપગાઓ માટે
ગૌરવપ્રદ બની જાય છે
ઉઘાડપગાપણું!
ઉઘાડપગાઓ
એવું માનતા હોય છે
કે
મોક્ષનો માર્ગ
એમના ઉઘાડા પગ તળેથી જ નીકળે છે,
ઉઘાડપગાઓને
એવીં પણ દૃઢ આસ્થા હોય છે
કે
અહીં ભલે
પવનપાવડી પહેરેલા રાજકુમારો
એમનાથી આગળ નીકળી જતાં હોય
પણ
સ્વર્ગમાં એમના માટે
રાખવામાં આવ્યાં છે
અનામત સિંહાસનો.
ઉઘાડા પગાઓના હાથમાં
ક્યારેક પવનપાવડી આવી પણ જાય
તો ય
તેઓ એને
પગમાં પહેરવાને બદલે
માથા પર ધારણ કરે છે
અને
એમના માથા પર રહેલી પવનપાવડી
સતત-સતત ફંફોસ્યા કરે છે એમનાં મસ્તિષ્ક
જ્યાં
ટૂંટિયું વાળીને પડ્યા હોય છે ઉઘાડા પગ!
તા. ૧૦-૪-૨૦૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 11-12