(૧) સાહિત્ય પરિષદ હવે રાજનીતિનો અખાડો બની રહી છે. અને પ્રમુખ પદ માટે કે મધ્યસ્થમાં કે મંત્રી તરીકે ચૂંટાવા માટે પણ અહીં ખૂબ જ નિષ્ઠુર અને નિર્દય રીતે કુસ્તીના દાવ ખેલાય છે. અહીં જીતવા માટે મોટા ભાગના લોકો સંવેદનાઓ સાથે ખેલે છે. વિશ્વાસ-ભરોસા સાથે ખેલે છે. અને પછી પોતાનો સ્વાર્થ સાધવા તમારું બધું છિન્નભિન કરીને પોતે જીતી જાય છે અને તમને હારવાનો અફસોસ કરે છે. પણ હમણાં એકાદ દસકાથી સોશિયલ મીડિયાનું વર્ચસ્વ વધતા સાવ નવા સવા બની ગયેલા કવિ લેખકોને પણ જોરદાર પ્રસિદ્ધિ મળતા જૂના અને જાણીતા સર્જકો ભૂલાવા લાગતા હવે તેઓએ પણ પરિષદની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છેક ગોવર્ધનરામ ત્રિપાઠીથી લઈને કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશીથી લઈને છેક રઘુવીર ચૌધરી સુધી પરિષદમાં રાજકારણ તો હતું પણ એમાં મૂલ્યોનો હ્રાસ નહોતો થતો. સાહિત્યની ગરિમા ઓછી નહોતી થતી. પ્રમુખની પસંદગી ચૂંટણી વિના સર્વાનુમતે થતી. અને પરિણામે પરિષદને એકએકથી ચડિયાતા અને યોગ્ય પ્રમુખો મળ્યા છે. આ પસંદગીની પ્રક્રિયા થોડા અપવાદોને બાદ કરતાં છેક રઘુવીર ચૌધરી સુધી સરસ રીતે ચાલી આવતી હતી. પરંતુ થોડાં વર્ષોથી એક ટોળકી અંદરખાને આગિયામાંથી સૂર્ય બનવા માટે રઘુવીર ચૌધરીના તેજને, નિષ્ઠાને અને પરિષદ પ્રત્યેના લગાવને ચેલેન્જ આપીને ચૂંટણીથી પ્રમુખ બનવાની લોકશાહીની માંગણી કરી અને સૌએ સ્વીકારી. પછી શરૂ થયો શતરંજનો મહાખેલ. અને જ્યાં શતરંજ હોય ત્યાં શકુની તો હોય જ …. આ ખેલમાંથી એક શકુનીનો પણ જન્મ થયો.
(૨) ૧૧૮ વર્ષ જૂની આ ગુજરાતી ભાષાની એક માત્ર મજબૂત સંસ્થાને ગ્રહણ લગાવતી એક બે વ્યક્તિઓ ઊધઈની જેમ અંદર પેસી ગઈ છે. સાહિત્ય સેવાના નામે પોતાના પદને ટકાવી રાખવા શામ, દામ, દંડ અને ભેદ બધી જ અનીતિઓના દાવપેચ રમીને પરિષદના હોદ્દેદારોનાં પાસાં ગોઠવવામાં આ વ્યક્તિ માહેર છે. પરિષદને અને સાહિત્યને જાણનારા મોટાભાગના એમને જાહેરમાં પરિષદના ચાણક્ય અને ખાનગીમાં શકુની કહે છે. અને આવી વ્યક્તિ જ્યારે પરિષદના ઉચ્ચ પદ માટે આપણી પાસે મત માંગે ત્યારે આપણે એક વખત તો ચોક્કસ વિચારવું જ જોઈએ. ગઈ ચૂંટણીમાં એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે પ્રમુખ તરીકે હર્ષદ ત્રિવેદી જીતવાના જ હતા. પણ છેલ્લી ઘડીએ એમના પક્ષમાં પડેલા ચાલીસેક જેટલા મતો રદ્દ થયેલા. અને લગભગ એટલા જ મતથી હર્ષદભાઈ હારેલા. બસ, મતની આ રદ્દનીતિ – કૂટનીતિ માત્ર અને માત્ર આ શકુનીમામા જ જાણે છે. કોને કંઈ રીતે જીતાડવા, કોને કંઈ રીતે હરાવવા તે આ ખૂબ સારી રીતે જાણે છે. જો હર્ષદભાઈ કે માધવભાઈ આ વખતે ધ્યાન નહીં રાખે તો બન્નેની દશા હારી ગયેલા પાંડવો જેવી થશે. કેમ કે આ વખતે પણ તેમની સાથે આવો ખેલ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
(૩). પરિષદની ચૂંટણીમાં કહેવાય છે કે મતદાન ખાનગી પ્રક્રિયા છે. પણ આ બિલકુલ ખોટી વાત છે. કેમ કે દરેક મતપત્રક ઉપર એક નંબર આપવામાં આવેલો છે. અને જે તે નંબરવાળું મતપત્રક કોને મોકલવામાં આવ્યું છે એની નોંધ પરિષદમાં રખાય છે. અને એની વિગતો આ જાણભેદુ પાસે પણ હશે જ. તેથી આ મતદાન મતદારો માટે કવર બંધ કરે એટલા પૂરતું ખાનગી હશે પણ પરિષદના કાર્યાલયે પહોંચ્યા પછી એનું શું થાય છે એની કોઈને ખબર નથી. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આ ખાનગી મતપત્રકો જોવા માટે ઘણી વખત પરિષદમાં ખાનગી રીતે રાત્રીરોકાણ પણ થાય છે. અથવા આ બધા કવરો રાત્રે બહાર લઈ જઈને સવારે પરત આવી જવાની વાયકાઓ પણ ચર્ચાય છે. અને પછી કોણે કોને મત આપ્યો ? કોને કેટલા મત મળ્યા ? આ બધું જાણી સમજીને શકુની પોતાના પાસાઓ ફેંકે છે. અને બિચારા સંવેદનશીલ અને પ્રામાણિક સર્જકો, સિદ્ધાંત અને સત્યમાં માનવાવાળા સર્જકો આરામથી હારી જાય છે. આ ચૂંટણી જીતવા માટે ઑરિજનલ કે ડૂપ્લીકેટ મતપત્રકો અગાઉથી તૈયાર પણ રાખી શકાય છે. દા.ત. પાંચેક હજાર મતદારો છે. તો પાંચ હજાર કવર-મતપત્રક તૈયાર કરીને સૌને પોસ્ટમાં મોકલવામાં આવે છે. હવે એમાંથી માત્ર બસો ચારસો આજીવન સભ્યો એવા હશે કે જેમને ચૂંટણી, સાહિત્ય, ‘પરબ’ કે પરિષદ સાથે કોઈ લેવાદેવા નહીં હોય … વર્ષો પહેલાં આજીવન સભ્ય બની ગયેલા હોય. આવી વ્યક્તિઓની એક અલગ યાદી શકુની પાસે હોય જ ….. બસ, આવી વ્યક્તિઓના મતપત્રકો માત્ર સો બસો કવરમાં નાખીને તૈયાર રાખીને અંતિમ દિવસોમાં પોસ્ટ કરીને સામેલ કરીને આખી બાજી પલટાવી શકાય છે. કદાચ એવું પણ બને કે પ્રમુખ પદના ઉમેદવારોને આ ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે. પણ આ શકુનીમામા વર્ષોથી પરિષદમાં છે. પરિષદના બધા કર્મચારીઓ પણ એમનાથી ડરે છે. તેથી તેઓ મામાની ગેરહાજરીમાં પણ એમનું જ કહેલું, શીખવેલું કરવાના છે. માત્ર બસો ત્રણસો કવરોનું સેટિંગ આખી બાજી ફેરવી નાખશે. જેવી રીતે ગઈ વખતે માત્ર ચાલીસેક મત રદ્દ થયેલા એમ …. આ વખતે પણ થઈ શકે છે. રદ્દ થયેલા મતની વિગતો લઈ એ મતદાતાનું નામ જાણી એમને એમનું મતપત્રક બતાવવામાં આવે તો કદાચ આ આખું ષડયંત્ર બહાર પણ આવે. કેમ કે મતદાન તો સરખી રીતે જ થયું હોય પણ એ કવર અહીં આવતા એમાં છેડછાડ (ચેકચાક) કરીને એને રદ્દ બનાવવામાં આવે છે. અવસાન પામેલા અનેક આજીવન સભ્યોનાં નામે મતદાન પણ થાય છે.
(૪) મધ્યસ્થમાં આ વખતે પણ ઘણા સર્જકો અકાદમી અને પરિષદ બન્ને બાજુ ઢોલકી વગાડવા તૈયાર થયા છે. મારા સન્માનનીય મિત્ર રાઘવજી માધડ મારી સાથે ગયાં ત્રણ વર્ષની ટર્મમાં પરિષદમાં ચૂંટાયેલા હતા. અને મારા કરતાં વધારે અકાદમીના કાર્યક્રમોમાં, સેમિનારોમાં, શિબિરોમાં ભાગ લીધેલો પણ માનન્ય પ્રમુખ પ્રકાશભાઈ શાહ અને શકુનીમામાની કૃપાદૃષ્ટિથી અમારી ૧૨ની જેમ તેઓ બરતરફ નહોતા થયા. પણ જ્યારે અકાદમીએ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જુલાઈ-૨૦૨૩માં સર્જકોનો બે દિવસીય સેમિનાર કર્યો તો તેમાં રાઘવજીભાઈને પણ નિમંત્રણ મળેલું. તેથી એ લાભલેવા એમણે પરિષદના મધ્યસ્થ સમિતિના સભ્ય પદેથી નાછૂટકે રાજીનામુ આપ્યું હતું. અને હવે ત્રણ મહિના પછી જ ફરીથી પરિષદની ચૂંટણી આવી તો ફરીથી સભ્ય પદ માટે પરિષદનું પદ મેળવવા ફોર્મ ભર્યું ? આવું કેમ ? રાઘવજીભાઈ જેવા પ્રતિષ્ઠિત લેખક પણ જો બન્ને બાજુ ……………… તો બીજા નવા ને તો શું કહેવું ? પણ મનમાં એક સવાલ ચોક્કસ થાય કે શું રાઘવજીભાઈ જેવા પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સર્જકને પરિષદના મધ્યસ્થપદની જરૂર છે ખરી ? શું તેઓ બીજા આખાં ત્રણ વર્ષ અકાદમીના કાર્યક્રમોમાં બિલકુલ નહીં આવે ? કે પછી ફરીથી જરૂર પડ્યે પરિષદમાંથી રાજીનામું આપીને અકાદમીનો લાભ લેશે ? ….. પણ પહેલી વખત તો પ્રકાશભાઈની કૃપાદૃષ્ટિથી રહી ગયેલા … આ વખતે નહીં બચી શકાય …. એટલે સૌ સર્જકો … એક તરફનું સ્ટેન્ડ લઈ લેજો. કેમ કે જો હર્ષદભાઈ આવશે તો તેમના ઢંઢેરા મુજબ તેઓ અકાદમી સ્વાયત્તતાની સૂઈ ગયેલી ઝંખનાને ફરીથી જાગૃત કરશે. પછી બન્ને બાજુ ઢોલકી નહીં વગાડી શકાય. તેથી તમને મત આપનાર સાતસો આઠસો મતદારોનો વિશ્વાસભંગ ના કરતા.
(૫) પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો છે. (૧) માધવ રામાનુજ (૨) હર્ષદ ત્રિવેદી (૩). પ્રફુલ્લ રાવલ …. આ ત્રણેય ઉમેદવારોની પોતપોતાની ખાસિયતો છે. એક કવિ માધવ રામાનુજ સાવ સૌમ્ય, સરળ અને મૃદુ સ્વભાવના છે. સાહિત્યજગતમાં અત્યંત લોકપ્રિય પણ છે. અનેક સર્જકો, અધ્યાપકો, ભાવકો એમના પ્રત્યે આદરભાવ ધરાવે છે. વળી તેઓ પરિષદ સાથે વર્ષોથી જોડાયેલા છે. વિવિધ પદ ઉપર કામ કરીને અનુભવી પણ છે પરંતુ વચ્ચે થોડો સમય તેઓ અકાદમીની સમિતિમાં જોડાયેલા, અને અકાદમી દ્વારા અપાતા ગૌરવ પુરસ્કારથી પણ સન્માનીત થયા હતા. અને ફરી પાછા અકાદમીમાંથી પરિષદમાં હેમખેમ આવી ગયેલા. આમ છતાં ય તેઓ પોતાની છવિ સરળ રાખી શક્યા છે. શક્ય એટલા વિનમ્રતાથી સૌની સાથે વર્તીને સૌના હૃદય જીતવાની તેમની કળા સૌએ શીખવાની જરૂર છે. અને સૌ એવી આશા પણ રાખે છે કે જો તેઓ પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાય તો “પરિષદ-અકાદમી”ના સ્વાયત્તતાના વિવાદનો અંત લાવીને બન્ને સંસ્થાઓને ફરીથી એક કરીને સાહિત્ય અને સર્જકોની ગરિમાને વધારશે.
બીજા ઉમેદવાર હર્ષદ ત્રિવેદી છે. બાબુ સુથારે એમની ફેસબૂક પોસ્ટમાં ખૂબ કડક શબ્દોમાં એમના વિશે લખ્યું છે. પણ હું ઓળખું છું ત્યાં સુધી એમના જેવો ‘સંપાદક’ ગુજરાતી ભાષામાં સમકાલીન સમયમાં બીજો કોઈ નથી. એમની સંપાદકીય સૂઝ અને નીતિને કારણે તેઓ જ્યારે ‘શબ્દસૃષ્ટિ’નું સંપાદન કરતા, ત્યારે અનેક કવિ લેખકોને તેમની કૃતિઓ અસ્વીકૃત કરીને નારાજ કર્યા હશે, એટલે તે કદાચ આવા સર્જકો ચૂંટણીમાં થોડું નૂકશાન કરી શકે. પરિષદને સારી રીતે ચલાવવા માટે સક્ષમ ખરા પણ મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા મહાન સભ્યો સાથે તેઓ સેટ થઈ શકશે ખરા ? એ એક મહાપ્રશ્ન છે. કેમ કે અહીં સૌ પોતાને નરેદ્ર મોદી સમજીને પરિષદમાં પ્રવેશે છે. બીજું ઘણા સર્જક મિત્રોને એક આશ્ચર્ય એ પણ છે કે હર્ષદભાઈ પોતે વર્ષો સુધી અકાદમીમાં સંપાદક અને મહામાત્ર તરીકે રહ્યા. અને હવે તેઓ અકાદમીને સ્વાયત્ત બનાવવા સરકાર સામે આંદોલનો કરશે ખરા ? જો કે ખુદ હર્ષદભાઈના સમયથી લઈને અત્યાર સુધી પરિષદ કરતાં અકાદમી વધુ સ્વાયત્તતાથી કામ કરે છે. એ વાતને સમજીને હર્ષદભાઈ જો સ્વાયત્તતાની પીપૂડી વગાડતા પાંચ દસ સાહિત્યકારોને સમજાવી પરિષદ-અકાદમીને અગાઉની જેમ એક કરશે તો એ ઐતિહાસિક કાર્ય લેખાશે.
ત્રીજા ઉમેદવાર વિશે મોટાભાગના લોકો ખાનગીમાં “શકુની” કહે છે. કેમ કે આખી પરિષદ પરંપરાને ડામાડોળ કરનાર આદરણીય પ્રફુલ્લભાઈ છે. એવું લોકો માને છે. એક વર્ગ તો એમ પણ કહે છે કે આ ચૂંટણીમાં તેઓ જ જીતવાના છે. કેમ કે માધવભાઈ અને હર્ષદભાઈ છળ અને પ્રપંચ કરી શકવાના નથી અને આ મામા એમાં માહિર છે. ઘણા તો એવું પણ માને છે કે તેઓએ અત્યારથી કોને કેટલા મત મળશે એ નક્કી કરી રાખ્યું હશે. અને એ જીતશે તો માત્ર દસ વીસ મતના ડિફરન્સથી જીતશે. એવી ગોઠવણ કરી રાખી હશે. એમણે મધ્યસ્થનું પણ અત્યારથી ગોઠવી રાખ્યું હશે. કોને ક્યાં મંત્રી બનાવવા એ પણ નક્કી હશે. માધવભાઈ અને હર્ષદભાઈ તો પ્રમુખ પદનો પ્રચાર કરતા હશે અને પ્રફુલ્લભાઈ આખું મંત્રીમંડળ નક્કી કરી નાખશે. આટલી તાકાત તેઓ ધરાવે છે. આખા અમદાવાદની પોસ્ટ ઓફિસો, કુરિયરવાળા બધા જ એમના ખિસ્સામાં છે. તેઓ ધારે એ કરી શકશે. એવું ઘણા લોકો માને છે. એમનું નેટવર્ક ખતરનાક છે. પાંચેક હજાર આજીવનમાંથી બસો ત્રણસો મત તો એમના હાથમાં જ હશે. માધવભાઈ અને હર્ષદભાઈ સહેજ ગફલતમાં રહ્યા નથી કે હાર્યા નથી …… એવું થવાની પૂરી સંભાવના છે.
પણ આપણે ઈચ્છીએ કે પરિષદની પરંપરાના પાયામાં પેસી ગયેલી ઊધઈ નાશ પામે, તમામ પ્રકારના છળ અને પ્રપંચમાંથી પરિષદ મૂક્ત થાય, પરિષદ-અકાદમી એક થાય, લાભનીતિ છોડીને સૌ સાહિત્યનીતિથી કામ કરે, નહિતર આવનારા વર્ષોમાં મધ્યસ્થના ૪૦માંથી એકે ય સાહિત્યકાર નહીં હોય. અને પછી કોઈ શહેરની નગરપાલિકાની અને પરિષદની ચૂંટણીમાં કોઈ ફેર નહીં હોય. અસ્તુ.
સૌજન્ય : ડૉ. કનૈયાલાલ ભટ્ટની ફેઇસબૂક દીવાલેથી સાદર