અત્યારે જે ‘યુદ્ધ અને જેહાદ’ ચાલે છે એ બંને વિશ્વયુદ્ધ કરતાં વિનાશક છે, કારણ કે અહીં ‘અમે અને તમે’ જેવાં અસંતુલનોમાંથી પેદા થયેલાં પરિબળો સક્રિય છે
ગયા શુક્રવારે પેરિસમાં આતંકી હુમલો થયો તેની બીજી સવારે એક મિત્રએ વાતવાતમાં પૂછ્યું, ‘તમને લાગે છે કે હવે ત્રીજું યુદ્ધ થશે? યુદ્ધમાં તો બે વિરોધી જૂથ હોય પણ અત્યારે તો ખબર જ નથી પડતી કે કોણ કોની સામે અને સાથે છે.’ કંઈક આવો જ પ્રશ્ન દ્વિતીય મહાયુદ્ધ પછી વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનને પૂછવામાં આવેલો. આઇનસ્ટાઇને ત્યારે કહેલું, ‘ચોથું યુદ્ધ નહીં થાય તેની મને પાકી ખાતરી છે. ત્રીજુ વિશ્વયુદ્ધ જ એટલું વિનાશકારી હશે કે ચોથા યુદ્ધ માટે ધરતી પર માણસ જીવતો જ નહીં હોય.’
દ્વિતીય મહાયુદ્ધમાં હિરોશીમા અને નાગાસાકી પર જે એટમ બોમ્બ ફોડવામાં આવ્યા હતા તે જોઈને લોકોને થયેલું કે આનાથી ખતરનાક શસ્ત્રો પેદા નહીં થાય, પરંતુ આઇનસ્ટાઇન જેવા વિચારશીલ લોકોને સમજાઈ ગયેલું કે ટેક્નોલોજીનો વિકાસ એવો હશે કે હિરોશીમા-નાગાસાકીના બોમ્બ તો દિવાળીના બોમ્બ જેવાં રમકડાં બની જશે. માનવજીવનની આ એક વિચિત્ર વિરોધિતા છે કે વિકાસ અને વિનાશની યાત્રા સાથે જ ચાલતી રહે છે. જે માણસે હવાની ગતિએ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવા માટે જેટ વિમાનો બનાવ્યાં છે તે જ માણસે મિનિટોમાં આખા ને આખા ઇલાકા તહસનહસ કરી નાખે તેવાં ફાઇટર વિમાનો પણ બનાવ્યાં છે.
દ્વિતીય મહાયુદ્ધમાં માણસને એવી આશા હતી કે હિટલરને ખતમ કરી દેવામાં આવે તો સંસારમાં શાંતિનો સૂરજ પ્રસરી જશે. 2001માં અમેરિકાએ ઘોષણા કરી હતી કે ઓસામા બિન લાદેનનો સફાયો કરી દેવામાં આવે તો આતંકવાદ પર અંકુશ મુકાઈ જશે. ગયા શુક્રવારે પેરિસ પરના હુમલા પછી ફ્રેન્ચ પ્રમુખ ફાન્કોઇસ ઓલાન્દેએ જાહેરાત કરી કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સીરિયા (આઇએસઆઇએસ)ના આતંકીઓ સામે ‘નિર્દયી યુદ્ધ’ છેડવામાં આવશે. 2006માં અમેરિકાએ ઇરાકી પ્રમુખ સદ્દામ હુસેનને ખતમ કરીને અપેક્ષા રાખી હતી કે ઇરાક શાંત અને સુરક્ષિત પ્રદેશ બની જશે. આજે અહીંથી જ સૌથી હિંસક અને લોહિયાળ આતંકવાદ દુનિયાને હંફાવી રહ્યો છે.
મુદ્દો એ છે કે શાંતિ સ્થાપવાના માણસના હર એક પ્રયાસ અશાંતિની નવી આબોહવા પેદા કરી ગયો છે. હર એક કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધી, લિંકન અને માર્ટિન કિંગની સામે હિટલર, લાદેન, સદ્દામ હુસેન, ગદ્દાફી અને પીનાેશેટ પેદા થતા રહ્યા છે. 50 વર્ષ પહેલાં સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાએ એક ભાષણમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘આ સદીની સૌથી મહાન ઘટનાઓમાં એક ગાંધી હતા અને બીજો એટમ બોમ્બ હતો. જોઈએ બંનેમાંથી કોની જીત થાય છે.’ દુનિયા ત્યારે હિરોશીમા- નાગાસાકીનો વિનાશ જોઈ ચૂકી હતી અને અમેરિકા તથા રશિયા વચ્ચે શીત યુદ્ધમાં જકડાઈ ગઈ હતી.
લોહિયા ઇચ્છતા હતા કે ગાંધીજીની યાને અહિંસાની જીત થાય અને હિંસા તથા યુદ્ધનો પરાજય થાય. 1986-87માં રશિયા વિખરાઈ ગયું ત્યારે એવું લાગ્યું હતું કે દુનિયા પરથી ત્રીજા મહાયુદ્ધનું સંકટ ટળી ગયું છે, પરંતુ છેલ્લાં 25 વર્ષની ઘટનાઓ બતાવે છે કે દુનિયા પરંપરાગત યુદ્ધના બદલે આતંકની લાંબી ખાઈમાં ઊતરી ગયું છે. અમેરિકાએ પણ એના પરંપરાગત ‘દુશ્મન’ રશિયાના સ્થાને ઇસ્લામિક આતંકવાદ નામના ‘દુશ્મન’ની ગોઠવણ કરી લીધી છે. ટ્વિન ટાવર્સ પર હુમલા પછી અમેરિકાએ ‘વોર ઓન ટેરર’ની ઘોષણા કરી હતી. શુક્રવારે પેરિસ પર હુમલા પછી ફ્રાન્સે ‘નિર્દયી યુદ્ધ’ છેડવાનો નિર્ધાર કર્યો છે. ત્રણ દિવસ પછી બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા) નેતાઓની બેઠકમાં મોદીએ કહ્યું કે પૂરી માનવ સભ્યતાએ ભેગા થઈને આતંકવાદ સામે જંગ કરવાનો સમય આવી ગયો છે.
ઉદ્દેશ ઉમદા છે અને લાગણીઓ સમજી શકાય તેવી છે. પ્રશ્ન એ છે કે આતંકવાદ સામેની લડાઈ કારગત નીવડી રહી છે કે પછી આતંકને વધુ તાકાત મળી રહી છે? આતંકવાદને ધાર્મિક ચશ્માં પહેરીને જોવાનું ટાળીને સમજવા જેવું એ છે કે અમેરિકાના ઇરાકમાં આક્રમણ પછી દુનિયા વધુ અસુરક્ષિત થઈ ગઈ છે. વોર ઓન ટેરરનો એકમાત્ર ઉદ્દેશ લાદેનના આતંકી સંગઠન અલ-કાયદાને તહસનહસ કરવાનો હતો, પરંતુ એ પ્રક્રિયામાં અલ-કાયદા કરતાં ય વધુ સંગઠિત અને લડાયક ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયાનો જન્મ થયો છે જે પશ્ચિમનાં શહેરોમાં બોમ્બિંગ કરીને સરકારોને હિંસક પ્રત્યાઘાત આપવા ઉશ્કેરી રહ્યું છે. ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેરે સ્વીકાર્યું છે કે ઇરાકના આક્રમણ પછી મોતનું તાંડવ વધ્યું છે. ઓબામાએ પણ પેરિસ હુમલા પછી માન્યું છે કે અલ-કાયદાની રાખમાંથી જ ઇસીસનો રાક્ષસ પેદા થયાે છે. ફ્રાન્સ પ્રમુખ અોલાન્દેે અને મોદી જે જંગની વાત કરે છે તે સ્તો ઇસીસને જોઈએ છે.
પશ્ચિમી દુનિયા ખાસ કરીને અમેરિકાએ ઇસ્લામિક આતંકને ખતમ કરવા જે યુદ્ધ છેડ્યંુ છે તેના પરિણામે (ઓબામાની ભાષામાં) ‘અનપેક્ષિત’ રીતે મુસ્લિમ રાષ્ટ્રોના યુવાનોમાં પશ્ચિમી દુનિયા પ્રતિ નારાજગી અને આક્રોશ સળગી રહ્યો છે. પશ્ચિમી દેશો એમની સૈનિક કાર્યવાહી વધુ તેજ બનાવે અને મુસ્લિમોનો અલગાવ વધુ ગહેરો થાય તેના આશયથી જ ઇસીસે પેરિસ પર હુમલો કર્યો છે. તમે જો એમ માનતા હો કે આ અભણ-ગમાર જેહાદીઓ ગુસ્સામાં આવીને બદલો લેવાની ભાવનાથી કમર પર બોમ્બ પહેરીને નીકળી પડ્યા છે તો એ ભૂલ છે. આતંકવાદનું આખું નેટવર્ક (છૂટીછવાઈ કે સામૂહિક રીતે) મુસ્લિમો અને ‘કાફરો’ વચ્ચેનો સંઘર્ષ બરકરાર જ નહીં, વધુ ઉગ્ર બને એ માટે કામ કરે છે. પેરિસ હુમલા પછી ઇસીસે તરત જ એની જવાબદારી સ્વીકારી તેની પાછળ ‘જોયું? બતાવી દીધું ને’ જેવો કોઈ અહમ્ નહીં, પરંતુ જગતના વિમુખ અને નારાજ મુસ્લિમ સમુદાયમાં પોતાની વિશ્વનિયતા સાબિત કરવાનો હેતુ હતો. આ હેતુ પાર પણ પડી રહ્યો છે. ઇસીસ વિશ્વના મુસ્લિમો માટે ધાર્મિક, રાજકીય અને મિલિટરી સત્તા તરીકે તેજ ગતિએ સ્થાપિત થઈ રહ્યું છે.
આ એક પ્રકારનું તૃતીય યુદ્ધ જ છે. અગાઉનાં બે યુદ્ધો તો સીમાઓ અને ભૌગોલિક નિયંત્રણો માટે લડાયાં હતાં અને એમાં યુદ્ધો માટેના આંતરરાષ્ટ્રીય કાનૂનોની ઇજ્જત જાળવવામાં આવી હતી. અત્યારે જે ‘યુદ્ધ અને જેહાદ’ ચાલે છે એ એટલા માટે બંને યુદ્ધ કરતાં વિનાશક છે, કારણ કે અહીં સામાજિક પહેચાન અને સ્વીકૃતિ, વિકાસ અને ગરીબી, સત્તા અને બેબસી, અમે અને તમે જેવાં અસંતુલનોમાંથી પેદા થયેલા સાયકોલોજિકલ અને ભાવનાત્મક પરિબળો સક્રિય છે. માણસ મૂળભૂત રીતે જન્મ્યો ત્યારથી જ અંદર એક પ્રકારની અશાંતિ, અસુરક્ષા અને અલગાવ લઈને જીવતો આવ્યો છે. માણસના મગજમાં અચ્છાઈ અને બૂરાઈનાં બંને તત્ત્વો મોજૂદ છે. શ્રી અરવિંદ કહેતા હતા કે મનુષ્યના મગજનો એક તૃતીયાંશ હિસ્સો પશુતુલ્ય છે જે અવસર અને અનુકૂળતા પ્રમાણે હિંસક અને બર્બર બની જાય છે. પ્રકૃતિની રચનામાં હિંસાની એક અનિવાર્ય ભૂમિકા છે. પૃથ્વી પરનો દરેક જીવ કોઈ પણ ભોગે જીવતો રહેવા પ્રયાસ કરતો રહે છે. આ સર્વાઇવલ વૃત્તિ જ એને એના જેવો જ બીજો જીવ પેદા કરવા માટે સેક્સ તરફ અને જીવ પર જોખમ આવે તો હિંસા તરફ દોરી જાય છે. સેક્સ અને હિંસા એ પ્રત્યેક જીવનું સર્વાઇવલનું સાધન છે.
મનુષ્યનો સામાન્ય હિંસક ભાવ કોઈને હાનિ પહોંચાડતો નથી, પરંતુ એ જ્યારે વ્યક્તિગત દાયરામાંથી બહાર નીકળીને સામાજિક અથવા સામૂહિક સ્તરે જાય છે ત્યારે એ ઘાતક બની જાય છે. આધુનિક હથિયારોની હોડ એને વધુ તીવ્ર બનાવે છે. એટલા માટે જ ગુફામાં રહીને પથ્થરો અને લાકડાનાં હથિયાર વાપરતા જંગલી મનુષ્ય કરતાં બંદૂકો અને બોમ્બ વાપરતો આજનો સભ્ય ઇન્સાન અનેક ગણો ખતરનાક છે. આક્રમકતા મનુષ્યના જેનેટિક કોડમાં છે. બંદરમાંથી મનુષ્ય બન્યા પછી પણ એના મગજમાં આક્રમકતા, ક્રોધ, હિંસા અને પ્રતિશોધની પૌરાણિક વૃત્તિ યથાવત્ રહી છે. આપણે બહારથી સામાજિક વ્યવહારના સ્તરે બહુ નમ્ર સંસ્કારી અને સભ્ય છીએ, પરંતુ જરાક જ મગજની ગહરાઈમાં ઊતરીએ તો અંદરથી ભયભીત, દુ:ખી, ઈર્ષાળુ, હતાશ, ચિંતાતુર અને આક્રમક છીએ. લાખ્ખો વર્ષોના વિકાસ અને પ્રગતિ પછી પણ મનોવૈજ્ઞાનિક સ્તરે આપણે જરા ય બદલાયા નથી. એટલે જગતમાં જે યુદ્ધ, અશાંતિ અને આતંક છે એ મનુષ્યની અંદર રહેલાં યુદ્ધ, અશાંતિ અને આતંકનો જ વિસ્તાર અને આયામ છે. આતંકવાદ બંદૂકો અને બોમ્બમાં નથી, એ મનની અંદર છે. બંદૂકો અને બોમ્બથી તો બે અસંતુલિત આતંકી મનુષ્ય વચ્ચે મુકાબલો બરાબરીનો થઈ ગયો છે. માણસ જ્યારે જંગલમાં રહેતો હતો ત્યારે પથ્થરના શસ્ત્રથી નિહથ્થા પાડોશીને ડરાવવો સહેલો હતો. આજે દરેક કમજોર માણસ આધુનિક હથિયારોથી તાકાતવર થઈ ગયો છે.
આપણે આપસી વિનાશના સમયમાં જીવીએ છીએ. વિનાશની આપણી માનસિકતા અને તૈયારી એટલી સશક્ત છે કે ‘હું તો મરું પણ તને રાંડ કરું’ની જેમ પૂરી પૃથ્વીને ભડાકે દેવાનું આસાન થઈ ગયું છે. એટલે આતંકવાદનો ઉપાય સામૂહિક જંગમાં નથી (એનાથી એની તીવ્રતા વધશે) પણ વ્યક્તિગત સ્તરે છે. આપણે દરેકે અંગત સ્તરે અંદરના આતંક અને આશંકાને નષ્ટ કરવા પ્રયાસ કરવો પડશે. આ કેવી રીતે થશે? અફકોર્સ, બ્રુશ, ટોની બ્લેર, ઓલાન્દે જેવા રક્ષકો નહીં કરી શકે, કારણ કે મારી-તમારી જેમ એમના મગજનો એક તૃતીયાંશ હિસ્સો ‘ખૂન કા બદલા ખૂન’માં વિશ્વાસ ધરાવે છે. આપણી અંદર પડેલા આતંક અને આક્રમણને દૂર કરવા આપણે ધર્મોની સંત પરંપરા પુનર્જીવિત કરવી પડશે.
પૂરા વિશ્વમાં ધર્મ આજે ચર્ચાનો વિષય બન્યો હોય તો તેનું કારણ રાજનીતિમાં એનો ઉપયોગ છે. આ સંદર્ભમાં સૂફી અને ભક્તિ પરંપરાનો પરિચય લોકોને થાય તે જરૂરી છે. વર્તમાન સમયમાં ધર્મનો આધ્યાત્મિક અને નૈતિક પક્ષ નબળો પડી ગયો છે. જગતના તમામ ધર્મો અને સંતોએ અહિંસા, શાંતિ, નૈતિકતા અને માનવતાની વાત કરી છે. આમાંથી જ ‘બુદ્ધ, મહાવીર, ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ પેદા થયા હતા.’ બંદૂકો અને એટમ બોમ્બને પરાસ્ત કરવા સંતોની આ પરંપરા જીવતી રહે એ જરૂરી છે. હિંસા અને આતંકવાદનો પરાજય ગાંધી જ કરી શકશે, બુશ કે અોલાન્દે નહીં.
e.mail : rj.goswami007@gmail.com
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5175148-NOR.html
સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 22 નવેમ્બર 2015