એક માણસ, વીજળીના કડાકા-ભડાકા વચ્ચે, કામ પરથી ઘરે આવે છે. ઘર ખાલી છે. એ ચોંકી જાય છે. તેની પત્ની અને બાળકો ઘર છોડીને જતાં રહ્યાં છે. તેને તેની ભૂલોનો અહેસાસ થાય છે. તે ઉદાસ થઇ જાય છે અને અપરાધબોધના ભાર હેઠળ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. હિન્દી ફિલ્મોમાં બને છે તેમ, અણીની પળે કર્તવ્ય પરાયણ પત્ની પાછી ફરે છે અને પતિને બચાવી લે છે. પછી, સૌએ ખાધું, પીધું ને રાજ કર્યું.
એ માણસ એટલે અનિલ મહેરા (સુનીલ દત્ત), એ પત્ની એટલે પ્રિયા (નરગિસ) અને એ ફિલ્મ એટલે ‘યાદેં.’ વાર્તાની દૃષ્ટિએ એમાં કશું નવું નહોતું. એક વ્યભિચારી પતિ સુધરી જાય છે, ભારતીય નારીની પ્રતિકસમી પત્ની, તેની સાથે થયેલા અન્યાયને ભૂલી જઈને, પતિને પાછો પ્રેમ કરવા લાગે છે અને ઘર બચાવી લે છે. એક જ નવાઈ હતી; દુનિયાની આ પહેલી ફિલ્મ હતી જેમાં એક જ એક્ટર હતો.
ફિલ્મ 1964માં રિલીઝ થઇ હતી અને તેને એક જ એક્ટરની ફિલ્મ તરીકે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. તમને એવો પ્રશ્ન થાય કે હમણાં તો એવું લખ્યું કે ‘અણીની પળે પત્ની ઘરે પાછી આવે છે,’ તો એક એક્ટર કેવી રીતે કહેવાય? નાટકોની દુનિયામાં ‘સોલો એક્ટ’ની પ્રથા જૂની છે. તેમાં રંગમંચ પર એક જ એક્ટર હોય અને તે દર્શકોને સંબોધીને વાર્તા કહે. માનવ ઇતિહાસમાં વ્યાખ્યાનોની પરંપરા રહી છે, જેમાં શ્રોતાઓ સમક્ષ વ્યાખ્યાનકાર વાર્તા માંડે.
‘યાદેં’ ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને એક્ટર સુનીલ દત્તે આ જ ટેકનિકનો ફિલ્મમાં ઉપયોગ કર્યો હતો. તે ફિલ્મના પ્રેક્ષકોને સીધું સંબોધન તો કરી ન શકે એટલે તે દીવાલ પર નાચતા પડછાયાઓ સાથે વાતો કરે છે, ઘરની ચીજ વસ્તુઓ સાથે સંવાદ કરે છે, ફોનમાં કોઈની સાથે વાર્તાલાપ કરે છે. એ રીતે પ્રેક્ષકોને ખબર પડતી જાય છે કે અનિલના જીવનમાં (અને મનમાં) શું ચાલી રહ્યું છે (ફિલ્મના અંતે, પત્ની દીવાલ પર પડછાયા રૂપે આવે છે).
એકલવાયો અનિલ ડ્રિંન્ક બનાવે છે. પત્નીને એની એ કુટેવની પણ ખબર હશે, એટલે તેણે બાર પર ચિઠ્ઠી મૂકી છે કે તે આ લગ્નમાં રહી શકે તેમ નથી એટલે બાળકોને લઈને ચાલી ગઈ છે.
અનિલ તેની પત્નીની ચીજવસ્તુઓને હાથમાં સહેલાવીને અને બાળકોનાં રમકડાં પકડીને તેમની ગેરહાજરીનું દુઃખ વ્યક્ત કરે છે. અનિલ દીવાલ પર, ટેબલ પર માથું ઢાળીને, લલાટને ખોબામાં મૂકીને તેની ઉદાસી જાહેર કરે છે. ‘યાદેં’માં, ફિલ્મ ટેકનિકને લાગે વળગે છે ત્યાં સુધી, સુનીલ દત્તે એક નવા જ પ્રકારની સિનેમાઈ ભાષાનો ઉપયોગ કર્યો હતો.
એવું કહેવાય છે કે નરગિસ એકવાર ઝેક રિપલ્બિકમાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં જજ બનીને ગયાં હતાં. તે સાથે બાળકોને પણ લઇ ગયાં હતાં. સુનિલ દત્ત ઘરે એકલા રહ્યા હતા. એ દરમિયાન તેમને વિચાર આવ્યો હતો કે હીરો ઘરે આવે અને ખબર પડે કે તેની પત્ની અને બાળકો ઘર છોડીને જતાં રહ્યાં છે તો તે શું કરે?
મસાલા ફિલ્મોના દૌરમાં આવી એક લાઈનની વાર્તા એ સાચે જ સાહસિક પ્રયોગ કહેવાય. સુનીલ દત્તનો સિતારો ત્યારે ચમકતો હતો. એ સ્ટાર-પાવરના કારણે જ તેમને ‘એક એક્ટર’ની ફિલ્મ બનાવવાની હિમ્મત આવી હશે. સુનીલ દત્તે કુલ 100 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો અને 8 ફિલ્મોનું નિર્માણ કર્યું અને 6 ફિલ્મોનું નિર્દેશન કર્યું.
સુનીલ દત્તે તેમની અજંતા આર્ટ કંપની વતી ફિલ્મ બનાવી હતી. અજંતા આર્ટના બેનર નીચે અગાઉ ‘યે રાસ્તે હૈ પ્યાર કે’ અને ‘મુજે જીને દો’ બની ચુકી હતી, પણ નિર્દેશક તરીકે સુનીલ દત્તે ‘યાદેં’ જેવી પ્રયોગશીલ ફિલ્મથી પદાર્પણ કર્યું એ પણ નોંધનીય છે. અઢી કલાક સુધી એક એકલો એક્ટર દર્શકોને પકડી રાખે તે ખાવાના ખેલ નથી, તેની સુનીલ દત્તને ખબર હોવી જ જોઈએ.
મજાની વાત એ છે કે ફિલ્મમાં વાર્તાનું શ્રેય (નરગિસ નહીં) મિસિસ દત્તને આપવામાં આવ્યું છે. એવું બન્યું હોવું જોઈએ કે સુનીલ દત્તને બાંદ્રાના તેમના ઘરમાં એકલતાનો અહેસાસ થયો હોય અને તેમણે પત્ની નરગિસને પરિવારની ગેરહાજરી કેવી સાલે તેની વાત કરી હોય. શક્ય છે કે મિસિસ દત્તે મજાક પણ કરી હોય કે તમારી સાથે તો સાચ્ચે જે એવું કરવા જેવું છે! મોટાભાગની પત્નીઓ તેમના પતિને આમ પણ એવું કહેતી હોય છે કે હું જતી રહીશ ને ત્યારે ખબર પડશે. એ નોંકઝોંકમાંથી ફિલ્મ બનાવાનો વિચાર જન્મ્યો હોય તે શક્ય છે.
સુનીલ દત્તની મોટાભાગની ફિલ્મો, વિશેષ તો ખુદના બેનર હેઠળની ફિલ્મોમાં કોઈને કોઈ સંદેશો હોય છે. ‘યાદેં’ આમ તો એકલવાયા પતિની ઉદાસીની કહાની છે પણ તેમાં ય એક પારિવારિક મૂલ્યની શિખ છે. ફિલ્મની શરૂઆત ‘મનુસ્મૃતિ’ના શ્લોકથી થાય છે :
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ॥
“જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને જ્યાં સ્ત્રીઓની પૂજા થતી નથી, તેમનું સન્માન થતું નથી, ત્યાં કરેલાં બધાં સારાં કાર્યો પણ ફળહીન થઈ જાય છે.”
સુનીલ દત્ત એવું કહેવા માંગતાં હતા પુરુષ ગમે તેટલો તાકાતવર અને આઝાદ હોય, સ્ત્રી વગરનું ઘર અંતત: તને તોડી નાખે છે. ‘યાદેં’ ફિલ્મમાં દત્તે એ ઈમોશનલ બ્રેકડાઉનને બખૂબી પેશ કર્યું હતું. હિન્દી ફિલ્મોમાં ઘણીવાર લાગણીઓ, અસુરક્ષા, ડરને સ્ત્રીની વૃત્તિ તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ ‘યાદેં’ ફિલ્મમાં પત્ની અને બાળકોની સ્મૃતિઓથી દુઃખી થતા એક અનિલ મહેરાનું પાત્ર સાબિત કરે છે કે પુરુષો પણ પરિવારને નુકસાન થાય તો દુઃખી થાય છે.
ફિલ્મમાં સૌથી ઉત્તમ સુનીલ દત્તની અભિવ્યક્તિ છે. હસવાથી અને અચાનક કોઈ વાત પર ગુસ્સો કરવાથી માંડીને ચાવીથી ચાલતું રમકડું જોઈને ડરી જવા સુધીની દરેક લાગણી તેમના ચહેરા પર ખીલી ઊઠી હતી. તેમણે દરેક હાવભાવ ખૂબ જ ગંભીરતાથી આપ્યા હતા. સુનીલ દત્તે આ ફિલ્મમાં કાલ્પનિક અભિવ્યક્તિઓનો પ્રયોગ કર્યો હતો.
હિન્દી સિનેમામાં ઘણી પ્રયોગાત્મક ફિલ્મો બની છે, પણ 60 વર્ષ પછી ‘યાદેં’ આજે પણ ‘એક જ એક્ટર’ની ફિલ્મ તરીકે એટલી જ લાડકી છે.
ફારુક શેખના એક જમાનામાં લોકપ્રિય ટી.વી. કાર્યક્રમ ‘જીના ઇસી કા નામ હૈ’માં સુનીલ દત્ત મહેમાન હતા. એમાં દત્ત પરિવારના અને સિનેમાના મિત્રોએ દત્ત વિશે રોચક વાતો કરી હતી. તેમાં ‘યાદેં’ ફિલ્મની વાત પણ નીકળી હતી. દત્તે ફિલ્મનું પ્રીમિયર મુંબઈના મરાઠા મંદિર સિનેમા યોજ્યું હતું ત્યારની ઘણી વાતોને યાદ કરી હતી.
પ્રીમિયરમાં દત્તના સમકાલીન એકટર દિલીપ કુમાર પણ ઉપસ્થિત હતા. દત્તે તેમને યાદ કરીને કહ્યું હતું કે ફિલ્મ જોયા પછી દિલીપ કુમાર અચંભિત થઇ ગયા હતા, “દંગ રહે ગયે થે. ઐસા કૈસે હો સકતા હૈ એક હી એકટર થ્રુઆઉટ? ઉનકો એક એક્ટર કા આઈડિયા બહુત પસંદ આયા થા.”
ફિલ્મની બીજી રસપ્રદ વાત એ છે કે તેમાં માત્ર બે જ ગીતો હતાં, જે લતા મંગેશકરે ગાયાં હતાં. ફિલ્મના સંવાદો અને સંગીત વસંત દેસાઈએ આપ્યું હતું. કાશ, સુનીલ દત્ત આજે જીવતા હોત તો ચોક્કસપણે રોચક અને પ્રયોગાત્મક ફિલ્મો આપી હોત.
અભિનેતા જીવતો હોત, તો ફિલ્મ નિર્માણના આવા પ્રયોગો સાથે એમણે ચોક્કસપણે આપણા ફિલ્મ ઉદ્યોગમાં ઘણી વધુ દિમાગ રોચક ફિલ્મોનું યોગદાન આપ્યું હોત.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 13 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર